Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસગૌરી લંકેશનું અંતિમ સંપાદકીય - નકલી સમાચારોના યુગમાં

ગૌરી લંકેશનું અંતિમ સંપાદકીય – નકલી સમાચારોના યુગમાં

મેગેઝીનનું નામ ગૌરી લંકેશ પત્રિકે છે. ૧૬ પૃષ્ઠોનું આ મેગેઝીન દર સપ્તાહે નીકળે છે. ૧૫ રૃપિયા કિંમત હોય છે. ૧૩ સપ્ટેમ્બરનો અંક ગૌરી લંકેશ માટે છેલ્લો સાબિત થયો. અમે અમારા મિત્રની મદદથી તેમના અંતિમ સંપદકીયનો હિંદી અનુવાદ કર્યો જેથી બધાને ખબર પડે કે કન્નડામાં લખતી આ પત્રકારની લેખન શૈલી કેવી હતી, તેની ધાર કેવી હતી. દરેક અંકમાં ગૌરી ‘કંડા હાગે’ નામથી કૉલમ લખતી હતી. કંડા હાગેનો અર્થ થાય છે ‘જેવું મેં જોયું.’ તેમનો સંપાદકીય મેગેઝીનના ત્રીજા પૃષ્ઠ પર છાપવામાં આવતો. તે સમયનો  સંપાદકીય નકલી સમાચારો (Fake News) પર હતો અને તેનું શિર્ષક હતું; નકલી સમાચારોના યુગમાં–

આ સપ્તાહના મુદ્દામાં મારા મિત્ર ડૉ. વાસુએ ગોબલ્સની જેમ ભારતમાં નકલી સમાચારો બનાવવાની ફેકટરી વિશે લખ્યું છે. જુઠાણાની આવી ફેક્ટરીઓ વધારે મોદી ભક્ત જ ચલાવે છે. જૂઠની ફેક્ટરીથી જે નુકસાન થઈ રહ્યું છે હું  તેના વિષે મારા સંપાદકીયમાં બતાવવા પ્રયત્ન કરીશ. હમણાં જ ગણેશ ચતુર્થી ગઈ. તે દિવસે સોશ્યિલ મીડિયામાં એક જુઠાણું ફેલાવવામાં આવ્યું. ફેલાવનારા સંઘના લોકો હતા. આ જૂઠ શું છે? જૂઠ આ છે કે “કર્નાટક સરકાર જ્યાં કહેશે ત્યાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી પડશે, તેના પહેલા દસ લાખની ડિપોઝિટ જમા કરાવવાની રહેશે, પ્રતિમાની ઊંચાઈ કેટલી હશે, તેના માટે સરકારની પરવાનગી લેવી પડશે, બીજા ધર્મના લોકો જ્યાં રહે છે તે રસ્તાઓમાં વિસર્જન માટે જઈ શકાશે નહીં. આતશબાજી વિગેરે કરી શકાય નહીં.” સંઘના લોકોએ આ જૂઠને વધારે પ્રમાણમાં ફેલાવ્યું. આ જૂઠનો ફેલાવો એટલા મોટા પ્રમાણમાં થયો કે અંતે કર્ણાટકના પોલીસ પ્રમુખ આર.કે. દત્તાને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અને સમજણ આપવી પડી કે સરકારે  એવા કોઈ નિયમ નથી બનાવ્યો. આ બધું જૂઠ છે.

આ જૂઠનો સોર્સ જ્યારે અમે માલૂમ કરવાનો પ્રયત્ન કર્યો તો તે  POSTCARD.IN વેબસાઈટ ઉપર જઈને પહોંચ્યો. આ વેબસાઈટ પાકા હિન્દુત્ત્વવાદીઓની છે. તેનું કાર્ય દરેક દિવસે નકલી સમાચારો બનાવીને સોશ્યિલ મીડિયા ઉપર ફેલાવવાનું છે. ૧૧ ઑગષ્ટના દિવસે POSTCARD.INમાં એક શિર્ષક લગાવવામાં આવ્યું; ‘કર્નાટકમાં તાલિબાન સરકાર’. આ શિર્ષકના આધારે રાજ્યભરમાં જૂઠ ફેલાવવાના પ્રયત્નો થયા. સંઘના લોકો તેમાં સફળ પણ થયા. જે લોકો કોઈ પણ કારણસર સિદ્ધારમૈયા સરકારથી નારાજ રહે છે એ લોકોએ આ નકલી સમાચારને પોતાનું શસ્ત્ર બનાવી દીધું. સૌથી આશ્ચર્ય અને દુઃખની બાબત એ છે કે લોકોએ પણ વિચાર કર્યા વિના આ ખબરને સાચી હોવનું માની લીધું. પોતાના કાન, નાક અને દિમાગનો ઉપયોગ ના કર્યો.

પાછલા સપ્તાહમાં જ્યારે કોર્ટે રામ રહીમ નામના એક ઢોંગી બાબાને બળાત્કારના કેસમાં સજા સંભળાવી ત્યારે તેમની સાથે ભાજપના નેતાઓની કેટલીક તસ્વીરો સોશ્યિલ મીડિયામાં વાયરલ થવા લાગી. આ ઢોંગી બાબાની સાથે મોદી અને હરિયાણાના ભાજપના ધારાસભ્યોની તસ્વીરો પણ વાયરલ થવા લાગી. આમાં ભાજપ અને સંઘ પરિવાર હેરાન થઈ ગયા.આને કાઉન્ટર કરવા માટે ગુરમીતની સાથે કેરળના સીપીએમના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન બેઠા હોવાની તસવીર વાયરલ થવા દીધી. આ તસ્વીરો ફોટોશૉપ હતી. વાસ્તવિક તસ્વીરમાં કોંગ્રેસના નેતા ઓમન ચાંડી બેઠા છે પરંતુ તેમના ધડ પર વિજયનનું માથુ લગાવી અને સંઘના લોકોએ આને સોશ્યિલ મીડિયામાં ફેલાવી દીધું.  એ તો સારૃ છે કે સંઘનો આ કીમીયો સફળ ન થયો કારણકે કેટલાક લોકો તરત જ તેમની વાસ્તવિક તસ્વીરને સોશ્યિલ મીડિયામાં ફેલાવી સત્ય સામે મુકી દીધું.  હકીકતમાં, ગયા વર્ષ સુધી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નકલી સમાચારના પ્રોપેગન્ડાને રોકવા અથવા સામે લાવવા માટે કોઈ ન હતું. હવે ઘણા લોકો આ સત્ય સામે લાવવા માટે ભેગા થયા છે જે એક સારી બાબત છે. પહેલા આ પ્રકારના નકલી સમાચારો જ ચાલતા હતા પરંતુ હવે નકલી સમાચારો સાથે વાસ્તવિક સમાચારો પણ આવવા શરૃ થઈ ગયા છે અને લોકો વાંચી પણ રહ્યા છે. ઉદાહરણ માટે ૧૫ ઑગષ્ટના દિવસે જ્યારે લાલ કિલ્લાપરથી વડાપ્રધાન મોદીએ પ્રવચન આપ્યું તો તેનું એક વિશ્લેષણ ૧૭ ઑગષ્ટના રોજ ખૂબ વાયરલ થયું. ધ્રૂવ રાઠીએ તેનું વિશ્લેષણ કર્યું. ધ્રૂવ રાઠી જોવામાં તો કોલેજનો વિદ્યાર્થી જેવો છે પરંતુ તે પાછલા કેટલાટ મહિનાથી મોદીના જૂઠની પોલ સોશ્યિલ મીડિયામાં ખોલી રહ્યો છે. પહેલા આ વીડિયો આપણા જેવા લોકો જ જોતા હતો, સામાન્ય જન સુધી તે નહોતો પહોંચ્યોે. પરંતુ ૧૭ ઑગષ્ટનો વીડિયો એક દિવસમાં એક લાખથી વધારે લોકો સુધી પહોંચી ગયો. (ગૌરી લંકેશ વારંવાર મોદીને ‘બૂસી બસિયા’ લખતી હતી જેનો અર્થ થાય છે જ્યારે પણ મો ખોલશે જૂઠ જ બોલશે.) ધ્રૂવ રાઠીએ બતાવ્યું કે ‘બૂસી બસિયા’ની સરકારે રાજ્યસભામાં મહિના પહેલા કહ્યું કે ૩૩ લાખ નવા કરદાતા આવ્યા છે. એના પહેલા નાણાં પ્રધાન જેટલીએ ૯૧ લાખ નવા કરદાતાઓના સામેલ થવાની વાત કરી હતી. અંતમાં આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું કે ફકત ૫ લાખ ૪૦ હજાર નવા કરાદાતા જોડાયા છે. તો આમાં કઈ વાત સાચી છે, આ પ્રશ્ન ધ્રૂવ રાઠીએ પોતાના વીડિયોથી ઉઠાવ્યો છે.

આજે પ્રમુખ પ્રસાર માધ્યમો (મેનસ્ટ્રીમ મીડિયા)કેન્દ્ર સરકાર અને ભાજપાના આંકડાઓને જેમ છે તેમ વેદ વાક્યોની જેમ ફેલાવી રહી છે. મેનસ્ટ્રીમ મીડિયા માટે સરકારનું બોલાયેલું વેદ વાક્ય થઈ ગયું છે. તેમાં પણ જે ટીવી ન્યૂઝ ચેનલ છે, તે આ કાર્યમાં દસ પગલાં આગળ છે. ઉદાહરણ માટે, જ્યારે રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા તો તે દિવસે ઘણી સારી અંગ્રેજી ટીવી ચેનલોએ ખબર ચલાવી કે ફકત એક કલાકમાં ટ્વીટર ઉપર રાષ્ટ્રપતિ કોવિંદના ફોલોઅરની સંખ્યામાં ૩૦ લાખ વધારો થયો છે. તે ચીસો પાડતા રહ્યા કે ૩૦ લાખ વધી ગયા, ૩૦ લાખ વધી ગયા. તેનો ઉદ્દેશ્ય આ બતાવવાનો હતો કે કેટલા લોકો કોવિંદને સમર્થન કરે છે. ઘણી ટીવી ચેનલ આજે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની ટીમની જેમ કાર્ય કરી રહી છે. જ્યારે સત્ય આ છે કે તે દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો સરકારી એકાઉંટ નવા રાષ્ટ્રપતિના નામે થઈ ગયો હતો. જ્યારે આ બદલાવ થયો ત્યારે રાષ્ટ્રપતિ ભવનના ફોલોઅર હવે કોવિંદના ફોલોઅર થઈ ગયા. આમાં એક વાત એ પણ વિચારવા જેવી છે કે પ્રણવ મુખર્જીને પણ ત્રીસ લાખથી વધારે લોકો ટ્વીટર ઉપર ફોલો કરતા હતા.

આજે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના આ રીતના નકલી સમાચારો ફેલાવવાનું ષડયંત્ર બેનકાબ કરવા માટે ઘણા ખરા લોકો સામે આવી ચુક્યા છે. ધ્રૂવ રાઠી વીડિયોના માધ્યમથી આ કાર્ય કરી રહ્યો છે. પ્રતિક સિન્હા altnews.in નામની વેબસાઈટથી આ કાર્ય કરી રહ્યા છે. હોક્સ સ્લેયર, બૂમ અને ફૈક્ટ ચેક નામથી વેબસાઈટ પણ આ કાર્યો કરી રહી છે. સાથે જ
thewire.in, scroll.in, newslaundry.com, thequint.com જેવી વેબસાઈટ પણ સક્રીય છે. મેં જે લોકોના નામ બતાવ્યા છે, તે બધાએ હાલમાં ઘણા નકલી સમાચારોનો પર્દાફાશ કર્યો છે. એમના કામથી સંઘના લોકો ઘણા હેરાન-પરેશાન થઈ ગયા છે. આમાં વધુ મહત્ત્વની વાત આ છે કે આ લોકો પૈસા માટે કાર્યો નથી કરી રહ્યા બલ્કે તેમનો એક જ ઉદ્દેશ્ય છે કે ફાસીવાદી લોકોના જૂઠની ફેક્ટ્રીને લોકો સમક્ષ લાવવી.

અમુક સપ્તાહ પહેલા બેંગ્લુરૃમાં ઘોઘમાર વરસાદ થયો. ત્યારે સંઘના લોકોએ એક તસ્વીર વાયરલ કરી. કેપ્શનમાં લખ્યું હતું કે નાસાએ મંગલ ગ્રહ પર લોકોના હલન-ચલનની તસ્વીર જારી કરી છે. બેંગ્લુરૃ નગરપાલિકા, બીબીએમસીએ જણાવ્યું કે આ મંગળગ્રહની તસ્વીર નથી. સંઘનો ઉદ્દેશ્ય હતો, મંગળગ્રહની તસ્વીર બતાવી બેંગ્લુરૃની મજાક ઉડાડવી. જેનાથી લોકો એ સમજે કે બેંગ્લુરૃમાં સિદ્ધારમૈયાની સરકારએ કોઈ કાર્ય કર્યું નથી, અહીં રસ્તાઓ ખરાબ છે, આ રીતના પ્રોપેગન્ડા કરીને જૂઠી ખબરો ફેલાવવાનો સંઘનો ઉદ્દેશ્ય હતો. પરંતુ એ તેમને ભારે પડી ગયો કારણકે આ તસ્વીર બેંગ્લુરૃની ન્હોતી, મહારાષ્ટ્રની હતી, જ્યાં ભાજપની સરકાર છે.

હાલમાં જ પશ્ચિમ બંગાળમાં જ્યારે હિંસા થઈ તો સંઘના લોકોએ બે પોસ્ટરો પ્રસારિત કર્યા. એક પોસ્ટરનું મથાળું હતું, બંગાળ સળગી રહ્યું છે અને તેમાં જાહેર મિલ્કતના સળગાવવાની તસ્વીર હતી. બીજી તસ્વીરમાં એક મહિલાની સાડી ખેંચવામાં આવી રહી છે અને કેપ્શન છે બંગાળમાં હિન્દુ મહિલાઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે. તુરંત જ આ તસ્વીરોનું સત્ય સામે આવી ગયું. પ્રથમ તસ્વીર ૨૦૦૨ના ગુજરાત રમખાણોની યાદ હતી જ્યારે મુખ્યમંત્રી મોદી સરકારમાં હતા. બીજી તસ્વીરમાં ભોજપુરી સિનેમાનો એક સીન હતો. ફકત સંઘ જ નહીં ભાજપના કેન્દ્રીય મંત્રી પણ એવા નકલી સમાચારોને ફેલાવવામાં માસ્ટર છે. ઉદાહરણ માટે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તસ્વીર શેયર કરી કે જેમાં અમુક લોકો તિરંગાને સળગાવી રહ્યા છે. તસ્વીરના કેપ્શન ઉપર લખ્યું હતું ગણતંત્રના દિવસે હૈદરાબાદમાં તિરંગાને આગ લગાવવામાં આવી રહી છે. હવે ગૂગલ ઇમેજ સર્ચ માટે નવી એપ્લીકેશન આવી છે, જેમાં તમે કોઈ પણ તસ્વીરને નાંખી જાણી શકો છો કે આ તસ્વીર કયારની અને ક્યાંની છે. પ્રતીક સિન્હાએ આ જ કર્યું અને તે એપ્લિકેશનના માધ્યમથી ગડકરીએ શેયર કરાયેલ તસ્વીરની હકીકત ખુલ્લી પાડી દીધી. જેનાથી ખબર પડી કે આ તસ્વીર હૈદરાબાદની નથી. પાકિસ્તાનની છે જ્યાં એક કટ્ટરવાદી સંગઠન ભારતના વિરુદ્ધમાં તિરંગાને સળગાવી રહ્યા છે.

આ જ રીતે એક ટીવી ચેનલના ચર્ચામાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે સરહદ ઉપર સેનાને તિરંગો લહેરાવવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પછી જે.એન.યુ. જેવી યુનિવર્સિટીઓમાં તિરંગા લહેરાવવામાં શું સમસ્યા છે. આ પ્રશ્ન પૂછી સંબિતે એક તસ્વીર દેખાડી. પછી ખબર પડી કે આ એક પ્રસિદ્ધ તસવીર છે પરંતુ આમાં ભારતીય નહીં પણ અમેરીકી સેનિક છે. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન અમેરિકી સૈનાએ જ્યારે જાપાનના એક ટાપુ પર કબ્જો જમાવ્યો ત્યારે તેઓએ પોતાનો ધ્વજ લહરાવ્યો હતો. પરંતુ ફોટોશૉપના માધ્યમથી સંબિત પાત્રા લોકોને છેતરી રહ્યા છે અને આ તેમને ઘણું ભારે પડયું. ટ્વીટર પર સંબિત પાત્રાની લોકોએ ઘણી મજાક ઉડાવી.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે હાલમાં જ એક તસ્વીર શેયર કરી. લખ્યું હતું કે ભારતના ૫૦,૦૦૦ કિ.મિ. રસ્તાઓ ઉપર સરકારે ત્રીસ લાખ એલ.ઈ.ડી. બલ્બ લગાવી દીધા છે. પરંતુ જે તસ્વીર મંત્રીએ બતાવી તે નકલી હતી. ભારતની નથી બલ્કે ૨૦૦૯માં જાપાનની તસ્વીર હતી. આ જ ગોયલે પહેલા પણ એક ટ્વીટ કર્યું હતું કે કોલસાના પુરવઠામાં સરકારે ૨૫,૯૦૦ કરોડની બચત કરી છે. તે ટ્વીટની તસ્વીર પણ જૂઠી નીકળી.

છત્તીસગઢના પી ડબ્લ્યૂ ડી મંત્રી રાજેશ મૂણતે એક પુલની તસ્વીર શેયર કરી અને પોતાની સરકારની સફળતા બતાવી. તે ટ્વીટને ૨૦૦૦ લાઈક મળી. પછી ખબર પડી કે તે તસ્વીર છત્તીસગઢની નહીં બલ્કે વિયતનામની હતી.

એક નકલી સમાચાર ફેલાવવામાં આપણા કર્ણાટકના આર.એસ.એસ. અને ભાજપના લીડર પણ કંઈ ઓછા નથી. કર્નાટકના સાંસદ પ્રતાપ સિંહાએ એક રીપોર્ટ શેયર કર્યો, કહ્યું કે આ ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં આવ્યું છે. તેનું શિર્ષક એ હતું કે હિન્દુ યુવતીને મુસ્લિમે છરી મારી હત્યા કરી દીધી. સમગ્ર દુનિયાને નૈતિકતાનું જ્ઞાન આપવાવાળા પ્રતાપ સિંહાએ હકીકત જાણવાની જરા પણ કોશિશ નથી કરી. કોઈ પણ સમાચાર પત્રએ આ ન્યૂઝને પ્રસિદ્ધ નથી કર્યા બલ્કે ફોટોશોપના માધ્યમથી બીજા ન્યૂઝની હેડલાઈન લગાવી દેવામાં આવી અને હિન્દુ મુસ્લિમ રંગ આપવામાં આવ્યો. આના માટે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે ધમાલ ચાલી કે આ તો નકલી સમાચાર છે તો સાંસદે ડિલિટ કરી પરંતુ માફી નથી માંગી. કોમી જૂઠ ફેલાવવા ઉપર કોઈ ખેદ વ્યક્ત નથી કર્યો.

જેમ કે મારા મિત્ર વાસુએ આ ખબરના કૉલમમાં લખ્યું છે, મેં પણ વિચાર કર્યા વિના એક નકલી સમાચારને શેયર કરી દીધા. ગયા રવિવારે પટનાની રેલીની તસ્વીર લાલૂ યાદવે ફોટોશોપ કરીને શેયર કરી. ટુંક સમયમાં મિત્ર શશિધરે બતાવ્યું કે આ તસ્વીર બોગસ છે. નકલી છે. મે તરત હટાવી અને ભૂલ પણ સ્વીકારી. એટલું જ નહીં નકલી અને અસલી તસવીર બંનેને એક સાથે ટ્વીટ કરી. આ ભુલની પાછળ કોમી સ્વરૃપથી ઉશ્કેરવા અથવા પ્રોપેગન્ડા કરવાનો ઉદ્દેશ્ય ન હતો. ફાસીવાદીઓ વિરુદ્ધ લોકો એકઠા થયા છે એ સંદેશ આપવો મારો ઉદ્દેશ્ય હતો. છેલ્લે, જે પણ નકલી સમાચારોને ષડયંત્રનો પર્દાફાશ અને એક્સપોઝ કરે છે, તે બધાને સલામ. મારી ઇચ્છા છે કે તેઓની સંખ્યામાં ઘણો વધારો થાય./

(સાભાર : naisadak.org – ગુજરાતી અનુવાદ રાશિદ હુસૈન)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments