નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદના ઉપાધ્યક્ષ પ્રોફેસર સલીમ એન્જિનિયરે રોહિંગ્યા શરણાર્થીઓના અમાનવીય અને બળજબરીથી દેશનિકાલ પર પોતાની સખત ચિંતા વ્યક્ત કરી છે. મીડિયા માટે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં પ્રોફેસર સલીમ એન્જિનિયરે કહ્યું કે અમે 43 રોહિંગ્યા શરણાર્થીઓ, જેમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોનો સમાવેશ થાય છે, તેઓના બળજબરીથી દેશનિકાલ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. વિશ્વસનીય મીડિયા અહેવાલો અનુસાર, આ શરણાર્થીઓની આંખો પર પાટા બાંધીને અને હાથ-પગ બાંધીને નવી દિલ્હીથી પોર્ટ બ્લેર ખસેડવામાં આવ્યા હતા અને 8 મે 2025ના રોજ તેમને મ્યાનમારના દરિયાકાંઠા નજીકના આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં છોડી દેવામાં આવ્યા હતા.
પ્રોફેસર સલીમ એન્જિનિયરે કહ્યું કે મીડિયા અહેવાલો અનુસાર, અધિકારીઓએ પીડિતોને કહ્યું હતું કે તેઓને કોઈ સુરક્ષિત દેશમાં ખસેડવામાં આવી રહ્યા છે. જ્યારે આ શરણાર્થીઓ તરીને કિનારે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેઓ ફરીથી એ જ દેશમાં પાછા પહોંચી ગયા છે જ્યાંથી તેઓ નરસંહારથી બચવા માટે ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે જો આ વાત સાચી હોય તો તે ભારતના બંધારણીય અને માનવીય સિદ્ધાંતોથી એક દુઃખદ અને શરમજનક વિચલન છે.
પ્રોફેસર સલીમ એન્જિનિયરે વધુમાં કહ્યું કે અમે સરકારને યાદ અપાવવા માંગીએ છીએ કે ભારતે ત્રાસ વિરુદ્ધના સંયુક્ત રાષ્ટ્ર સંમેલનના મેન્ડેટ પર હસ્તાક્ષર કર્યા છે, જે ‘રેફ્યુલમેન્ટ’ એટલે કે કોઈ વ્યક્તિને એવી જગ્યાએ બળજબરીથી પાછા મોકલવા પર પ્રતિબંધ મૂકે છે, જ્યાં તેના જીવન અથવા સ્વતંત્રતાને ખતરો હોય. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે રોહિંગ્યાને નરસંહારનો ભોગ બનેલા તરીકે જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં તેમને મ્યાનમાર પાછા મોકલવા એ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન અને નૈતિક જવાબદારીઓથી છટકબારી સમાન છે.
જે વ્યક્તિઓને દેશનિકાલ કરવામાં આવ્યા તેઓ સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (UNHCR) સાથે નોંધાયેલા હતા અને તેમની પાસે નિયમિત ઓળખ કાર્ડ હતા. તેમનો બળજબરીથી દેશનિકાલ આંતરરાષ્ટ્રીય માનવીય સિદ્ધાંતો અને ભારતના ઇતિહાસમાં પીડિતો માટે આશ્રયસ્થાનની ભૂમિકાની વિરુદ્ધ છે. માણસોને ગુનેગારોની જેમ દેશનિકાલ કરવા, તે પણ સમુદ્રમાં તેમનું જીવન જોખમમાં મૂકીને, અમાનવીય અને અસ્વીકાર્ય છે. અમે ભારત સરકારને માંગ કરીએ છીએ કે તાત્કાલિક રોહિંગ્યા શરણાર્થીઓના બળજબરીથી દેશનિકાલની પ્રક્રિયાને રોકવામાં આવે, તેમની સાથે થયેલા અત્યાચારોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને અત્યાચાર કરનારાઓને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે.
પ્રોફેસર સલીમે કહ્યું કે અમે ન્યાયતંત્રને પણ અપીલ કરીએ છીએ કે તે ભારતના બંધારણની કલમ 21ની વિરુદ્ધ થયેલી આ કાર્યવાહીની સ્વયં સંજ્ઞાન લે અને પીડિતોને રક્ષણ પૂરું પાડે.