“ભારત વિવિધ રીત-રિવાજો અને માન્યતાઓ સાથે એક બહુ આયામી અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર દેશ છે. ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (યુસીસી) લાદીને આ સાંસ્કૃતિક વિવિધતાને નાબૂદ કરવું માત્ર અનિચ્છનીય જ નહીં પરંતુ સમાજના તાણા-બાણા અને સંવાદિતાના અસ્તિત્વ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. દેશના સૌથી મોટા સંગઠન તરીકે, જમાઅતે ઈસ્લામી હિન્દ, ગુજરાત સરકારને અપીલ કરે છે કે કૌટુંબિક અને વ્યક્તિગત કાયદામાં દખલ કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, તેનાથી રોકાઈ જાય. કારણ કે આ હસ્તક્ષેપ ‘વિવિધતામાં એકતા’ની દેશની વિભાવનાને ચોકકસપણે નુકસાન પહોંચાડી શકે છે.
‘યુનિફોર્મ સિવિલ કોડ’ ધ્રુવીકરણને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ બાબતે ગુજરાત સરકાર દ્વારા સમિતિનું ગઠન અને રમઝાન માસમાં તેના ઉપર વિચાર વિમર્શ અને રિપોર્ટ આપવાનો ટૂંકો ગાળો શંકા ઉપજાવે છે. આ માટે સામાન્ય પ્રજા અને સંસ્થા માટે વેબ સાઇટ પર જે પ્રશ્નોત્તરી મૂકવામાં આવેલ છે તે અસ્પષ્ટ અને મોઘમ છે, આશ્ચર્ય અને શંકા ઉપજાવે છે. એવી ઘણી અસ્પષ્ટતાઓ છે જે તેને જટિલ બનાવે છે, જેના કારણે વાજબી અને વ્યાપક અભિપ્રાય આપવાનું લગભગ અશક્ય બની જાય છે.
આ ઉપરાંત, કાયદામાં એકરૂપતાનો આ વિચાર ભારતના બહુ-સાંસ્કૃતિક માળખા અને સામાજિક-સાંસ્કૃતિક વારસાની બંધારણીય ભાવનાની પણ વિરુદ્ધ છે. તેથી, કલમ 44 માં સમાયેલ નિર્દેશક સિદ્ધાંતને અમલમાં મૂકવાની કોઈપણ પદ્ધતિ, જો કલમ 25 અથવા કલમ 29 હેઠળ નાગરિકોને આપવામાં આવેલા અધિકારો સાથે વિરોધાભાસ ધરાવતી હોય, તો તે ગેરબંધારણીય હશે. બીજું એ કે આ કાર્ય કેન્દ્ર સરકારે કરવાનું છે. રાજ્ય સરકારની આ ભૂમિકા જ નથી. જુદી જુદી રાજ્ય સરકારો પોત પોતાની મરજી પ્રમાણે આવો કાયદો અમલમાં ન મૂકી શકે.
જ્યાં સુધી મુસ્લિમ પર્સનલ લોનો પ્રશ્ન છે, તે સ્પષ્ટ કરવું જરૂરી છે કે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવી બાબતોમાં ઇસ્લામિક કાયદાનું પાલન એ મુસ્લિમોની ધાર્મિક ફરજ છે, જેના રક્ષણની ખાતરી કલમ 25 માં આપવામાં આવી છે. આવા કિસ્સામાં, ‘યુનિફોર્મ સિવિલ કોડ’નો અમલ દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણ માટે ખતરો પેદા કરી શકે છે.
આમ એક અખબાર યાદીમાં મીડિયા સચિવ અરશદ હુસૈને જણાવ્યું હતું.