હઝરત અબૂહુરૈરહ રદી.ની રિવાયત છે કે, મેં અબુલકાસિમ સ.અ.વ.ને એમ ફરમાવતાં સાંભળ્યાં કે, “તમારા પૈકી ઇસ્લામમાં બહેતર એ લોકો છે જે રીતભાત (અખ્લાક)માં વધારે સારાં છે જ્યારે તેઓ (દીનમાં) સમજ ધરાવતાં હોય.” (અલઅદબુલ મુફરદ બાબ હુસ્નુલખુલ્ક ઇઝા ફકુહ પા. ૪૪)
હઝરત અબૂસઈદ અન્સારી રદી.ની રિવાયત છે કે, રસૂલુલ્લાહ સ.અ.વ. નમાઝ માટે ઊભા થતી વખતે (હરોળ સીધી કરવા માટે) અમારા ખભા ઉપર હાથ ફેરવતા અને ફરમાવતા, “બરાબર થઈ જાઓ (હરોળ બનાવવામાં) અવ્યવસ્થા ન ઊભી કરો, નહીં તો તમારા હૃદયોમાં ફૂટફાટ ઊભી થઈ જશે. તમારા પૈકી જે બુદ્ધિ અને સમજ ધરાવે છે, તેઓ મારી નજીક રહે, પછી જેઓ એમની નજીક છે, પછી જે એમની નજીક છે.” (સહીહ મુસ્લિમ, મિસકાત-બાબુલઈમામહ પા. ૯)
અર્થાત્ બુદ્ધિ અને સમજ તેમજ દીનની સભાનતાની દૃષ્ટિએ જે લોકો શ્રેષ્ઠતા ધરાવતા હોય તેમણે નમાઝમાં ઈમાનની નજીક રહેવું જોઈએ, ત્યારે પછી ઉતરતા ક્રમમાં દરજ્જાવાર હરોળ બનાવી જોઈએ.
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદી.ની રિવાયત છે કે, રસૂલુલ્લાહ સ.અ.વ.એ નમાઝ, રોઝા, ઝકાત, હજ્જ તથા ઉમરાહ તેમજ બીજી બધી નેકીઓનો ઉલ્લેખ કરતી વેળા ફરમાવ્યુંઃ “મનુષ્ય આ બધું કરે છે, પરંતુ કયામતના દિવસે સમજ અને અક્કલ પ્રમાણે જ તેને બદલો મળશે.” (મિશ્કાત – બાબુલહઝૂર પા. ૪૨૨)
સમજૂતીઃ મનુષ્ય જેટલા પ્રમાણમાં સમજ અને બુદ્ધિપૂર્વક ઇબાદતો અદા કરશે તેટલા જ પ્રમાણમાં તે ઇબાદતના મૂળ આશયથી વાકેફ રહેશે. તેને એ આનંદ મળશે જે અલ્લાહના નેક બંદાઓને આવા સમયે હકીકતમાં ખુશ અને આનંદવિભોર કરી દે છે. *