Homeઓપન સ્પેસઇસ્લામી નવું વર્ષ: આત્મ-નિરીક્ષણ અને ઈમાનની તાજગીનો અવસર

ઇસ્લામી નવું વર્ષ: આત્મ-નિરીક્ષણ અને ઈમાનની તાજગીનો અવસર

મુહર્રમુલ હરામની ફઝીલત

  • મુહમ્મદ અસદ ફલાહી

કુર્આન પાકમાં અલ્લાહ તઆલાએ ઇર્શાદ ફરમાવ્યો છે: “હકીકત એ છે કે મહિનાઓની સંખ્યા જ્યારથી અલ્લાહે આકાશ અને ધરતી પેદા કર્યા છે, ત્યારથી અલ્લાહના લેખમાં બાર જ છે અને તેમાંથી ચાર મહિના હરામ (પ્રતિષ્ઠિત) છે, આ જ યોગ્ય નિયમ છે.” (સૂરહ તૌબા-36)

અલ્લાહ તઆલાએ સમય અને કાળની રચના કરી છે અને પોતાની હિકમત (જ્ઞાન) હેઠળ કેટલાક સમયગાળાને અન્ય સમયગાળા પર શ્રેષ્ઠતા આપી છે. જેવી રીતે તમામ સ્થળોમાં મક્કા મુકર્રમા અને મદીના મુનવ્વરાને ખાસ સન્માન આપવામાં આવ્યું છે, તેવી જ રીતે વર્ષના બાર મહિનાઓમાં કેટલાક મહિનાઓને વિશેષ આદર અને ભવ્યતા પ્રદાન કરવામાં આવી છે. મુહર્રમુલ હરામ આ જ મહાન અને બરકતવાળા મહિનાઓમાંથી એક છે. આ ઇસ્લામિક વર્ષનો પ્રથમ મહિનો છે, જે એક મોમિનને એ સંદેશ આપે છે કે જેવી રીતે એક નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, તેવી જ રીતે તેના જીવનના એક નવા પ્રકરણની શરૂઆત પણ અલ્લાહ તઆલાની આજ્ઞાપાલન, તૌબા અને આત્મ-સુધારણા સાથે થવી જોઈએ.

અફસોસની વાત છે કે આપણામાંથી મોટાભાગના લોકો નવા વર્ષને માત્ર કેલેન્ડર બદલવાની પ્રક્રિયા સમજે છે. જ્યારે કે, એક મોમિન માટે દરેક નવું વર્ષ એ યાદ અપાવે છે કે તેના આયુષ્યનો એક વધુ ભાગ વીતી ગયો છે અને તે પોતાના રબને મળવાની વધુ નજીક પહોંચી ગયો છે. અલ્લાહ તઆલા ઇર્શાદ ફરમાવે છે કે આ પવિત્ર મહિનાઓમાં ગુનાઓથી બચવા, નેકીઓમાં વધારો કરવા અને પોતાના કાર્યોનું મૂલ્યાંકન કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મુફસ્સિરીન (કુરાનના વિવેચકો) એ લખ્યું છે કે આ મહિનાઓમાં નેકીઓનું પુણ્ય વધી જાય છે અને પાપોની ગંભીરતા પણ વધી જાય છે, કારણ કે આ મહિનાઓનો સંબંધ અલ્લાહ તઆલા દ્વારા નક્કી કરાયેલા આદર સાથે છે.

મુહર્રમુલ હરામની શરૂઆત આપણને એક મહત્વપૂર્ણ વાસ્તવિકતા તરફ દોરી જાય છે અને તે છે ‘સમયની કિંમત’. દુનિયાની સૌથી કિંમતી દોલત સમય છે, કારણ કે જે ધન ખર્ચ થઈ જાય તેને ફરીથી મેળવી શકાય છે, પરંતુ જે સમય વીતી જાય તે ક્યારેય પાછો આવતો નથી. આજે આપણે ઇસ્લામિક વર્ષની એક નવી શરૂઆત પર ઊભા છીએ, પરંતુ આપણે એ વિચારવું જોઈએ કે વીતેલા વર્ષમાં આપણે શું ગુમાવ્યું અને શું મેળવ્યું? શું આપણી નમાઝોમાં સુધારો થયો? શું કુર્આન સાથે આપણો સંબંધ મજબૂત બન્યો? શું આપણે માતા-પિતાના હકો અદા કર્યા? શું આપણે આપણા પાપોની માફી માંગી? જો આ સવાલોના જવાબો સંતોષકારક ન હોય, તો મુહર્રમની શરૂઆત આપણા માટે એક નવા સંકલ્પ અને નવા જીવનની ઉત્તમ તક છે. રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું:

“બુદ્ધિશાળી એ છે જે પોતાના નફ્સ (મન)નું મૂલ્યાંકન કરે અને મૃત્યુ પછીના જીવન માટે સત્કર્મો કરે.” (સુનન અત-તિર્મિઝી: ૨૪૫૯)

ઇસ્લામિક વર્ષની શરૂઆત આપણને રસૂલે અરબી ﷺ ની ‘હિજરત’ (મક્કાથી મદીના પ્રસ્થાન) ની યાદ પણ અપાવે છે, કારણ કે ઇસ્લામિક હિજરી કેલેન્ડરનો પાયો હિજરત પર રાખવામાં આવ્યો છે. હિજરત માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ તે બલિદાન, સબર, સમર્પણ, તવક્કુલ (અલ્લાહ પર ભરોસો) અને દીન માટે સર્વસ્વ કુરબાન કરી દેવાની ભાવનાનું નામ છે. સહાબા કિરામએ પોતાના ઘરબાર, જમીન, વેપાર અને આરામ છોડી દીધા, પરંતુ પોતાના ઈમાન અને દીન સાથે કોઈ બાંધછોડ ન કરી. જાણે કે ઇસ્લામિક વર્ષનો પહેલો સંદેશ એ છે કે મોમિનના જીવનમાં દીન સૌથી કિંમતી વસ્તુ છે, અને જ્યારે પણ દીન અને દુનિયા વચ્ચે પસંદગી કરવાનો સમય આવે, ત્યારે મોમિન દીનને જ પ્રાથમિકતા આપે છે.

યૌમે આશૂરા (આશૂરાના દિવસ)નું મહત્વ

મુહર્રમુલ હરામની શ્રેષ્ઠતાનું સૌથી મોટું પ્રતીક ‘યૌમે આશૂરા’ (એટલે કે મુહર્રમ મહિનાની ૧૦મી તારીખ) છે. આ દિવસનું મહત્વ ઇસ્લામ પૂર્વે પણ જાણીતું હતું, પરંતુ ઇસ્લામે તેને એક નવો અર્થ આપ્યો અને તેને અલ્લાહ તઆલાની નિયામતોને યાદ કરવાનું તથા તેનો આભાર અદા કરવાનું માધ્યમ બનાવ્યો. એક મોમિન જ્યારે આશૂરાના દિવસને યાદ કરે છે, ત્યારે તેના દિલમાં એ વિશ્વાસ તાજો થાય છે કે સત્ય ક્યારેય નાશ પામતું નથી, ભલે તે કામચલાઉ ધોરણે નબળું દેખાય; અને અસત્ય ક્યારેય કાયમી સફળ થતું નથી, ભલે તે ક્ષણિક રીતે શક્તિશાળી દેખાતું હોય.

રસૂલુલ્લાહ ﷺ જ્યારે મદીના મુનવ્વરા પધાર્યા, ત્યારે તેમણે જોયું કે યહૂદીઓ આશૂરાનો રોઝો રાખે છે. આપ ﷺ એ જ્યારે તેનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે આ એ દિવસ છે જે દિવસે અલ્લાહ તઆલાએ હઝરત મૂસા (અ.સ.) અને બની ઇઝરાઇલને ફિરઔનના જુલમમાંથી મુક્તિ અપાવી હતી અને ફિરઔનને તેના લશ્કર સહિત દરિયામાં ડૂબાડી દીધો હતો. આ નિયામતના શુક્રાના તરીકે હઝરત મૂસા (અ.સ.) એ રોઝો રાખ્યો હતો, તેથી અમે પણ રોઝો રાખીએ છીએ. આ સાંભળીને રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું:

“અમે તમારા કરતાં હઝરત મૂસા (અ.સ.) પર વધુ હક ધરાવીએ છીએ.” (સહીહ અલ-બુખારી: ૨૦૦૪, સહીહ મુસ્લિમ: ૧૧૩૦)

ત્યારબાદ આપ ﷺ એ પોતે પણ આશૂરાનો રોઝો રાખ્યો અને સહાબા કિરામને પણ તેનો આદેશ આપ્યો. હઝરત મૂસા (અ.સ.) અને ફિરઔનનો આ કિસ્સો માનવજાત માટે એક મોટો પાઠ છે. ફિરઔનને પોતાની સત્તા, લશ્કર અને સંસાધનો પર ઘમંડ હતો. તે સમજતો હતો કે દુનિયામાં તેની સામે કોઈ શક્તિ નથી. બીજી તરફ, હઝરત મૂસા (અ.સ.) પાસે દેખીતી રીતે ન તો મોટું લશ્કર હતું કે ન તો દુનિયાની કોઈ તાકાત, પરંતુ તેમની સાથે અલ્લાહ તઆલાની મદદ હતી. જ્યારે બંને વચ્ચે મુકાબલો થયો, ત્યારે દુનિયાએ જોયું કે સમુદ્રએ હઝરત મૂસા (અ.સ.) માટે રસ્તો કરી આપ્યો અને ફિરઔન પોતાની તમામ શક્તિ હોવા છતાં ડૂબી ગયો. આ ઘટના દર્શાવે છે કે શક્તિનો અસલી સ્ત્રોત અલ્લાહ તઆલા છે અને જ્યારે તે કોઈની મદદ કરે છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત તેને હરાવી શકતી નથી.

આશૂરાનો બીજો મોટો પાઠ કૃતજ્ઞતા (શુક્રગુઝારી) છે. હઝરત મૂસા (અ.સ.) એ મુક્તિ મળવા પર રોઝો રાખીને આભાર વ્યક્ત કર્યો અને રસૂલુલ્લાહ ﷺ એ પણ આ સુન્નતને જીવંત રાખી. આનાથી માહિતગાર થાય છે કે મોમિનનું જીવન શુક્રથી ભરેલું હોવું જોઈએ. જે બંદો અલ્લાહનો આભાર માને છે, અલ્લાહ તેની નિયામતોમાં વધારો કરે છે અને તેના દિલને શાંતિ આપે છે. રસૂલુલ્લાહ ﷺ એ આશૂરાના રોઝા વિશે ફરમાવ્યું:

“મને અલ્લાહ તઆલા પર પૂરો ભરોસો છે કે આશૂરાનો રોઝો વીતેલા એક વર્ષના પાપોનું પ્રાયશ્ચિત (કફ્ફારહ) બની જશે.” (સહીહ મુસ્લિમ: ૧૧૬૨)

આ મુબારક દિવસનો તકાદો એ છે કે આપણે આશૂરાના રોઝાનું આયોજન કરીએ, અલ્લાહની નિયામતોનો શુક્ર અદા કરીએ, આપણા ગુનાહોથી તૌબા કરીએ અને દિલમાં એ વિશ્વાસ મજબૂત કરીએ કે સત્યની જીત અને અસત્યની હાર એ અલ્લાહનો અટલ વાયદો છે.

હઝરત ઇમામ હુસૈન (રદિ.) ની શહાદત

હઝરત ઇમામ હુસૈનની શહાદત ઇસ્લામિક ઇતિહાસનું એક અત્યંત દુઃખદ અને પીડાદાયક પ્રકરણ છે. પ્યારા રસૂલ ﷺના નવાસા અને જન્નતના યુવાનોના સરદાર હઝરત ઇમામ હુસૈને પોતાના પરિવાર અને સાથીઓ સાથે જે કુરબાની આપી, તેની મિસાલ ઇતિહાસમાં ભાગ્યે જ મળે છે. પરંતુ કરબલાને માત્ર એક ઐતિહાસિક દુર્ઘટના કે ભાવનાત્મક ઘટના સમજવી એ તેના અસલી સંદેશને મર્યાદિત કરવા જેવું છે. કરબલા વાસ્તવમાં સત્ય પર અડગ રહેવા, સિદ્ધાંતોનું પાલન કરવા અને દીનની ખાતર દરેક બલિદાન આપવાના સંકલ્પનું નામ છે. રસૂલુલ્લાહ ﷺ એ હઝરત હસન અને હઝરત હુસૈન વિશે ફરમાવ્યું હતું:

“હસન અને હુસૈન જન્નતી યુવાનોના સરદાર છે.” (સુનન અત-તિર્મિઝી: ૩૭૬૮)

અન્ય એક રિવાયતમાં નબી કરીમ ﷺ એ ફરમાવ્યું:

“હુસૈન મારામાંથી છે અને હું હુસૈનમાંથી છું. અલ્લાહ તે વ્યક્તિને મોહબ્બત કરે જે હુસૈનને મોહબ્બત કરે.” (સુનન અત-તિર્મિઝી: ૩૭૭૫)

આ અહાદીસ હઝરત ઇમામ હુસૈનના મહાન સ્થાન, તેમની ફઝીલત અને રસૂલુલ્લાહ ﷺ સાથેના તેમના વિશેષ સંબંધને સ્પષ્ટ કરે છે. તેથી જ દરેક મુસલમાનના દિલમાં હઝરત ઇમામ હુસૈન અને અહલે બૈત (રસૂલના ﷺ ના પરિવાર) નો પ્રેમ હોવો એ ઈમાનનો એક ભાગ છે.

કરબલાની ઘટનાનો અભ્યાસ આપણને જણાવે છે કે હઝરત ઇમામ હુસૈનનો આ સંઘર્ષ સત્તા મેળવવા માટે નહોતો, પરંતુ ઉમ્મતની અંદર પેદા થયેલી ખામીઓ અને વિચલનો સામે એક સૈદ્ધાંતિક વિરોધ હતો, જેને તેઓ દીન માટે નુકસાનકારક માનતા હતા. તેમણે પરિસ્થિતિના દબાણ, ધમકીઓ અને જોખમો છતાં પોતાના ઝમીર અને સિદ્ધાંતોનો સોદો ન કર્યો. જ્યારે મનુષ્ય દુન્યવી હિતો, આરામ અને પોતાના જીવની સુરક્ષાને જ સૌથી મોટી પ્રાથમિકતા બનાવી લે છે, ત્યારે તે સત્યથી દૂર થઈ જાય છે. પરંતુ હઝરત ઇમામ હુસૈને સાબિત કરી દીધું કે મોમિનની સૌથી મોટી દોલત તેનું ઈમાન, તેનો આત્મા અને તેના સિદ્ધાંતો છે.

આજના યુગમાં જ્યારે દુનિયા ભૌતિકવાદ, સ્વાર્થ અને સિદ્ધાંતો પ્રત્યેની બેવફાઈનો શિકાર બની છે, ત્યારે હઝરત ઇમામ હુસૈનનું જીવન આપણને એ પાઠ આપે છે કે એક સચ્ચો મોમિન પોતાના ઈમાન, દીની ગૌરવ અને સિદ્ધાંતોને દુનિયાની કોઈ પણ કિંમતે વેચતો નથી. જો સાચું બોલવામાં નુકસાન થતું હોય, જો સત્ય પર ટકી રહેવામાં મુશ્કેલીઓ આવતી હોય, જો દીન પર ચાલવામાં બલિદાન આપવું પડતું હોય, તો પણ મોમિનના માર્ગમાં માત્ર સત્ય જ હોય છે. આ જ કરબલાનો અસલી પાઠ છે, આ જ હઝરત ઇમામ હુસૈનનો સંદેશ છે અને આ જ એ સત્યનો સંદેશ છે જેને આપણે આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનો છે.

વર્તમાન સમયમાં મુહર્રમ મહિનાનો સંદેશ

મુહર્રમનો મહિનો અને ખાસ કરીને કરબલાની ઘટના માત્ર ઇતિહાસના પાનાઓમાં સાચવેલી ઘટના નથી, પરંતુ દરેક યુગના મુસ્લિમો માટે એક જીવંત સંદેશ છે. જો આપણે મુહર્રમને માત્ર સભાઓ, ભાષણો અને ઐતિહાસિક ઘટનાઓના સ્મરણ પૂરતો જ સીમિત રાખીશું, તો આપણે તેના વાસ્તવિક હેતુથી વંચિત રહી જીશું. અસલી સવાલ એ છે કે મુહર્રમ આપણને આજે શું શીખવે છે? હઝરત મૂસા (અ.સ.) નો સંઘર્ષ, પયગંબર સાહેબની હિજરતના બલિદાનો અને હઝરત ઇમામ હુસૈનની અડગતાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવવું જોઈએ? હકીકત એ છે કે મુહર્રમ આપણને આપણા ઈમાનની સમીક્ષા કરવા, આપણા ચરિત્રને સુધારવા અને સત્ય સાથે આપણી પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું આમંત્રણ આપે છે.

આજનો યુગ ફિત્નાઓ (પડકારો), નૈતિક અધઃપતન, ભૌતિકવાદ અને ધાર્મિક બેદરકારીનો યુગ છે. મનુષ્ય પાસે માહિતી ઘણી છે પણ જ્ઞાન (હિકમત) ઓછું છે. સાધનો ઘણા છે પણ ઉદ્દેશ્યો ખોવાઈ ગયા છે. શિક્ષણ બહુ છે, પણ ચરિત્ર નબળું પડી ગયું છે. આવા સંજોગોમાં મુહર્રમ આપણને યાદ અપાવે છે કે મુસલમાનની અસલી શક્તિ તેના ઈમાન, તેના અખ્લાક (નૈતિકતા) અને તેના ચરિત્રમાં છે. હઝરત ઇમામ હુસૈને પોતાના કાર્યોથી સાબિત કર્યું કે જો ઈમાન મજબૂત હોય તો સંખ્યાની અછત, સંસાધનોની તંગી અને પરિસ્થિતિની કઠોરતા પણ માણસને સત્યના માર્ગ પરથી હટાવી શકતી નથી. અલ્લાહ તઆલા ઇર્શાદ ફરમાવે છે: “હે ઈમાનવાળાઓ! અલ્લાહથી ડરો અને સાચા લોકોની સાથે રહો.”

આજે યુવા પેઢી વિવિધ વૈચારિક, સાંસ્કૃતિક અને નૈતિક પડકારોનો સામનો કરી રહી છે. સોશિયલ મીડિયા, ભૌતિકવાદી જીવનશૈલી અને ધાર્મિક મૂલ્યોથી દૂરીએ યુવાનોના વિચારોને પ્રભાવિત કર્યા છે. આવા વાતાવરણમાં મુહર્રમ આપણને પાઠ આપે છે કે આપણે આપણી પેઢીઓને માત્ર દુન્યવી સફળતા માટે તૈયાર ન કરીએ, પરંતુ તેમને ઈમાન, તકવા (પરહેઝગારી), હયા (લાજ), સચ્ચાઈ અને કુરબાનીની ભાવનાથી પણ સજ્જ કરીએ. જો આપણા યુવાનો હઝરત યુસુફ (અ.સ.) ની પવિત્રતા, હઝરત મૂસા (અ.સ.) ની હિંમત, રસૂલુલ્લાહ ﷺ ના અખ્લાક અને હઝરત ઇમામ હુસૈનની અડગતાને પોતાના આદર્શ (રોલ મોડેલ) બનાવી લે, તો ઉમ્મતનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે છે.

જુલમ (અન્યાય) માત્ર યુદ્ધના મેદાનમાં જ નથી થતો, પણ રોજિંદા જીવનમાં પણ થાય છે. માતા-પિતાના હકો છીનવી લેવા એ જુલમ છે, વારસામાં અન્યાય કરવો એ જુલમ છે, કર્મચારી કે મજૂરનો હક મારી લેવો એ જુલમ છે, જૂઠું બોલવું અને દગો આપવો એ જુલમ છે અને નબળાઓને સતાવવા એ પણ જુલમ છે. જો આપણે ખરેખર કરબલાના સંદેશને સમજવા માંગતા હોઈએ, તો આપણે આપણા જીવનમાંથી તમામ પ્રકારના જુલમને નાબૂદ કરવો પડશે. રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું:

“તમારા ભાઈની મદદ કરો, ભલે તે ઝાલિમ (અન્યાય કરનાર) હોય કે મઝલૂમ (અન્યાય સહન કરનાર).” સહાબા કરામે અરજ કરી: “યા રસૂલુલ્લાહ! ﷺ મઝલૂમની મદદ કરવાનું તો સમજાય છે, પણ ઝાલિમની મદદ કઈ રીતે કરીએ?” આપ ﷺ એ ફરમાવ્યું: “તેને જુલમ કરતો રોકી દો, એ જ તેની સાચી મદદ છે.” (સહીહ અલ-બુખારી: ૨૪૪૪)

મુહર્રમનો સૌથી મહત્વનો સંદેશ એ છે કે મુસલમાન ક્યારેય નિરાશ થતો નથી. પરિસ્થિતિ ગમે તેવી હોય, કસોટી ગમે તેવી સખત હોય, અલ્લાહ તઆલાની રહેમત અને મદદ પરથી આશા ક્યારેય તૂટતી નથી. હઝરત મૂસા (અ.સ.) ની સામે વિશાળ સમુદ્ર હતો, હઝરત મુહમ્મદ ﷺ ની સામે મક્કાના કાફિરો હતા અને હઝરત ઇમામ હુસૈનની સામે કરબલાની કઠિન કસોટી હતી, પરંતુ બધાએ માત્ર અલ્લાહ તઆલા પર ભરોસો રાખ્યો. આ જ ઈમાન આજે આપણને પણ જરૂરી છે. જો આપણે આપણા દીન સાથે જોડાયેલા રહીએ, આપણા ચરિત્રને સુધારીએ, આપણી પેઢીઓનો સાચો ઉછેર કરીએ અને અલ્લાહ તઆલા પર પૂર્ણ વિશ્વાસ રાખીએ, તો દુનિયાનો કોઈ પણ પડકાર આપણને હરાવી શકતો નથી.

મુહર્રમુલ હરામ માત્ર ઇસ્લામિક વર્ષનો પહેલો મહિનો નથી, પરંતુ તે ઈમાનને તાજું કરવાનો, પોતાના કાર્યોનો હિસાબ લેવાનો અને અલ્લાહ તઆલા સાથેનો સંબંધ મજબૂત કરવાનો મહિનો છે. આ મુબારક મહિનામાં યૌમે આશૂરા આપણને અલ્લાહ તઆલાની મદદ, કૃતજ્ઞતા અને ઈમાનની શક્તિનો પાઠ ભણાવે છે. હઝરત ઇમામ હુસૈને આપણને શીખવ્યું કે દુનિયાની મોટામાં મોટી કુરબાની આપી શકાય છે, પરંતુ અલ્લાહ તઆલાની રઝા (પ્રસન્નતા) અને સત્યના સમર્થનને છોડી શકાતું નથી. ઇસ્લામ માત્ર સત્યને જાણવાનું નામ નથી, પણ સત્ય પર અડગ રહેવાનું નામ છે. મુહર્રમુલ હરામ આપણને આ જ અડગતા, આ જ સંકલ્પ અને આ જ વફાદારીનું આમંત્રણ આપે છે. પરિસ્થિતિ બદલાતી રહે છે, કસોટીઓ આવતી રહે છે, પરંતુ એક સચ્ચો મોમિન પોતાના રબ સાથેનો સંબંધ અને પોતાના દીન સાથેનું જોડાણ ક્યારેય નબળું પડવા દેતો નથી.

આજે મુસ્લિમ ઉમ્મતને સૌથી વધુ જરૂર એ વાતની છે કે તે મુહર્રમના સંદેશને પોતાના વ્યવહારિક જીવનમાં જીવંત કરે. આપણા ઘરોમાં કુર્આનનો અવાજ ગુંજે, આપણી નમાઝો સુધરે, આપણી આપ-લે અને વહેવાર પ્રમાણિકતા તથા ન્યાય પર આધારિત હોય, આપણા યુવાનો દીન અને અખ્લાક સાથે જોડાયેલા રહે અને આપણી નવી પેઢી અહલે બૈત, સહાબા કિરામ અને સલફે સાલેહીનના પવિત્ર જીવનમાંથી માર્ગદર્શન મેળવે.

અલ્લાહ તઆલા આપણને સૌને મુહર્રમુલ હરામની બરકતોમાંથી ભરપૂર હિસ્સો આપે, યૌમે આશૂરાની ફઝીલતોથી લાભન્વિત કરે, હઝરત ઇમામ હુસૈન અને અહલે બૈત પ્રત્યેનો સાચો પ્રેમ નસીબ ફરમાવે અને આપણને સત્ય પર અડગ રહીને જીવન જીવવાની તથા ઈમાન પર જ આપણો અંત લાવવાની તૌફીક અતા ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments