Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસંઘર્ષરત મણિપુરમાં શાંતિદૂતની ભૂમિકામાં મુસ્લિમ સમુદાય, પીડિત મૈતેઈ અને કુકીની કરી રહ્યા...

સંઘર્ષરત મણિપુરમાં શાંતિદૂતની ભૂમિકામાં મુસ્લિમ સમુદાય, પીડિત મૈતેઈ અને કુકીની કરી રહ્યા છે મદદ

-सैयद अहमद अली

મણિપુરમાં સૌથી મોટા બે સમૂહો બહુસંખ્યક હિન્દુ મૈતેઈ અને અલ્પસંખ્યક ઈસાઈ કુકીની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે મુસ્લિમ સમુદાય શાંતિદૂતના રૂપમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યો છે.

મણિપુરની કુલ વસ્તીમાં મૈતેઈ સમુદાયની ભાગીદારી લગભગ 53.30 ટકા છે, જ્યારે કે 42 ટકા વસ્તી કુકી સમુદાયની છે. બાકીના મુસ્લિમ અને અન્ય સમૂહો છે. બંને સમૂહોની વચ્ચે સંઘર્ષ ત્યારે શરૂ થયો, જ્યારે કુકી (જે અનુસૂચિત જનજાતિ છે અને રાજ્યના પહાડી વિસ્તારોમાં વસી રહ્યાં છે)એ મણિપુર ઉચ્ચ ન્યાયાલય દ્વારા મૈતેઈને એસટી(પછાત જનજાતી)માં સમાવેશ કરવાનાં આદેશનો વિરોધ કર્યો.

આ આદેશ બાદ કુકી લોકોને લાગ્યું કે એસટી હોવાના લીધે તેમને મળનારા વિશેષાધિકારને મૈતેઈ સમુદાયના લોકો હડપ કરી જશે જે બહુમતમાં છે અને રાજ્ય સરકાર પર નિયંત્રણ ધરાવે છે.

૩ મે એ જ્યારે બંને સમુદાયોની વચ્ચે હિંસા શરૂ થઈ, ત્યારે કુકી બહુમત વિસ્તારોમાં રહેનારા મૈતેઈ અને મૈતેઈ બહુમત વિસ્તારોમાં રહેનારા કુકી તેમના જીવન અને સંપતિની સલામતી માટે ભાગવા લાગ્યા. આટલી હદ સુધી નફરત વધી ગઈ કે ઘણાં મામલાઓમાં તો પાડોશી એ જ પોતાના વિરોધી સમૂહના પાડોશી પર હુમલો કરી દીધો.

મણિપુરી મુસ્લિમો, જેમને પંગલ કહેવામાં આવે છે અને મૈતેઈ સમુદાયથી ધર્માંતરીત છે, તેમને મે 1993માં મૈતેઈ હિંદુઓ દ્વારા ટારગેટ બનાવવામાં આવ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, 1993ની હિંસામાં લગભગ ૧૪૦ મુસ્લિમોને મારી નાખ્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. મુસ્લિમોને પણ પોતાની સંપતિઓનું ભારે નુકસાન વહોરવું પડ્યું હતું.

પરંતુ મુસ્લિમ લોકો ભૂતકાળમાં તેમની સાથે જે થયું તે ભૂલી અને પોતાની જાન જોખમમાં મૂકીને મૈતેઈની સાથે સાથે કુકીની મદદ કરવા માટે આગળ આવ્યાં. કેમ કે બંને સમૂહોએ મુસ્લિમોને તેના વિરોધીઓને મદદ ન કરવાની ચેતવણી આપી હતી.

ધમકીઓને અવગણીને મુસ્લિમોએ પીડિતોને ભોજન, આશ્રય, કપડાં અને અન્ય રાહત સામગ્રીની મદદ કરી, ભલે તે કોઈપણ સમૂહનો હોય. આ પ્રક્રિયામાં, ઘણાં મુસલમાનો પર હુમલો કરવામાં આવ્યો અને તેમને ઈજા પહોંચાડવામાં આવી. જો કે કોઈ પણ મુસલમાનને હાની પહોંચી નથી .

અહીં ૪ મે ની એક ઘટનાનો ઉલ્લેખ જરૂરી છે. જ્યારે કુકી સમુદાયનાં લોકોએ રાજ્યની રાજધાની ઈમ્ફાલના મુસ્લિમ બહુમતી ક્ષેત્ર હટ્ટા ગોલપતિમાં આશ્રય માંગ્યો, ત્યારે મૈતેઈ મુસ્લિમોએ 3000થી વધુ કુકી લોકોની જાન બચાવવા માટે, પોતાની સલામતીને જોખમમાં મૂકતાં, બહાદુરીપૂર્વક પોતાના ઘરોનાં દરવાજા તેમની સલામતી માટે ખોલી દીધા. ત્યાર બાદ મૈતેઈ મુસ્લિમોએ તેમને હેમખેમ સુરક્ષા બળને સોંપી દીધા. આ પ્રયાસમાં હટ્ટા ગોલાપતિના પુરુષો, મહિલાઓ અને બાળકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મહિલાઓએ શરણાર્થીઓ માટે ભોજન તૈયાર કર્યું. જ્યારે પુરુષો અને બાળકોએ કપડાં, ભોજન અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવી.

આ જ રીતે, પાડોશી ચુરાચાંદપુર જિલ્લામાં, મૈતેઈ લોકો ક્વાક્ટા ગામ પહોંચ્યા. જ્યાં લગભગ 20,000 મુસ્લિમ લોકો રહે છે. જો કે સ્થાનિક મુસ્લિમો આર્થિક રીતે સંપન્ન નથી. તેમ છતાં પણ તેઓએ પીડિતોને જમાડવા માટે તેમના ઘરો અને મસ્જિદોમાંથી અનાજ, શાકભાજી અને અન્ય જરૂરી વસ્તુઓ એકત્ર કરી.

ક્વાક્ટા મુસ્લિમોએ કુકી લોકોને નજીકના મૈતેઈ ગામો પર હુમલો કરવાથી પણ રોક્યા અને મૈતેઈને ક્વાક્ટાની પાસે કુકી ગામો પર હુમલો કરવાથી પણ અટકાવ્યાં. જોકે, ગોળીબારમાં ઘણા ક્વાક્ટા મુસ્લિમો ઘાયલ થયા.

તેમના રાહત પ્રયાસો દરમ્યાન, મુસ્લિમ નાગરિક સમાજ અને મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન આસપાસના મુસ્લિમ પરિવારો પાસેથી રાહત સામગ્રી એકત્ર કરી રહ્યાં છે અને તેને શરણાર્થી શિબિરોમાં વહેંચી રહ્યાં છે.

જમિયત ઉલેમા એ હિંદ, મણિપુરના અધ્યક્ષ મૌલાના સૈયદ અહમદ અને મણિપુરમાં તમામ મુસ્લિમ નાગરિક સમાજની સર્વોચ્ચ સંસ્થા, ઓલ મણિપુર મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન કો ઓર્ડીનેટિંગ કમિટીના અધ્યક્ષ એસ એમ જલાલે હાલમાં જ મીડિયાને સંબોધિત કર્યા. જમિયત ઉલેમા એ હિંદના અધ્યક્ષ મૌલાના સૈયદ અહમદે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, “અમે હંમેશા એક પિતા અને માતાની સંતાનનાં રૂપમાં ભાઈચારાની સાથે રહ્યાં છીએ.” હિંસાએ બંને સમુદાયોના સહ અસ્તિત્વ અને શાંતિને ટારગેટ બનાવ્યાં છે, જે મણિપુર રાજ્યની સ્થાપના બાદથી શાંતિપૂર્વક રહી રહ્યાં છે.

વિશેષ રૂપે, ઘણા આંતરધાર્મિક સમૂહોએ પણ “શાંતિ અને સદ્ભાવના માટે ઇન્ટરફેથ ફોરમ” નાં બેનર હેઠળ શાંતિ અને સદ્ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આગળ આવ્યાં છે. આ મંચે શાંતિની અપીલ કરતાં મીટીંગો, રેલીઓ અને પ્રાર્થનાઓ આયોજિત કરી છે, જેમાં જમાઅતે ઇસ્લામી હિંદ, કેથોલિક, બૈપટિસ્ટ, ફેડરેશન ઓફ મદરસા સના માહી (મૈતેઈ ધાર્મિક સમૂહ), ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શસનેસ, બ્રહ્માકુમારીઝ અને વિષ્ણુ ગૌરવ વગેરે સહિત વિભિન્ન સમૂહોની ભાગીદારી શામેલ છે.

સંકટનાં આ સમયમાં, મુસ્લિમ સમુદાય અને આંતરધાર્મિક સંગઠનોના સામૂહિક પ્રયાસ મણિપુરમાં શાંતિ અને સુલેહ માટે આશાની કિરણ બનીને ઉભર્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ હિંસામાં ઓછામાં ઓછા ૧૫૦ લોકો મૃત્યુ પામી ચૂક્યાં છે, ૪૦૦ લોકો ઘાયલ થયા છે અને ૬૦૦૦૦થી વધુ લોકો પોતાના ઘરોથી વિસ્થાપિત થઈ ગયા છે. ‌સેના, અર્ધસૈનિક બળ અને પોલીસ સહિત અધિકારી, હિંસા શરૂ થયાના અઢી માસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ વધતી હિંસાને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

સૌજન્યઃ ઇન્ડિયા ટુમોરો


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments