જમાઅતે ઇસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે સરકારે મેક્રો ઇકોનોમિક સ્થિરતા, મૂડીગત ખર્ચ (Capital Expenditure) અને નાણાકીય શિસ્ત પર ભાર મૂક્યો છે, પરંતુ આ બજેટ નવા રોજગાર પેદા કરવામાં, સામાજિક ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવામાં, વધતી અસમાનતા અને જાહેર દેવાના વધતા બોજને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે.
મીડિયા માટે જારી કરેલા એક નિવેદનમાં જમાઅતના અધ્યક્ષે કહ્યું કે, “જમાઅતે ઇસ્લામી હિંદે બજેટ પહેલા નાણા મંત્રાલયને વિસ્તૃત નીતિ વિષયક સૂચનો આપ્યા હતા, જેમાં શ્રમ-આધારિત વિકાસ (Labour-intensive growth), માંગ પક્ષને મજબૂત ટેકો, સંપત્તિની યોગ્ય વહેંચણી અને લઘુમતીઓ સહિતના નબળા સમુદાયો માટે વિશેષ પગલાંની અપીલ કરવામાં આવી હતી. કમનસીબે, બજેટ હજુ પણ મૂડી-આધારિત વિકાસને પ્રાધાન્ય આપી રહ્યું છે, જ્યારે બેરોજગારી અને સામાજિક બહિષ્કારને દૂર કરવા માટે મર્યાદિત નક્કર પગલાં લેવામાં આવ્યા છે.”
સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ ઉમેર્યું કે, બજેટમાં ₹૧૨.૨ લાખ કરોડથી વધુનો વિક્રમી મૂડી ખર્ચ લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મદદરૂપ થઈ શકે છે, પરંતુ તેની રોજગાર અને ઘરગથ્થુ આવક પર તાત્કાલિક અસર મર્યાદિત રહેશે, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો, ગ્રામીણ પરિવારો, મહિલાઓ અને યુવાનો પર. આરોગ્ય (₹૧.૦૩ લાખ કરોડ) અને શિક્ષણ (₹૧.૩૯ લાખ કરોડ) જેવા સામાજિક ક્ષેત્રો પરનો ખર્ચ નિર્ધારિત રાષ્ટ્રીય નીતિના લક્ષ્યો કરતાં ઘણો ઓછો છે.
જમાઅતના અધ્યક્ષે પાછલા વર્ષોમાં મહત્વની કલ્યાણકારી યોજનાઓના ફંડના ઓછા વપરાશ તરફ પણ ધ્યાન દોર્યું, જેનો ખુલાસો ખુદ બજેટ દસ્તાવેજોમાં થયો છે. તેમણે કહ્યું કે પીવાનું પાણી, આવાસ અને રોજગાર જેવી મોટી યોજનાઓમાં ફાળવણી અને વાસ્તવિક ખર્ચ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. લઘુમતી કલ્યાણ અંગે તેમણે જણાવ્યું કે, મંત્રાલય માટેની ફાળવણી વધારીને અંદાજે ₹૩,૪૦૦ કરોડ કરવામાં આવી છે, પરંતુ સમુદાયના પડકારોની સરખામણીમાં આ રકમ અત્યંત ઓછી છે. વહીવટી વિલંબને કારણે શિષ્યવૃત્તિ જેવી યોજનાઓના ફંડનો પૂરો ઉપયોગ ન થવો તે ગંભીર બાબત છે. અમલીકરણ વિનાની જાહેરાતો માત્ર ‘કાગળ પરના વાયદા’ બની રહે છે.
જમાઅતે ઇસ્લામી હિંદે દેવા પર વધતી નિર્ભરતા અને વ્યાજની ચૂકવણીના ખર્ચ અંગે પણ ચેતવણી આપી છે. બજેટ દસ્તાવેજો મુજબ દેવું એ સરકારની કમાણીનો મોટો સ્ત્રોત છે અને વ્યાજની ચૂકવણી કુલ ખર્ચનો પાંચમો ભાગ છે. સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ સરકારને તેમની નાણાકીય પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરવા અને વધુ માનવીય, સર્વસમાવેશક અને નૈતિક મૂલ્યો પર આધારિત આર્થિક માળખું અપનાવવા આગ્રહ કર્યો હતો. આ અંગેની વિગતવાર માહિતી જમાઅતે ઇસ્લામી હિંદના નવી દિલ્હી સ્થિત મુખ્યાલય ખાતેથી મીડિયા વિભાગના રાષ્ટ્રીય સચિવ સલમાન અહમદ દ્વારા સત્તાવાર રીતે જારી કરવામાં આવી છે.
