Thursday, April 18, 2024
Homeઓપન સ્પેસકાઈદના રહસ્યોની જાળવણી

કાઈદના રહસ્યોની જાળવણી

મદીના હિજરત કર્યા પછી હઝરત ઉમ્મે સમીલ રદી. પોતાના એક નાની વયના બાળકને લઈને પયગમ્બર સ.અ.વ.ની સેવામાં ઉપસ્થિત થયા અને આપ સ.અ.વ.થી અરજ કરી ઃ હે અલ્લાહના રસૂલ સ.અ.વ.! મારી પાસે મારા અને આ દિકરા સિવાય આપને ભેટમાં આપવા માટે કંઈ પણ નથી. આપ સ.અ.વ. તેને લઈ લો અને તેનાથી જે ઇચ્છો તે કામ લો.

આ રીતે પ્રસિદ્ધ સહાબા હઝરત અનસ બિન માલીક રદી. જેઓ માત્ર દસ વર્ષના હતા, નબી સ.અ.વ.ના ઘરનો એક હિસ્સો બની ગયા. તેમને જોઈને અલ્લાહના રસૂલ સ.અ.વ. અત્યંત ખુશ થઈ ગયા. અને તેમને પોતાના પરિવારમાં શામેલ કરી લીધા. હઝરત અનસ રદી.એ જીવન પર્યંત નબી સ.અ.વ.ની છત્રછાયા અને આપની નિગરાનીમાં રહીને જીવન વ્યતીત કર્યું. ક્યારેય આપ સ.અ.વ.થી વિખૂટા ન પડયા. આપ સ.અ.વ.ની વફાત સુધી આપની સોહબત અને સંગાથમાં રહ્યા.

હઝરત સાબિત રદી. વર્ણન કરે છે કે, મારી સામે હઝરત અનસ રદી.એ કહ્યું કે, હું બીજા બાળકો સાથે રમી રહ્યો હતો કે અલ્લાહના રસૂલ સ.અ.વ. મારી પાસે પધાર્યા. આપે તમામ બાળકોને સલામ કર્યો અને પછી મને એક કામ માટે મોકલી દીધો. જેના કારણે મને ઘર પહોંચતા વાર લાગી. મારી માંએ આ વિલંબનું કારણ પુછ્યું તો મેં કહ્યું કે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ એક જરૂરતના કામે મને મોકલી દીધો હતો. મારી માંએ પુછ્યુંઃ “કઈ જરૂરતથી? મેં જવાબ આપ્યો ઃ આ ખાનગી વાત છે. મારી માએ મને શિખામણ આપી કે અલ્લાહના રસૂલનું રહસ્ય કે ખાનગી વાત કોઈને પણ બનાવવી નહીં – “ખુદાની કસમ જો હું આ રહસ્ય કોઈને કહેતો તો – સાબિત હું તને તો કહી દેતો.”

સહાબા કિરામની ઉંમર નાની હોય કે મોટી, નબીએ અકરમ સ.અ.વ. તેમની તરબીયત કેવા અંદાજમાં કરતા હતા, આ પ્રસંગ તેની સાબિતી છે. હઝરત અનસ રદી. નાની ઉંમરના છે. આપ સ.અ.વ.ના સેવક છે. આપ સ.અ.વ. તેમને એક મહત્ત્વનું કામ સોંપે છે. જ્યારે તેમણે તે કામ પુરૃં કરી લીધું અને તેના વિષે તેમની માં એ પૂછ્યું  તો તેમણે પોતાની મા હોવા છતાં તેમના સામે રસુલ સ.અ.વ.ની ખાનગી રહસ્યની વાત ઉઘાડી પાડવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. અને તેમની માં એ પણ પોતાના દીકરાને ધમકાવ્યો નહીં, બલ્કે શિખામણ આપી કે, બેટા! અલ્લાહના રસૂલ સ.અ.વ.ની ખાનગી વાત કોઈને કહેવી નહીં.

જ્યારે હઝરત ઉમર રદી.ના દીકરી હઝરત હફસા રદી. વિધવા થઈ ગયા તો તેમણે હઝરત અબુબક્ર રદી.થી વિનંતી કરી કે આપ મારી દીકરીથી નિકાહ કરી લો. હઝરત અબુબક્ર રદી. હઝરત ઉમર રદી.ની આ દરખાસ્ત સાંભળીને ચૂપ રહ્યા, કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ પછી અલ્લાહના રસૂલ સ.અ.વ.એ હઝરત હફસા રદી.થી શાદી કરી લીધી તો હઝરત અબુબક્ર રદી.એ ત્યારે હઝરત ઉમર રદી.થી પૂછ્યું, “તમારી દીકરી હફસાથી શાદીના સંબંધે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ મારાથી ઉલ્લેખ કર્યો હતો પરંતુ હું આપની ખાનગી વાત જાહેર કરવા માંગતો ન હતો. જો આ વાત ન હોત તો હું આપની દીકરી સાથે જરૃર શાદી કરી લેતો.”

અને આ હઝરત અબુબક્ર રદી. જેવા ઇસ્લામના પ્રતિભા સંપન્ન લોકોની જ હાલત ન હતી જેઓ ખાનગી ચર્ચાની વાતોની સુરક્ષા કરતા હતા બલ્કે અનસ રદી. જેવા નાના બાળકો પણ એ જ રીતે આ રહસ્યો જાણવતા હતા કે તેમની માં પણ શાબાસી આપ્યા વિના રહી ન શક્યા. અલ્લાહના રસૂલ સ.અ.વ.ની સાનિધ્યમાં જે સામાજિક વ્યવસ્થા આકાર લઈ રહી હતી તેમાં આ પ્રકારની તમામ આચારસંહિતાનું કડકપણે પાલન થતુ હતું. જેનો નબવી સિદ્ધાંત એ હતો કે, “મુસલમાન સારી રીતે ભલી વાત જીભથી કાઢે નહીંતર ચૂપ રહે.” હઝરત અનસ રદી. કહે છે કે હું અલ્લાહના રસૂલ સ.અ.વ.ની સેવામાં દસ વર્ષ રહ્યો પરંતુ આ દરમ્યાન આપ સ.અ.વ. ક્યારેય મારો કોઈ કામ ઉપર એમ ન કહ્યું કે તમે આમ કેમ કર્યું અથવા આ બતાવેલું કામ કેમન કર્યું?

આ અંદાજ હતો આપણા પ્રથમ પ્રશિક્ષક સ.અ.વ.નો પોતાનો સાથીઓની તરબીયત કરવાનો. અને દરેક મુરબ્બી એ આ જ પદ્ધતી અપનાવવી જોઈએ. તેમનું હૃદય પોતાના પ્રત્યેક સાથીના પ્રેમમાં રસ તરબોળ અને છલોછલ હોય. જેના કારણે પરસ્પરના સંબંધો ગાઢ ને વધુ ગાઢ બનતા જાય. પોતાના પરિવારથી ભાઈઓથી, સાથીઓથી, પાડોસીઓથી, સંતાનોથી, સેવકોથી બધાથી તેમના સંબંધો મજબૂત અને ગાઢ બનતા જાય છે. ત્યાં સુધી કે દરેક વ્યક્તિ પોતાના મુરબ્બી કાઈદ અને વડીલથી એટલો પ્રેમ કરવા લાગે છે કે તેમની જરૂરતો પુરી કરવા એક બીજાથી હોડ લગાવી દે છે તે કોઈ વાતે સૂચન કરે તો તેને આજ્ઞા સમજી લેવામાં આવે છે.

આ હોય છે કાઈદનું સ્થાન અને આવા હોય છે તેમના ગુણો અને અખ્લાક… ઇસ્લામના આમંત્રકોએ આનાથી સબક પ્રાપ્ત કરવો જોઈએ./

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments