Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપગાયની મોસમી પવિત્રતા: આસ્થા, રાજકારણ અને આક્રોશનું ઉત્પાદન

ગાયની મોસમી પવિત્રતા: આસ્થા, રાજકારણ અને આક્રોશનું ઉત્પાદન

ઈદુલ-અઝહા (બકરીદ) ના થોડા અઠવાડિયા પહેલાં, ભારતમાં ફરી એકવાર એ જ જાણીતો તમાશો જોવા મળ્યો. ટેલિવિઝન સ્ટુડિયોમાં ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ ગઈ, સોશિયલ મીડિયા ઉશ્કેરણીજનક વીડિયો અને સંદેશાઓથી ઉભરાવા લાગ્યું, રાજકીય નેતાઓએ ચેતવણીઓ આપી અને પોતાને ‘ગૌરક્ષક’ કહેવડાવતા જૂથો અચાનક વધુ સક્રિય થઈ ગયા. કેટલીક જગ્યાએ તો આનાથી પણ વધુ ચિંતાજનક પ્રવાહ જોવા મળ્યો. અહેવાલો અનુસાર, મુંબઈના મીરા રોડ પર કેટલાક તોફાની તત્વોએ ઈદની કુરબાનીના વિરોધમાં એક મુસ્લિમ સોસાયટીમાં ડુક્કર લાવવાનો પ્રયાસ કર્યો. દિલ્હીના ત્રિનગરમાં પણ કોમી ઉશ્કેરણીના એક નવા સ્વરૂપ તરીકે ડુક્કર અને ‘વરાહ’ના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા.

આ ઘટનાઓ એક ચિંતાજનક નવી વાસ્તવિકતા દર્શાવે છે. ગાયની આસપાસ ચાલતું રાજકારણ હવે માત્ર પ્રાણી કલ્યાણ, કતલખાનાના કાયદા કે ધાર્મિક લાગણીઓ પૂરતું મર્યાદિત નથી રહ્યું. ક્રમશઃ, તે પ્રતીકાત્મક ટકરાવની એક વ્યાપક સંસ્કૃતિનો હિસ્સો બની ગયું છે, જ્યાં ધાર્મિક ઓળખનું જાહેરમાં પ્રદર્શન કરવામાં આવે છે, તેને વધારી-ચઢાવીને રજૂ કરાય છે અને એક હથિયાર તરીકે વાપરવામાં આવે છે.

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટનાઓના માંડ થોડા અઠવાડિયા પહેલાં જ દેશમાં રખડતાં ઢોરની દુર્દશા, ગૌશાળાઓની ખરાબ હાલત અને સેંકડો ગાયોના મોતના અહેવાલો આવ્યા હતા, જેના પર દેશનું કોઈ ખાસ ધ્યાન ન ગયું. આ વિરોધાભાસ આશ્ચર્ય પમાડે તેવો છે. જે ગાય આખું વર્ષ જાહેર ચર્ચાઓમાંથી ગાયબ હોય છે, તે અચાનક રાજકારણ અને મીડિયાના કેન્દ્રમાં આવી જાય છે.

આ વારંવાર પુનરાવર્તિત થતી પેટર્ન એક અસ્વસ્થ કરનારો સવાલ ઊભો કરે છે: શું આજનું ગાય આધારિત રાજકારણ ખરેખર એક પ્રાણી પ્રત્યેની આસ્થા વિશે છે, કે પછી આધુનિક ભારતમાં ગાય રાજકીય એકત્રીકરણ (Political Mobilisation) નું એક સૌથી અસરકારક સાધન બની ગઈ છે?

આ સવાલનો હેતુ કોઈની આસ્થાની મજાક ઉડાવવાનો નથી. કરોડો હિંદુઓ ગાય પ્રત્યે સાચી શ્રદ્ધા ધરાવે છે અને તે લાગણી આદરને પાત્ર છે. ખરો મુદ્દો એ છે કે, શું એક ઊંડી ધાર્મિક માન્યતાને ધીમે-ધીમે એક રાજકીય હથિયારમાં ફેરવી દેવામાં આવી છે? એક એવું હથિયાર જેને પોતાની વિચારધારા કે ચૂંટણીના ફાયદા માટે જરૂરિયાત મુજબ અને સમજી-વિચારીને વાપરવામાં આવે છે.

અપરિવર્તનશીલ ભૂતકાળની ભ્રમણા

આજની રાજકીય ચર્ચાઓમાં ગાયની પવિત્રતાને એક એવા અફર સત્ય તરીકે રજૂ કરવામાં આવે છે, જે ભારતીય સભ્યતાની શરૂઆતથી જ વણાયેલું હોય. જોકે, ઇતિહાસ આપણને કંઈક અલગ અને વધુ જટિલ વાર્તા કહે છે.

સૌથી પ્રાચીન વૈદિક ગ્રંથો દર્શાવે છે કે તે સમયના સમાજમાં પશુધન એ સંપત્તિ, પ્રતિષ્ઠા અને આર્થિક શક્તિનું પ્રતીક હતું. ગાયોનું મૂલ્ય ઘણું વધારે હતું, તેમ છતાં ઐતિહાસિક અને ગ્રંથોના પુરાવા સૂચવે છે કે ચોક્કસ સંદર્ભોમાં પશુબલિ અને ગૌમાંસનું સેવન અસ્તિત્વમાં હતું. ડી.એન. ઝા, રોમિલા થાપર અને આર.એસ. શર્મા જેવા અગ્રણી ઇતિહાસકારોએ એ દાવાને પડકાર્યો છે કે ભારતીય ઇતિહાસના તમામ સમયગાળોમાં ગાયને એક સમાન અને સાર્વત્રિક રીતે પવિત્ર દરજ્જો મળ્યો હતો.

આનો અર્થ એ નથી કે ગાય પ્રત્યે આદર નહોતો. આનો અર્થ એ છે કે આ આદર સમય જતાં ધીમે-ધીમે વિકસ્યો છે, તે પ્રાચીનકાળથી જ સીધેસીધો અત્યારના સ્વરૂપમાં નહોતો આવ્યો. સ્થાયી ખેતીનો વિકાસ, ખેતી માટે પશુઓ પર વધતી નિર્ભરતા અને બૌદ્ધ તેમજ જૈન પરંપરાઓના પ્રભાવે પ્રાણીઓની કતલ પ્રત્યેના દ્રષ્ટિકોણને બદલવામાં મોટો ભાગ ભજવ્યો. મધ્યકાળની શરૂઆત સુધીમાં, ધાર્મિક કલ્પનાઓમાં ગાયને એક સર્વોચ્ચ સ્થાન મળી ગયું હતું.

મહત્વની વાત એ છે કે, આજની સાંસ્કૃતિક ચર્ચાઓમાં જેમના નામ વારંવાર લેવામાં આવે છે, તેવા કેટલાક મહાનુભાવોના વિચારો પણ આજના રાજકીય પ્રચાર સાથે મેળ ખાતા નથી. સ્વામી વિવેકાનંદે સ્વીકાર્યું હતું કે પ્રાચીન ભારતમાં ગૌમાંસનું સેવન થતું હતું અને તેમણે ભૂતકાળને અતિ-કાલ્પનિક ચશ્માંથી જોવાની ના પાડી હતી. હિંદુત્વના મુખ્ય વિચારક ગણાતા વી.ડી. સાવરકરે તો ગાયની પૂજાના વિચારને જ નકારી કાઢ્યો હતો. તેઓ ગાયના રક્ષણને ધાર્મિક પવિત્રતાના બદલે આર્થિક ઉપયોગિતાના દ્રષ્ટિકોણથી જોતા હતા. તેમણે લખ્યું હતું: “જ્યારે તમે ગાયની પૂજા કરો છો, ત્યારે તમે મનુષ્યનું ગૌરવ ઘટાડો છો. ઈશ્વર સર્વોચ્ચ છે, પછી મનુષ્ય આવે છે, અને મનુષ્યની નીચે પ્રાણી સૃષ્ટિ છે. ગાય એક પ્રાણી છે.”

તેમણે મરાઠીમાં સ્પષ્ટ લખ્યું હતું: “ગાય એ હિંદુ રાષ્ટ્રનું માત્ર એક દૂધ આપતું પ્રતીક (દુગ્ધબિંદુ) છે, તેને કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રનું ગૌરવ ચિહ્ન (માનબિંદુ) ન ગણવું જોઈએ.”

તેથી, ઇતિહાસનો રેકોર્ડ કોઈ અપરિવર્તનશીલ સત્ય નથી બતાવતો, પરંતુ સામાજિક, આર્થિક અને ધાર્મિક પરિવર્તનની એક લાંબી અને અસમાન પ્રક્રિયા દર્શાવે છે.

ગાયનું રાજકીયકરણ કેવી રીતે થયું?

ગાય પ્રત્યેનો આદર ભલે સદીઓ જૂનો હોય, પરંતુ તેને એક વ્યાપક રાજકીય પ્રતીકમાં બદલવાની પ્રક્રિયા પ્રમાણમાં નવી છે.

આધુનિક ગૌરક્ષણ આંદોલન ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થયું. ઉત્તર ભારતમાં ગૌરક્ષણ માટે સમર્પિત સંગઠનો ઝડપથી વધ્યા અને જાહેર ઝુંબેશો દ્વારા આ મુદ્દાને કોમી ઓળખનો માપદંડ બનાવી દેવાયો. બ્રિટિશ શાસનના દસ્તાવેજો દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ગાયના મુદ્દે કોમી તણાવ વધ્યો હતો, કારણ કે આ વિષય રાજકીય પ્રતિનિધિત્વ, અસ્તિત્વ અને સત્તાના સંઘર્ષ સાથે જોડાઈ ગયો હતો. ગાય હવે માત્ર એક પ્રાણી નહોતી રહી, તે એક રાજકીય પ્રતીક બની ગઈ હતી.

આ તફાવત સમજવો બહુ જરૂરી છે: ગાય પ્રત્યેની શ્રદ્ધા પ્રાચીન હોઈ શકે છે, પરંતુ સંગઠિત ગૌ-રાજકારણ એ સંપૂર્ણપણે આધુનિક છે.

બંધારણનો અલગ દ્રષ્ટિકોણ

ભારતીય બંધારણના ઘડવૈયાઓએ આ મુદ્દાને એક અલગ જ નજરિયાથી જોયો હતો. બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન, કેટલાક સભ્યો ગૌહત્યા પર સંપૂર્ણ બંધારણીય પ્રતિબંધ ઈચ્છતા હતા, જ્યારે અન્યોએ રાજ્યની નીતિઓમાં ધાર્મિક માન્યતાઓનો સમાવેશ કરવાનો વિરોધ કર્યો હતો. અંતે, કલમ ૪૮ (Article 48) ના રૂપમાં એક સમજૂતી સધાઈ.

આ કલમ રાજ્યને ખેતી અને પશુપાલનને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંગઠિત કરવા અને પશુઓની ઉપયોગી ઓલાદોને બચાવવાનો આદેશ આપે છે. નોંધનીય છે કે કલમ ૪૮ માં ક્યાંય પણ ગાયને ‘પવિત્ર’ નથી કહેવામાં આવી. તેમાં કોઈ ધાર્મિક ગ્રંથ કે ધર્મશાસ્ત્રનો હવાલો નથી. તેનો આધાર ધાર્મિક નહીં, પણ આર્થિક અને કૃષિ વિષયક છે.

ભારતના સ્થાપકો ધાર્મિક લાગણીઓનો આદર કરવાની સાથે સાથે એક એવું ગણતંત્ર બનાવવા ઈચ્છતા હતા જે ધાર્મિક ઓળખના બદલે સમાન નાગરિકત્વ પર આધારિત હોય. પરંતુ આજનું રાજકારણ ઘણીવાર આ તફાવતને ભૂંસી નાખે છે અને બંધારણીય જોગવાઈઓને ધાર્મિક આદેશો તરીકે રજૂ કરે છે.

તહેવારોમાં પૂજા, પછી ઉપેક્ષા

જો નેતાઓના ભાષણો અને વાસ્તવિકતા એક હોત, તો ભારતમાં ગાયોની અસાધારણ સંભાળ અને સુરક્ષા થતી હોત. પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ વાર્તા કહે છે.

ગ્રામીણ ભારતના મોટા ભાગોમાં, રખડતાં ઢોર પાકને નુકસાન પહોંચાડે છે, માર્ગ અકસ્માતોનું કારણ બને છે અને ખેડૂતો પર આર્થિક બોજ વધારે છે. દેશની ગૌશાળાઓ અપૂરતા ફંડ, ક્ષમતા કરતાં વધુ પશુઓ અને નબળા માળખાને કારણે સંઘર્ષ કરી રહી છે.

આ વિરોધાભાસ ત્યારે છતો થયો જ્યારે વર્ષ ૨૦૨૬માં જેસલમેરથી અહેવાલો આવ્યા કે ૫૦૦થી વધુ ગાયોના શબ ખુલ્લામાં ફેંકી દેવાયેલા મળ્યા હતા. આવા જ પશુઓના મોતના અને ઉપેક્ષાના અહેવાલો રાજકોટ, મેરઠ અને અન્ય જગ્યાઓની ગૌશાળાઓમાંથી પણ સામે આવ્યા છે.

આ ઘટનાઓ એક કડવી વાસ્તવિકતા ખુલ્લી પાડે છે: ગાયને એક જીવંત પ્રાણી કરતાં એક ‘પ્રતીક’ તરીકે વધુ સુરક્ષા મળે છે. જ્યારે આક્રોશ ભડકાવવાનો હોય ત્યારે લોકોની લાગણીઓ સૌથી તીવ્ર હોય છે, પરંતુ જ્યારે લાંબા ગાળાની સંભાળ, ખર્ચ અને સંસ્થાકીય જવાબદારીની વાત આવે ત્યારે તે ગાયબ થઈ જાય છે. જો ગાય ખરેખર “ગૌમાતા” તરીકે પૂજનીય છે, તો આવા દ્રશ્યો વારંવાર કેમ જોવા મળે છે?

રાજકીય અનુકૂળતાની ભૂગોળ

આજના ગૌ-રાજકારણનું સૌથી રસપ્રદ પાસું તેની લવચીકતા (Flexibility) છે. ઉત્તરના કેટલાક રાજ્યોમાં ગાયને સભ્યતાનો અને બિન-ચર્ચાસ્પદ મુદ્દો બનાવી દેવાય છે. પરંતુ ઉત્તર-પૂર્વ (Northeast) ના કેટલાક ભાગોમાં, જ્યાં ગૌમાંસ સ્થાનિક ખોરાકનો હિસ્સો છે, ત્યાં રાજકીય નેતાઓએ મતદારોને વારંવાર ખાતરી આપી છે કે તેમની ખાણીપીણીની આદતોમાં કોઈ દખલગીરી કરવામાં નહીં આવે. ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે તો રાજ્યમાં ગૌમાંસની અછત ઊભી થઈ ત્યારે તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જાહેરમાં હસ્તક્ષેપ કર્યો હતો. કિરેન રિજિજુ અને અન્ય નેતાઓએ પણ ભારતની વૈવિધ્યસભર ખાદ્ય સંસ્કૃતિનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે.

આ ઉદાહરણો એક મહત્વનું સત્ય દર્શાવે છે: ચૂંટણીની ભૂગોળ બદલાતા ગૌ-રાજકારણની તીવ્રતા પણ બદલાઈ જાય છે. જે મુદ્દાને એક ક્ષેત્રમાં નૈતિક સિદ્ધાંત તરીકે રજૂ કરવામાં આવે છે, તે જ મુદ્દો બીજા ક્ષેત્રમાં રાજકીય અનુકૂળતા અને સમજૂતીનો વિષય બની જાય છે. આવી લવચીકતાને આસ્થાની પવિત્રતા સાથે જોડવી અઘરી છે; તેને માત્ર રાજકીય વ્યવહારવાદ (Political Pragmatism) તરીકે જ સમજી શકાય.

જ્યારે કાયદાની જગ્યા લાગણીઓ લઈ લે છે

ગૌ-રાજકારણનું એક સૌથી ચિંતાજનક પરિણામ કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિ (Vigilantism) છે. ગૌરક્ષાના નામે કેટલાક જૂથોએ એવી સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી છે જે વાસ્તવમાં માત્ર કાયદા અને સરકાર પાસે હોવી જોઈએ. પુરાવાઓની જગ્યા શંકાએ અને કાનૂની પ્રક્રિયાની જગ્યા આરોપોએ લઈ લીધી છે. કેટલીય ઘટનાઓમાં માત્ર શંકાના આધારે લોકોને ડરાવવામાં આવ્યા, હિંસા કરવામાં આવી અને જીવ પણ લેવામાં આવ્યા.

જ્યારે પણ કોઈ ખાનગી જૂથ નાગરિકોની તપાસ કરવાનો, તેમને સજા કરવાનો કે ડરાવવાનો દાવો કરે છે, ત્યારે કાયદાના શાસનને મોટું નુકસાન થાય છે. બંધારણ ધાર્મિક માન્યતાઓનું રક્ષણ કરે છે, પરંતુ તે નાગરિકની આઝાદી, ગૌરવ અને કાનૂની પ્રક્રિયાનું પણ રક્ષણ કરે છે. આસ્થા પ્રત્યેનો આદર ક્યારેય કાયદો તોડવાનો પરવાનો ન બની શકે.

ઉશ્કેરણીની નવી ભાષા

બકરીદની આસપાસ ગાયને લગતા વિવાદોનું વારંવાર સામે આવવું એ સૂચવે છે કે આ મુદ્દો માત્ર પ્રાણી કલ્યાણ કે ધાર્મિક લાગણીઓ પૂરતો સીમિત નથી. ગાય લાગણીઓ ભડકાવે છે, ધાર્મિક ઓળખ મજબૂત કરે છે અને રાજકીય ફાયદો કરાવે છે. હવે તો કોમી તણાવ વ્યક્ત કરવા માટે પ્રાણીઓનો જ એક હથિયાર તરીકે ઉપયોગ થવા લાગ્યો છે.

આ વર્ષે ઈદ પહેલાં, મુંબઈના મીરા રોડ પર કુરબાની માટે લાવવામાં આવેલા બકરાં અંગેના વિવાદ બાદ, કેટલાક કાર્યકરોએ મુસ્લિમ પરિવારો રહેતા હોય તેવી સોસાયટીમાં ડુક્કર લાવવાનો પ્રયાસ કર્યો, જેનાથી તણાવ વધી ગયો. એ જ સમયે, દિલ્હીના ત્રિનગરમાંથી એવા અહેવાલો આવ્યા કે મુસ્લિમ વસ્તીની નજીક રહેતા કેટલાક હિંદુ પરિવારોએ પોતાના ઘરની બહાર પાંજરામાં ડુક્કર રાખ્યા અને સાથે ‘ભગવાન વરાહ’ (વિષ્ણતુ ભગવાનનો વરાહ અવતાર) ના ફોટા મોટા પાયે પ્રદર્શિત કર્યા. એવા પણ આક્ષેપો થયા કે તે પ્રાણીઓના નામ મુસ્લિમ જેવા રાખવામાં આવ્યા હતા અને જ્યારે ત્યાંથી કોઈ મુસ્લિમ પસાર થાય ત્યારે તે નામો મોટેથી બોલવામાં આવતા હતા.

આની પાછળ ગમે તે હેતુ હોય, પણ આવી ઘટનાઓ કોમી રાજકારણના બદલાતા સ્વરૂપને દર્શાવે છે. પ્રાણીઓ હવે માત્ર આસ્થા કે વિવાદનો વિષય નથી રહ્યા; તેઓ ઓળખના પ્રતીક અને ઉશ્કેરણીના સાધનો બની રહ્યા છે.

આ બધી બાબતો એક એવા નવા રાજકારણ તરફ ઈશારો કરે છે જ્યાં શક્તિ પ્રદર્શન, તફાવતો અને અન્યોને અલગ પાડવા માટે ધાર્મિક પ્રતીકોનો જાહેરમાં મંચ તૈયાર કરવામાં આવે છે. ગાય, ડુક્કર અને અન્ય ધાર્મિક પ્રતીકો હવે માત્ર શ્રદ્ધાનો વિષય નથી રહ્યા, પણ વર્ચસ્વની લડાઈના ભાગીદાર બની ગયા છે. એક પેઢી પહેલાં મુખ્ય પ્રવાહના જાહેર જીવનમાં આવી ઘટનાઓની કલ્પના પણ અશક્ય હતી. આ બદલાવ રાજકીય એકત્રીકરણની ભાષામાં આવેલા મોટા પરિવર્તનને દર્શાવે છે.

લોકશાહી, નાગરિકત્વ અને પ્રતીકોનું રાજકારણ

એક બહુલવાદી (Plural) સમાજમાં ધાર્મિક લાગણીઓનો આદર કરવો અનિવાર્ય છે. એ જ રીતે, દરેક સમુદાયને કાયદા અને બંધારણીય મૂલ્યોના દાયરામાં રહીને પોતાના ધર્મનું પાલન કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ લોકશાહીની માંગ છે કે વ્યક્તિગત આસ્થા અને જાહેર રાજકારણ વચ્ચે એક સ્પષ્ટ તફાવત હોવો જોઈએ.

ભારતના બંધારણના ઘડવૈયાઓએ એક એવા પ્રજાસત્તાકની કલ્પના કરી હતી જે સમાન અધિકારો, બંધારણીય નૈતિકતા અને કાયદાના શાસન પર આધારિત હોય—નહીં કે ધાર્મિક ઓળખની સ્પર્ધાત્મક લડાઈ પર. તેથી, ભારત સામેનો અસલી સવાલ એ નથી કે ગાયનો આદર થવો જોઈએ કે નહીં. અસલી સવાલ એ છે કે શું ધાર્મિક પ્રતીકોને રાજકીય હરીફાઈ, કોમી ઈશારા અને સાંસ્કૃતિક ધાકધમકીના સાધનોમાં ફેરવી દેવા જોઈએ?

તાજેતરમાં માત્ર ગાય જ નહીં, પણ ડુક્કર અને અન્ય ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને જે ઉશ્કેરણી કરવામાં આવી છે, તે દર્શાવે છે કે આ ચર્ચા હવે પ્રાણી કલ્યાણથી ઘણી આગળ નીકળી ગઈ છે. પ્રાણીઓ, દેવી-દેવતાઓ, ખાણીપીણીની આદતો અને પવિત્ર પ્રતીકોને સત્તા અને રાજકીય વર્ચસ્વની લડાઈમાં ખેંચવામાં આવી રહ્યા છે. આ વલણ દેશના દરેક નાગરિક માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.

ભારતીય સભ્યતામાં ગાયનું સ્થાન ભલે પ્રાચીન હોય, પરંતુ આજના રાજકારણમાં તેની ભૂમિકા સંપૂર્ણપણે આધુનિક અને ઓળખ આધારિત (Identity Politics) છે. આજે ભારત સામે પ્રશ્ન એ નથી કે આસ્થા આદરને પાત્ર છે કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે શું રાજકારણ પોતાના સ્વાર્થ માટે આસ્થાનો દુરુપયોગ કરવાની લાલચ રોકી શકશે?

કારણ કે, જો ધાર્મિક પ્રતીકો માત્ર ત્યારે જ પવિત્ર બને જ્યારે તેઓ રાજકીય રીતે ઉપયોગી હોય, અને જ્યારે જવાબદારી, સંભાળ અને બંધારણીય મૂલ્યોની જરૂર હોય ત્યારે તેમની ઉપેક્ષા કરવામાં આવે, તો સમજી લેવું કે જેનું રક્ષણ થઈ રહ્યું છે તે આસ્થા નથી. તે આસ્થાના નામે રમાતી સત્તાની રમત છે. અને ભારતીય લોકશાહીના ભવિષ્ય માટે આનાથી મોટો કોઈ પડકાર હોઈ શકે નહીં.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments