નવી દિલ્હી, 17 જૂન | આમ આદમી પાર્ટીના કાઉન્સીલર તાહિર હુસેન હાલમાં દિલ્હીના રમખાણોના કાવતરાના આરોપ હેઠળ જેલમાં છે, પરંતુ આ દરમિયાન તેમના એક હિન્દુ પાડોશીએ દાવો કર્યો છે કે, રમખાણ પહેલા તાહિર હુસેન શાંતિ પ્રયાસોમાં લાગેલા હતા.
તાહિર હુસૈનના પાડોશી જ્ઞાનેન્દ્રે પણ કહ્યું છે કે મેં તાહિર હુસેનને કોઈ તોફાની ટોળાનું નેતૃત્વ કરતા જોયા નથી. જો કે, જ્ઞાનેન્દ્રની દુકાન પણ તોફાનીઓએ લૂંટી લીધી હતી અને તેમને લાખોનું નુકસાન થયું હતું.
ઈન્ડિયા ટુમોરોની રીપોર્ટ અનુસાર, બન્ની બેકરીના માલિક જ્ઞાનેન્દ્રે આ વાતો શેર કરી છે. તાહિર હુસેનનાં ઘરની પાસે જ જ્ઞાનેન્દ્રની બન્ની બેકરી નામની દુકાન છે, જેને તોફાનીઓએ પહેલા લૂંટી અને પછી તેને આગ ચાંપી દીધી.
બન્ની બેકરીનો માલિક જ્ઞાનેન્દ્ર પોતાની દુકાન ફરીથી બનાવીને જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
જ્ઞાનેન્દ્ર ઈન્ડિયા ટુમોરો વેબ પોર્ટલ સાથે વાત કરતાં કહે છે, “મારી દુકાન પર એક ચમચી પણ બચી ન હતી, તોફાનીઓએ બધુ લૂંટી લીધું હતું અને આગ લગાવી દીધી હતી. મારે લગભગ 18 લાખનું નુકસાન થયું છે. પણ હજુ વળતર મળ્યું નથી. હું હજુ પણ વળતરની રાહ જોઈ રહ્યો છું. અને મને સરકારી કચેરીમાંથી ફક્ત નિરાશા જ મળી રહી છે.”
જ્ઞાનેન્દ્રે વધુમાં જણાવ્યું કે, તાહિર હુસેને શાંતિ માટે વહીવટીતંત્ર અને ધાર્મિક નેતાઓ સાથે બેઠક કરી હતી.
તેમણે કહ્યું, “જ્યાં સુધી તાહિર હુસેનની વાત છે, મને નથી લાગતું કે આ રમખાણો સાથે તેમને કોઈ લેવાદેવા છે. મેં તાહિર હુસેનને કોઈ તોફાની ભીડનું નેતૃત્વ કરતા જોયા નથી.”
જ્ઞાનેન્દ્રે તાહિર હુસેનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા તેમણે અહીં પોલીસ અધિકારીઓ અને ધાર્મિક નેતાઓ સાથે બેઠક યોજી હતી.
તેમણે કહ્યું, “તાહિર હુસેને સૌને વાતાવરણને શાંત રાખવા અપીલ કરી હતી. બાદમાં રમખાણોમાં તેમનું નામ કેવી રીતે આવ્યું તે વિશે હું કંઇ કહી શકતો નથી.”
રમખાણો પર દુખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, રમખાણો થવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જેમાં ઘણું જાન-માલનું નુકસાન થયું હતું. હજુ પણ પીડિતો તેમના દુખમાંથી બહાર આવ્યા નથી.
તોફાનીઓ કોણ હતા તેવા પ્રશ્ન પર જ્ઞાનેન્દ્ર કહે છે, “ત્યાં એક ટોળું હતું જેણે દુકાનનું શટર તોડીને લૂંટ ચલાવી હતી, ભીડમાં કોણ હતું કહી શકાતું નથી.”
તાહિર હુસેને શાંતિ જાળવવા અપીલ કરી હતી, જેના માટે અહીં એક બેઠક પણ મળી હતી, પરંતુ તોફાની ટોળાએ શાંતિ માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ કર્યા હતા.
ઇન્ડિયા ટુમોરો સાથે વાત કરતા તાહિર હુસેનના પિતા હાજી કલ્લને કહ્યું, “વાતાવરણ હમણાં સામાન્ય નથી, તેથી લોકો મૌન છે નહીં તો તમારે નજીકના કોઈ હિન્દુને તાહિર વિશે પૂછવું જોઈએ, તે પ્રશંસા જ કરશે. “
મીડિયા વિશે તેમણે કહ્યું કે “હવે કોઈ મીડિયા પર્સન અહીં આવતો નથી.”
તેમણે કહ્યું, “મારા પુત્રએ ક્યારેય કોઈ કાર્યમાં હિન્દુ મુસ્લિમ સાથે કોઈ ફરક નથી કર્યો. અહીં દરેક હિન્દુ આ કહે છે, પરંતુ મીડિયાએ એવું વાતાવરણ ઊભું કર્યું છે કે કોઈ કાંઈ કહેતું નથી.”
તાહિર હુસેનના પિતાએ એક ઉદાહરણ આપતાં કહ્યું, “તમે જાતે જ અનુમાન લગાવી શકો કે કપિલ મિશ્રાની ઓફિસ દોઢ વર્ષ સુધી મારા પુત્રની ઓફિસમાં હતી અને તેનો સ્ટાફ અહીં બેસતો હતો.”
તેમણે કહ્યું, “જે કોઈ અહીં મદદ માટે આવે છે, તો તાહિર તેનો ધર્મ જોયા વિના મદદ કરે છે. આજે આવી વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.”
મસીહુઝ્ઝમા અંસારી, સૈયદ ખલીક અહમદ | ઇન્ડિયા ટુમારોના સૌજન્યથી