Friday, May 23, 2025
Homeસમાચારપહલગામ આતંકવાદી હુમલા બાદ દેશના ઘણા ભાગોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા: જમ્મુ-કાશ્મીર...

પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશના ઘણા ભાગોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા: જમ્મુ-કાશ્મીર સ્ટૂડન્ટ્સ એસોસિએશન (JKSA)એ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી | જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ દેશના ઘણા ભાગોમાંથી કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર અને તેમના પર હુમલાના ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA) એ કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમને સુરક્ષા પ્રદાન કરવાની માંગ કરી છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં ડઝન જેટલી ઘટનાઓ સામે આવી છે, જ્યાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા કરવામાં આવ્યા છે. પંજાબ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પ્રયાગરાજ (યુપી), દેહરાદૂન અને અન્ય ઘણા સ્થળોએ કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલાના કેસ સામે આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA) એ સોશિયલ મીડિયા પર કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલાના ઘણા કિસ્સા શેર કર્યા છે, જેમાં કથિત રીતે કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે મારપીટ, દુર્વ્યવહાર અને ધમકીઓનો દાવો કરવામાં આવ્યો છે.

JKSAના રાષ્ટ્રીય સંયોજક નાસિર ખુહામીએ જણાવ્યું હતું કે તેમને ચંદીગઢના ડેરાબસ્સી સ્થિત યુનિવર્સલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી માહિતી મળી હતી કે હોસ્ટેલ પરિસરમાં અડધી રાત્રે કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓએ બળજબરીથી ઘૂસીને કાશ્મીરી વિદ્યાર્થીઓ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમના કપડાં ફાડ્યા અને તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડ્યું હતું. નોંધનીય છે કે સંસ્થામાં 100 થી વધુ કાશ્મીરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પીડિત વિદ્યાર્થી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને સુરક્ષાની ગુહાર લગાવતા જોવા મળી રહ્યા છે. તેમણે માંગ કરી છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

મુખ્યમંત્રી ભગવંત માને જવાબમાં કહ્યું છે કે તેઓ JKSAના સંપર્કમાં છે અને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે. પંજાબ પોલીસના ડીજીપીએ પણ આ મામલાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે.

તેમણે કહ્યું, “નફરત ફેલાવવા અથવા સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાના કોઈપણ પ્રયાસને સહન કરવામાં નહીં આવે.”

JKSAએ એ પણ જણાવ્યું કે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સ્થિત અરની યુનિવર્સિટીમાં પણ કાશ્મીરી વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા. તેમને ‘આતંકવાદી’ કહીને અપમાનિત કરવામાં આવ્યા અને હોસ્ટેલમાંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ડીજીપીએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને કોઈપણ પ્રકારની ભ્રામક અથવા ભડકાઉ સામગ્રી શેર કરવાનું ટાળે.

જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA)ના રાષ્ટ્રીય સંયોજક નાસિર ખુહામીએ એક વિડીયો શેર કરતાં દાવો કર્યો છે કે, “ઉત્તરાખંડમાં, હિંદુત્વ સંગઠન હિંદુ રક્ષા દળે ફરી એકવાર ખુલ્લેઆમ ધમકી આપી છે કે તેઓ આજથી ઉત્તરાખંડમાં કાશ્મીરી મુસ્લિમ વિદ્યાર્થીઓની ઓળખ કરશે અને તેમના પર હુમલો કરશે. આ ધમકી કથિત રીતે પહેલગામમાં પ્રવાસીઓની દુઃખદ હત્યાના બદલામાં આપવામાં આવી છે.”

તેમણે કહ્યું છે કે, “સંગઠનના સભ્યો બેખૌફ થઈને ભડકાઉ અને સાંપ્રદાયિક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, જેમ કે “કાશ્મીરી મુલ્લાઓ, પાછા જાઓ.” તેમણે એક ભયજનક અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં માંગ કરવામાં આવી છે કે તમામ કાશ્મીરી મુસ્લિમ વિદ્યાર્થીઓ આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્ય ખાલી કરી દે.”

JKSAના રાષ્ટ્રીય સંયોજકે માંગ કરતાં કહ્યું છે કે, “અમે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીજીને વિનંતી કરીએ છીએ કે તેઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને સમગ્ર રાજ્યમાં કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.”

ઉત્તરાખંડમાંથી કાશ્મીરી વિદ્યાર્થીઓને નીકળી જવા ધમકી આપતો વધુ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. શેર કરાયેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, “હિન્દુ રક્ષા દળના લલિત શર્માએ કાશ્મીરી મુસલમાનોને આવતી કાલ સુધીમાં ઉત્તરાખંડ છોડી દેવાનો આદેશ આપ્યો છે. તેમનો દાવો છે કે તેમની ‘ટીમો’ આવતી કાલથી પ્રવાસે જશે અને કોઈપણ કાશ્મીરી મુસલમાન સાથે તેમની રીતે કાર્યવાહી કરશે.”

JKSA દ્વારા અન્ય એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ અને યુવાનો તરફથી ઘણાં પરેશાન કરનારા કોલ આવ્યા છે. મકાનમાલિકો સુરક્ષાની ચિંતાનું કારણ આપીને તેમને તાત્કાલિક ઘર ખાલી કરવા કહી રહ્યા છે. કેટલાક લોકો દબાણમાં આવીને પહેલાથી જ ઘર છોડી ચૂક્યા છે.”

તેમણે દાવો કર્યો છે કે, “આ ચિંતાજનક છે. પ્રયાગરાજ એક સંવેદનશીલ વિસ્તાર છે, અને અહીં ઉત્પીડન અને પ્રોફાઇલિંગની આશંકાઓ વધી રહી છે. ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી @myogiadityanath જીને વિનંતી છે કે તાત્કાલિક કાર્યવાહી કરો. આવા તત્વોને નિર્દોષ કાશ્મીરીઓને નિશાન બનાવવાની મંજૂરી ન આપવી જોઈએ. તેમની સુરક્ષા, સન્માન અને ભારતમાં ગમે ત્યાં રહેવાના અધિકારનું રક્ષણ કરવું જોઈએ.”

હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન મીરવાઇઝ ઉમરે કાશ્મીરી વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષાની માંગ કરી છે. તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, “બહારના કાશ્મીરીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલો ડર, જે પહેલગામની ઘૃણાસ્પદ ઘટના પછી હુમલો કરવામાં આવી રહ્યો છે, જેમ કે પ્રસારિત વીડિયોમાં જોઈ શકાય છે, તે અત્યંત ચિંતાજનક છે. સંબંધિત અધિકારીઓને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરું છું.”

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, “જમ્મુ-કાશ્મીર સરકાર તે રાજ્યોની સરકારોના સંપર્કમાં છે જ્યાંથી આ અહેવાલો આવી રહ્યા છે. હું આ રાજ્યોના મારા સમકક્ષ મુખ્યમંત્રીઓના પણ સંપર્કમાં છું અને તેમને વિનંતી કરી છે કે તેઓ વધારાની સાવચેતી રાખે.”

આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, રેસિડેન્ટ કમિશન, જમ્મુ-કાશ્મીર સરકાર, નવી દિલ્હીએ દેશભરમાં અભ્યાસ કરી રહેલા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. રેસિડેન્ટ કમિશન નવી દિલ્હી તરફથી પ્રાપ્ત એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, “વિવિધ રાજ્યોમાં અભ્યાસ કરી રહેલા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ કોઈપણ મદદ/સહાયતા માટે જમ્મુ-કાશ્મીર રેસિડેન્ટ કમિશન, નવી દિલ્હીના નીચેના ટેલિફોન નંબર પર સંપર્ક કરી શકે છે.”

જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA)ના સંયોજક નાસિર ખુહામીએ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટના અંગે કહ્યું છે કે, “મેં પ્રયાગરાજમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા સામનો કરવામાં આવી રહેલા દબાણ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે, મને ખાતરી આપવામાં આવી છે કે આ બાબતને તાત્કાલિક ધ્યાને લેવામાં આવી રહી છે, અને કોઈને પણ કોઈ પણ બહાના હેઠળ કાશ્મીરીઓને હેરાન કરવા, ડરાવવા અથવા નિશાન બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.”

તેમણે કહ્યું, “ઉત્તર પ્રદેશ સરકારે ખાતરી આપી છે કે વાતાવરણને ખરાબ કરવાનો અથવા નિર્દોષ કાશ્મીરીઓમાં ડર ફેલાવવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવાનું ચાલુ રાખીશું અને વિદ્યાર્થીઓની સુરક્ષા, સન્માન અને સમાન વર્તન સુનિશ્ચિત કરવા માટે તેમની સાથે ઊભા રહીશું.”

લેખ સૌજન્યઃ ઇન્ડિયા ટુમોરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments