નવી દિલ્હી: જમાઅતે ઈસ્લામી હિંદ (JIH) એ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ (જકાત) કરાર અને તે અંગેની વિગતો છુપાવવાની નીતિ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આવા મહત્વના કરાર વિશે સંસદ કે જનતાને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. નવાઈની વાત એ છે કે આ સોદાની વિગતો ભારત સરકારને બદલે અમેરિકન અધિકારીઓના નિવેદનો અને સોશિયલ મીડિયા દ્વારા સામે આવી રહી છે. અમેરિકાના દાવા મુજબ, ભારત અમેરિકન ઉત્પાદનો પરની આયાત જકાત ઘટાડીને શૂન્ય કરી શકે છે, જ્યારે તેના બદલામાં અમેરિકા ભારતીય નિકાસ પર ૧૮ ટકા જેટલો ઊંચો ટેરિફ લાદશે. જો આ વાત સાચી હોય તો તે અન્યાયી કરાર છે. જે ટેરિફ દરને અત્યારે સફળતા તરીકે ગણાવવામાં આવે છે, તે વાસ્તવમાં અગાઉના દરો કરતા પણ વધારે છે. આ ઉપરાંત, કૃષિ ક્ષેત્રને ટેરિફ મુક્ત કરવાના સંકેતો ભારતીય ખેડૂતોની આજીવિકા અને દેશની ખાદ્ય સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. રશિયા પાસેથી તેલની ખરીદી બાબતે સરકારની મૌન સેવવાની નીતિ પણ દેશની સ્વાયત્તતા પર સવાલો ઊભા કરે છે.
કેન્દ્રીય બજેટ ૨૦er૨૬-૨૭ અંગે વાત કરતા સઆદતુલ્લાહ હુસૈનીએ કહ્યું કે, બજેટમાં આર્થિક સ્થિરતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹૧૨.૨ લાખ કરોડના જંગી મૂડી ખર્ચની જાહેરાત કરાઈ છે, પરંતુ સામાન્ય માણસ માટે તે નિરાશાજનક છે. આ બજેટમાં રોજગાર નિર્માણ, સામાજિક કલ્યાણ અને વધતી જતી આર્થિક અસમાનતાને દૂર કરવા માટે કોઈ નક્કર જોગવાઈ નથી. શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રો માટેની ફાળવણી રાષ્ટ્રીય નીતિના નિર્ધારિત લક્ષ્યો કરતા ઘણી ઓછી છે. દેશના કુલ ખર્ચનો મોટો હિસ્સો દેવાના વ્યાજની ચુકવણીમાં જતો હોવાથી જનકલ્યાણની યોજનાઓ માટે પૂરતું ભંડોળ બચતું નથી. જમાતનું સ્પષ્ટ માનવું છે કે માનવ વિકાસ અને સામાજિક ન્યાય વિનાનો આર્થિક વિકાસ ક્યારેય ટકાઉ બની શકે નહીં.
બીજી તરફ, દેશમાં વધી રહેલી સાંપ્રદાયિક અને જાતિ આધારિત હિંસા પર ચિંતા વ્યક્ત કરતા જમાઅતે ઈસ્લામી હિંદેના ઉપાધ્યક્ષ મલિક મોઆતાસિમ ખાને લઘુમતીઓ અને દલિતો પર થઈ રહેલા હુમલાઓની આકરી નિંદા કરી હતી. તેમણે વર્ષ ૨૦૨૫ના આંકડા ટાંકતા જણાવ્યું કે, દેશમાં નફરત ફેલાવનારા ભાષણોની ૧,૩૧૮ ઘટનાઓ બની છે, જેમાંથી ૯૮ ટકા કિસ્સાઓમાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના કોટદ્વારમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, ત્યાં એક મુસ્લિમ વેપારીને હિંસક ટોળાથી બચાવનારા બહાદુર યુવાનો સામે જ પોલીસે ફરિયાદ નોંધીને અન્યાય કર્યો છે. હુમલાખોરોને પકડવાને બદલે નિર્દોષોને ફસાવવા તે કાયદા વ્યવસ્થાની નિષ્ફળતા છે. તેમણે માંગ કરી હતી કે આવી હિંસા રોકવા માટે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને દેશમાં પરસ્પર ભાઈચારો અને સદભાવ જળવાઈ રહે તે માટે સામાજિક સ્તરે પ્રયાસો તેજ કરવામાં આવે.
