Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસજ્ઞાનનું સૌથી મોટું પ્રમાણિક સ્ત્રોત

જ્ઞાનનું સૌથી મોટું પ્રમાણિક સ્ત્રોત

વિજ્ઞાન એક અસાધારણ માનવ પ્રયાસ છે. તેણે માનવ-સભ્યતાના ઘણાં અંગોને પ્રભાવિત કર્યા છે. વિજ્ઞાન, ધર્મ તથા સમાજ અને તેના પારસ્પરિક સંબંધોના પ્રભાવ સાવર્ત્રિક છે. ખાસ કરીને આધુનિક વિજ્ઞાન અને તેનાથી પ્રભાવિત વિજ્ઞાનવાદે આને વધુ વ્યાપક બનાવી દીધા છે. આ ઉપરાંત આ અંગે થઈ રહેલી ચર્ચાઓ હવે માત્ર ચર્ચાઓ જ નથી રહી, બલ્કે તેણે એક વિશેષ જીવન-ધારણાના પ્રભાવમાં લોકોના વિવેકમાં એ રીતે સ્થાન મેળવ્યું છે કે તેનો પ્રભાવ સામાજિક સ્તરના વ્યવહારોમાં જોવા મળી રહ્યો છે. આધુનિક વિજ્ઞાનનો પ્રભાવ ધર્મ પર પડ્યો છે, અને પડતો રહેશે.

બીજી બાજુ ધર્મ પોતાની વ્યવસ્થા, વિશ્વાસ અને પ્રતીકો દ્વારા સમાજ અને તેની તમામ સંસ્થાઓ પર પ્રભાવ નાખે છે. આ ધાર્મિક પ્રભાવના નિયમો, અનુમાનો અને નિષ્કર્ષો પણ દેખાઈ રહ્યા છે. આથી જરૂરી છે કે વિજ્ઞાન, ધર્મ અને સમાજ પર તેની અસરોની ગંભીર ચર્ચાઓનો પુનઃપ્રારંભ થાય. નજીકના ભૂતકાળમાં આ ચર્ચાઓ અપ્રાસંગિક માનવામાં આવી રહી હતી. ખાસ કરીને પુનઃરુત્થાન પછી, જ્યારે કે ખ્રિસ્તી નૈતિકતા અને ખ્રિસ્તી-જીવન ધારણાઓનો પરાજય સામૂહિક બાબતોમાં સ્વીકારી લેવામાં આવ્યો. આના પછી જાણે કે ધર્મને માનવ-જીવનની સામૂહિક બાબતોમાં ર્નિણયના આસન પરથી ઉતારી દેવામાં આવ્યો અને આ આસન પર વિજ્ઞાનને બેસાડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. નિષ્ફળ એટલા માટે કે વિજ્ઞાન આમાં સક્ષમ ન હતું (ન જ તેણે આનો દાવો કર્યો હતો), પરંતુ હવે આવું નથી.

વિજ્ઞાનના માનવતાના આદર્શ મસીહા હોવાનો ભ્રમ અને જ્ઞાનનો સૌથી પ્રમાણિક સ્ત્રોત હોવાનું ગૌરવ ૧૦૦ વર્ષથી પણ ઓછા સમયમાં જ સમાપ્ત થવાના આરે છે. મનુષ્યની મૂળ સમસ્યાઓના ઉકેલ માટે ભૌતિક સ્તરે મોટી હદ સુધી સફળતા હાસલ કરનાર વિજ્ઞાન નૈતિક અને આધ્યાત્મિક રૂપે આ કમીને પૂરી કરવામાં ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ રહ્યું છે, પરંતુ આ નિષ્ફળતા વાસ્તવમાં વિજ્ઞાનની નિષ્ફળતાથી વધુ એ ધારણાની નિષ્ફળતા હતી કે જેમાં ભાવનાઓ, તર્કો અને આંકડાઓને ઈશ્વરીય વાણી પર બિન-જરૂરી પ્રાથમિકતા આપવામાં આવી, જેણે વિજ્ઞાન તથા ધર્મના સંઘર્ષ કે અથડામણના નેરેટિવ – કથાનક સેટ કર્યા. આનું પરિણામ આ આવ્યું કે જ્ઞાનના સ્ત્રોત સમેટાઈ ગયા. ભાવનાઓની સાપેક્ષતા નજરોથી અદૃશ્ય થઈ ગઈ અને “વૈજ્ઞાનિક” તથા “તર્કસંગત” વ્યવહારોની આડમાં “અવૈજ્ઞાનિક” તથા અતાર્કિક વ્યવહાર સામૂહિક બાબતોમાં પ્રભાવી થવા લાગ્યા.

એવું નથી કે આ બધું એક તરફી હતું, બલ્કે જે સમયે આધુનિક વિજ્ઞાન ગઠન અને વિકાસની પ્રક્રિયામાં હતું એ સમયે અતાર્કિક અને બુદ્ધિને ચકરાવે ચઢાવી દેનારા અસ્પષ્ટ તથા બિન-જરૂરી ધાર્મિક નિયમોને બુદ્ધિ પર થોપી દેવાના નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા. ખ્રિસ્તી જગતમાં જાેશીલા પ્રચારકો અને ચર્ચનો રાજકીય અત્યાચાર એટલો આંધળો થઈ ચૂક્યો હતો કે તે આધુનિક વિજ્ઞાનની સંશોધન શક્તિને મહેસૂસ જ ન કરી શક્યો. આથી ચર્ચના અત્યાચાર અને જ્ઞાન પર ચોકીદારીએ પશ્ચિમમાં ધર્મથી વિમુખ વિજ્ઞાનના તીવ્ર વિકાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આનો પ્રભાવ એ સમયે વિકાસશીલ સામાજિક સંસ્થાઓ અને સામાજિક સમાજ ઉપર પડ્યો.

આ જ આધુનિક વિજ્ઞાનના ગર્ભથી વિજ્ઞાનવાદ (Scientism)નો જન્મ થયો, જેણે વિજ્ઞાન, ધર્મ અને સમાજના ત્રિકોણમાં નાસ્તિકતાને પ્રવેશ આપી દીધો. વિજ્ઞાનની જ્ઞાન-મીમાંસા (Epistemology)માં ચોક્કસપણે નાસ્તિકતા માટે ગુંજાશ મૌજૂદ હતી, પરંતુ વાસ્તવમાં આને ઉઘાડું પાડવા અને આમાં પ્રાણ ફૂંકવાનું કામ વિજ્ઞાનવાદે કર્યું. વિજ્ઞાનવાદનો પ્રભાવ માનવ સમાજના દરેક સ્તરે જોઈ શકાય છે. આ જ રીતે વિજ્ઞાનના સંયોજનથી જન્મ લેનાર ટેકનોલોજીએ માનવ-સભ્યતાને વિકાસના નવા ચરણથી પરિચિત કરાવી. પરંતુ તે પોતાની સાથે સમસ્યાઓનો અંબાર લઈને આવી, જેમાં એક સમસ્યા બીજી સમસ્યાને જન્મ આપે છે. પછી તેનો ઉકેલ કોઈ ત્રીજી સમસ્યાનું શરણ-સ્થળ બની જાય છે. આધુનિક ટેકનોલોજી તો આનાથી એક ડગલું આગળ વધી ગઈ છે.

આધુનિક ટેકનોલોજીએ માનવ વિકાસ અને ધર્મોના સર્વમાન્ય મૂલ્યો પર પ્રશ્ન ચિહ્ન લગાવવા શરૂ કરી દીધા છે. પરંતુ શું ટેકનોલોજી પોતે આમાં સક્ષમ હતી કે એક વિશેષ જીવન-ધારણા હેઠળ આ પ્રકારની ટેકનોલોજી અસ્તિત્વમાં આવી શકતી હતી? અને શું આવી? શું આજે ટેકનોલોજીનો અભિપ્રાય માત્ર સુખ-સુવિધા અને બહેતર ઉપચાર તેમજ ચિકિત્સાની સુગમતા જ છે? અથવા તે આના કરતાં ઘણી વધુ આગળ નીકળી ચૂકી છે? આ એવા પ્રશ્નો છે કે જેમના ખરા અને સ્પષ્ટ ઉત્તર શોધવાની આવશ્યકતા છે. આમના ઉત્તરો પર માનવ-જાતિ અને માનવ-સભ્યતા એમ બન્નેનું અસ્તિત્વ આધાર રાખેછે. ટેકનોલોજીના નૈતિક મૂલ્યોને અનુરૂપ હોવાના કિસ્સા પણ હવે તો જૂના થઈ ગયા છે. ટેકનોલોજીના પોતાના તત્ત્વજ્ઞાનની જરૂરત પણ હવે મહેસૂસ થવા લાગી છે, પરંતુ આનો આધાર શું હોય? આના પર પ્રશ્ન-ચિહ્ન લાગેલ છે. ધર્મ-નિરપેક્ષ માનવતાવાદના મૂલ્યો કે જેમના પર હમણાં ગર્વ કરવામાં આવી રહ્યો છે, તે સ્થિર નથી તો શું આ આધાર ધર્મ પર પરત મોકલવો જોઈએ? જો હા, તો તે કયા ધર્મ પર? કોઈ સંરચિત ધર્મ પર અથવા કોઈ પારંપરિક ધર્મ પર?

શું ઇસ્લામી સિદ્ધાંતોમાં એક વાસ્તવિક વિજ્ઞાનના નવ-નિર્માણની અપાર સંભાવનાઓ છે? શું ઇસ્લામી સિદ્ધાંતો પર આધારિત એક ઇસ્લામ ઉન્મુખ વિજ્ઞાન વિકસિત કરી શકાય છે? અને નજીકના ભૂતકાળમાં આના આધીન થયેલ પ્રયાસોનું વિશ્લેષણ કોઈ ઉત્સાહજનક પરિણામ સુધી પહોંચાડે છે? શું સંતુલિત મૂલ્યોના બદલે સકારાત્મક મૂલ્યો પર આધારિત ટેકનોલોજીના તત્ત્વજ્ઞાનનો વિકાસ શક્ય છે? શું ઇસ્લામ આ પ્રકારની ટેકનોલોજી માટે વૈજ્ઞાનિક આધારો પૂરા પાડે છે?

વાસ્તવિકતા આ છે કે વિજ્ઞાન, ધર્મ અને સમાજના ત્રિકોણ પર ઇસ્લામી દૃષ્ટિકોણથી વિચાર કરવાની જરૂરત છે. એવો દૃષ્ટિકોણ જે ઇસ્લામી જ્ઞાન તથા ન્યાયની ધારણાની પારદર્શિતાના ઉચ્ચતમ સ્તરે હોય. જે વિજ્ઞાન, ધર્મ અને સમાજના સંયોજનને એવી દિશા ભણી લઈ જાય કે જેના અનુમાનો તથા નિષ્કર્ષોથી એક નિષ્પક્ષ અને વાસ્તવિક આંદોલનનો માર્ગ સમતળ થઈ જાય, જેનું લાભદાયી હોવું નજરે જાેઈ શકાય અને જેના આધારે એક વાસ્તવિક વિજ્ઞાનનું પુનર્ગઠન કરી શકાય. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments