Friday, April 19, 2024
Homeઓપન સ્પેસદહેજ નહીં... વારસો

દહેજ નહીં… વારસો

એક વ્યકતિ નમાઝ નથી પઢતો..આપણે તેને બે-દીન સમજીએ છીએ..એક વ્યક્તિ તંદુરસ્ત હોવા છતાં રોઝા નથી રાખતો..આપણે તેને પસંદ નથી કરતા.. એક વ્યક્તિ માલદાર હોવા છતાં ઝકાત નથી આપતો..આપણે તેને અલ્લાહનો નાફરમાન કહીએ છીએ.. એક વ્યક્તિ હૈસિયત હોવા છતાં હજ પઢવા જતો નથી..આપણે તેને સાચો મુસલમાન સમજતા નથી.. પરંતુ એક વ્યક્તિ પોતાના બાપના ઈન્તકાલ પછી તેની સંપત્તિ અને વારસા પર કબજો જમાવી દે છે અને પોતાની બહેનોને બાપના વારસામાંથી કંઈપણ આપતો નથી.. તેમછતાં આપણે તેને સાચો અને પાકો મુસલમાન સમજીએ છીએ..

વારસાની વહેચણી મુસલમાનો પર એવી જ રીતે ફરજ છે જેવી રીતે નમાઝ,રોઝા, ઝકાત અને હજ..આ ચાર ઈબાદતોના માત્ર સૈદ્ધાંતિક આદેશો કુઑનમજીદમા બ્યાન કરવામાં આવ્યા છે,તેની નાની-મોટી વિગતો અલ્લાહના રસૂલ સ.અ.વ.દ્વારા આપવામાં આવી છે અને હદીષોમાં લખેલી છે..પરંતુ વારસાની વહેચણી એવી ફરજ છે જેની મોટાભાગની વિગતો અલ્લાહ તઆલાએ પોતે કુઑનમજીદમા બ્યાન કરી દીધી છે.

અલ્લાહ તઆલાએ ફરમાવ્યું છે કે,”વારસાનો માલ ભલે ગમે તેટલો વધારે હોય કે ઓછો હોય ,પરંતુ તેની કોઈપણ સંજોગોમાં વહેચણી થવી જોઈએ અને તેમાં જે રીતે પુરુષો નો હિસ્સો હોય છે એ જ રીતે સ્ત્રીઓનો હિસ્સો પણ હોવો જોઈએ”..(સૂર:નિસા-૭)

વારસાના આદેશોની વિગતો આપતા પહેલાં કુઑને ટીકા કરી છે કે ” જે લોકો અનાથોનો માલ ખાઈ જાય છે, હકીકતમાં તેઓ પોતાના પેટ આગથી ભરે છે..આવા લોકોને જરૂર જહન્નમની ભડકે બળતી આગમાં નાખી દેવામાં આવશે”(નિસા:૧૦)

અને વારસાના આદેશો બ્યાન કર્યા પછી કુઑન કહે છે કે,” આ અલ્લાહની નિર્ધારિત કરેલ સીમાઓ છે.જે અલ્લાહ અને તેના રસૂલની ફરમાંબરદારી કરશે તેને અલ્લાહ એવા બાગોમાં દાખલ કરશે જેના નીચે નહેરો વહેતી હશે અને તે બાગોમાં તે હંમેશા રહેશે અને આ જ મોટી સફળતા છે…અને જે અલ્લાહ અને તેના રસૂલની નાફરમાની કરશે અને તેણે ઠરાવેલી સીમાઓનું ઉલ્લંઘન કરશે તેને અલ્લાહ આગમાં નાખશે જેમાં તે હંમેશા રહેશે અને તેના માટે અપમાનજનક સજા છે”(નિસા:૧૩/૧૪)…

અમુક લોકો કહે છે કે ભારતમાં દીકરીઓને વારસામાં જે કંઇ મળવાનું હોય છે તે તેમને અગાઉથી જ દહેજના સ્વરૂપમાં આપી દેવામાં આવે છે..

આ વાત જરા પણ યોગ્ય નથી..

દહેજ એક તદ્દન ગેરઈસ્લામી રીવાજ છે..તેનું લેનદેન પસંદીદા નથી.. તેને ઉત્તેજન આપનાર એક અનઐચ્છિક અને અસ્વીકાર્ય કાયૅને રીવાજ બનાવવાનો કસૂરવાર છે..જ્યારે કે વારસાની વહેચણીનો કુઑનમજીદમાં સ્પષ્ટ શબ્દોમાં તાકીદ સાથે હુકમ કરવામાં આવ્યો છે..તેને ફરજિયાત ઠેરવવામાં આવ્યો છે અને તેને અલ્લાહ ની નિર્ધારિત કરેલ હદ બતાવવામાં આવી છે..એટલા માટે જે લોકો વારસાના માલ પર પોતે કબજો જમાવી દે છે અને બીજાઓને ખાસ કરીને પોતાની જ બહેનોને અને અન્ય રીશ્તેદાર ઔરતોને મહેરુમ કરી દે છે,તેઓ ખૂબ મોટા ગુનેગાર છે.. તેઓ ભલેને ગમે તેટલા પાકા નમાઝી અને હાજી કેમ ન હોય..ભલે ગમે તેટલી પાબંદીથી રોઝા કેમ ન રાખતા હોય અને ઝકાત આપનારા કેમ ન હોય..પરંતુ તેઓ અલ્લાહની નજરમાં સખત ધૃણાપાત્ર છે..

દહેજ આપનારા અને વારસામાંથી હકદારોને મહેરુમ કરી દેનારા બમણો ગુનો કરનારા લોકો છે..એક અનઐચ્છિક કાયૅને રીવાજ આપવાનો ગુનો અને બીજો તાકીદના ફરજ અને આદેશનું પાલન ન કરવાનો ગુનો..

એટલા માટે મુસ્લિમ સમાજની સલામતી અને સુખ આમાં છે કે દહેજના દૂષણને નાબુદ કરવામાં આવે અને લોકોને વારસાની વહેચણી માટે ખુશદીલી સાથે તૈયાર કરવામાં આવે…અલ્લાહ તઆલા આપણને આ ખૂબ જ મહત્વના કુઑની આદેશ પર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે.. આમીન


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments