Monday, February 23, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઆપણી આસપાસનું સંકટ

આપણી આસપાસનું સંકટ

આપણા સમયના યુવાનો અગાઉના કોઈપણ સમય કરતા વધુ ઘોંઘાટિયા, ઝડપી અને વધુ અશાંત વિશ્વમાં ઉછરી રહ્યા છે. તેમના હાથમાં રહેલી સ્ક્રીન તેમને પૃથ્વીના દરેક ખૂણા સાથે જોડે છે, છતાં અંદરથી, તેઓ પહેલા કરતા વધુ વિખૂટા (Disconnected) છે. દરેક અઠવાડિયું બળાત્કાર, પજવણી, નશો અને નૈતિક પતનના નવા સમાચારો લાવે છે. જે એક સમયે આઘાતજનક હતું તે હવે સામાન્ય બની ગયું છે. જે બાબતે એક સમયે રોષ જગાડ્યો હતો, તે હવે માત્ર બીજી એક ‘નોટિફિકેશન’ તરીકે પસાર થઈ જાય છે.

આપણી યુનિવર્સિટીઓ, જે એક સમયે જ્ઞાન અને સંસ્કારના ધામો હતા, તે હવે અરાજકતાની પ્રયોગશાળાઓમાં ફેરવાઈ રહી છે. કેફેટિરીયા કે જ્યાં વિચારો પર ચર્ચાના પડઘા પડવા જોઈએ ત્યાં હવે ડેટિંગ એપ્સ, અશ્લીલ સામગ્રી અને સહપાઠીઓના દેખાવ વિશેની વાતો ગુંજે છે. જિજ્ઞાસા માટે બનેલી જગ્યાઓ ગપસપ અને ‘ઓબ્જેક્ટિફિકેશન’ (વસ્તુ તરીકે જોવાની દ્રષ્ટિ) થી ભરાઈ ગઈ છે. યુવાનોના જૂથો અશ્લીલ જોક્સ પર હસે છે, તેમની મહિલા સહપાઠીઓને રેટિંગ આપે છે અને શરમને મજાક બનાવી દે છે.

ઘણા વિદ્યાર્થીઓ, પુરુષો અને સ્ત્રીઓ બંને સ્વીકારે છે કે તેઓ “ફિટ ઇન” થવા (જૂથમાં ભળવા) માટે, અભદ્ર જોક્સ પર હસવા માટે, તેમના શરીર પરની ટિપ્પણીઓ સહન કરવા માટે અને “આધુનિક” દેખાવા માટે દબાણ અનુભવે છે. મૌન એ જીવિત રહેવાની રણનીતિ (Survival Strategy) બની ગઈ છે. અશ્લીલતાએ સદ્ગુણનું સ્થાન લીધું છે. આપણા કેમ્પસની દિવાલો હવે આત્મવિશ્વાસ અને ભ્રષ્ટાચાર વચ્ચે, અથવા ખુલ્લાપણા અને અશ્લીલતા વચ્ચેનો તફાવત પારખી શકતી નથી.

બોલિવૂડ અને OTT પ્લેટફોર્મ્સે આ પતનને માત્ર પ્રતિબિંબિત જ નથી કર્યું, પણ તેને વ્યવસ્થિત રીતે ઘડ્યું (Engineer કર્યું) છે. એક પછી એક સિરીઝ, ગીતો પછી ગીતો, તેઓ વાસનાને પ્રેમ તરીકે, બળવાને પરિપક્વતા તરીકે અને અનાદરને સશક્તિકરણ તરીકે મહિમા આપે છે. આવી સામગ્રી પર ઉછરેલી પેઢી અનિવાર્યપણે અન્ય લોકોને મનુષ્ય તરીકે નહીં પણ ‘ઉપભોગના અનુભવો’ તરીકે જોવાનું શરૂ કરે છે. આ એક એવી સંસ્કૃતિની કરુણતા છે જ્યાં આનંદ જાહેર છે પણ પીડા ખાનગી છે.

અને આ રીતે, આપણે ‘જેન ઝી’ (Gen Z) ના વિરોધાભાસ પર પહોંચીએ છીએ, જે ઇતિહાસની સૌથી વધુ જોડાયેલી (Connected) પેઢી છે, છતાં સૌથી વધુ એકલી અને ચિંતિત છે. તેમનું હાસ્ય અંધકારમય છે, તેમના હૃદય થાકેલા છે, તેમના સપના અનિશ્ચિત છે. તેઓ અર્થની શોધમાં અનંત સ્ક્ર્રોલ કરે છે અને તેમને માત્ર નકલ (Mimicry) જ મળે છે. તેઓ માન્યતા (Validation) માટે સંબંધો પાછળ દોડે છે અને અંતે પસ્તાવો અનુભવે છે. તેઓ દારૂ અથવા અશ્લીલતામાં ડૂબી જાય છે, તે દુષ્ટતાને કારણે નહીં, પરંતુ ખાલીપાને કારણે, ઊંડા જખમ માટે કામચલાઉ એનેસ્થેસિયા (બેહોશી) શોધે છે.

આ ખાલીપો અકસ્માત નથી. તે એવી સંસ્કૃતિનું પરિણામ છે જેણે “હયા” (મર્યાદા/શરમ) ને ‘હાઈપ’ (દેખાડો) થી, હેતુને આનંદથી અને શિસ્તને ઈચ્છાથી બદલી નાખી છે. જ્યારે ‘હયા’ વિદાય લે છે, ત્યારે રાષ્ટ્રનો આત્મા સડવા લાગે છે. આપણે હવે “સાચું શું છે?” નથી પૂછતા; માત્ર એ જ પૂછીએ છીએ કે “શું સારું લાગે છે?” ત્યાંથી જ આપણા યુગનું નૈતિક સંકટ ખરેખર શરૂ થાય છે.

સાંસ્કૃતિક મશીનરી

બોલિવૂડ અને OTT ઉદ્યોગો હવે સમાજને પ્રતિબિંબિત નથી કરતા, તેઓ તેને આકાર આપે છે. દરેક ફ્રેમ, લિરિક (ગીતના બોલ) અને જાહેરાત એક વિચાર વેચે છે: બળવો એટલે અશ્લીલતા, સશક્તિકરણ એટલે પ્રદર્શન, અને મુક્તિ એટલે સંયમનો ત્યાગ. આ સ્વતંત્રતા નથી, પરંતુ મનોરંજન દ્વારા કરવામાં આવતું ‘બ્રેઈનવોશિંગ’ (Indoctrination) છે.

બજારોથી લઈને સોશિયલ મીડિયા ફીડ્સ સુધી, સંદેશ સતત છે: સ્ત્રીઓના શરીર એ વેચવાની વસ્તુઓ છે, અને પુરુષોને તેમને ટ્રોફી તરીકે જોવાનું શીખવવામાં આવે છે. પરફ્યુમની જાહેરાતોથી લઈને વેબ સિરીઝ સુધી, જાતીયતા એ ભાષા છે જેના દ્વારા ટૂથપેસ્ટ અને શૂઝ જેવી દરેક વસ્તુ વેચાય છે. જે એક સમયે અશ્લીલતા હતી તે હવે “આત્મવિશ્વાસ” છે. જે ખાનગી હતું તે હવે વ્યાપાર બની ગયું છે. આ કલા નથી, આ ‘કન્ડિશનિંગ’ (માનસિક ઘડતર) છે.

ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ૨૦૨૪ ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ૧૬-૨૫ વર્ષની વયના ૬૩% યુવાનો દર અઠવાડિયે અશ્લીલ સામગ્રી જુએ છે, જે મોટે ભાગે સોશિયલ મીડિયા અથવા OTT પ્લેટફોર્મ દ્વારા હોય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) શૈક્ષણિક સંસ્થાઓમાં જાતીય પજવણીમાં સતત વધારો નોંધે છે, જેમાં ૨૦૨૩ માં ૩,૦૦૦ થી વધુ નોંધાયેલી ઘટનાઓ છે. આ માત્ર આંકડા નથી; તેઓ નૈતિક ચેતનાના ઊંડા પતનનાં લક્ષણો છે.

‘હયા’ નું ધોવાણ:

આધુનિક મૂડીવાદ ઈચ્છા પર ખીલે છે. માર્કેટિંગ ઉદ્યોગ જાણે છે કે અપરાધભાવ (Guilt) કરતા પ્રલોભન વધુ વેચાય છે, તેથી તે એવા ગ્રાહકનું નિર્માણ કરે છે જે સતત સુંદરતા, માન્યતા અને ઉત્તેજના ઝંખે છે. શરીર એક જાહેરાત બની જાય છે, સંબંધો વ્યવહાર બની જાય છે અને ઓળખ એક બ્રાન્ડ બની જાય છે. પોર્નોગ્રાફી ઉદ્યોગ, જે વૈશ્વિક સ્તરે $100 બિલિયનથી વધુનો છે, તે નફા માટે એકલતાનું શોષણ કરે છે અને સ્વતંત્રતાના નામે વ્યસનને સામાન્ય બનાવે છે.

બોલિવૂડ, વૈશ્વિક મીડિયા દિગ્ગજો સાથે મળીને, આ ચક્રને વેગ આપે છે, વળગણને પ્રેમ તરીકે, બેવફાઈને પરિપક્વતા તરીકે અને પ્રદર્શનને અભિવ્યક્તિ તરીકે ગૌરવ આપે છે. “આઈટમ સોંગ્સ” જે એક સમયે અપવાદ હતા તે હવે નિયમ બની ગયા છે. નાની છોકરીઓ એવું સ્વીકારી લે છે કે ધ્યાન ખેંચવું એ જ મૂલ્ય છે, જ્યારે યુવાન છોકરાઓ જોડાવાને બદલે ઉપભોગ કરવાનું શીખે છે. શિક્ષણ અને ટેકનોલોજીની જાહેરાતો પણ ધ્યાન ખેંચવા માટે જાતીય છબીઓનો ઉપયોગ કરે છે. સ્ત્રી સ્વરૂપ બધું જ વેચે છે; સિવાય કે આદર.

આ સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ નથી પરંતુ ‘નૈતિક મૂડીવાદ’ છે, એક એવી વ્યવસ્થા જે નૈતિક પ્રતિકારને નબળો પાડીને નફો મેળવે છે. ગૌરવને બજારના મૂલ્યમાં ઘટાડીને, તે અંતરાત્માને વપરાશ (Consumption) થી બદલી નાખે છે. નૈતિકતાને પછાતપણા તરીકે મજાક ઉડાવવામાં આવે છે, નમ્રતાને દમન કહેવામાં આવે છે અને શિષ્ટતા વિરોધી બની જાય છે.

આ ઇકોસિસ્ટમમાં, ‘હયા’, જે એક સમયે આપણી નૈતિક હોકાયંત્ર હતી, તેને પ્રગતિના અવરોધ તરીકે દર્શાવવામાં આવે છે. છતાં ‘હયા’ એ મર્યાદા નથી; તે ઈચ્છાના અત્યાચારમાંથી મુક્તિ છે. તે ગૌરવને વેપારીકરણથી અને આત્માને સડવાથી બચાવે છે. હયા માટેની લડત માત્ર નૈતિક કે ધાર્મિક નથી, તે એવી સંસ્કૃતિ સામેનો પ્રતિકાર છે જે આત્મા સહિત બધું જ વેચવા માંગે છે.

આનંદનું મનોવિજ્ઞાન: મનનું નવું ઘડતર કેવી રીતે થઈ રહ્યું છે

દરેક ક્રાંતિનું પોતાનું યુદ્ધભૂમિ હોય છે. આપણી પેઢી માટે, તે યુદ્ધભૂમિ મગજ છે. આધુનિક મનોરંજન, પોર્નોગ્રાફી અને ડિજિટલ મીડિયા માત્ર ઈચ્છાઓને આકાર નથી આપી રહ્યા, તેઓ તેમને ફરીથી વાયર (Rewiring) કરી રહ્યા છે.

આ પરિવર્તનના કેન્દ્રમાં ડોપામાઈન (Dopamine) છે; મગજનો ઈનામ આપતો સંદેશવાહક. દર વખતે જ્યારે આપણે સ્ક્ર્રોલ કરીએ છીએ, લાઈક કરીએ છીએ અથવા સ્વાઈપ કરીએ છીએ, ત્યારે ડોપામાઈન આનંદનો એક વેગ પેદા કરે છે. પરંતુ કુદરતી આનંદથી વિપરીત, ડિજિટલ આનંદ સંતોષ માટે નહીં પણ પુનરાવર્તન માટે બનાવવામાં આવ્યો છે. ડોપામાઈન આપણને આનંદનો અનુભવ નથી કરાવતું; તે આપણને તેની પાછળ દોડાવે છે. આપણે જેટલા વધુ ડૂબીએ છીએ, એટલી જ વધુ ઈચ્છા જાગે છે. આપણે વારંવાર પાછા ફરીએ છીએ, કારણ કે આપણે ખુશ છીએ એટલે નહીં, પણ કારણ કે આપણે ખુશ કેવી રીતે રહેવું તે ભૂલી ગયા છીએ.

પોર્નોગ્રાફી આ સિસ્ટમને હાઈજેક કરે છે. તે મગજને ડોપામાઈનથી ભરી દે છે જે સામાન્ય ક્રિયાપ્રતિક્રિયા કરી શકે તેના કરતા ઘણું વધારે હોય છે. સમય જતાં, મગજ તેનો પ્રતિસાદ ધીમો કરી દે છે, જેના કારણે સમાન ઉત્તેજના અનુભવવા માટે વધુ આત્યંતિક સામગ્રીની જરૂર પડે છે. આમ, પોર્નોગ્રાફીનું વ્યસન ડ્રગ વ્યસનની જેમ વર્તે છે: તે સહાનુભૂતિને સુન્ન કરે છે, અપેક્ષાઓને વિકૃત કરે છે અને મનને તૃષ્ણા (Craving) નું ગુલામ બનાવે છે.

આ ન્યુરોલોજીકલ કન્ડિશનિંગ ક્લાસરૂમ અને વાતચીતોમાં પણ ફેલાય છે. કેફેટિરીયા જે એક સમયે વિચારોથી ભરેલા હતા તે હવે ગપસપ અને વસ્તુકરણ (Objectification) થી ગુંજે છે. જે સહજતાથી યુવાનો શરીર અને કલ્પનાઓ વિશે ચર્ચા કરે છે તે માત્ર અપરિપક્વતા નથી, તે સંવેદનહીનતા છે. જે હૃદય એક સમયે શરમ અનુભવતું હતું તે હવે કંઈ જ અનુભવતું નથી.

ઈસ્લામિક વિદ્વાનોએ સદીઓ પહેલા આનું નિદાન કર્યું હતું. ઈબ્ન અલ-કય્યિમે આ સ્થિતિઓને “હૃદયના રોગો” – ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તરીકે વર્ણવી હતી. આધુનિક મનોવિજ્ઞાન હવે તે વાતની પુષ્ટિ કરે છે જે આપણી પરંપરા હંમેશા જાણતી હતી: નૈતિક ભ્રષ્ટાચાર ભાવનાત્મક અસ્થિરતા તરફ દોરી જાય છે. જ્યારે કોઈ ‘હયા’ ગુમાવે છે, ત્યારે તે આંતરિક શાંતિ ગુમાવે છે.

કુર્આન આ માનવીય વાસ્તવિકતાને પકડે છે:

“મનુષ્ય કાચા મનનો બનેલો છે, જ્યારે તેના પર મુસીબત આવે છે ત્યારે ગભરાઈ જાય છે અને જ્યારે તેને સુખ-સંપન્નતા પ્રાપ્ત થાય છે ત્યારે કંજૂસી કરવા લાગે છે. પરંતુ તે લોકો (આ દોષથી બચેલા છે) જેઓ નમાઝ પઢવાવાળા છે. ” (સૂરહ અલ-મઆરીજ ૭૦:૧૯-૨૨)

ઈસ્લામ શરીર અને આત્મા વચ્ચે સંતુલન પ્રદાન કરે છે. તે ઈચ્છાનો ઇનકાર નથી કરતું, તે તેને શિસ્તબદ્ધ કરે છે. આનંદ પ્રતિબંધિત નથી, પરંતુ મર્યાદામાં મૂકવામાં આવ્યો છે જે ગૌરવનું રક્ષણ કરે છે. જ્યારે તે મર્યાદાઓ તૂટી જાય છે, પોર્નોગ્રાફી, હંગામી સેક્સ અથવા અનિયંત્રિત ડિજિટલ વ્યસન દ્વારા, ત્યારે પરિણામ સ્વતંત્રતા નહીં પણ વિખંડન (Fragmentation) હોય છે.

આજની પેઢી ‘ડોપામાઈન એક્ઝોશન’ (ડોપામાઈનનો થાક) નો સામનો કરી રહી છે, સતત ઉત્તેજના આનંદને મંદ કરી દે છે, અને મૌન અસહ્ય લાગે છે. સરેરાશ યુવાન દિવસમાં ૧૦૦ થી વધુ વખત તેમનો ફોન ચેક કરે છે, માહિતી માટે નહીં, પણ ધ્યાન ભટકાવવા (Distraction) માટે. આનંદ, લાઈક્સ, ધ્યાન, ઉત્તેજના પાછળની દોડ આધ્યાત્મિક બર્નઆઉટ (થાક) તરફ દોરી જાય છે. જેમ કે પ્રોફેટ (સ.અ.વ.) એ કહ્યું:

“જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તેના હૃદય પર એક કાળું ટપકું દેખાય છે. જો તેઓ પસ્તાવો કરે છે, તો તે સાફ થઈ જાય છે. પરંતુ જો તેઓ તે ચાલુ રાખે છે, તો તે ત્યાં સુધી ફેલાય છે જ્યાં સુધી તે આખા હૃદયને ઢાંકી ન દે.” (સુનન ઇબ્ન માજાહ, ૪૨૪૪)

આપણા હૃદય કઠોર નથી, તે અતિ-ઉત્તેજિત (Overstimulated) અને કુપોષિત છે. તેઓ શાંતિ ઝંખે છે પરંતુ સ્ક્ર્રોલ અને સ્ક્રીનમાં ફસાયેલા છે. ઈસ્લામનો ઉકેલ દમન નથી પણ પુનઃસ્થાપના છે; આનંદને હેતુ સાથે, લાગણીને નૈતિકતા સાથે અને મનને અર્થ સાથે જોડવું. નમાઝ, રોઝા, ચિંતન અને સામાજિક જોડાણ જેવી પ્રથાઓ અતિ-ઉત્તેજિત આત્મા માટે થેરાપી છે; સમયહીન મનોવૈજ્ઞાનિક જીવાદોરી છે.

મિત્રોનો પ્રભાવ અને અનુરૂપતાનું મનોવિજ્ઞાન (Psychology of Conformity)

દરેક યુવાન જે યુનિવર્સિટીમાં પ્રવેશ કરે છે, પછી તે મેડિકલ, એન્જિનિયરિંગ અથવા Humanity-Arts- માનવતાના કેમ્પસ હોય, તેને માત્ર નવા વિષયોમાં નિપુણતા મેળવવાનો જ પડકાર નથી, પણ એક શક્તિશાળી સામાજિક ઇકોસિસ્ટમમાં ટકી રહેવાનો પણ પડકાર છે. “ભળી જવા” (Fitting in) ના ઓઠા હેઠળ મિત્રોનો પ્રભાવ છૂપી રીતે વિદ્યાર્થીના ચરિત્રને ઘડનાર સૌથી નિર્ણાયક બળ બની જાય છે.

કેમ્પસની કેફેટિરીયા, હોસ્ટેલ્સ અને વોટ્સએપ ગ્રૂપ્સની અંદર એક ખાસ પ્રકારની સંસ્કૃતિ પ્રભુત્વ ધરાવે છે, જ્યાં અભદ્ર જોક્સ, સહપાઠીઓનું વસ્તુકરણ અને “કોણ કોની સાથે ડેટિંગ કરે છે” તે વિશેની જાતીય ચર્ચાઓ કેઝ્યુઅલ મનોરંજન બની ગઈ છે. જે એક સમયે શરમજનક માનવામાં આવતું હતું તેને હવે આત્મવિશ્વાસ તરીકે ઓળખવામાં આવે છે; જે એક સમયે ખાનગી હતું તે હવે ધ્યાન અને માન્યતા મેળવવા માટે જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે છે.

પોતાના નૈતિક મૂલ્યોને વળગી રહેવાનો પ્રયાસ કરનાર નવા વિદ્યાર્થીને ઝડપથી સમજાઈ જાય છે કે મૌનની મજાક ઉડાવવામાં આવે છે, નમ્રતાની મશ્કરી કરવામાં આવે છે અને સંયમને નબળાઈ માનવામાં આવે છે. આજે “કૂલ” હોવાનો અર્થ ઘણીવાર એવી વાતચીતમાં ભાગ લેવો થાય છે જે બીજાને નીચા પાડે છે, મજાક તરીકે ગંદી ભાષાનો ઉપયોગ કરે છે અથવા જાણે સામાન્ય હોય તેમ અશ્લીલતા પર અટહાસ્ય થાય છે. જેઓ જોડાતા નથી તેમને “કંટાળાજનક,” “પછાત” અથવા “જજમેન્ટલ” કહેવામાં આવે છે. આ સાયલન્ટ સોશિયલ વોર (શાંત સામાજિક યુદ્ધ) માં, ઘણા યુવાન મુસ્લિમો સમાધાન કરવાનું શરૂ કરે છે, તેઓ જે કરી રહ્યા છે તેમાં વિશ્વાસ કરે છે એટલે નહીં, પરંતુ બાકાત રહી જવાના ડરથી.

આ જોડાવા માટેનું દબાણ માત્ર નૈતિક નથી, તે મનોવૈજ્ઞાનિક છે. સામાજિક મનોવૈજ્ઞાનિકો તેને ‘કન્ફોર્મિટી ઇફેક્ટ’ (Conformity Effect) કહે છે: જૂથના વર્તનની નકલ કરવાની કુદરતી માનવીય વૃત્તિ, ભલે તે વ્યક્તિના મૂલ્યો અથવા તર્કની વિરુદ્ધ હોય. જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે મગજ ડોપામાઈનનું નાનું પ્રમાણ મુક્ત કરે છે, અને જ્યારે આપણને નકારવામાં આવે છે ત્યારે કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) મુક્ત કરે છે. તેથી જ્યારે હૃદય જાણે છે કે કંઈક ખોટું છે; સહપાઠી વિશે ગપસપ કરવી, “માત્ર એક વાર” પીવું અથવા મિત્રો સાથે કંઈક અશ્લીલ જોવું; ત્યારે “અલગ” પડી જવાનો ડર નૈતિક પ્રતિકારને શાંત કરી દે છે.

પરંતુ ઈસ્લામ હિંમતનો અર્થ ફરીથી વ્યાખ્યાયિત કરે છે. કુરાન તે આસ્તિકનું સન્માન કરે છે જે દબાણથી ઘેરાયેલા હોવા છતાં મક્કમ રહે છે:

“… જો તમે તેમના બહુમતિ લોકોના કહેવા પર ચાલો જેઓ ધરતી ઉપર વસે છે, તો તેઓ તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે. તેઓ તો માત્ર કલ્પનાઓ પર ચાલે છે અને અટકળો કરે છે.” (કુર્આન, 6ઃ116)

સાચી બહાદુરી વડીલોનો અનાદર કરવામાં નથી, તે તમારી પોતાની ઈચ્છાઓને નકારવામાં છે જ્યારે બાકીના બધા તેમની ઈચ્છાઓને વશ થઈ રહ્યા હોય. પૈગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) એ સુંદર રીતે કહ્યું:

“હયા (મર્યાદા) એ ઈમાનની એક શાખા છે.” (બુખારી, મુસ્લિમ)

મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, ‘હયા’ આત્માની રોગપ્રતિકારક શક્તિ (Immune System) જેવું કામ કરે છે. જેમ તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ ચેપ સામે લડવા માટે સોજો (Inflammation) પેદા કરે છે, તેમ આધ્યાત્મિક રીતે જીવંત હૃદય જ્યારે પાપનો સામનો કરે છે ત્યારે અપરાધભાવ અને અસ્વસ્થતા અનુભવે છે. આ નૈતિક “પીડા” નબળાઈ નથી; તે પુરાવો છે કે અંતરાત્મા હજી જીવંત છે. આજની કરુણતા એ છે કે આધુનિક સંસ્કૃતિ યુવાનોને આ આંતરિક એલાર્મ સિસ્ટમને સુન્ન કરવાનું શીખવે છે. આપણને કહેવામાં આવે છે કે “દોષિત અનુભવવાનું બંધ કરો,” “વધારે વિચારશો નહીં,” અને “તમારું સત્ય જીવો.” પરંતુ જ્યારે શરમ અદૃશ્ય થઈ જાય છે, ત્યારે સંવેદનશીલતા પણ જતી રહે છે; અને જ્યારે સંવેદનશીલતા મરી જાય છે, ત્યારે પાપ સામાન્ય લાગે છે.

ઈબ્ન અલ-કય્યિમના શબ્દોમાં:

“પાપ જખમ જેવા છે; અને કેટલાક જખમ મટાડવામાં ધીમા હોય છે. હૃદયનો ભ્રષ્ટાચાર નાની છૂટછાટો (Concessions) થી શરૂ થાય છે.”

ઈસ્લામ અલગ પડી જવાનું આહવાન નથી કરતું પરંતુ આત્મ-જાગૃતિ માટે કહે છે, સમાજમાં રહીને સમાજને તમારા આત્માની વ્યાખ્યા ન કરવા દેવા માટે કહે છે. પયગમ્બર (સ.અ.વ.) વિવિધ ધર્મો અને નૈતિક ધોરણો ધરાવતા લોકો વચ્ચે રહેતા હતા, છતાં તેમનું ચરિત્ર એક દીવા જેવું રહ્યું જેણે પોતે ઝાંખા પડ્યા વિના બીજાને પ્રકાશિત કર્યા. તેમણે બતાવ્યું કે ‘બિલોન્ગિંગ’ (જોડાણ) નો અર્થ ભળી જવું (Blending) નથી; તેનો અર્થ માર્ગદર્શન આપવું છે.

આજના યુવાનો માટે સાચો પડકાર શૈક્ષણિક નિષ્ફળતા નથી, તે ‘નૈતિક થાક’ (Moral Fatigue) છે. અંતરાત્મા અને અનુરૂપતા વચ્ચેની સતત ખેંચતાણ ભાવનાત્મક ઊર્જાને ખતમ કરી નાખે છે. ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓ ખાનગીમાં કબૂલાત કરે છે કે તેઓ અપરાધભાવમાં જીવે છે: અમુક દિવસે નમાઝ પઢવી, બીજા દિવસે પાર્ટી કરવી; રમઝાનમાં કુરાન પઢવું, પણ પછીથી પોર્નોગ્રાફી સાથે સંઘર્ષ કરવો. આ દ્વૈતતા (Duality) આત્મસન્માનને ખાઈ જાય છે.

ઈસ્લામ શરમમાં નાખીને નહીં, પરંતુ સુધારીને મુક્તિદાયક ઉકેલ પૂરો પાડે છે. જ્યારે કોઈ આસ્તિક નિષ્ઠાપૂર્વક પસ્તાવો કરે છે, ત્યારે અલ્લાહ ગૌરવની તાત્કાલિક પુનઃસ્થાપનાનું વચન આપે છે:

“કહી દો કે હે મારા બંદાઓ! જેમણે પોતાના પર અતિરેક કર્યો છે, અલ્લાહની કૃપાથી નિરાશ ન થઈ જાઓ, નિશ્ચિતપણે અલ્લાહ બધા જ ગુના માફ કી દે છે, તે તો અત્યંત ક્ષમાશીલ, દયાળુ છે.” (કુર્આન, ૩૯:૫૩)

જ્યારે વ્યક્તિને લોકપ્રિયતા કરતા મોટો હેતુ મળે છે ત્યારે મિત્રોનો પ્રભાવ તેની પકડ ગુમાવે છે. જ્યારે હૃદય આજ્ઞાપાલનની શાંતિનો સ્વાદ ચાખે છે, ત્યારે બળવાનો રોમાંચ પોકળ લાગવા માંડે છે. સાચું જોડાણ એવા ટોળામાં નથી જે તમને નીચે ખેંચે છે, પરંતુ એવા સમુદાયમાં છે જે તમારા આત્માને ઉંચે લાવે છે.

અહીં જ SIO જેવી ચળવળોની તાતી જરૂરિયાત છે; પ્રભાવના વૈકલ્પિક વર્તુળો બનાવવા માટે જ્યાં યુવાનો ક્ષમા વગર નૈતિક, બૌદ્ધિક રીતે જીવંત અને આધ્યાત્મિક રીતે મક્કમ રહી શકે. જ્યારે કોઈ વિદ્યાર્થી કરુણા, શિસ્ત અને ‘હયા’ પર બનેલું ભાઈબાંધો કે બહેનપણીનું જૂથ શોધે છે, ત્યારે સ્વીકૃતિની સામાજિક જરૂરિયાત તેની શુદ્ધ પરિપૂર્ણતા મેળવે છે.

એવી દુનિયામાં જ્યાં “દરેક વ્યક્તિ આ કરે છે,” ઈસ્લામ તમને એ વ્યક્તિ બનવા માટે બોલાવે છે જે તે નથી કરતી. તે એકલતા નથી; તે નેતૃત્વ (Leadership) છે.

ડ્રગ જાળ અને ડિજિટલ ઝેર

ભારતના કેમ્પસમાં એક શાંત રોગચાળો ફેલાઈ રહ્યો છે, વાયરસનો નહીં, પણ દુર્ગુણોનો. AIIMS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અહેવાલો દર્શાવે છે કે ૨૦૨૦ થી વિદ્યાર્થીઓના ડ્રગના ઉપયોગમાં લગભગ ૩૦% નો તીવ્ર વધારો થયો છે. જે “પરીક્ષાના તણાવમાં રાહત આપનાર” અથવા “પાર્ટી મૂડ એન્હાન્સર” તરીકે શરૂ થાય છે તે ટૂંક સમયમાં આત્માની આસપાસની સાંકળ બની જાય છે. કોકેઈન કેફીનનું સ્થાન લે છે અને ગાંજો આરામ આપે છે. પરંતુ ડ્રગ્સ એ જાળનો માત્ર એક ભાગ છે; પોર્નોગ્રાફી, હંગામી સંબંધો અને ડિજિટલ નશો ચક્ર પૂર્ણ કરે છે.

સાથે મળીને, તેઓ વિનાશની એક ત્રિપુટી બનાવે છે જે પીડાને સુન્ન કરે છે, આનંદને મૂંઝવે છે અને પસ્તાવાને ઊંડો કરે છે. આ માત્ર સામાજિક અથવા માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો નથી; તે આધ્યાત્મિક તિરાડ છે. આ વ્યસનો મગજના તે જ ‘રિવોર્ડ પાથવેઝ’ (ઇનામ માર્ગો) ને નિશાન બનાવે છે જે ઇબાદત, ભાઈચારો અને હેતુથી સંતોષ મેળવવા માટે હોય છે. દરેક ક્લિક, ડ્રિંક અથવા પફ શાંતિનું નકલી સ્વરૂપ બની જાય છે.

ન્યુરોલોજીકલ રીતે, આ વર્તણૂકો મગજને ડોપામાઈનથી ભરી દે છે, જે સાર્થક ક્રિયાઓ માટે ઈનામ આપવા માટેનું રસાયણ છે. પરંતુ જ્યારે પોર્નોગ્રાફી અથવા માદક દ્રવ્યો દ્વારા અતિ-ઉત્તેજિત કરવામાં આવે છે, ત્યારે ડોપામાઈન ખોટી ઊંચાઈઓ (False Highs) પેદા કરે છે, જે વ્યક્તિને સામાન્ય સ્થિતિમાં બેચેન બનાવે છે અને વધુની ઝંખના કરાવે છે. કરુણતા એ છે કે જે ઉર્જા વિદ્યાર્થીને ઉત્કૃષ્ટતા અને નેતૃત્વ તરફ લઈ જઈ શકે છે તે છીછરા સંતોષ દ્વારા હાઈજેક થઈ જાય છે. જે એક સમયે શિસ્ત હતી તે હવે નિર્ભરતા (Dependency) બની જાય છે.

કુર્આને લાંબા સમય પહેલા આ સ્થિતિનું નિદાન કર્યું હતું:

“.. અને મનેચ્છાઓનું અનુસરણ ન કર કેમ કે તે તને અલ્લાહના માર્ગથી ભટકાવી મૂકશે.” (૩૮:૨૬)

સરકાર અને નિયમનનો ભ્રમ

સરકાર “યુવા કલ્યાણ, સંસ્કાર અને રાષ્ટ્રીય નૈતિકતા” ની મોટી મોટી વાતો કરે છે, છતાં જે દળો તેમને નષ્ટ કરી રહ્યા છે તેમને છૂપી રીતે પ્રોત્સાહન આપે છે. OTT ગાઈડલાઈન્સ થી લઈને નાર્કોટિક્સ કાયદાઓ સુધીની કહેવાતી નિયમનકારી પ્રણાલીઓ નૈતિક વાલીપણા કરતા રાજકીય નાટક જેવી વધુ લાગે છે.

સેન્સર બોર્ડ, જેણે સાંસ્કૃતિક ગૌરવનું રક્ષણ કરવું જોઈએ, તે પસંદગીની નૈતિકતાનું સાધન બની ગયું છે. તે અશ્લીલતા પર નહીં પણ અસંમતિ પર કાતર ચલાવે છે. અશ્લીલતાનો મહિમા કરતી, સ્ત્રીઓનું વસ્તુકરણ કરતી અથવા નશાને મામૂલી ગણાવતી ફિલ્મોને “સર્જનાત્મક સ્વતંત્રતા” ના નામે પસાર કરવામાં આવે છે, જ્યારે સરકારની ટીકા કરતી અથવા રાજકારણને પ્રશ્ન કરતી ફિલ્મોમાં વિલંબ કરવામાં આવે છે, પ્રતિબંધિત કરવામાં આવે છે અથવા મૂક રાખવામાં આવે છે. નૈતિકતા હવે નૈતિકતા વિશે નથી રહી, તે રાજકીય સગવડ વિશે છે.

આ જ દંભ અર્થતંત્રમાં પણ વિસ્તરેલો છે. “ભારતીય મૂલ્યો” વિશે વાત કરતું રાજ્ય વિશ્વની સૌથી મોટી આલ્કોહોલ કંપનીઓ, ઓનલાઇન સટ્ટાબાજીની પેઢીઓ અને ડેટિંગ એપ રોકાણોનું સ્વાગત કરે છે; આ બધું જીડીપીના નામે. મંત્રીઓ સવારે યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરે છે અને રાત્રે દારૂની બ્રાન્ડ દ્વારા પ્રાયોજિત એવોર્ડ શોમાં હાજરી આપે છે. આ નૈતિક વિરોધાભાસમાં, મૂડીવાદ નવો ભગવાન બને છે અને સરકાર તેના પૂજારી.

નીતિઓ જે “યુવાનોને સશક્ત” કરવાનો દાવો કરે છે તે વાસ્તવમાં તેમની ઈચ્છાઓનું વ્યાપારીકરણ કરે છે, દરેક વૃત્તિને બજારમાં ફેરવે છે. તણાવનો ઈલાજ એપ્સથી, એકલતાનો ઈલાજ ‘હૂકઅપ્સ’ થી અને નિષ્ફળતાનો ઈલાજ ઉત્તેજકો (Stimulants) થી કરવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય અભિયાનોનું પણ મુદ્રીકરણ (Monetize) કરવામાં આવે છે; થેરાપી સબસ્ક્રિપ્શનની જેમ વેચાય છે જ્યારે ચિંતા પેદા કરતી સિસ્ટમ અકબંધ રહે છે.

સમસ્યા માત્ર નબળું સેન્સરશીપ નથી; તે નીતિ ઘડતરમાં અંતરાત્માનું મૃત્યુ છે. કાયદો એક દ્રશ્ય પર પ્રતિબંધ લગાવી શકે છે, પરંતુ તે હૃદયને ફરીથી બનાવી શકતો નથી. કોઈ કાયદો હયા- શરમ પેદા કરી શકતો નથી અને કોઈ જાહેરાત નિષ્ઠા વેચી શકતી નથી. તે જવાબદારી સમાજની નૈતિક જાગૃતિ અને દાવતના પુનરુત્થાનમાં રહેલી છે.

ઈલાજ અને શક્તિનો ઈસ્લામિક દ્રષ્ટિકોણ

જ્યારે સમાજ ઈચ્છાનું વ્યાપારીકરણ કરે છે અને બળવાનો મહિમા કરે છે, ત્યારે માનવ હૃદય મૌનમાં સડવા લાગે છે. છતાં ઈસ્લામે, આધુનિક મનોવિજ્ઞાન કે ન્યુરોસાયન્સના ઘણા સમય પહેલા, ભાવનાત્મક અને આધ્યાત્મિક ઉપચાર માટે સંપૂર્ણ માળખું પ્રદાન કર્યું હતું. તેનો મુખ્ય સિદ્ધાંત; હયા, માત્ર શરીરને ઢાંકવાની સૂચના નથી, પણ આત્માને ખુલ્લો કરવાનું આમંત્રણ છે. તે એક નૈતિક હોકાયંત્ર છે જે જ્યારે આસપાસની દરેક વસ્તુ ફરી રહી હોય ત્યારે સ્વને ફરીથી ગોઠવે છે.

‘હયા’ માત્ર ક્રિયાની જ નહીં, ઈરાદા (નિયત) ની પવિત્રતાનું રક્ષણ કરે છે. તે આપણને યાદ અપાવે છે કે માનવીય ગૌરવ પ્રદર્શનમાં નહીં પણ સંયમમાં છે, લાલસામાં નહીં પણ સંતોષમાં છે. તે આધ્યાત્મિક રોગપ્રતિકારક શક્તિ છે જે હૃદયના ચેપને અટકાવે છે. એવા સમયે જ્યારે ઈચ્છાઓને અલ્ગોરિધમ દ્વારા વધારવામાં આવે છે, ત્યારે હયા સ્પષ્ટતા, નમ્રતા અને હેતુ લાવે છે.

કુર્આન એક સમયહીન ઈલાજ આપે છે:

“હૃદયોને અલ્લાહના સ્મરણથી સંતોષ પ્રાપ્ત થાય છે.” (૧૩:૨૮)

આ આયત એક વચન કરતા વધુ છે; તે એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે. આધુનિક મનોચિકિત્સા સ્વીકારે છે કે સભાનતા (Mindfulness), વ્યવસ્થિત દિનચર્યા, સામાજિક જોડાણ અને અર્થ શોધવો એ માનસિક સુખાકારીના સૌથી મજબૂત સૂચકો છે. ઈસ્લામે આ બધું ૧૪ સદીઓ પહેલા સૂચવ્યું હતું.

  • નમાઝ : દિવસને શરીરની સર્કેડિયન રિધમ (દૈનિક ચક્ર) ની જેમ એન્કર કરે છે, ભાવનાત્મક ચક્રને સ્થિર કરે છે અને ચિંતાનું નિયમન કરે છે. દરેક સજદો આસ્તિકને જમીન સાથે જોડે છે, વિખરાયેલા વિચારોને દૈવી ગોઠવણીમાં પાછા લાવે છે.
  • રોઝા : આંતરડા અને મગજ વચ્ચેના જોડાણને રીસેટ કરે છે, આવેગ (Impulsivity) ઘટાડે છે અને ધીરજ કેળવે છે. તે દમન કરવાને બદલે લાલસા પર નિયંત્રણ કરવાનું શીખવે છે, જે આત્મ-નિયમનનું એક ટકાઉ સ્વરૂપ છે.
  • ઝકાત અને સદકા : લોભને દૂર કરે છે અને સહાનુભૂતિ જગાડે છે. અભ્યાસો દર્શાવે છે કે પરોપકારી કાર્યો ઓક્સિટોસિન અને સેરોટોનિન મુક્ત કરે છે, જે શાંતિની ન્યુરોકેમિસ્ટ્રીને મજબૂત બનાવે છે.
  • ઝિક્ર (સ્મરણ) અને ઇસ્તગફાર (માફી માંગવી): આધ્યાત્મિક શ્વાસ લેવા જેવું કામ કરે છે, જે અપરાધભાવ મુક્ત કરે છે, આંતરિક ઘોંઘાટને શાંત કરે છે અને પસ્તાવા તથા નવા ઉત્સાહનું ચક્ર બનાવે છે.
  • ઉખુવ્વત (ભાઈચારો): નશા વગર જોડાણ પૂરું પાડે છે, એવો સમુદાય જે પલાયનવાદ દ્વારા નહીં પણ સહિયારા હેતુ દ્વારા સાજો કરે છે.

તબીબી ભાષામાં, આ ઈશ્વરીય રીતે સૂચવેલ ઉપચારાત્મક હસ્તક્ષેપ (Therapeutic Interventions) છે, જે જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સુખાકારીને એક આધ્યાત્મિક સમગ્રતામાં એકીકૃત કરે છે. માનસિક સ્વાસ્થ્ય માટેનો ઈસ્લામનો અભિગમ મનને આત્માથી અલગ કરતો નથી; તે નફ્સ (મનેચ્છા), કલ્બ (દિલ) અને અક્કલ (દિમાગ) ને સાથે મળીને સારવાર આપે છે.

મેડિકલ વિદ્યાર્થીઓ અને યુવાન વ્યાવસાયિકો માટે, આ દ્રષ્ટિકોણ ઊંડો સુસંગત છે. અભ્યાસ, ક્લિનિકલ ડ્યુટી અને સાથીદારો વચ્ચેની સ્પર્ધાનું ઉચ્ચ દબાણ ઘણીવાર ચિંતન માટે બહુ ઓછી જગ્યા છોડે છે. ઘણા લોકો તે જ વિનાશક ટેવો અપનાવીને સામનો કરે છે જેને સિસ્ટમ સામાન્ય બનાવે છે — કેફીન હાઈઝ, સંબંધોની અરાજકતા અથવા સાયલન્ટ બર્નઆઉટ. પરંતુ ઈસ્લામ સફળતાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે: તે જીવનના કેન્દ્રને પરફોર્મન્સથી હટાવીને હેતુ તરફ લઈ જાય છે.

જ્યારે અપરાધભાવ, ચિંતા અથવા થાક લાગે છે, ત્યારે ઈસ્લામ નિંદા નથી કરતો; તે પાછા ફરવા માટે બોલાવે છે. ઇસ્તગફાર દ્વારા, આસ્તિક નિષ્ફળતાને બળતણમાં ફેરવે છે; સબર દ્વારા, પીડાને ધીરજમાં; અને તવક્કુલ (અલ્લાહ પર વિશ્વાસ) દ્વારા, અનિશ્ચિતતાને શાંતિમાં ફેરવે છે.

આ સર્વગ્રાહી દ્રષ્ટિકોણ સૈદ્ધાંતિક નથી; તે ઊંડો વ્યવહારુ છે. તે શીખવે છે કે જે હૃદય નિરાશા અનુભવે છે તે વ્યવસ્થિત આધ્યાત્મિકતા અને સમુદાય સહયોગ દ્વારા સાજું થઈ શકે છે. જે વિદ્યાર્થી વિક્ષેપમાં ડૂબી રહ્યો છે તે શિસ્તબદ્ધ સ્મરણ દ્વારા અર્થ ફરીથી શોધી શકે છે. અને જે સમાજ નૈતિક થાક હેઠળ તૂટી રહ્યો છે તેને સૂત્રો કે સેન્સરશીપ દ્વારા નહીં, પણ ‘હયા’, ઈમાન અને જવાબદારીના શાંત પુનરુત્થાન દ્વારા પુનર્જીવિત કરી શકાય છે.

આગળનો રસ્તો:

આજે આપણે એક નિર્ણાયક વળાંક પર ઊભા છીએ; બે ભવિષ્ય વચ્ચે:
એક જે અલ્ગોરિધમ્સ દ્વારા નક્કી કરવામાં આવે છે, અને બીજું જે સાક્ષાત્કાર (વહી/રિવીલેશન) દ્વારા માર્ગદર્શન મેળવે છે.
એક જે ડોપામાઈનને સુખ તરીકે વેચે છે, અને બીજું જે અર્થને શાંતિ તરીકે પુનઃસ્થાપિત કરે છે.

આપણા યુવાનો ઉદાસીન નથી; તેઓ શોધી રહ્યા છે. વ્યંગ (Sarcasm), મીમ્સ અને અળગા રહેવાના પડકારો નીચે પ્રદર્શન, એકલતા અને અપરાધભાવના ભાર હેઠળ ગૂંગળામણ અનુભવતી પેઢી રહેલી છે. તેઓ વાસ્તવિક વાતચીત ઈચ્છે છે, ક્યુરેટેડ સામગ્રી નહીં; વાસ્તવિક હેતુ ઈચ્છે છે, દેખાડાના પ્લેટફોર્મ્સ નહીં.

‘હયા’, તેના સાચા સ્વરૂપમાં, શોષણમાંથી મુક્તિ છે. જ્યારે દુનિયા અશ્લીલતાને સામાન્ય બનાવે છે ત્યારે ના કહેવાની હિંમત અને જ્યારે ગૌરવની મજાક ઉડાવવામાં આવે ત્યારે પણ તેને હા કહેવાની શાલીનતા છે. તે જોનાર અને જેમને જોવામાં આવે છે તે બંનેનું રક્ષણ કરે છે. તે સુંદરતા અને સદ્ગુણ વચ્ચે સંતુલન પુનઃસ્થાપિત કરે છે, આપણને યાદ અપાવે છે કે જે પવિત્ર છે તે ક્યારેય વેચાણ માટે હોતું નથી.

અમારું અભિયાન સમગ્ર ભારતના કેમ્પસમાં આ ચેતના જગાડવા માંગે છે. વર્કશોપ, સંવાદ વર્તુળો, કલા સ્પર્ધાઓ, માનસિક સ્વાસ્થ્ય સત્રો અને પીઅર-સપોર્ટ જૂથો દ્વારા, અમારું લક્ષ્ય ડરથી નહીં પણ પ્રેમથી નમ્રતાને એક સહિયારા મૂલ્ય બનાવવાનું છે. કારણ કે ‘હયા’ અભિવ્યક્તિનો દુશ્મન નથી; તે અભિવ્યક્તિની નૈતિકતા છે.

આપણે સૌંદર્યશાસ્ત્ર (Aesthetics) ને પાછું મેળવવું જોઈએ, એવી કલા બનાવવી જોઈએ જે ઉત્તેજિત કરવાને બદલે ઉત્થાન કરે; એવું મીડિયા જે નુકસાન કરવાને બદલે મટાડે; એવું હાસ્ય જે અપમાન કરવાને બદલે જ્ઞાન આપે. દરેક ફિલ્મ નિર્માતા, ઇન્ફ્લુઅન્સર અને વિદ્યાર્થીમાં સંસ્કૃતિના ‘મુજદ્દિદ’ (પુનરુત્થાન કરનાર) બનવાની શક્તિ છે: જે સુંદર, અર્થપૂર્ણ અને શુદ્ધ છે તેને પુનર્જીવિત કરવાની.

જેમ કે કુર્આન આપણને યાદ અપાવે છે:

“અમે બની આદમ (આદમની સંતાન)ને પ્રતિષ્ઠા આપી..” (૧૭:૭૦)

આનંદ માટે પોતાની જાતને અથવા બીજાને અપમાનિત કરવા એ તે ઇશ્વરીય સન્માન સાથે વિશ્વાસઘાત છે. દરેક ક્લિક, દરેક પોસ્ટ, દરેક ગીત જે માનવતાને માત્ર ઈચ્છામાં ઘટાડી દે છે તે પવિત્ર વિશ્વાસને તોડે છે. આપણી ફરજ એક એવી દુનિયાનું પુનઃનિર્માણ કરવાની છે જ્યાં સન્માન એ પોશાક નહીં પણ દ્રઢ માન્યતા (Conviction) હોય.

જો ‘હયા’ ની સંસ્કૃતિ પુનર્જીવિત થઈ શકે છે, તો તે નમ્રતા કરતા ઘણું બધું વધારે સાજું કરી શકે છે; તે માનસિક સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત કરી શકે છે, સામાજિક વિશ્વાસ પુનઃનિર્મિત કરી શકે છે અને આધ્યાત્મિક સંતુલન પુનર્જીવિત કરી શકે છે. તે આપણા યુવાનોને તે આપી શકે છે જે કોઈ અલ્ગોરિધમ આપી શકતું નથી: હેતુમાં રહેલી શાંતિ.

અમે એવા કેમ્પસની કલ્પના કરીએ છીએ જ્યાં હાસ્ય અશ્લીલતાથી મુક્ત હોય, મિત્રતા વસ્તુકરણ (Objectification) થી મુક્ત હોય અને સર્જનાત્મકતા ભ્રષ્ટાચારથી મુક્ત હોય. અમે એવા મીડિયાના સપના જોઈએ છીએ જે નશો કરવાને બદલે પ્રેરણા આપે, એવી કલાના જે અપમાન કરવાને બદલે મટાડે.

આગળનો માર્ગ સરળ નથી. તે અલગ ઊભા રહેવાની હિંમત, ટકી રહેવાની ધીરજ અને પુનઃનિર્માણ માટે કરુણા માંગે છે. પરંતુ દરેક ક્રાંતિ એક ‘પરત’ થી શરૂ થાય છે; સત્ય તરફ, ગૌરવ તરફ, અલ્લાહ તરફ પાછા ફરવાથી.

જેમ કુર્આન આપણને યાદ અપાવે છે:

“હકીકત એ છે કે અલ્લાહ કોઈ કોમની હાલત ત્યાં સુધઈ બદલતો નથી જ્યાં સુધી તે સ્વયં પોતાના લક્ષણો બદલતી નથી.” (સૂરહ અર-રદ, ૧૩:૧૧)

ચાલો આ જ પરિવર્તન બનીએ; હૃદયની અંદર, કેમ્પસની અંદર, સંસ્કૃતિની અંદર. ચાલો આ તે પેઢી બનીએ જે ‘હયા’ ને વિસરાઈ ગયેલા સદ્ગુણ તરીકે નહીં, પણ એક જીવંત શક્તિ તરીકે પુનઃપ્રાપ્ત કરે, જે આપણે કેવી રીતે બોલીએ છીએ, સર્જન કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ અને નેતૃત્વ કરીએ છીએ તેને આકાર આપે.

કારણ કે જ્યારે ‘હયા’ જીવે છે, ત્યારે માનવતા શ્વાસ લે છે.
અને જ્યારે યુવાનો ‘હયા’ સાથે જાગે છે, ત્યારે ભવિષ્ય તેમની સાથે જાગે છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments