Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપલોકશાહીના પાયામાં ઊધઈ કે પારદર્શિતાનો અભાવ?

લોકશાહીના પાયામાં ઊધઈ કે પારદર્શિતાનો અભાવ?

બંગાળના રણમેદાનમાં ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને સંસદીય પ્રણાલીઓ સામે ઉઠતા ગંભીર સવાલો

ભારતીય લોકશાહીના ઇતિહાસમાં ચૂંટણી એ માત્ર સત્તા પરિવર્તનનું સાધન નથી, પરંતુ જનતાના વિશ્વાસનું પ્રતીક છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં આગામી ૨૩ એપ્રિલના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે જે ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે, તે આ વિશ્વાસના પાયા હચમચાવી દેનારો છે. જ્યારે ૯૧ લાખ જેટલી માતબર સંખ્યામાં મતદારોના નામ યાદીમાંથી ગાયબ થઈ જાય અને દેશની સર્વોચ્ચ સંસ્થાઓ મૌન સેવે અથવા તકનીકી કારણો આગળ ધરે, ત્યારે લોકશાહીના ભાવિ સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગવું સ્વાભાવિક છે.

સૌથી પહેલો અને ગંભીર પ્રશ્ન સંસદીય ગરિમાનો છે. વિપક્ષના ૧૯૩ સાંસદો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ ગુપ્તા વિરુદ્ધ લાવવામાં આવેલો મહાભિયોગ પ્રસ્તાવ કોઈ પણ નક્કર કારણ આપ્યા વિના ફગાવી દેવાયો. લોકશાહીમાં પારદર્શિતા એ અનિવાર્ય શરત છે. જો કોઈ બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિની નિષ્પક્ષતા સામે આટલી મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ સવાલ ઉઠાવતા હોય, તો પ્રસ્તાવ ફગાવતી વખતે તેના કારણો જાહેર ન કરવા એ કઈ પ્રકારની નૈતિકતા છે? ‘જજીસ ઈન્ક્વાયરી એક્ટ’નો હવાલો આપીને પડદો પાડી દેવો એ શું જવાબદારીમાંથી છટકબારી નથી?

બીજી તરફ, ન્યાયના અંતિમ દ્વાર ગણાતી સુપ્રીમ કોર્ટનો અભિગમ પણ આશ્ચર્ય પમાડે તેવો રહ્યો છે. ૨૦ લાખ એવા મતદારો જેમની પાસે પાસપોર્ટ છે, જેઓ અગાઉ મતદાન કરી ચૂક્યા છે, તેમના નામ યાદીમાંથી કાઢી નાખવા સામે વચગાળાની રાહત આપવાનો ઇનકાર એ ન્યાયના મૂળ સિદ્ધાંતોથી વિપરીત જણાય છે. ‘સમયના અભાવે વોટર લિસ્ટ ફ્રીઝ કરવું જરૂરી છે’ તેવી દલીલ ન્યાયિક ન હોઈ શકે. જો આ ૨૦ લાખ લોકો ખરેખર લાયક મતદારો હોય, તો તેમને મતાધિકારથી વંચિત રાખવા એ લોકશાહીની હત્યા સમાન છે. શું ન્યાય આપવા માટે સમયનો અભાવ એ માન્ય બહાનું હોઈ શકે?

સૌથી ચોંકાવનારી વિગત તો ચૂંટણી પંચના આંકડાઓમાંથી બહાર આવે છે. નંદીગ્રામ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જે નામ કાપવામાં આવ્યા છે, તેમાં ૯૫ ટકાથી વધુ એક ચોક્કસ સમુદાયના છે. આ કોઈ સામાન્ય ક્ષતિ નથી, પણ એક સુનિયોજિત ‘પેટર્ન’ હોવાની આશંકા જન્માવે છે. પશ્ચિમ બંગાળ સરકારના આરોપો મુજબ, આ પ્રક્રિયાને ‘બેકડોર એનઆરસી’ તરીકે જોવામાં આવી રહી છે. વિપક્ષનો આરોપ છે કે એક તરફ અસલી મતદારોના નામ કપાઈ રહ્યા છે અને બીજી તરફ ‘ફોર્મ-૬’ ના નામે પરપ્રાંતિય બોગસ મતદારોને ઘુસાડવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ત્યારે વધુ આશંકા સેવાઈ રહી છે જ્યારે મુખ્ય કમિશનરના અંગત સંબંધીઓને સરકારમાં મહત્વના હોદ્દાઓ એનાયત કરવામાં આવે છે. સત્તાધારી પક્ષ અને સ્વાયત્ત સંસ્થાઓ વચ્ચેની આ કથિત ‘સાઠગાંઠ’ લોકતંત્ર માટે જોખમી સંકેત છે.

જ્યાં હાર-જીતનો ફેંસલો માત્ર ગણતરીના મતોથી થતો હોય, ત્યાં ૯૧ લાખ મતોની આ હેરાફેરી ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે. જો ચૂંટણી પંચ, સંસદ અને ન્યાયતંત્ર જનતાના સવાલોના જવાબ આપવામાં નિષ્ફળ રહેશે, તો લોકોનો લોકશાહી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઉઠી જશે. શું આપણે ખરેખર ‘અમૃતકાળ’ તરફ જઈ રહ્યા છીએ કે પછી લોકશાહીના અંધકાર યુગ તરફ? આ સવાલ આજે હવામાં ગુંજી રહ્યો છે અને તેનો જવાબ માગવો એ દરેક ભારતીયનો અધિકાર છે.

(આ અહેવાલ: પત્રકાર અભિસાર શર્માના વિશ્લેષણ પર આધારિત છે.)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments