Saturday, July 27, 2024
Homeબાળજગતભલાઈના કામમાં અગ્રતા

ભલાઈના કામમાં અગ્રતા

હઝરત અબૂબક્રસિદ્દીક રદિયલ્લાહુ અન્હુના ખિલાફતકાળનો પ્રસંગ છે.મદીના પાસે એક અંધ વૃધ્ધાની ઝંૂપડી હતી. તે બીચારી બહુ જ વૃદ્ધ અને લાચાર હતી. તે ગરીબના ઘરમાં કોઈ ન  હતું જે આ લાચારીમાં તેના વૃદ્ધતાનો સહારો બનતું. ઓલાદથી પણ વંચિત હતી. અચાનક હઝરત ઉમર રદિયલ્લાહુ અન્હુને એ વૃદ્ધાની લાચારી અને નિરાધરતાની જાણ થઈ.તેઓ તો આવી તકોની તલાશમાં રહેતા જ હતા.સાંભળ્યું તોબહુ ખુશ  થયા કે ચાલો મોહતાજોની સેવા કરીને પુણ્ય કમાવાની શ્રેષ્ટ તક સાંપડી છે. આથી તેમણે એવો નિયમ બનાવી લીધો કે દરરોજ વહેલી સવારે એ વૃદ્ધાના ઘેર જતા, એના ઘરમાં ઝાડૂથી સફાઇ કરતા,પાણી ભરતા,કોઇ વસ્તુ ઓછી દેખાતી તો બજારમાંથી લાવીને મૂકી દેતા.

આમ દરેક પ્રકારે એની સેવા કરતા અને એને આરામ આપવાની ચિંતા કરતા. વૃદ્ધા બીચારી અંધ, એને ખબર પણ  ન હતી કે એનું બધંુ જ કામ કોણ કરે છે. હઝરત ઉમર રદિયલ્લાહુ અન્હુ આ નિઃસ્વાર્થ સેવા પોતાની આખિરત બનાવવા અને અલ્લાહની પ્રસન્નતા મેળવવા માટે કરતા હતા.કોઈ અન્યને ખુશ કરવા માટે કે લોકો પાસેથી વખાણ સાંભળવા માટે કરતા ન હતા. આથી એટલી વહેલી સવારે જતા કે કોઈને જરાયે ખબર ન થતી.

ઘણાં લાંબા સમય સુધી આ જ ક્રમ રહ્યો. અમુક દિવસો પછી તેમને એવું લાગ્યું કે કોઈ શખ્સ એમનાથી વહેલો આવીને કામ કરી જાય છે. હવે તેમને એ ચિંતા થઈ કે આખરે એ બુઝુર્ગ છે કોણ, જેઓ મારાથી પણ પહેલા પહોંચી જાય છે.

વૃદ્ધા મજબૂર અંધ અને એને શી ખબર કે કોણ આવે છે, એને તો કામથી મતલબ, અને આમેય એ ભાઇ સવાર પહેલાં રાત્રે જ એના ઘેર જતા જ્યારેે તે ઊંઘમાં જ રહેતી અને જાગી પણ જતી તો અંધ હોવાથી કઇ રીતે ઓળખી શકતી. આથી ઉમર રદિયલ્લાહુ અન્હુએ પોતે એક દિવસે તે વ્યક્તિને પકડી પાડવાનો નિર્ધાર કર્યો.

તેઓ રાત્રે જ દરવાજા પાછળ સંતાઇને ઊભા થઈ ગયા કે જોઈએ તો ખરા એ કોણ છે જે મારી પહેલાં વૃદ્ધાનું સઘળુ કામ કરી જાય છે. હજુ સવાર થવામાં ઘણો સમય બાકી હતો કે રાબેતા મુજબ એ બુઝુર્ગ સમયસર ધીમે ધીમે આવ્યા. અને ઘરનું બધું કામ ચુપચાપ કરવા લાગ્યા. હઝરત ઉમર રદિ.એ ઓળખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અંધારાને લીધે ઓળખી ન શક્યા. જ્યારે તેઓ કામ કરીને પાછા ફર્યા અને દરવાજા પાસે પહોંચ્યા તો તેમને ઓળખીને તેઓ સ્તબ્ધ થઇ ગયા. આ તો વર્તમાન ખલીફા અમીરૃલ મોમિનીન હઝરત અબૂબક્ર સિદ્દીક રદિયાલ્લાહુ અન્હુ છે.

આ જ પ્રકારનો એક બીજો બનાવ છે. તબૂકના યુદ્ધ વખતે જ્યારે મુસલમાનો પારાવાર મુશ્કેલીઓ અને ગરીબાઇના કાળમાંથી પસાર થઈ રહ્યા હતા અને દુનિયાની મહાશક્તિ સાથે એમને મુકાબલો હતો. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આર્થિક મદદની અપીલ કરી. સંજોગોવશ હઝરત ઉમર ફારૃક રદિયલ્લાહુ અન્હુ પાસે ત્યારે પ્રમાણમાં વધારે સંપત્તિ હતી તેમણે વિચાર્યું આ ભલાઈના કાર્યમાં તો હઝરત સિદ્દીક રદિયલ્લાહુ કરતાં હુ આગળ વધી જઈશ. આથી રાજી રાજી થઈને ગયા અને કુલ માલમતામાંથી અડધી લઈને હુઝૂર સ.અ.વ.ને અર્પણ કરી દીધી.

સરવરે આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પૂછ્યું, “ઉમર ! ઘરવાળાઓનો પણ હક તો છે ? પરિવાર માટે પણ કંઇક રાખ્યું અથવા બધુ જ અહીં લઈ આવ્યા.”

“હુઝૂર સ.અ.વ.! અડધી પરિવાર માટે છોડીને આવ્યો છું. બાકી અડધી દીનની સેવા માટે હાજર છે.” હઝરત ફારૃક રદિ.એ જવાબ આપ્યો.

એટલામાં અબૂબક્ર સિદ્દીક રદિયલ્લાહુ અન્હુ ઘરની બધી જ માલમતા સમેટીને આવ્યા અને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ચરણોમાં ધરી દીધી.

હુઝૂર સ.અ.વ.એ પૂછ્યું, “અબુબક્ર ! પરિવારની પણ કંઇ ચિંતા છે ?એમના માટે શું રાખ્યું?”  કહ્યું ઃ એમના માટે તો બસ અલ્લાહ અને એના રસૂલનો પ્રેમ પૂરતો છે.”

હઝરત ઉમર ફારૃક રદિ.મોજૂદ હતા.કાબૂ ન રાખી શક્યા કહ્યું. “હું ક્યારેય પણ હઝરત સિદ્દીક રદિ.પર અગ્રતા મેળવી શકતો નથી.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments