Tuesday, April 16, 2024
Homeલાઇટ હાઉસડૉકટર એ.પી.જે. અબ્દુલ કલામ : સાચી લગનનો આદર્શ નમુનો!

ડૉકટર એ.પી.જે. અબ્દુલ કલામ : સાચી લગનનો આદર્શ નમુનો!

આ જીવનની સત્યતા છે કે અહીં તે જ મુકદ્દરનો સિકંદર હોય છે, જે યાત્ના-મુશ્કેલીઓને જીવનનો ભાગ સ્વીકાર કરીને સફળતાના શિખર સુધી પહોંચવાના પ્રયાસો કરે છે. ખરેખર આ જ લોકો સો વર્ષ જીવતા નથી, પરંતુ સૈકાઓ તેમની સિદ્ધીઓ તથા વિચારધારા સામે નમન કરે છે અને જીવનની નવી પેઢીની અંદર સાહસ, અચળ માનસિકતા તથા અણથક પ્રયાસોની જ્વલંત મશાલ પ્રગટાવે છે. આવી જ વિશ્વની અસંખ્ય પ્રસિદ્ધ વિભૂતિઓમાં એક નામ “ડૉ. અબ્દુલ કલામ”નું પણ છે, જે નિષ્ફળતાઓ અને મુશ્કેલીઓમાં ઉછરીને વૈજ્ઞાનિક બન્યા. આર્થિક અવદશા, લાગલગાટ નિષ્ફળતાઓ તેઓના સાહસને ઠંડુ ન કરી શકયા. આ લખાણમાં મારો ઉદ્દેશ્ય ડૉ. કલામનું સમગ્ર જીવન વૃત્તાંત ઉજાગર કરવું છે, અને વિદ્યાર્થીઓમાં સકારાત્મક વિચાર અને શ્રેષ્ઠ કાર્યનિતિ પ્રતિ ધ્યાનાર્ષિક કરવું છે. હતાશાના જંગલથી બહાર કાઢીને આત્મવિશ્વાસની નાવ પર પ્રવાસ કરાવીને વિશ્વને કંઈક આપવું સ્વપ્ન દેખાડવા સમાન છે. આ એક એવી વ્યક્તિનું વર્ણન છે જેણે અજ્ઞાત ઘરમા જન્મ લીધો અને પોતાની લગન લાયકાતોથી ભારતના ભાગ્ય વિધાતા બની ગયા.

ડૉકટર એ.પી.જે. અબ્દુલ કલામ, મિસાઇલ મેન ઑફ ઇન્ડિયાનું જીવન લોકોમાં ખાસ કરીને વિદ્યાર્થી-નવયુવાનોને જીવન જીવવાની કળા શિખવે છે, ત્યાં જ આપના સુવિચારો સાહસો અને ઉદ્દેશ્યોને બળ પુરૃ પાડવાનું કાર્ય કરે છે. તેઓ કહેતા હતાં કે રાહ જોનારાઓને એટલું જ મળે છે જેટલું શ્રમ કરનારા છોડી દેતા હોય છે.

પરિવાર: ડૉકટર અબ્દુલ કલામ ૧૫ ઓકટોબર ૧૯૩૧માં જિલ્લા રામેશ્વરમ, તામિલનાડૂના નિર્ધન કુટુંબમાં જન્મ્યા હતાં. આપના પિતાનું નામ ઝૈનુલઆબેદીન અને માતાનું અશીયામા હતું. પિતાજીની પોતાની માલિકીની નાવડી હતી જે તેઓ ભાડે આપતાં રહેતા હતા. આપના પિતા નેક અને સજ્જન મનુષ્ય હતા અને માતા દયાળુ મહિલા. અબ્દુલ કલામ પોતાના માતા-પિતા વિશે કહે છે, “મને આત્મપરાયણતા મારા પિતાથી મળી અને માતાથી ભલાઈ પરનો વિશ્વાસ અને દયાળુતા.”  એક દિવસે આપના પિતાજીએ તેમને સંબોધીને કહ્યું કે જ્યારે આફત આવે તો આફતનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. મુશ્કેલીઓ હંમેશા પોતાને સમજવાના અવસરો આપતી હોય છે.

બાળપણનું સ્વપ્ન: કહેવાય છે કે સ્વપ્ન જોવાના પૈસા થતા નથી. સ્વપ્ન ધનવાન હોય છે અને ન જ નિર્ધન. સ્વપ્ન તો સ્વપ્ન હોય છે. જેને ધનવાન પણ જુએ છે અને નિર્ધન પણ, પછી ભલે તે નાનું હોય કે મોટું. ડૉ. અબ્દુલ કલામનું બાળપણથી એક સ્વપ્ન હતું કે તેઓ ફાયટર પાયલોટ બનશે. આ કમજોર બાંધા અને નિર્બળ બાળકે ન તો કુટુંબની ગરીબી જોઈ અને ન જ સંસાધનોની ઓછપના રોદણાં રોયા. બસ હંમેશા ઉડતા પક્ષીઓને જોઈને પોતાના સ્વપ્ન સાચા કરી દેખાડવા મથતા. એક દિવસે આપની શાળાના શિક્ષક પ્રેકટીકલ પ્રોગ્રામ માટે બધા બાળકોને સમુદ્રના કિનારે લઈ ગયા. ત્યાં પક્ષીઓની ઉડાન અને સમુદ્રના સૌંદર્યનો પરીચય કરાવ્યો. ત્યાર પછી અબ્દુલ કલામનું ફાયટર પાયલોટ બનવાનું સ્વપ્ન તેમના  ચેહરા ઉપર પણ સ્પષ્ટ દેખાવા લાગ્યું.

નિર્ધનતાએ આપને અખબારી ફેરીયા તો બનાવી દીધા. પરંતુ હૃદયમાં બળતી ફાયટર પાયલોટ બનવાની ઝંખના આ જ્વાળાને ક્યારેય બુઝાની ન શકી. અલ્લાહે ક્યારેય વાયદો નથી કર્યો કે જીવન પર્યન્ત ફુલોથી ભરેલા માર્ગોે મળશે. સૂર્ય છે તો વાદળ નહીં હોય, ખુશી છે તો ગમગીની નથી, સુકુન છે તો દર્દ નહી હોય. કારણ કે અહીં લોખંડ પણ ત્યારે જ કુંદન બને છે જ્યારે તેને આગની ભઠ્ઠીમાંથી પસાર કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી નબલી હોય તેણે સાહસ છોડવું જોઈએ નહીં.

શૈક્ષણિક પ્રવાસ: રામેશ્વરમની શાળાથી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી આપે તિરૃચિરાપલ્લીની સેન્ટ જોસેફ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. ગ્રેજ્યુએશન પુર્ણ કર્યા પછી. ડૉ. અબ્દુલ કલામે અનુભવ્યું કે ફિઝિક્સ મારી પસંદગીનો વિષય નથી. મારા સ્વપ્નની પુર્ણતા માટે મારે એન્જીનીયરીંગમાં જવું જોઈતું હતું. બસ આ વિચાર આવતાં જ ડૉ. કલામે મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી (MIT)માં Airospace Engg.માં પ્રવેશ મેળવી લીધો. MITમાં પ્રવેશ ખુબ મોંઘો હતો. ઓછામાં ઓછા ૧૦૦૦ રૃપિયાની જરૃર હતી. આપના પિતા કને એટલા પૈસા ન હતા કે દિકરાના પ્રવેશને વિશ્વનીય બનાવી શકે. તે સમયે આપની બહેને સોનાની ચેન વેચીને કોલેજ ફીની વ્યવસ્થા કરી હતી. MITમાં અબ્દુલ કલામને મઝા પડતી હતી. અને તેઓ MITમાં પ્રદર્શિત હવાઈ જહાઝને જોઈને ખૂબ આકર્ષણ અનુભવતાં હતા. જ્યારે બાળકો હોસ્ટેલ પહોંચી જતા ત્યારે અબ્દુલ કલામ કેટલાય કલાકો વિમાન પાસે પસાર કરતાં હતાં અને પોતાના સ્વપ્નને વાસ્તવિકતાની છબી આપવા પ્રયત્નો કરતા હતાં. ડૉ. કલામ કહેતા હતાં: “Dreams are not that which comes when you sleep, Dream are that which won’t let you sleep” સ્વપ્ન તે નથી હોતાં જે તમો ઉંઘમાં જુઓ છો. બલ્કે સ્વપ્ન તે હોય છે જે તમોને સુવા ન દે. ખરેખર અબ્દુલ કલામે જે સ્વપ્ન જોયું હતું, તેણે ક્યારેય ચૈનથી તેમને સુવા ન દિધા.

પોતાના સ્વપ્નને વાસ્તવિકતાનું રૃપ આપવા માટે અબ્દુલ કલામે Indian Air Force (દેહરાદૂન) અને ડિફેન્સ રીસર્ચ (દિલ્હી)માં અરજી આપી. જ્યારે પરીણામ આવ્યું તો જોયું કે I.A.F.માં પ્રવેશ માટે ૧૮ ઉમેદવારોની જરૃર હતી. પરંતુ આપને નવમું સ્થાન મળયું. આવી રીતે આપનું ફાયટર પાયલોટ બનવાનું સ્વપ્ન બસ હવે સ્વપ્ન જ રહી ગયું. આ દુઃખને લઈને આપ રિશીકેશ ચાલ્યા ગયા. I.A.F.માં અવસર ન મળવાથી કલામ નાસીપાસ જરૃર થયા હતાં. પરંતુ આશાનું કિરણ હજુ પણ હૃદયને પ્રકાશિત કરી રહ્યું હતું. ડિફેન્સનું પરિણામ જાણવા માટે આપ દિલ્હી રવાના થયા. ત્યાં હાથમાં સીધો જ એક Appointment નિમણૂંક પત્ર મળ્યો અને બીજા જ દિવસે Senior Scientific Assistantના હોદ્દા ઉપર ૨૫૦ રૃપિયા માસિક વેતન પર આપ નિયુક્ત કરી દેવાયા. આ એટલા માટે કે આપે એન્જીનીયરીંગના શિક્ષણમાં કેટલાય અગત્યના પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું અને ડિઝાઈન તૈયાર કરી હતી. ત્રણ વર્ષ અહીં કામ કર્યા પછી ડૉ. કલામને Aeronatical Development Establishment બેંગ્લોરમાં નિયુક્ત કરી દેવાયા. જ્યાં આપે સ્વદેશી એરક્રાફ્ટ “નન્દી” પર કામ કર્યું. “નન્દી” પર કામ કર્યાના એક સપ્તાહ પછી ડૉ. કલામ ઇન્ટરવ્યૂ આપવા માટે ધી ઇન્ડિયન કમિટિ ફોર સ્પેસ રિસર્ચ મુંબઈ ગયા. જ્યાં ડૉ. કલામને પસંદ કરી લેવાયા. તે જ દિવસોમાં ૧૯૬૨માં પ્રથમ રોકેટ Pad તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

નિષ્ફળતા-વાંધાઓ: ૧૦ ઑગષ્ટ ૧૯૭૯માં ભારત ડૉ. કલામના નેતૃત્વમાં પ્રથમ SLV-III બનાવવા જઈ રહ્યું હતું. સમગ્ર ભારતની નજરો ડૉ. કલામના નેતૃત્વ પર ટકેલ હતી. પહેલા તો લોકોના વાંધાઓએ ખૂબ સક્રિય થયા કે જે દેશમાં બે ટંક ખાવા માટે રોટલા નથી, ત્યાં Airospace સંગઠનોને કેમ અગત્યતા અપાઈ રહી છે. પરંતુ કલામની દૃષ્ટિ કંઇક બીજે જ ટકેલ હતી. તેઓ ભારતને સાયન્સ-ટેકનોલોજીની મહાસત્તા રૃપે સજ્જ કરવા માટે ચિંતિત હતાં. વાંધાઓના સમુદ્રમાં તેઓ SLV-III તૈયારી માટે કિનારા પર આવવાના પ્રયત્નો કરતા રહ્યા. લગભગ ૭ વર્ષના અણથક પરિશ્રમ પછી SLV-IIIની સફળ ઉડાન ન ભરી શકાઈ. અને ૭ ટનનું રોકેટ ૩૧૭ સેકન્ડની અંદર જ સમુદ્રમાં ગરકાવ થઈ ગયું. આટલા પરિશ્રમ પછી નિષ્ફળ થઈ જવું, જાણે કે જીવનની મોટી બાજી હારી જવું છે. પરંતુ કલામ હતાશ થયા નહીં અને ન જ શાંત. પછી ફરીથી જોતરાઈ ગયા કામમાં. ફકત એક વર્ષના અંદર જ SLV-III નવી ઉડાન ભરવામાં સફળ થઈ ગયું. SLV-IIIની સફળતા પછી કલામે અગ્નિ મિસાઈલ પર કામ કરવું શરૃ કર્યું. તેમાં પણ આપને કેટલાય વાંધાઓ-નિષ્ફળતાઓનો સામનો કરવો પડયો. અને મિસાઈલની સફળતામાં પાંચ વર્ષનો સમય વીતી ગયો. દસ વર્ષની અંદર ડૉ. કલામે બૌદ્ધિકોની એક ટીમની સાથે મળીને ત્રિશુલ, પૃથ્વી, આકાશ અને નાગ મિસાઈલ બનાવ્યા.

ડૉ. કલામના નિરંતર પ્રયાસો આ વાક્યને સાર્થક કરે છે; End is not the end. If fact E.N.D. means Effort Nerver Dies. મિસાઈલોની તૈયારીમાં ડૉ. કલામને લોકોના વાંધાઓ પણ સહન કરવા પડયા, અને સાથે નિષ્ફળતાઓનો ભાર પણ ઉપાડવો પડયો. પરંતુ ક્યારેય આપ થાકીને નાસીપાસ થઈ બેસી ન ગયા. કલામ કહે છે આપત્તિ સફળતાની ચાવી છે. મુસીબત વિના તમો સફળતાની ડેલી પર પગ પણ મુકી નહીં શકો.

જન સામાન્ય પ્રમુખ: ડૉ. કલામ ખૂબ જ સાદગી પ્રિય માણસ હતા. લોકોની સાથે મુલાકાત, વાત કરવાની ઢબ અને પહેરવેશની સાદગી એવી જ હતી જે પ્રમુખ બન્યાં પહેલાં હતી તે પોતે જ એક ઉદાહરણ છે. એટલે જ પ્રજા તેમને લોક પ્રમુખ (People President)ના નામે યાદ કરે છે. પ્રમુખ બન્યાં પહેલાં અને પછી આપે જે સાદગી અને પદ્ધતિ અપનાવી તે ઉદાહરણીય છીએ. કેટલાંક ઉદાહરણોથી આની ઝાંકી થઈ શકશે.

૧) પ્રમુખ બનતાં જ સૌ પ્રથમ મોચી અને ઢાબાવાળાને આપે નિમંત્રણ આપ્યું જ્યાં આપ અવાર-નવાર જતાં હતા.

૨) જ્યારે આપ DRDOના ડાયરેક્ટર હતા તે સમયે અગ્નિ મિસાઈલ પર કામ ચાલી રહ્યું હતું. કામનું દબાણ વધુ હતું. એ દરમ્યાન એક સાથી કર્મચારીએ કહ્યું કે મે પોતાના બાળકોથી વાયદો કર્યો છે કે તેમને આજે પ્રવાસે લઈ જઈશ. તેના ઉપર આપે હકાર ભણી.પરંતુ તે માણસ કામમાં વ્યસ્ત થઈ ગયો. ડૉ. કલામ પોતે જાણ કર્યા વિના તેના બાળકોને ફરાવવા લઈ ગયા.

૩) DRDOના સંરક્ષણ અને મજબૂતીને લઈને વાત ઉપડી. તેની ચારેય તરફ દિવાલો પર કાંચ લગાવવા પર ચિંતન કરવા લાગ્યા. ત્યારે ડૉ. કલામે પક્ષીઓના જખ્મી થવાની શંકાઓને લઈને તેને નામંજૂર કરી દીધું.

૪) ૨૦૦૨માં જ્યારે આપ પ્રમુખ બનાવવામાં આવ્યા તે સમયે આપ એક શાળાના નિમંત્રણ પર સલામતીદસ્તા વિના જ ચાલ્યા ગયા હતા.

૫) સિમન નામક વ્યક્તિ આપની એક તસ્વીર બનાવીને મોકલે છે તો ડૉ. કલામે તેના જવાબમાં Thank You કાર્ડ મોકલ્યા. સિમન આશ્ચર્યચરિક થઈ ગયો કે એક રાષ્ટ્રપ્રમુખે તેને પ્રત્યુત્તર પાઠવ્યો છે.

૬) જ્યારે આપના પરિવારના લોકો રાષ્ટ્ર ભવનમાં રહેવા આવ્યા તો બધા ખર્ચ ડૉ. કલામેે પોતે ઉપાડ્યો. અહીં સુધી કે ચાનો ખર્ચ પણ સ્વંય ઉપાડતા હતા.

૭) રાષ્ટ્રપતિના હોદ્દા પર રહેવા છતાં પોતાની બધી મૂડી અને મળનાર વેતનને ટ્રસ્ટના નામે કરી દીધું.

પુષ્તકોના લેખક: વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ હોવાની સાથે આપ એક શ્રેષ્ઠ લેખક પણ હતા. પરિસ્થિતિઓ અને ભવિષ્યની રણનીતિઓ પર આપની નજર હતી. તે બરાબર કેમેરાનું કાર્ય કરતી હતી. આપે કેટલાય પુસ્તકો લખ્યાં, જેમાં અગનપંખ, ઇ.સ. ૨૦૨૦, Ignited Minds, Inspiring Thoughts વિ. વર્ણન કરવા યોગ્ય છે.

પુરષ્કાર:  ડૉ. કલામના વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રયાસો અને શ્રેષ્ઠ કામગીરીઓ પર ભારત સરકાર દ્વારા પદ્મભુષણ (૧૯૮૧), પદ્મવિભુષણ અને ભારત રત્ન (૧૯૯૭) જેવા અગત્યના પુરષ્કારોથી સંમાનિત કરાયા. U.K. તરફથી કિંગ્સ ચાર્લ્સ – ૨(U.S.A. 2007), અસ્મા ફાઉન્ડેશન તરફથી ઑનર મેડલ (૨૦૦૮), કેલીફોર્નિયા યુનિ. તરફથી વૉન કારમાન વિંગ્સ પુરષ્કાર (૨૦૦૯)થી સંમાનિત કરાયા.

આપને આ સન્માન પણ પ્રાપ્ત છે કે વિશ્વની લગભગ ૪૦ યુનિવર્સિટીઓએ આપને ડૉકટરેટની પદવીથી સંમાનિત કર્યા છે. આપના ૭૯મા જન્મદિવસને United Nation દ્વારા “વૈશ્વિક વિદ્યાર્થી દિવસ” તરીકે મનાવવામાં આવ્યો.

બાળકો સાથે: ડૉ. કલામ જ્યારે વિદ્યાર્થીઓને સંબોધતા ત્યારે તેમની સાથે હળી-મળી જતા હતા. અને પોતાના અનન્ય વિચારો અને પ્રોત્સાહિત કરતી વાતોથી રાષ્ટ્રના ઘડવૈયાઓને ખરૃં ચિંતન અને દૃષ્ટિકોણ આપવાના પ્રયાસ કરતા હતા. આજે પણ શાળાના વિદ્યાર્થીઓ આપની વાતોને યાદ કરે છે અને આપના કથનો-સુવિચારોથી પ્રાયોગિક જીવન પ્રતિ પ્રયાણ કરવાના પ્રયત્નો કરે છે.

આમ તો ડો. કલામના કેટલાય સુવિચારો છે પરંતુ ત્રણ વાતો જે હંમેશા વિદ્યાર્થીઓમાં પ્રેરક બળનું કાર્ય કરી રહી છે.  પ્રથમ આ કે, ડૉ. કલામે કહ્યું હતુંઃ ચાર વાતો પોતાનાથી કરો. (૧)  હું સૌથી સારો છું. (૨) હું આ કામ કરી શકું છું. (૩) ચેમ્પીયન હતો અને છું. (૪) આજનો દિવસ મારો છે.  બીજી વાત આ કે હંમેશા બીજાઓને આપવાની ચિંતા કરો અને દરેક ક્ષણ આ પ્રયત્ન કરો કે હું હવે શું આપી શકું  છું અને વિચાર કરતા રહો What I can give?  ત્રીજી વાત કલામ કહે છે “If u want to shine like a sun, burn like a sun.”  સૂર્યની જેમ ચમકવા ઇચ્છો છો તો સૂર્યની જેમ બળવું પડશે.

આ તે વાતો છે જેને ડૉ. કલામ વિદ્યાર્થીઓથી વારે ઘડીએ કહ્યા કરતા હતા. ખરેખર દરેક વાક્ય પોતાને પારખવા, સમજવાનો અવસર આપે છે.

છેલ્લી વાત: ડૉ. કલામનું જીવન આપણને કેટલાક બોધપાઠ આપે છે. જેને મસ્તિષ્કમાં રાખવા દરેક વિદ્યાર્થી માટે જરૂરી છે.

(૧) પોતાના જીવનનો એક મોટો ઉદ્દેશ્ય હોય અને બધી શક્તિઓ આ ઉદ્દેશ્યની પ્રાપ્તિમાં વાપરવી.

(૨) તે ક્ષેત્રની પસંદગી કરો જેમાં રૃચિ હોય અને જે તમારૃં પસંદગી પાત્ર હોય. અન્યોના દબાણ અને પરિસ્થિતિઓને જોઈને કાર્યક્ષેત્રની પસંદગી ન કરો.

(૩) દુઃખો અને મુશ્કેલીઓ જીવનનો ભાગ છે. એટલા માટે નાસીપાસ થયા વિના તેનો મુકાબલો કરવામાં આવે. કારણ કે સફળતાનો માર્ગ દુઃખો અને મુશ્કેલીઓથી જ પસાર થાય છે.

(૪) હંમેશા સમાજ અને દેશને આપવાની ચિંતા કરો. દેશની પ્રગતિમાં પોતાની ભાગીદારીને વિશ્વસનીય બનાવો. કારણ કે લેવાની ટેવ ફકીરની હોય છે.

મંઝિલ પે પહોંચને કી તલબ હોતી હૈ જિનકો

રસ્તો પે ખડે હોકર સોચા નહીં કરતે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments