Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઊંચનીચ અસ્પૃશ્યતા અને ઇસ્લામ

ઊંચનીચ અસ્પૃશ્યતા અને ઇસ્લામ

સ માનતા, અસ્પૃશ્યતા અથવાઔ  ઊંચ-નીચ એ કોઈ પણ સમાજ માટે ઘુણ સમાન છે જે તેને કોરી ખાય છે. કોઈ પણ દેશ જે આ રોગમાં સપડાયેલો હોય ત્યાં અમન-શાંતિ હોઈ શકે નહીં તેમજ તે સાચો વિકાસ પણ કરી શકે નહીં. એવો દેશ તો એકબીજા પ્રત્યે નફરત, દુશ્મની તેમજ હિતોની લડાઈ અને સ્વાર્થ જેવા જીવલેણ રોગોમાં સપડાઈ છેવટે આંતરવિગ્રહનો ભોગ બને છે. માનવ-માનવ વચ્ચે ભેદભાવ કરવો, એકને ઊંચો અને બીજાને નીચો ગણવો, પછી ભલે તે વર્ણ અને વંશના આધારે હોય કે અમીરી-ગરીબીના નામે હોય, કે પછી દેશ અને કોમના નામે હોય, હકીકતમાં સમાજના માથે ભયંકર કલંક છે.

જરા વિચાર કરશો તો લાગશે કે  અસ્પૃશ્યતા અને ઊંચ-નીચ અસ્વાભાવિક વસ્તુઓ છે. આજે આપણો દેશ આ ઘૃણાજનક રોગમાં સપડાયેલો છે. માનવીને પશુઓથી બદતર સમજવામાં આવે છે અને  તેના જીવંત દાખલા આપણને હંમેશાં મળી શકે છે. ઉદાહરણ તરીકે, જો કૂતરાએ વાસણમાં મોં નાખ્યું હોય તો લોકો તેને ચલાવી લેવા તૈયાર હોય છે અને કોઈ ખચકાટ વિના વાસણનો ઉપયોગ કરે છે. પરંતુ જો કોઈ હરિજન, કે જે માનવી જ છે, તે જો વાસણને સ્પર્શી જાય તો તે અશુદ્ધ થઈ જાય છે ! હરિજન તો ઠીક, મુસલમાન સાથે પણ આવો જ વ્યવહાર કરવામાં આવે છે !! ખૂબ જ અફસોસ અને દુઃખની વાત છે આ ! કેટલો ભયંકર જુલ્મ છે આ માનવતા ઉપર !

કુદરતની નજરમાં તો બધા જ માનવ સમાન છે. બધા જ ખુદાના બંદા છે, ચાહે તેઓ ગમે તે દેશ,વંશ કે કોમ સાથે સંકળાયેલા હોય. હરિજન હોય કે પંડિત, વણકર હોય કે સૈયદ અને  પઠાણ, આર્ય હોય કે દ્રાવિડ, સૌને ખુદાએ જ પેદા કર્યા છે. તેણે પોતાની કૃપાઓ સમસ્ત માનવજાતિને બક્ષી છે. હવા,પાણી, સૂર્ય, ચંદ્ર અને બીજી અનેક કૃપાઓથી તેણે પ્રત્યેક માનવીને નવાજ્યો છે, આ ઉપરાંત દરેક માનવીના જીવન, મૃત્યુ, ખાવા-પીવા, બોલવા અને સાંભળવા માટે એક સરખી પદ્ધતિ ઠરાવેલી છે. બધા માનવોની નસોમાં વહેતું લોહી એક જ રંગનું છે, તેમના શરીરના અંગો પણ એક સરખા છે. સૌથી મોટી અને મુખ્ય વાત તો એ છે કે સૌ એક મા-બાપ, આદમ અને હવ્વાની સંતાન છે તેથી સૌ એક જ કુટુંબ અને બિરાદરીના છે. તો પછી કયાંથી એકને બીજા ઉપર શ્રેષ્ઠતા અને મોટાઈ બતાવવાનું કારણ મળે છે ? ઇસ્લામ આ વાતનો સખત વિરોધી છે. તે માત્ર એક જ ભેદને માન્ય રાખે છે અને તે છે નેકી અને બૂરાઈનો, ખુદાથી  ડરવું અને ન ડરવું તેનો. ઇસ્લામ ખુદાથી ડરનાર નેક માણસને ખુદાથી ન ડરનાર તથા દુષ્કર્મી કરતાં બહેતર અને શ્રેષ્ઠ ગણે છે, અને આ જ એક ભેદને સામાન્ય બુદ્ધિ અને દુનિયાના બધા ડાહ્યા માણસો પણ માન્ય રાખે છે. આ સિવાય ભેદ પાડવા માટેના બધા જ કારણો ખોટા છે, અને એવા છે જેને મિટાવવા માટે આપણે સૌએ બીડું ઝડપી લેવું જોઈએ.

આ જ વાત કુઆર્નેમજીદમાં નીચેના સ્પષ્ટ શબ્દોમાં વર્ણવવામાં આવી છે :

”લોકો, અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો અને કબીલા બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહની નજીક સૌથી વધુ આદરણીય તે છે જે તમારામાં સૌથી વધુ સંયમી છે. બેશક અલ્લાહ સર્વજ્ઞા અને સુમાહિતગાર છે.” (સૂરઃ હુજુરાત, આયત-૧૩)

આ આયતમાં સમસ્ત માનવજાતને ઉદૃેશીને એ મહાન ગુમરાહીની સુધારણા કરવામાં આવી છે જે દુનિયામાં હંમેશાં વિશ્વવ્યાપી બગાડ ફેલાવવાનું કારણ રહી છે, એટલે કે વંશ, વર્ણ, ભાષા, દેશ અને કોમનો પૂર્વ ગ્રહ. છેક પ્રાચીન યુગથી આજ સુધી દરેક કાળમાં માનવી ખાસ કરીને માનવતાને અવગણી પોતાની આસપાસ કેટલાક નાના-નાના વર્તુળો દોરતો આવ્યો છે જેમની અંદર પેદા થનારને તેણે ”પોતાના” અને બહાર પેદા થનારને ”બીજા” ઠેરવ્યા છે. આ વર્તુળો કોઈ બુદ્ધિ અને નૈતિકતાના આધારે નહીં બલ્કે જોગાનુજોગ જન્મના આધારે રચવામાં આવ્યા છે. કયાંક આનો આધાર એક કુટંબ, કબીલા કે વંશમાં જન્મે છે, અને કયાંક વળી ભૌગોલિક પ્રદેશમાં રહેતી અથવા એક ખાસ પ્રકારનો વર્ણ ધરાવતી કે અમુક ભાષા બોલતી કોમમાં જન્મે છે. પછી આ આધારો અનુસાર પોતાની અને બીજાની વચ્ચે જે ભેદરેખા દોરવામાં આવી છે તે આટલે સુધી જ મર્યાદિત રહી નથી કે જેમને આ આધારે ”પોતાના” ગણ્યા હોય. એમની સાથે બીજાની સરખામણીમાં વધુ પ્રેમ અને વધુ સહકાર કરવામાં આવે, બલ્કે આ ભેદરેખાએ નફરત, દુશ્મની, બીજાઓને હલકા ગણવા અને અત્યાચાર તથા જુલ્મના નવા રૃપ ધારણ કર્યા છે. આના ટેકામાં ફિલ્સૂફીઓ ઘડવામાં આવી છે, ધર્મો ઊભા કરવામાં આવ્યા છે, કાનૂનો રચવામાં આવ્યા છે, નૈતિક સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે. કોમો અને સામ્રાજ્યોએ આ ( ભેદ-રેખાઓ)ને પોતાની કામ કરવાની પદ્ધતિ બનાવી સૈકાઓ સુધી તેની ઉપર અમલ કર્યો છે.

યહૂદીઓએ આ જ કારણસર બનીઇસ્રાઈલ (ઇસ્રાઈલની સંતાનને)ને ખુદાના પસંદ કરેલા થોડા લોકોમાં ગણાવ્યા અને પોતાના ધાર્મિક આદેશો સુદ્ધાંમાં બિનઇસ્રાઈલીઓના હક્કો અને દરજ્જા ઇસ્રાઈલીઓ કરતાં નીચા રાખ્યા !

હિંદુઓમાં પણ વર્ણાશ્રમને આ ભેદભાવે જ જન્મ આપ્યો જેની રૃએ બ્રાહ્મણોની સર્વોપરિતા સ્થાપવામાં આવી, ઊંચી જાતિના લોકો સામે બધા જ માનવો નીચા અને અશુદ્ધ ઠરાવવામાં આવ્યા,શુદ્રોને અપમાનના સૌથી નીચા દરજ્જે મૂકવામાં આવ્યા.

કાળા અને ગોરાના ભેદભાવે અફ્રી્રકા અને અમેરિકામાં કાળા લોકો ઉપર  જે જુલ્મો ગુજારવામાં આવ્યા તે ઇતિહાસના પાનામાં શોધવા જવાની જરૃર નથી. આજે વીસમી સદીમાં પણ દરેક પોતાની આંખોથી જોઈ શકે છે.

યુરોપના લોકોએ અમેરિકા ખંડમાં ઘૂસી જઈ રેડ-ઇન્ડિયન વંશના લોકો સાથે જે વ્યવહાર કર્યો અને એશિયા તેમજ આફ્રીકાના નબળા રાષ્ટ્રો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવીને તેમની સાથે જે રીતે વર્ત્યા તેની પાછળ પણ આ જ ખ્યાલ કામ કરતો રહ્યો કે પોતાના દેશ અને પોતાના રાષ્ટ્રની સીમા બહાર જન્મેલા લોકોના પ્રાણ, માલ અને આબરૃ તેઓ લઈ શકે છે અને એમને અધિકાર છે કે તેમને લૂંટે, ગુલામ બનાવે અને જરૃર પડયે પૃથ્વીના પટ ઉપરથી ભૂંસી નાખે. પશ્ચિમી દેશોના રાષ્ટ્રવાદે એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્ર સામે પાશવી સ્વરૃપ આપ્યું હતું તેના દાખલા છેલ્લે થઈ ગયેલા યુદ્ધોમાં જોવા મળી ગયા છે અને આજે પણ દેખાઈ રહ્યાં છે. ખાસ કરીને નાઝી જર્મનીની વંશ અંગેની થિયરી અને નાર્દિક વંશની શ્રેષ્ઠતાનો ખ્યાલ ગત્વિશ્વયુદ્ધમાં જે પરાક્રમ દેખાડી ચૂકયો છે તેને નજર સમક્ષ રાખવામાં આવે તો માણસ સહેલાઈથી એ સમજી શકે છે કે તે કેવી મોટી અને વિનાશકારી ગુમરાહી છે જેની સુધારણા માટે કુઆર્નેમજીદમાં આયત ઊતરી છે.

આ ટૂંકી આયતમાં અલ્લાહતઆલાએ તમામ માનવોને ઊદૃેશીને ત્રણ ખૂબ જ મહત્ત્વની સૈદ્ધાંતિક હકીકતો વર્ણવી છે :

એક, તમારું સૌનું મૂળ એક છે, એક જ પુરુષ અને એક જ સ્ત્રીમાંથી તમારો સમસ્ત માનવસમાજ અસ્તિત્વમાં આવ્યો છે, અને આજે તમારા જેટલા પણ વંશો દુનિયામાં જોવા મળે છે તે હકીકતમાં એક આરંભિક વંશની શાખાઓ છે જે એક મા અને એક બાપથી શરૃ થયો હતો. આ સર્જનના ક્રમમાં કોઈ પણ જગ્યાએ ભેદભાવ અને ઊંચ-નીચ માટે કોઈ આધાર નથી જેના ખોટા ખ્યાલમાં તમે રાચો છો. એક જ ખુદા તમારો પેદા કરનાર છે. એવું નથી કે જુદાજુદા ખુદાઓએ તમને પેદા કર્યા હોય. એક જ સર્જક પદાર્થમાંથી તમે બનેલા છો. એવું પણ નથી કે કેટલાક માનવો કોઈ શુદ્ધ અથવા ઊંચી જાતના પદાર્થમાંથી બન્યા હોય અને બીજા લોકો અમુક અશુદ્ધ અને ઊતરતી કક્ષાના  પદાર્થમાંથી બન્યા હોય. એક જ પદ્ધતિથી તમે પેદા થયા છો, એમ પણ નથી કે જુદાજુદા માણસોના જન્મની પદ્ધતિ જુદી જુદી હોય. અને છેલ્લે, એક જ મા-બાપની તમે સંતાન છો, એમ પણ બન્યું નથી કે આરંભમાં એક કરતાં વધુ મનુષ્યોની જોડો હોય જેમાંથી  દુનિયાના જુદા જુદા દેશોમાં વસતા લોકો અલગ અલગ જન્મ્યા હોય.

બીજું, પોતાના મૂળ પ્રમાણે એક હોવા ઉપરાંત તમારું કોમો, રાષ્ટ્રો અને કબીલાઓમાં વહેંચાઈ જવું સાવ કુદરતી પ્રક્રિયા હતી. એ તો સ્પષ્ટ છે કે પૃથ્વી ઉપરના બધા જ માનવોનો એક જ કુટુંબ હોઈ શકે તે શક્ય ન હતું. વંશ ફેલાતો ગયો તેની સાથે આ અનિવાર્ય હતું કે કુટુંબો રચાય અને કુટુંબોથી કબીલા અને રાષ્ટ્રો અસ્તિત્વમાં  આવી જાય. આવી જ રીતે ધરતીના વિવિધ પ્રદેશોમાં વસવાટ કર્યા પછી રંગ, કદ અને ભાષાઓ તેમજ રહેણી-કરણીની પદ્ધતિ પણ ચોક્કસ જુદી જુદી થવાની હતી જ, અને એક પ્રદેશમાં વસતા લોકોને એકબીજાથી વધુ નજીક અને દૂર દૂર  આવેલા પ્રદેશોમાં રહેનારાઓને વધુ દૂર રહેવાનું જ હતું. પરંતુ આ કુદરતી ભેદ અને ફરકનો  તકાદો એવો તો કદાપિ ન હતો કે  આના આધારે ઊંચ-નીચ, ઉચ્ચ કુળના અને હલકા કુળના, ઊંંચા અને નીચાના ભેદભાવો સ્થાપવામાં આવે, એક વંશના લોકો,બીજા વંશના લોકો ઉપર શ્રેષ્ઠતા જતાવે, એક વર્ણના લોકો બીજા વર્ણના લોકોને નીચા અને હલકા ગણે, એક કોમ બીજી કોમ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપે અને માનવ હક્કોમાં એક જૂથને બીજા જૂથ ઉપર સરસાઈ મળેલી હોય. સર્જનહારે જે કારણસર માનવજૂથોને જુદી જુદી કોમો અને કબીલાઓનો સ્વરૃપ આપ્યો હતો તે તો આ જ હતું કે એમની વચ્ચે અરસપરસ ઓળખ અને સહકારનું સ્વાભાવિક માધ્યમ  આ જ હતું. આ રીતે જ એક કુટુંબ, એક બિરાદરી, એક કબીલો અને એક રાષ્ટ્ર-કોમના લોકો ભેગા મળી સંયુક્ત સમાજની રચના કરી શકે તેમ હતા, તેમજ જીવનના મામલાઓમાં અરસપરસ મદદરૃપ થઈ શકે તેમ હતા. પરંતુ આ તો માત્ર શેતાન પ્રેરિત અજ્ઞાાન જ હતું કે જે વસ્તુને અલ્લાહની કુદરતે ઓળખનું માધ્યમ બનાવી હતી તેને ઘમંડ અને નફરતનું સાધન બનાવી લેવામાં આવી અને છેવટે વાત જુલમ અને દુશ્મની સુધી પહોંચાડી દેવામાં આવી.

ત્રીજું, માનવ અને માનવ વચ્ચે શ્રેષ્ઠતા અને સરસાઈનો આધાર જો કોઈ છે, અને હોઈ શકે છે, તો તે માત્ર નૈતિક શ્રેષ્ઠતા છે. જન્મના આધારે બધા જ માનવો સમાન છે; કારણ કે એમનો પેદા કરનાર એક જ છે, એમનો જન્મ એક જ પદાર્થમાંથી અને એક જ પદ્ધતિ મુજબ થયો છે, અને એમનો સૌનો સંબંધ એક જ મા-બાપ સુધી પહોંચે છે. આ ઉપરાંત કોઈ માણસનું અમુક દેશ, કોમ કે બિરાદરી સાથે સંકળાયેલું હોવું માત્ર જોગાનુજોગ છે જેમાં તેના પોતાના ઇરાદા અને પસંદગી તથા તેના પ્રયત્નની કોઈ દખલ નથી. તેથી આ ધોરણ  અનુસાર એકને બીજાની ઉપર  શ્રેષ્ઠતા આપવા માટે કોઈ કારણ નથી. મૂળ વસ્તુ જેના આધારે એકને બીજાની ઉપર શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે તે આ છે કે તે બીજાઓ કરતાં ખુદાથી વધુ ડરનાર, બૂરાઈઓથી બચનાર અને નેકી તથા શુદ્ધ જીવનના માર્ગ ઉપર ચાલનાર હોય. આવો માણસ પછી ગમે તે વંશ, કોમ કે દેશનો હોય, પણ પોતાના આગવા ગુણોના લીધે કદર કરવાને લાયક છે. અને જે તેનાથી વિરુદ્ધ પ્રકારનો હોય તે છેવટે નીચા પ્રકારનો માણસ છે, પછી તે કાળો હોય કે ગોરો, પૂર્વમાં જન્મેલો હોય કે પશ્ચિમમાં.

આ જ સત્યો કુઆર્નમજીદની આ ટૂંકી આયતમાં વર્ણવવામાં આવ્યા છે.

રસૂલુલ્લાહ સ.અ.વ.એ આ સત્યોને પોતાના જુદા જુદા વ્યાખ્યાનો અને સંબોધનોમાં વધુ સ્પષ્ટતાપૂર્વક વર્ણવ્યા છે. મક્કા વિજય પ્રસંગે કા’બાનો તવાફ કર્યા પછી આપ સ.અ.વ.એ જે ઉદ્બોધન કર્યું હતું તેમાં ફરમાવ્યું હતું :

” આભાર અલ્લાહનો જેણે તમારી અંદરથી અજ્ઞાાનની બૂરાઈ અને તેનું ઘમંડ દૂર કરી દીધું. લોકો, બધા માનવો માત્ર બે જ ભાગમાં વહેંચાય છે.એક નેક અને સંયમી, જે અલ્લાહની નજરમાં ઇજ્જતવાળો છે. બીજો અવજ્ઞાાકારી અને નાફરમાન જે અલ્લાહની નજરમાં હલકો છે. આમ તો બધા જ માનવો આદમની સંતાન છે અને અલ્લાહે આદમને માટીમાંથી પેદા કર્યા હતા.” (બયહકી-ફિશ્શુઅબુલ ઈમાન, તિર્મિઝી)

હજ્જતુલવિદાઅ (આખરી હજ્જ) પ્રસંગે ઐયામે તશ્રીક (ઈદુઝ્ઝુહા પછીના ત્રણ દિવસો)ના મધ્યમાં આપ સ.અ.વ.એ એક સંબોધન કર્યું, અને તેમાં ફરમાવ્યું :

” લોકો જાણી લો, તમારા સૌનો ખુદા એક જ છે, કોઈ આરબને બિનઆરબ ઉપર અને કોઈ બિનઆરબને કોઈ આરબ ઉપર તથા કોઈ ગોરાને કોઈ કાળા ઉપર અને કોઈ કાળાને કોઈ ગોરા ઉપર શ્રેષ્ઠતા પ્રાપ્ત નથી પણ સંયમના આધારે. અલ્લાહની નજીક તમારામાં સૌથી વધુ ઈજ્જતવાળો એ છે જે સૌથી વધુ સંયમી હોય. બતાવો, મેં તમને વાત પહોંચાડી દીધી? લોકોએ કહ્યું, હા, યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ફરમાવ્યું ઃ સારૃં, તો જે હાજર છે તે એ લોકો સુધી આ વાત પહોંચાડી દે જે હાજર નથી.”  (બયહકી)

એક અન્ય હદીસમાં આપ સ.અ.વ.એ ઇર્શાદ ફરમાવ્યું છે: ”તમે સૌ આદમની સંતાન છો અને આદમને માટીમાંથી પેદા કરવામાં આવ્યા હતા. લોકો પોતાના બાપ-દાદાઓ ઉપર અભિમાન કરવાનું છોડી દે, નહીં તો તેઓ અલ્લાહની નજરમાં એક તુચ્છ જંતુથી વધારે તુચ્છ હશે.”   બઝ્ઝાર)

એક બીજી હદીસમાં આપ સ.અ.વ.એ ફરમાવ્યું ઃ ” અલ્લાહ કયામતના દિવસે તમારો કુળ-વંશ નહીં પૂછે, અલ્લાહને ત્યાં સૌથી વધુ ઇજ્જતવાળો તે છે જે સૌથી વધુ સંયમી હોય.”  (ઇબ્નેજરીર)

આ અંગેની એક હદીસના શબ્દો છે ઃ ” અલ્લાહ તમારા ચહેરા અને તમારો માલ નથી જોતો બલ્કે  તે તમારા દિલો અને તમારા કાર્યો જુએ છે.”   (મુસ્લિમ, ઇબ્ને માજહ)

આ શિક્ષણ માત્ર શબ્દો પૂરતું જ મર્યાદિત રહ્યું નથી બલ્કે ઇસ્લામે આ શિક્ષણ અનુસાર ઈમાનવાળાઓની એક વિશ્વવ્યાપી બિરાદરી સ્થાપીને દેખાડી દીધી છે જેમાં વર્ણ, વંશ, ભાષા, દેશ અને કોમનો કોઈ ભેદ નથી, જેમાં ઊંચ-નીચ, અસ્પૃશ્યતા અને ભેદભાવ અને પૂર્વગ્રહનો અંશ માત્ર નથી, જેમાં સામેલ થનાર તમામ માનવો વંશ, કોમ, દેશ અને રાષ્ટ્રના ભેદભાવ વિના બિલકુલ સમાન અધિકારો  સાથે સામેલ થઈ શકે છે અને થયા છે ! ઇસ્લામના વિરોધીઓને પણ આ કબૂલ કરવું પડયું છે કે માનવીની સમાનતા અને એકતાના સિદ્ધાંતને જેટલી સફળતાપૂર્વક મુસ્લિમ સમાજમાં અમલી સ્વરૃપ આપવામાં આવ્યું છે તેનો જોટો દુનિયાના બીજા કોઈ પણ ધર્મ કે વ્યવસ્થાતંત્રમાં જોવા મળતો નથી-ન તો જોવા જ મળ્યો છે! માત્ર ઇસ્લામ જ એક એવી જીવન-વ્યવસ્થા છે જેણે પૃથ્વી ઉપર બધા જ ખૂણાઓમાં વિસ્તરેલા બેશુમાર વંશો અને કોમોને એકત્ર કરી એક ઉમ્મત બનાવી દીધા.

આ બાબતમાં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે. લગ્ન્ અંગે ઇસ્લામી કાનૂન કુફ્વ અર્થાત્ એક બીજાની બરોબર હોવાને જે મહત્ત્વ આપે છે તેનો અર્થ કેટલાક લોકો એવો કાઢે છે કે કેટલીક બિરાદરીઓ-જ્ઞાાતિઓ ઉમદા-ઉચ્ચ છે જ્યારે કેટલીક નીચી અને હલકી છે તેથી એમની વચ્ચે બેટી વ્યવહાર સામે વાંધો છે. પરંતુ હકીકતમાં આ ખોટો ખ્યાલ છે. ઇસ્લામી કાનૂનની રૃએ દરેક મુસલમાન પુરુષનો મુસલમાન સ્ત્રી સાથે નિકાહ થઈ શકે છે. પણ લગ્ન્જીવનની સફળતાનો આધાર એ વાત ઉપર છે કે બંને વચ્ચે ટેવો, ખાસિયતો, જીવન જીવવાની રીતભાત, કૌટુંબિક પ્રણાલિકાઓ અને આર્થિક તેમજ સામાજિક સ્થિતિમાં વધારેમાં વધારે સામ્ય હોય જેથી તેઓ એકબીજાની સાથે સારી રીતે નિભાવ કરી શકે. કિફાઅતના નિયમ પાછળ આ જ આશય છે. જ્યાં પુરુષ અને સ્ત્રી વચ્ચે આ રીતે વધુ અંતર હોય તો આખી જિંદગીનો સાથ નિભાવી શકાય તેની અપેક્ષા ઓછી જ રાખી શકાય, આથી ઇસ્લામી કાનૂન આવા લગ્ન્ સંબંધ થોપવાને પસંદ કરતો નથી. આમાં બંને પક્ષોમાંથી એક ઉચ્ચ છે અને બીજો હલકો  છે એવું જરા પણ નથી. ખરેખર તો બંને પક્ષોમાં વધારે પડતો તફાવત હોય તો લગ્ન્ના સંબંધો સ્થાપવામાં લગ્ન્જીવન નિષફળ જવાની સંભાવના હોય છે.

ઉપર જે આયતનો ઉલ્લેખ થયો છે તેના અંત ભાગમાં અલ્લાહતઆલાએ ફરમાવ્યું છે ઃ ” બેશક, અલ્લાહ બધું જ જાણનાર અને ખબર રાખનાર છે.”  આનો મતલબ એ છે કે આ વાત તો અલ્લાહ જ જાણે છે કે કોણ ખરેખર ઊંચા દરજ્જાનો છે. લોકોએ આપમેળે ઊંચા અને નીચાના જે ધોરણો ઉપજાવી કાઢયા છે એ અલ્લાહને ત્યાં ચાલવાના નથી. એમ પણ બને કે જેને દુનિયામાં ઉચ્ચ દરજ્જાનો માણસ ગણવામાં આવ્યો હોય તે અલ્લાહના આખરી ફેસલામાં સૌથી નીચી કક્ષાનો ઠરે અને એમ પણ બને કે જે અહીં ઘણો તુચ્છ અને હલકો ગણાતો હોય તે ત્યાં બહુ ઊંચા દરજ્જા પામે. ખરૃં મહત્ત્વ દુનિયાની ઇજ્જત અને અપમાન નથી બલ્કે એ ગુણો છે જે તેને અલ્લાહની નજરમાં ઇજ્જતને પાત્ર બનાવી શકતા હોય. તેથી એ જરૂરી છે કે એ ગુણો માનવી પોતાની અંદર પેદા કરે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments