દિલ્હીમાં ભારતીય મુસ્લિમ ઇતિહાસ પર આયોજિત કોન્ફરન્સમાં શશિ થરુર, સૈયદ સઆદતુલ્લાહ હુસૈની, મનોજ ઝા અને અન્ય નિષ્ણાતોએ મંતવ્યો વ્યક્ત કર્યા
નવી દિલ્હી: ‘ઈન્ડિયા હિસ્ટ્રી ફોરમ’ હેઠળ ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે બે દિવસીય ભવ્ય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સ “ભારતના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિના ઉત્ક્રાંતિમાં મુસ્લિમોની ભૂમિકા” ના મુખ્ય વિષય હેઠળ આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે લોકસભા સાંસદ શશિ થરુર, જમાઅતે ઈસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈની, કોંગ્રેસ નેતા ગુરદીપ સિંહ સપ્પલ, પૂર્વ રાજ્યસભા સાંસદ મોહમ્મદ અદીબ, રાજ્યસભા સાંસદ મનોજ કુમાર ઝા, લેખક અશોક કુમાર પાંડે, ઈન્ડિયા હિસ્ટ્રી ફોરમના કન્વીનર ડૉ. શાદાબ મૂસા સહિતના અનેક મહાનુભાવોએ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે શશિ થરુર જણાવ્યું હતું કે, “આપણા ઇતિહાસમાં ઘણું બધું સમાયેલું છે. ઘણી ખોટી અને કાલ્પનિક વાર્તાઓને ઇતિહાસનો હિસ્સો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં ઇતિહાસના સાચા પરિપ્રેક્ષ્યને સમજવો, સત્ય સુધી પહોંચવું અને તેને સમાજ સુધી પહોંચાડવું અત્યંત આવશ્યક છે.”
જમાઅતે ઈસ્લામી હિંદના અમીર સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ કહ્યું કે, “ઇતિહાસ કોઈપણ રાષ્ટ્ર અને દેશ માટે ખૂબ મહત્વ ધરાવે છે. ઇતિહાસ માત્ર માહિતી નથી, પરંતુ તેના પાયા પર ભવિષ્યનું નિર્માણ થાય છે. આપણો દેશ ભારત, ઇતિહાસના એ મહત્વના ભાગને ભૂલી ન જાય જે ઇસ્લામ અને મુસ્લિમોની મહાન ઐતિહાસિક સેવાઓ સાથે જોડાયેલો છે, તે માટે આવી કોન્ફરન્સ મહત્વની છે. આજે ઇતિહાસને હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યો છે, ત્યારે મુસ્લિમો અને ન્યાયપ્રિય લોકોએ આગળ આવીને સાચો ઇતિહાસ દુનિયા સમક્ષ રજૂ કરવો જોઈએ.”

સાંસદ મનોજ કુમાર ઝાએ જણાવ્યું કે, “આજે ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે દેશની લોકશાહી માટે ખતરનાક છે. આપણો ઇતિહાસ આપણી સંપત્તિ છે અને તેની રક્ષા કરવી એ આપણા સૌની જવાબદારી છે.” ગુરદીપ સિંહ સપ્પલે ઉમેર્યું કે, ઇતિહાસ બદલવાની કોશિશ દેશમાં ખેદજનક સ્તરે પહોંચી ગઈ છે. મોહમ્મદ અદીબે ચેતવણી આપતા કહ્યું કે, “જ્યારે કોઈ સંસ્કૃતિને ખતમ કરવી હોય ત્યારે તેનો ઇતિહાસ બદલી નાખવામાં આવે છે, જે આપણી ઓળખ માટે મોટું જોખમ છે.”
કોન્ફરન્સમાં વિવિધ ઇતિહાસકારો અને નિષ્ણાતો દ્વારા અર્થતંત્ર, વેપાર, સમાજશાસ્ત્ર અને રાજકારણ જેવા ક્ષેત્રોમાં મુસ્લિમોના યોગદાન પર સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ મહિલાઓની ઐતિહાસિક ભૂમિકા પર એક વિશેષ સત્ર પણ યોજાયું હતું.
આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉલેમાઓ, બૌદ્ધિકો, રિસર્ચ સ્કોલર્સ, ધાર્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ સંકલ્પ કર્યો હતો કે તેઓ દેશમાં ઇતિહાસના સાચા વર્ણન દ્વારા રાષ્ટ્રના ભવિષ્યના નિર્માણમાં પોતાની ક્ષમતા મુજબ ભૂમિકા ભજવશે.

દ્વારા જારી: ઈન્ડિયા હિસ્ટ્રી ફોરમ, નવી દિલ્હી
