Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઆત્મોન્નતિ અંગે પ્રચલિત ધારણાઓ અને ઇસ્લામ

આત્મોન્નતિ અંગે પ્રચલિત ધારણાઓ અને ઇસ્લામ

વિષયવસ્તુના સંદર્ભે હૃદયના સ્પંદનોને શબ્દકારે મૂર્ત સ્વરૃપ આપવાના આરંભે મને પેલા એક ગુજરાતી કવિની કાવ્યપંક્તિના શબ્દો યાદ આવી રહ્યા છે. તેણે કહ્યું,
ધન અંધારે, પંક ડુબેલું, બાળ કમલ નાંખે નિશ્વાસ,
હાય અભાગી જીવન મારૃં, નહીં તેજ ને નહીં સુવાસ

જીવન અલ્લાહ-ઇશ્વરની એક અણમોલ ભેટ છે. તેમાંય શ્રેષ્ઠતાના સ્થાને બિરાજમાન માનવજીવન તો મહાન સર્જનહારની એક અપ્રતિમ કૃતિ છે. ધરતીના પટ ઉપર માનવીનું અસ્તિત્વ ન હોત તો આ ધરતી, તેનો વિશાળ પટ, તેનું લાવણ્ય અને તેની અખૂત સંપત્તિઓનું કોઇ જ મહત્વ ન હોત. બેન્ડ બાજા હોય, સુંદર અને સુશોભિત ઘોડાબગી હોય અને હર્ષોલ્લાસપૂર્વક ડગભરતા જનૈૈયાઓની એક મોટી સંખ્યા ચાલી આવતી હોય પરંતુ જો વરરાજા જ ઉપસ્થિતી ન હોય તો વરરાજા વિનાના એવા વરઘોડાનું શું મહત્વ ? બધું હોવા છતાં મેળાવડો ખાલી લાગે ! ધરતી અને તેની વિશાળતા માનવજીવનથી જ હરીભરી છે. એનું સૌંદર્ય અને એની અગણ્ય સંપત્તિઓનું મુલ્ય માનવજીવનના અસ્તીત્વથી જ સાકાર બની શક્યું છે, તાદશ થઇ શક્યું છે. પોતાની લાભાન્વીનતા અને ગુણવત્તાને સિદ્ધ કરી શક્યું છે.

ત્યારે આ મહામુલા માનવજીવનનું સ્વરૃપ તેની સુંદરતા અને ભવ્યતા, તેના રંગરૃપ અને આચરણો, તેની અભિવ્યક્તિઓ અને તેના સ્પંદનો, તેની લાગણીઓના અનુબંધો અને તેના વ્યવહારોનાં ઔચિત્પો તથા તેની સમગ્ર જીવનપ્રદર્શની દ્વારા આત્મસાત થનારાં ચિત્રો કેવાં રહેવાં જોઇએ એના વિષે વિચારવું તેના માટે અત્યંત જરૂરી બની રહે છે. ચિત્રકાર જ્યારે ચિત્ર દોરવા બેસે ત્યારે એ ચિત્ર બનાવવામાં પોતાની તમામે તમામ કળાશક્તિને નીચોવી દે તો જ ચિત્ર અત્યોત્તમ બની શકે. ત્યારે આ હરતુફરતું અને અવિરત વિચરતું જે જીવન આપણને મળ્યું છે તેને શોભાવવું, શણગારવું અને સર્જનહારની સામે તેને સાચા અર્થમાં મનમોહક બનાવીને મુકવું એની આવશ્યક્તાને આપણે શી રીતે ભુલાવી શકીએ ?
કોઇ ફુલનો માત્ર આકાર હોય, ફકત આકાર ! તેના અંદર કોઇ રંગરૃપ ન હોય, લાવણ્ય ન હોય, કોમળતા અને નાજુકતા ન હોય, જીવોને આકર્ષવાની ખુબી ન હોય, તેના અંદરમાં કોઇ ફોરમ ન હોય, ખુશબુ ન હોય તો એવા ફુલનું અસ્તિત્વ શું કામનું ? કોઇ ફળમાં મધુરતા ન હોય, રસતા ન હોય, મૃદુતા અને લઝીઝતા ન હોય, મીઠાસ ન હોય અને શરીરને લાભપ્રદ એવા પોષક તત્વોની ગુણવત્તા ન હોય તો એવા ફળની શું કિંમત ? માનવ શરીરના બારામાં પણ એવું જ છે. સર્વોત્તમ સર્જન હોવા છતાં એની સર્વોત્તમતા સાકાર થતી ન હોય, એની ખુબીઓ આંખે ઉડીને વળગે એવી ન હોય, અન્યોની નજરોમાં આકર્ષણ જમાવે એવા સદ્ગુણોની અભિવ્યક્તિ એના અંદરમાં ન હોય તો એની માત્ર નામની સર્વોત્તમતા શું કામની ? ઉત્તમ સર્જન હોવા છતાં એવા નકામા બનીને રહેનારા લોકો માટે કહેવાયું છે કે,
બડા હુવા તો ક્યા હુવા, જૈસે પેડ ખજૂર,
પંછીકો સાયા નહીં, ફળ લાગે અતી દૂર !

માનવજીવન માટે જરૂરી એવી તમામે તમામ વસ્તુઓ જેમકે ખાદ્યવાનગીઓ, રહેણાંક માટેના મકાનો, અવરજવર માટે જરૂરી એવી મોટર કારો, બસ સેવાઓ અને ટ્રેઇન સેવાઓ, શિક્ષાકેન્દ્રો અને તબીબી સંસ્થાનો એટલે સુધી કે ન્યાયાલયો, વિધાનસભાગૃહો, રાષ્ટ્રનું લોકસભાગૃહ અને રાષ્ટ્રપતિ આવાસ વગેરેને અત્યંત સુશોભિત, આરામદાયક, તમામ પ્રકારની સગવડોથી પ્રખર બનાવવા માટે ખાસ પ્રકારની કાળજી લેવાનો પાકો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થાને અનિવાર્ય ગણવામાં આવે છે. ગામડાઓ અને શહેરોને સ્વચ્છ રાખવા માટેના અભિયાનો ચલાવવામાં આવે છે. નદીઓ અને જળાશયોને શુદ્ધ રાખવા માટે પ્રોજેક્ટ (યોજનાઓ) કાર્યરત રાખવામાં આવે છે અને જીવનને કષ્ટદાયક બનનારી તમામ ગંદકીઓને દૂર કરવાના કાર્યોને પ્રાથમિકતા અપાય છે. આકસ્મિક આવી પડનારી આફતોથી જીવનને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત બનાવવા માટે આપાતકાલીન સેવાઓને ખડેપગે તૈયાર રખાય છે અને આપત્તીઓથી થનારા નુકસાનને ભરપાઇ કરવા માટે નવરચના અને પૂનર્વસનના કાર્યો યુદ્ધના ધોરણે હાથ ધરાય છે. આ તમામ મથામણો પાછળનું મૂળલક્ષ જીવનની સલામતી, સુરક્ષા, સરળતા અને રાહતો આરામને સ્થાપિત કરવાનું હોય છે જેથી જીવન અવિરત ગતિ કરતું રહે અને પ્રાકૃતિક તથા માનવસર્જીત આપદાઓથી મુક્ત રહે.

જ્યારે કે જીવન આટલું કિંમતી છે કે તેના માટે શક્ય તે બધુ કરી છુટવાને પ્રાધાન્ય અપાય છે તો એ જીવનનું જે મુળ તત્વ છે, એનું જે સત્ય છે અને એના અસ્તિત્વનું જે મૂળભૂત લક્ષ્યાંક છે તે કેટલંું કિંમતી હશે ? તેની અસલીયતને માત્ર જાળવી રાખવાની જ નહીં બલ્કે તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહે અને એક સમય એવો આવે કે તે પોતાના ઉચ્ચતમ સ્થાન સુધી પહોંચી જવામાં સફળ થઇ જાય તે માટે કેટકેટલી કાળજી અને માવઝત લેવાની આવશ્યક્તા રહે છે તેનો કોણ ઇન્કાર કરી શકે ? પરંતુ જ્યારે આ મુદ્દા ઉપરથી ધ્યાન હટી જાય અને માત્ર ઉપલબ્ધીઓની ભરભાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત થઇ જાય ત્યારે ઉપલબ્ધીઓ જો સદીઓ સુધી ચાલું રહે તો માણસ સાવ નિમ્ન કક્ષાએ પહોંચી જઇને પશુતુલ્ય બની જાય. કદાચ તેનાથી પણ વધુ હીનકક્ષામાં ધકેલાઇ જાય! આવા જ માનવ સમાજો માટે અલ્લાહની અંતિમ કિતાબ કુઆર્નમાં અલ્લાહે ફરમાવ્યું કે “તેમની આંખો છે પણ તે જોતા નથી, તેમના કાન છે પણ તે સાંભળતા નથી, તેમના હૃદય છે પરંતુ તે (કોઇ પ્રકારના બોધ સંદેશનો) અસર લેતા નથી. વાસ્તવમાં આવા મનુષ્યો પશુતુલ્ય છે બલ્કે પશુથી પણ અધમ !” (સૂરઃઅઅરાફ-૧૭૯)

દીને ઇસ્લામ જગતજનોને આ જ સંદેશ આપે છે કે તેઓ અલ્લાહ, રસૂલ અને આખિરતના દિવસ ઉપર આસ્થા લઇ આવીને ઇશ્વરીય માર્ગદર્શનના પ્રકાશમાં પોતાના આ જીવનને શણગારવાનો, સજાવવાનો અને સુંદરથી સુંદરતમ બનાવવાનો પ્રયાસ કરે. ઉપલબ્ધીઓ અખૂટ અને આરામદાયક હોય એવું તમે ઇચ્છો છો તો એનો ઉપભોગ કરનાર તમારા જીવન તત્વને પણ સુંદર ઓપ આપવાનો પ્રયાસ કરો. અમાનવીય અધમતાઓથી એને સુરક્ષિત રાખવાનો પ્રબંધ કરો. એના અસલ તત્વને દુષિત કરી નાંખનારી બુરાઇઓથી સતત સાવધાન રહો, તેને તમારી પાસે પણ ફટકવા ન દો અને આમ સમાજ જીવનની સુરક્ષાના પ્રબંધને પણ હંમેશા ચાકચોબંદ રાખો. અબ્દુલ્લાહ યુસુફ અલી કુઆર્નના અંગ્રેજી અનુવાદ અને તેના વિવરણમાં લખે છે, “બુરાઇ અને માનવ આત્માને દુષિત કરનારો અનીચ્છનીય ડાધ છે. કુદરતે સર્જેલા માનવરૃપિ આ કિર્તીવાન સર્જનને રોગગ્રસ્ત કરનાર ઘાતક જીવાણં છે. બુરાઇઓના આ ઘાતક જીવાણુઓના હુમલાઓથી માનવજીવનને સુરક્ષિત રાખવા માટે અલ્લાહે જે સુરક્ષા પ્રણાલીઓ તેને બતાવી છે તેનું ચુસ્તપણે પાલન કરીને જ તે પોતાની જાતને પશુતાની આ ગર્તામાંથી તેને બચાવી શકે છે.” (વિવરણ નોંધ ૧૯૪૯માં પેજ-૭૧૩)

માનવશરીર તેના ભોતિક ઢાંચા અને તેના અંદર વિહરતા આત્મા (રૃહ)ના સંમિશ્રણથી પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યું છે. ધરતી ઉપર વિચરતા કરોડો માનવોનો સમુહ એક એવો મહામેળાવડો છે જે તેના સર્જનહાર અને પાલનહારની સીધે સીધી દેખરેખમાં તેના સ્થાપિત પ્રોગ્રામ પ્રમાણે કાર્યરત છે. સમગ્ર બ્રહ્માંડ તેના સર્જનહારના હુકમથી જ અસ્તિત્વમાં છે અને તે ઇચ્છશે ત્યાં સુધી તેનું અસ્તિત્વ કાયમ રહેશે. આ તમામે તમામ વસ્તુઓે ઉપર તેનો એકલા નો જ અધિકાર કાયમ છે. એટલે આ બધાની સંચાલન વ્યવસ્થા ઉપર તેના જ આદેશો અને સુચનો અધિકૃત ગણવાને લાયક છે.

માનવીને સદ્ગુણસંપન્ન અને તેના ઇચ્છિત બીબામાં ઢાળવા માટે સર્જનહારના આદેશો તેની સૂચનાઓ અને તેણે પ્રબોધેલ જીવન પ્રણાલી અનુસારની વ્યવસ્થા જ એક ઉત્તમોત્તમ અને ખામીરહિત વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનું મર્મસ્થળ પોતાના સર્જનહારની ઇબાદત છે. સર્જન હોવાના સંબંધે માનવીની એ ફરજ છે કે તે પોતાના સર્જનહારની સ્તુતિ કરતો રહે. પોતાની જાતને પોતાના સર્જનહારને સમર્પિત કરીને રાખે. તેણે બતાવ્યા મુજબની પ્રાર્થના પદ્ધતિઓ નિયમીતપણે અદા કરતો રહીને સાચો બંદો હોવાનું પ્રમાણ રજૂ કરતો રહે. ઇશબંદગી જ જીવનની ઉન્નતતા પ્રાપ્તી માટેનીગુરૃચાવી છે. ઇશબંદગી વિનાનું જીવન એવા મૃત શરીર જેવું છે જેમાં ન કોઇ હલચલ જોવા મળે ન જ કોઇ ઉપયોગીતા. એટલે જ પ્યારા નબી સ.અ.વ.એ એક હદીષ બોધમાં ફરમાવ્યું કે, “તમારા ઘરોને કબ્રસ્તાન ન બનવા દો.” પુછવામાં આવ્યું કે એનાથી શું મુરાદ છે, તો આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “જે ઘરમાં પોતાના સર્જનહાર અને પાલનહાર અલ્લાહની યાદ નથી, તેની સ્તૃતિનો પ્રબંધ નથી તે ઘર કબ્રસ્તાન જેવું છે.” (હદીસ બોધ) ઇશબંદગી માનવીય અંતરઆત્માને તેની રૃહને જીવંત અને તરોતાઝા રાખવાની એક પ્રણાલી છે. માનવીયરૃહનો ખોરાક વાસ્તવમાં ઇશબંદગી છે જેના વડે તેને બળ, શાંન્તવના, પ્રસન્નતા અને ચેતના પ્રાપ્ત થતા રહે છે. માનવજીવનનું આ એક અત્યંત મહત્વનું અંગ છે.

જીવનનું બીજું અંગ તેના ભૌતિક જીવનના આચરણો, વ્યવહાર, સમાજ અને માનવસમુહો સાથેના તેના સંબંધો, તેની રોજબરોજની ગતિવધીઓ અને ઉપાર્જન માટેના માધ્યમોથી સંબંધીત છે. આ ક્ષેત્રોમાં પણ તે અલ્લાહના માર્ગદર્શનથી મુક્ત નથી. જીવનનો આ વિભાગ પણ તેના સર્જનહારના આદેશો અનુસાર ચાલતો રહે તેની કાળજી લેવી જરૂરી છે. ઇશમાર્ગદર્શનથી અબાધિત પ્રણાલીઓ એના ઢાંચાને બગાડી નાંખે એની પુરેપુરી શક્યતા રહે છે અને જો એ બગડી જાય તો ધરતી ઉપર ભયંકર ફસાદ બર્પા થઇ જવાનો ખતરો તોળાવા લાગે છે. એટલે જીવનના આ ઢાંચાને પણ સુસંચાલિત બનાવી રાખવા માટે અલ્લાહ તઆલાએ કાયદો અને વ્યવસ્થાના તમામ જરૂરી આધારો ઘડીને માનવજાતને આપી રાખ્યા છે. અલ્લાહના અંતિમ નબી સ.અ.વ. અને આપના વફાદાર સાથીઓના જીવનચરિત્રો આ વ્યવસ્થાના અત્યોત્તમ પ્રમાણોના રૃપમાં આપણી સામે ઉપલબ્ધ છે. ધરતી ઉપર અલ્લાહના પ્રતિનિધી હોવાના નાતે હઝરત મુહમ્મદ સ.અ.વ.નું જીવન આપણા માટે સંપૂર્ણ રોલ મોડેલ છે. અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.ના આદેશો અને સુચનોની ફરમાબરદારી એજ આપણા જીવનની અસલ સિદ્ધી છે.

ત્યારે અલ્લાહ અને રસૂલના આદેશો પ્રમાણે સંચાલિત થતું મોમીનનું જીવન અત્યોત્તમ, અતિસુંદર, સુમધુર સુશોભિત અને મનહર કઇ રીતે બની શકે છે તેની અનેકાનેક સમજુતિઓ અને ખુલાશાઓ અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ. એ આપણને આપવાનો પ્રબંધ કરી આપ્યો છે. ગુજરાતીમાં એક કહેવત છે કે જેટલો ગોળ નાંખો તેટલી મીઠાસ વધુ થાય. એ મુજબ અલ્લાહ મુજબ રસુલ સામે કરેલી સમર્પણતા પણ તેના સાવ નિચલા સ્થાન ઉપર અટકીને રહી ન જાય બલ્કે પ્રતિદિન પ્રગતિ કરતી રહે, સુંદરતાના સોપાનો સર કરતી રહે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરી લેનારા સુશોભિત માનવીય અભિગમો અને આકર્ષક રંગોથી સુંદરતા બનતી રહે અને આખેરતના અનંત જીવનમાં જ્યારે માનવી પોતાના સર્જનહારની સમીપે પહોંચે ત્યારે એટલો સાફસુથરો અને વિકારરહીત હોય કે પ્રથમ નજરે જ તે પોતાના સર્જનહારની નજરોમાં વસી જાય અને અલ્લાહની પ્રસન્નતા તેને પોતાના મધૂર છાયામાં હંમેશના માટે સમેટી લે. એ માટે અલ્લાહે સમર્પણતાના ઉચ્ચતમ સ્થાનો અને એ માટે અપનાવવાની કાર્યશૈલીઓ પણ બતાવી દીધી. માનવીય ઉચ્ચતાની ગુણવત્તાના આ મહાનતમ સ્ટેજને ‘રૃહાનિયત’ આત્મોન્નતિના નામે ઓળખોવામાં આવે છે. એક મોમીન સતત મહેનત અને મઠામણ દ્વારા જેમ જેમ આ માર્ગે આગળ વધતો જાય છે તેમ તેમ તેના અંદરમાં અનેક પ્રકારની ખુબીઓના રંગ ચઢવા લાગે છે. તેના વિચાર, વ્યવહાર અને આચરણોમાં નિખાર આવવા લાગે છે. પોતાના સર્જનહારથી વધુને વધુ નજીક થતા જવાની ઝંખના તેના અંદર પ્રબળ બનતી જાય છે. જીવનની ભાગદોડ વચ્ચે પણ તે પોતાના રબની યાદમાં મશગૂલ રહે છે અને ઝીણીઝીણી બાબતોમાં પણ અલ્લાહના આદેશોનું પાલન કરવાનું ચુકતા નથી. તેના અંદર ખુદાનો ડર અને તેની સાથેની પ્રેમભાવના એટલા ઉત્કટ બની જાય છે કે અલ્લાહની યાદ તેના જીવનધબકાર બની જાય છે. તેને અલ્લાહની કિતાબના એ શબ્દો સતત યાદ રહે છે કે, “પછી જ્યારે તમો લોકો નમાઝથી ફારિગ થઇ જાવ તો ધરતી ઉપર ફેલાઇ જાવ અને અલ્લાહના રિઝ્કને તલાશ કરો અને જીવનની એ ભાગદોડમાં પણ અલલાહને કસરતથી યાદ કરતા રહો જેથી તમને સફળતા પ્રાપ્ત થાય.” (સૂરઃજુમ્આ આયત નંબર-૧૦)ર
અલ્લાહની કિતાબના આદેશો અને અલ્લાહના હબીબ હઝરત મુહમ્મદ સ.અ.વ.ની સુન્નતોનું અક્ષરસહ પાલન તેમનો જીવનમંત્ર બની જાય છે. જેની સરહદોમાંથી એક તસુભાર પણ બહાર નીકળી જવાને તેઓ અપરાધ સમજે છે. અલ્લાહની કિતાબ સાથે તેમને એટલો બધો લગાવ હોય છે કે એવા લોકોના વખાણ કરતા અલ્લાહે કહ્યું કે, “તેને સાંભળીને એ લોકોના રૃંવાડાં ઉભા થઇ જાય છે. જેઓ પોતાના રબથી ડરનારા છે અને પછી તેમના શરીર અને તેમના હૃદય નરમ પડીને અલ્લાહની યાદ તરફ વળી જાય છે.” (સૂરઃઝુમર-૨૩)

દુનિયાના લોભ, લાલચ, મનેચ્છાઓનું દબાણ, જીવનની રંગીનીઓનું આકર્ષણ કે વિરોધીઓના હુમલાઓ અને તેમના તરફથી ઉઠતા વિરોધ વંટોળ કે અપપ્રચાર તેમના કદમોને ડગાવી શકતા નથી. જાબિર અને જાલિમ લોકોની સામે હક વાત કરી દેતાં તે જરાય ખચકાતા નથી. અલ્લાહના ડર સીવાય તેમને કોઇ ડર સતાવતો નથી. તેઓ કોઇનાથી પ્રભાવિત થતા નથી ન જ કોઇની સેહમાં તણાઇને પથચલિત થાય છે. તેમનું જીવન લક્ષ્ય એક જ હોય છે કે સંપૂર્ણ પણે અલ્લાહના પસંદગીપાત્ર બંદા બનીને રહેવું અને અલ્લાહથી વિમુખ થયેલ માનવજાતને અલ્લાહ તરફ પાછા ફરીને સન્માર્ગ ધારણ કરવાનું આહવાન આપતા રહેવું. તેમનું અંતર અને બાહ્યાવરણ બધું જ અલ્લાહના રંગે રંગાએલું હોય છે. આ તેવા લોકો હોય છે જેમની ઓળખાણ કરાવતાં અલ્લાહના હબીબ સ.અ.વ.એ એક હદીષમાં ફરમાવ્યું કે, “અલ્લાહના દોસ્તની એ પહેચાન છે કે તેમને જોઇને તમને અલ્લાહ યાદ આવી જાય.” (હદીષ ભાવાર્થ)

અલ્લાહની મખ્લુક સાથે તેમનો વ્યવહાર અત્યંત પ્રેમભાવભર્યો હોય છે. તેમના અંદર દયા, સહિષ્ણુતા, નિરામયતા, નિસ્વાર્થતા, ન્યાયપ્રિયતા, કનાઅતપસંદી, આત્મીયતા અને સેવાવૃત્તિની ભાવના ભારોભાર ભરી હોય છે. અલ્લાહના ખઝાનાઓમાંથી તેઓ એટલું જ લે છે જેટલું જીવન ટકાવી રાખવા માટે આવશ્યક હોય છે. બાકી જે કંઇ વધારાનો માલઅસબાબ તેમની પાસે આવે છે તેને તેઓ અલ્લાહના માર્ગમાં અને અલ્લાહની મખ્લુકની સેવામાં લગાડી દે છે. તેઓ અન્યોથી વધુમાં વધુ ફાયદો ઉઠાવવાની દાનતથી મુક્ત હોય છે. બલ્કે પોતાના જાતથી અન્યોને વધુમાં વધુ ફાયદો કઇ રીતે પહોંચે એ જ પ્રયાસોમાં લાગેલા રહે છે.

પ્યારા નબી સ.અ.વ.ને અલ્લાહ તઆલાએ જે મિશન સોંપ્યું હતું તેમાં એક મહત્વનું કામ લોકોની આત્મોન્નતી (તઝકિયાહ) કરવા માટેના પ્રયાસોનું પણ હતું અને ઇસ્લામનો સંદેશ પહોંચાડવાની સાથે, અલ્લાહની આયતોને ખોલી ખોલીને વર્ણન કરવાની સાથે તથા પોતાના અનુયાયીઓને હિકમત અને તત્વદર્શિતા વાતો શીખવાડવાની સાથે સાથે આપ સ.અ.વ.એ તેમના અમલોમાં સુંદરથી સુંદરતમ રંગે ભરવાનું કામ પણ અત્યંત ઝીંવટપૂર્વક કર્યું. એની હઝારો મિસાલો આપ સ.અ.વ.ની સીરતના પુસ્તકોમાં આપણને મન ભરીને જોવા મળે છે. આ નાના લેખમાં એનો ઉલ્લેખ કરવાની ગુંજાઇશ નથી અને પ્યારા નબીની ઉમ્મતના લોકો એનાથી અજાણ પણ નથી. એટલે લાગે છે કે વિષયવસ્તુ માટે આટલો ઇસારો પુરતો છે. અભ્યાસુઓ એ દરીયાને ખુબ ખેડતા રહ્યા છે અને કયામત સુધી એના પિપાસુઓએ હીરામોતીઓને શોધવા મથામણ કરતા રહેશે.

આપ સ.અ.વ.ના હાથે પ્રશિક્ષણ પામીને તૈયાર થયેલ સહુપ્રથમ હરોળ જેને ઉમ્મત સહાબા રદિ.ની પવિત્ર જમાત તરીકે ઓળખે છે. તેમના અંદર આવા સદ્ચરિત્ર લોકોની મોટી ભરમાર હતી. તેમના જીવન આદર્શરૃપ હતાં. એટલે જ પ્યારા નબી સ.અ.વ. એ તેમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે “મારી મિસાલ ચંદ્ર જેવી છે અને મારા સાથીઓ સિતારાઓ જેવા છે. તેમાંથી તમે કોઇનું પણ અનુસરણ કરી લેશો તો કામીયાબ થઇ જશો.” (હદીષભાવાર્થ). એ પછી તાબેઇન અને તબેતાબઇનની હરોળોમાં પણ એવા અનેક બેમીસાલ લોકો થઇ ગયા જેમણે પોતાના અમલોથી સાચી સદ્ગુણીતા શું છે તેના લોકોને દર્શન કરાવ્યાં. એ પછીની હરોળોમાં પણ અનેક પ્રખ્યાત હસ્તીઓને અલ્લાહ તઆલાએ ઉભી કરી જેમણે ઉત્તમ માનવી બનીને રહેવા માટે જગજનોનું ભરપૂર માર્ગદર્શન કર્યું. આ તમામ લોકો ઇસ્લામી જ્ઞાન ઉપર પુરતી મહારત (સક્ષમતા) ધરાવતા હતા. શરીઅતે મુહમ્મદીનું ચુસ્તપણે પાલન કરવાને મહત્વ આપનારા હતા અને બાતિલ કૃત્યો અને વિચારોથી પરહેઝ કરનારા હતા. અવલીયાઓના સરદાર ગણાતા અબ્દુલકાદિર જીલાની (રહ.) એક જબરજસ્ત આલિમ હતા. હઝારો વિદ્યાર્થીઓ તેમની દર્સગાહમાં કુઆર્ન અને હદીષનો ઇલ્મ પ્રાપ્ત કરતા હતા. તેમના મદ્રસાનું નામ મદ્રસએ મામુરા હતું જેની મસ્નદ ઉપર બેસીને તેઓ પોતાના સાગિર્દોને ઇસ્લામનું જ્ઞાન આપતા. એ ઉપરાંત લોકોની આત્મ સુધારણા માટે અને અલ્લાહ અને રસુલના સાચા વફાદાર બનીને રહેવા માટે લોકસમુહોમાં પ્રવચનો પણ આપતા. આવા પ્રવચનોમાં હઝારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા અને ઇસ્લામનું જ્ઞાન શીખતા. ઇસ્લામીયાત ઉપર આપે અનેક પુસ્તકો પણ લખ્યા છે જે આજેપણ લોકસમુહોમાં પ્રચલ્લિત છે. આ લખનારાને પણ તેમના ઘણા પુસ્તકો વાંચવાનો લહાવો મળ્યો છે. તેમના પુસ્તકો ‘અલફત્હો રબ્બાની’ અને ‘ગુન્યતુત તાલેબીન’ આત્મસુધારણાના ઇચ્છુક લોકો માટે અત્યંત ઉપયોગી છે.

પછી જમાનો જેમ જેમ પસાર થતો ગયો તેમ તે માનવ સમાજોમાં અલ્લાહ પ્રત્યે સમર્પિત બનીને રહેવાની ઝંખના ઓછી થવા લાગી દુનિયાની જરૂરતોએ માનવીને એટલો બધો મશગૂલ બનાવી દીધો કે ઇસ્લામી જ્ઞાનના દરીયાઓ ખેડવાનું કામ સુસ્ત પડતું ગયું. એના માટેની જીજ્ઞાસા અને ઉત્કંઠા ઓછઆ થવા લાગી. દુનિયા તરફ હદ બહાર ઝુકાવ થઇ જવાના કારણે આખેરતના જીવન પ્રત્યે અજ્ઞાનતા ઉભી થઇ ગઇ. અલ્લાહ અને રસૂલ શું કહે છે અને મુસ્લિમ સમુદાયથી શું ઇચ્છે છે તેને જાણવા સમજવાની દરકાર કરવાનું ઓછું થવા લાગ્યું. ગૈરમુસ્લિમ કોમોના જીવન પ્રત્યેના અભિગમથી પ્રભાવિત થઇને જગતનો મુસ્લિમ સમુદાય પોતાના અસલ કામ અને પોતાના અસલ મકામથી ગફલતમાં પડી ગયો. જીવન હવે દુનિયા અને તેની રંગીનીઓ પાછળ ભાગતું થઇ ગયું. ખુદા અને રસૂલ પ્રત્યેનો લગાવ ઓછો થવા લાગ્યો.

તેમ છતાં ઇસ્લામ પ્રત્યેનો પ્રેમ તેમના અંદર જીવંત રહ્યો. જગતની કોમો વચ્ચે મુસ્લિમ તરીકે ગણવાનું આજે પણ તેમને પ્રિય છે. તેમને પોતાના મુસ્લિમ હોવા ઉપર ગર્વ પણ છે. વિશ્વભરમાં ગૈરમુસ્લિમો તરફથી તેમની ખુબ ખુબ સતામણી થાય છે તેમને રંઝાડવામાં આવે છે, તેઓ કત્લોગારતગીરીનો શિકાર પણ બને છે છતાં ઇસ્લામથી ફરી જવા તેઓ હરગીઝ તૈયાર નથી. ઇમાનનું બીજ તેમના અંદર આજે પણ અકબંધ છે. પરંતુ પેલા રંગરોગાન, પેલી ખુશ્બુ, પેલી મિઠાસ અને ઇસ્લામની સાચી છબી આજે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. એવા લોકોને દીવો લઇને શોધવા પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. દુનિયા અને તેની ઝાકઝમાળની લાલચે કોઇને છોડ્યા નથી. અલ્લાહના હબીબ સ.અ.વ. એ આ જ ભયને ઓળખીને ફરમાવ્યું હતું કે, “દરેક ઉમ્મતનો એક ફિત્નો છે અને મારી ઉમ્મતનો ફિત્નો માલ છે.” (અલ્લાહ આપણી હિફાઝત કરે)
આની અસરો પેલી રૃહાનિયતની તસ્વીર ઉપર પણ અત્યંત ગંભીર પડી. લોકો સરળતાઓ શોધતા થઇ ગયા. જિંદગીઓમાંથી ઇસ્લામી અમલોનું લાવણ્ય અદૃશ્ય થવા લાગ્યું. તેની જગાએ કેટલીક ખાસ પ્રકારની ઔપચારિક્તાઓ વ્યાપ્ત થવા લાગી. રૃહાનિયતના નામે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ અને રીતરીવાજોએ સ્થાન જમાવવા માંડ્યું જેનો સાચા ઇસ્લામ અને તેના આધારો તથા પ્રોગ્રામ સાથે દુરનો પણ સંબંધ નથી. ઘણી બધી પ્રવૃત્તિઓ તો મૂળ ઇસ્લામના ધારાધોરણો ઉપર ઘા કરનારી છે. ગૈરમુસ્લિમ કોમોના માનસમાં એવા કૃત્યો ઇસ્લામની ખોટી છાપ મુકનારા સાબિત થાય છે. બીજી કોમો એમ સમજે છે કે ઇસ્લામ આ છે પણ વાસ્તવમાં એ ઇસ્લામનું સાચું મિત્રણ હોતું જ નથી. ઘણી બધી નકલી વાતોએ અસલનું સ્થાન લઇ લીધું છે અને અસલ તો ક્યાંક દૂર સુદુર સરી ગયું છે.

ચિત્ર દોરતાં દોરતાં એમ લાગે કે ઘણી બધી લકીરો ખોટી દોરાઇ ગઇ છે અને અસલ દૃશ્યાવલીઓ ગાયબ થઇ ગઇ છે. તો સાચા ચિત્રકારનું કામ એ છે કે ખોટી લકીરોને ભુંસી નાંખે. સાચી, દૃશ્યાવલીઓને ફરીથી જોવા જાણવાનો પ્રયાસ કરે અને તે માટેનું આલેખન કરવાની તત્પળતા દાખવે તો જ ફરી સાચું ચિત્ર દોરવા તરફ આગળ વધી શકાય. ઇસ્લામનું સાચું ચિત્ર અલ્લાહ અને તેના રસુલ સ.અ.વ. તરફ પાછા ફરવાથી જ આપણને પ્રાપ્ત થઇ શકશે. શરીઅતે મુહમ્મદી અનુસારનો ખાકો તૈયાર કર્યા વિના જીવનમાં સાચી રૃહાનિયતના રંગો ભરી શકશે નહીં. વાસણ જ ન હોય અથવા હોય તો ચોમેરથી કાણું હોય તો તેમાં દૂધ શી રીતે ભરી શકાશે ? અલ્લાહ કુઆર્નમાં કહે છે, “તો પછી હવે જે લોકો અલ્લાહની વાત માની લેશે અને તેની પનાહમાં જવાની જીજ્ઞાસા કેળવશે તેમને અલ્લાહ પોતાની રેહમતમાં દાખલ કરી લેશે અને પોતાની કૃપાથી નવાજી દેશે અને તેના તરફ વળવાનો સીધો માર્ગ બતાવી દેશે.” (સૂરઃનિસા-૧૭૫)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments