Homeમુસ્લિમ ધર્મસ્થાનો પર કબજો કરવાનો કારસો અને સામાજિક શાંતિ ડહોળવાના પ્રયાસો તાકીદે...

મુસ્લિમ ધર્મસ્થાનો પર કબજો કરવાનો કારસો અને સામાજિક શાંતિ ડહોળવાના પ્રયાસો તાકીદે બંધ થવા જોઈએ: ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલા

દેશવિરોધી અને સમાજવિરોધી તત્વો દ્વારા મસ્જિદો-દરગાહોને નિશાન બનાવવાનું પદ્ધતિસરનું ષડયંત્ર: જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત ના પ્રમુખનો ગંભીર આક્ષેપ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના ધાર્મિક સ્વરૂપને નુકસાન પહોંચાડવાના અને આગામી ૧૫ જૂને ભીડ એકઠી કરવાના આયોજન સામે વહીવટીતંત્ર તાકીદે પગલાં લે તેવી માંગ

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ એક અખબારી નિવેદનમાં દેશ અને રાજ્યમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરનારા તત્વો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશવિરોધી વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા દેશની વિવિધ મસ્જિદો અને દરગાહોને મંદિર બતાવી, તેને મિસમાર કરવાનું અને તેના પર ગેરકાયદેસર કબજો કરવાનું ષડયંત્ર જોરશોરથી ચાલી રહ્યું છે. યેનકેન પ્રકારે મુસ્લિમોને હેરાન કરવાના આ પદ્ધતિસરના પ્રયાસોમાં દુઃખદ રીતે વહીવટીતંત્ર અને ન્યાયતંત્રનો એક વર્ગ પણ આવા તત્વોને પરોક્ષ સહયોગ આપી રહ્યો હોય તેવું પ્રતીત થાય છે.

આ જ કડીમાં હવે ગુજરાતના ભરૂચ શહેરની ઐતિહાસિક અને પવિત્ર જામા મસ્જિદ પર કબજો કરવાનો એક મોટો કારસો ઘડાઈ રહ્યો હોવાની ગંભીર વિગતો સામે આવી છે.

ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભરૂચની જામા મસ્જિદ એ ભરૂચના સુન્ની મુસ્લિમ સમુદાયની સૌથી જૂની અને સૌથી અગ્રણી ઇબાદતગાહ છે. આ મસ્જિદ અને તેની ધાર્મિક ઉજવણીઓનું સંચાલન ભરૂચના નોંધણી નંબર B-11 હેઠળ ‘વકફ’ માં કાયદેસર રીતે નોંધાયેલું છે. આ મસ્જિદ ઘણી પેઢીઓથી મુસ્લિમોની ઇબાદતગાહ તરીકે સતત ઉપયોગમાં લેવાતી રહી છે અને મસ્જિદનું ધાર્મિક સ્વરૂપ હંમેશાં યથાવત રહ્યું છે. ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ (આઝાદી) પહેલાથી લઈને આજદિન સુધી અહીં પાંચેય વખતની નમાજ અને સામુહિક ઇબાદતો શાંતિપૂર્ણ રીતે સતત થતી આવી છે.

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, જામીન પર મુક્ત થયેલા ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા તત્વો, દુષ્કર્મીઓ અને તેમના સાથીઓ જેવા સમાજવિરોધી તત્વો દ્વારા મસ્જિદ પરિસરમાં શ્રેણીબદ્ધ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. આ તત્વોએ મસ્જિદના લાંબા સમયથી સ્થાપિત ધાર્મિક અસ્તિત્વને પડકારતી દુર્ભાવનાપૂર્ણ અને તોફાની ઝુંબેશ શરૂ કરી છે. આ ઐતિહાસિક મસ્જિદ કથિત રીતે જૈન કે હિન્દુ ધાર્મિક સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે તેવો ખોટો પ્રચાર સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા વહેતો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ તોફાની તત્વોએ મસ્જિદના પરિસરમાં અનધિકૃત રીતે પ્રવેશ કરી, આ સંરક્ષિત ઇબાદતગાહની અંદર બિન-મુસ્લિમ ધાર્મિક વિધિઓ કરવાનો પણ ગંભીર પ્રયાસ કર્યો હતો, જેનાથી સ્થાનિક મુસ્લિમ સમાજ અને મસ્જિદના ટ્રસ્ટીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી છે.

જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રદેશ પ્રમુખે વધુમાં ઉમેર્યું કે, સત્તાવાર અહેવાલો અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા વીડિયો સંદેશાઓ દ્વારા જાણવા મળ્યું છે કે, આ વિવાદને વધુ વણસાવવા માટે આગામી ૧૫.૦૬.૨૦૨૬ ના રોજ મસ્જિદની નજીક એક મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનતાને મોટી સંખ્યામાં ભેગા થવા ઉશ્કેરણીજનક આહવાન કરાયું છે. આ સીધો જ સામાજિક શાંતિ અને કાયદો-વ્યવસ્થાને ડહોળવાનો ખુલ્લો પ્રયાસ છે.

ડૉ. મુહમ્મદ સલીમ પટીવાલાએ સરકાર અને સ્થાનિક પોલીસ પ્રશાસનને પૂરજોશમાં અપીલ કરી છે કે, આ બાબતની ગંભીરતા સમજીને તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે, ૧૫મી જૂનના તોફાની આયોજન પર પ્રતિબંધ મુકાય અને આવા સમાજવિરોધી તત્વો પર કાયદાનો ગાળિયો કસવામાં આવે.

સાથે જ, તેમણે દેશ અને રાજ્યના તમામ ન્યાયપ્રિય નાગરિકો, બુદ્ધિજીવીઓ અને સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરી છે કે, ગુજરાતની શાંતિ અને અખંડિતતાને તોડવા માંગતા આવા તત્વો વિરૂદ્ધ એક અવાજે વિરોધ નોંધાવે અને નફરતના આ માહોલને બદલી પરસ્પર ભાઈચારો તેમજ શાંતિ સ્થાપવા માટે આગળ આવે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments