સુપ્રીમ કોર્ટ આપે છે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક પાઠ: ભાષા ધર્મ નથી, તમામ ભાષાઓનો ઉત્સવ ઉજવવો જોઈએ.
કેવી રીતે એક રસહીન કાનૂની કેસ એક સાંસ્કૃતિક પાઠમાં ફેરવાઈ શકે છે—સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાની આગવી શૈલીમાં બતાવ્યું.
પ્રશ્ન એ હતો કે મહારાષ્ટ્રમાં એક મહાનગર પાલિકાની ઇમારતના નામકરણમાં મરાઠી પછી ઉર્દૂ અનુવાદ મૂકવો શું ‘રાજભાષા’ના દરજ્જાને અવગણે છે? નહિ. બૉમ્બે હાઈકોર્ટે પહેલાં જ કહ્યું હતું અને હવે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે વધારાની ભાષાનો ઉપયોગ કરવાની કોઈ મનાઈ નથી. તેણે વધુમાં ઉમેર્યું કે મરાઠી અને ઉર્દૂ બંને સંવિધાનની અનુસૂચિ ૮ હેઠળ સમાન દરજ્જા ધરાવે છે. તે પણ યાદ અપાવ્યું કે ઉર્દૂ એ ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, બિહાર, બંગાળ, તેલંગાણા અને દિલ્હી સહિતના રાજ્યોમાં એક અધિકૃત ભાષા છે.
આ વાત ત્યારે વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે જ્યારે ઉર્દૂને ‘ગદ્દાર જબાન’, એટલે શત્રુની ભાષા તરીકે અપમાનિત કરવામાં આવે છે—આ અભિયાન તથ્યવિહિન છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી, દુર્ભાગ્યવશ ઘણા લોકો તેને માનવા લાગ્યા છે. આ પૂર્વગ્રહ, અન્ય બધા પૂર્વગ્રહોની જેમ, અજ્ઞાનમાં જીવે છે. ઉર્દૂ પણ સંસ્કૃત જેટલી જ ભારતીય છે. પ્રથમ કુરાનનો ઉર્દૂ અનુવાદ, 18મી સદીના અંતે થયો હતો અને તુલસીદાસના લેખનમાં પણ ઉર્દૂ શબ્દો મળે છે. એ ખરેખર મિશ્ર ભાષા છે. પરંતુ જેમ ભારતની સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ છે, એમ તેને માન્યતા આપવી હવે સામાન્ય વાત રહી નથી. તેથી જ સુપ્રીમ કોર્ટનું અવલોકન એટલું જ મહત્વનું છે: “ભાષા ધર્મ નથી… ભાષા સંસ્કૃતિ છે… આપણે આપણી વિવિધતાનું ગૌરવ માણવું જોઈએ, જેમાં અમારી અનેક ભાષાઓ શામેલ છે.”
“વહ યાર હૈ જો ખુશ્બૂ કી તરહ, વોહ જિસકી જબાન ઉર્દૂ કી તરહ” — એ પ્રેમી જે ફોરમ જેવો છે,જેની ભાષા ઉર્દૂ જેવી છે. ઉર્દૂના વિરોધીઓ તેને નાપસંદ કરે છે, પણ મણિ રત્નમની ફિલ્મ દિલસે નું ગીત બધા માટે બોલે છે. જે લોકો નસ્તલીકમાં ઉર્દૂ લખી શકતા નથી, તેઓ દેવનાગરી, રોમન અથવા ગુરમુખીમાં લખે છે. દિલ્હીનો જશ્ન-એ-રેખ્તા ઉત્સવ ઉર્દૂ પ્રેમીઓથી ભરેલ હોય છે. ઉર્દૂને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ લોકપ્રિય બનાવી છે, કારણ કે એ “અવામ કી અવાજ”—લોકભાષા રહી છે. લોકોએ તેને પ્રેમ આપ્યો છે. જેમ આનંદ બક્ષીએ લખ્યું હતું અને કિશોરકુમારે ગાયું હતું: “મજધાર મેં નૈયા ડોલે તો માંઝી પાર લગાયે, માંઝી જો નાવ ડૂબોયે ઉસે તો કૌન બચાયે?” — જો નાવ મધ્યમાં ડોલે તો મલ્લાહ પાર લઈ જશે, પણ જો મલ્લાહ જ નાવ ડૂબાડે તો કોણ બચાવશે?
(ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 17 એપ્રિલ2025 તંત્રી લેખનો અનુવાદ)