Monday, January 26, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપપ્રજાસત્તાક પર્વઃ લોકશાહી મૂલ્યો અને પરંપરાઓના પુનઃસ્મરણનો અવસર

પ્રજાસત્તાક પર્વઃ લોકશાહી મૂલ્યો અને પરંપરાઓના પુનઃસ્મરણનો અવસર

લોકશાહી માત્ર એક રાજકીય પ્રણાલી કે સત્તાના હસ્તાંતરણની ઔપચારિક પદ્ધતિ નથી, પરંતુ તે માનવ સમાજના લાંબા વૈચારિક, નૈતિક અને સાંસ્કૃતિક સંઘર્ષનું પરિણામ છે. તેનો અસલી આત્મા સત્તામાં જનભાગીદારી, માનવીય ગૌરવનું સન્માન, કાયદાની સર્વોપરિતા અને ન્યાયની પાયાની જોગવાઈઓમાં રહેલો છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં લોકશાહી તેના સૈદ્ધાંતિક માળખામાં જળવાઈ રહી, માત્ર ત્યાં જ સામાજિક સંતુલન અને રાજકીય સ્થિરતા શક્ય બની છે. જ્યારે તેને માત્ર સંખ્યાત્મક બહુમતી અથવા તાકાતના ખેલ સુધી મર્યાદિત કરી દેવામાં આવે છે, ત્યારે તે પોતાની અર્થપૂર્ણતા અને નૈતિક કાયદેસરતા ગુમાવી બેસે છે.

આધુનિક રાજકીય ચિંતનમાં લોકશાહીને માત્ર જનતા દ્વારા સરકારની પસંદગી પૂરતી સીમિત રાખવામાં આવતી નથી, પરંતુ તેને એક એવી વ્યાપક વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે જેમાં વ્યક્તિની સ્વતંત્રતા, ગૌરવ અને અધિકારો સુરક્ષિત હોય. રાજ્ય પોતે કાયદાનું પાલન કરતું હોય, સત્તા જવાબદાર હોય અને લઘુમતીઓના અધિકારો બહુમતીની દયા પર છોડવામાં ન આવે તે અનિવાર્ય છે. આ દ્રષ્ટિએ લોકશાહી એ રાજ્ય અને નાગરિકો વચ્ચેનો એક નૈતિક અને કાયદાકીય કરાર છે, નહીં કે માત્ર એક ચૂંટણીલક્ષી કવાયત.

ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી માનવામાં આવે છે જ્યાં બંધારણીય માળખું, નિયમિત ચૂંટણીઓ, નિષ્પક્ષ ન્યાયતંત્ર અને સ્વતંત્ર મીડિયા જેવી સંસ્થાઓ કાર્યરત છે. જોકે, તાજેતરના વર્ષોમાં લોકશાહીની વ્યવહારિક સ્થિતિ અનેક ગંભીર પ્રશ્નો પેદા કરી રહી છે. ચૂંટણી પ્રક્રિયાના સાતત્ય છતાં અભિવ્યક્તિની આઝાદી, રાજકીય અસંમતિનો અધિકાર અને સત્તાની જવાબદેહી જેવા મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો દબાણનો શિકાર બન્યા છે. લોકશાહીમાં અસંમતિને સત્તા માટે જોખમ નહીં, પણ વ્યવસ્થાના સ્વાસ્થ્યની નિશાની સમજવામાં આવે છે. પરંતુ વર્તમાન વાતાવરણમાં વૈચારિક મતભેદને અવારનવાર ‘ગદ્દારી’ અથવા ‘બદનિયત’ તરીકે જોવામાં આવે છે, જે લોકશાહી મિજાજની તદ્દન વિરુદ્ધ છે.

લોકશાહી અધિકારોનો અસલી પ્રાણ નાગરિક સ્વતંત્રતાના રક્ષણમાં છે. જ્યારે કાયદાનો અમલ દરેક માટે સમાન ન રહે અને ન્યાય પ્રક્રિયા શક્તિશાળી તથા નબળા માટે અલગ-અલગ માપદંડો અપનાવે, ત્યારે લોકશાહીના પાયા ડગમગવા લાગે છે. અદાલતી ચુકાદા વિના લાંબો જેલવાસ, જામીનના સિદ્ધાંતોની નબળાઈ, લઘુમતી સમુદાયો વિરુદ્ધ પક્ષપાતી વલણ અને રાજકીય હિતો માટે સરકારી સંસ્થાઓનો દુરુપયોગ એ ન્યાયની એવી સ્થિતિ છે જે લોકશાહી માળખાને ઉધઈની જેમ કોતરી ખાય છે.

સંસદ અને ધારાસભાઓ લોકશાહીમાં જનપ્રતિનિધિત્વનું પ્રતિક છે. પરંતુ જ્યારે સંસદીય ચર્ચાઓ ઉપરછલ્લી બની જાય, કાયદાઓ ગંભીર ચર્ચા વગર પસાર થવા લાગે અને વિરોધ પક્ષની ભૂમિકાને માત્ર અડચણ કે દુશ્મનાવટ સમાન ગણવામાં આવે, ત્યારે ધારાસભા પોતાની મૂળભૂત ગરિમા ગુમાવી બેસે છે. કાયદો ઘડવાની પ્રક્રિયા જો જાહેર હિતને બદલે રાજકીય લાભને આધીન થઈ જાય, તો લોકશાહી માત્ર પ્રદર્શન પૂરતી બની જાય છે.

એ જ રીતે, કારોબારીની પ્રાથમિક ફરજ કાયદાનો અમલ અને જનસેવાની છે, સત્તાના કેન્દ્રીકરણની નહીં. જ્યારે સરકાર રાજકીય સંસ્થાઓને પોતાના એજન્ડા માટે વાપરવા લાગે અને જવાબદારીને બદલે ‘વફાદારી’ને માપદંડ બનાવી દે, ત્યારે શક્તિનું સંતુલન ખોરવાય છે અને સરકાર લોક કલ્યાણકારી સંસ્થાને બદલે માત્ર ‘કંટ્રોલ રૂમ’ બની જાય છે.

ન્યાયતંત્ર લોકશાહીનો સૌથી સંવેદનશીલ સ્તંભ છે, કારણ કે તે જ નાગરિક અધિકારોનો અંતિમ રક્ષક છે. જ્યારે ન્યાયતંત્ર પર દબાણ વધે અથવા ન્યાય મળવામાં અસાધારણ વિલંબ સામાન્ય બની જાય, ત્યારે જનતાનો વિશ્વાસ ડગમગી જાય છે. ન્યાયમાં વિલંબ એ વાસ્તવમાં ન્યાયના ઇનકાર સમાન છે, જે લોકશાહીના નૈતિક પાયાને નબળા પાડે છે. મીડિયા જે લોકશાહીનો ચોથો સ્તંભ છે, જો તે સ્વતંત્ર નિરીક્ષકને બદલે સત્તાનું પ્રવક્તા બની જાય અને હકીકતોને બદલે પ્રોપેગેન્ડાને પ્રોત્સાહન આપે, તો જનમાનસનો વિવેક નષ્ટ થઈ જાય છે.

લોકશાહીનો આત્મા જાગૃત અને સક્રિય નાગરિક સમાજમાં જીવંત રહે છે. જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ, સિવિલ સોસાયટી અને બૌદ્ધિકો ડર કે દબાણને કારણે મૌન સેવે, ત્યારે લોકશાહી સંવાદનો અંત આવે છે. આ શાંતિ લોકશાહી માટે સૌથી ભયજનક સંકેત છે.

નિષ્કર્ષમાં, લોકશાહીનું અસ્તિત્વ માત્ર બંધારણીય દસ્તાવેજો અને ચૂંટણીઓ પર નહીં, પરંતુ તે નૈતિક મૂલ્યો પર નિર્ભર છે જે તેને વાસ્તવિક અર્થ આપે છે. આજે પાયાનો પ્રશ્ન એ જ છે કે શું આપણે લોકશાહીને માત્ર સત્તા હાસલ કરવાનું સાધન બનાવવા માંગીએ છીએ કે પછી ન્યાય અને માનવીય ગૌરવની ખાતરી આપનારી જીવંત વ્યવસ્થા?


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments