Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપભારતમાં શૈક્ષણિક, સામાજિક અને આર્થિક પરિવર્તનનું સ્ત્રોત છે “વીઝન ૨૦૨૬”

ભારતમાં શૈક્ષણિક, સામાજિક અને આર્થિક પરિવર્તનનું સ્ત્રોત છે “વીઝન ૨૦૨૬”

ફાઉન્ડેશનની પાસે એક તરફ ગત્ ૧૨ વર્ષનો સફળ અનુભવ છે, તો બીજી તરફ આગામી ૧૦ વર્ષનું સ્પષ્ટ આયોજન છે. અને એ યોજનાઓને અમલમાં મૂકવા માટે પ્રોફેશનલ સક્રિય ટીમ છે.

જે સમયે ભારતીય મુસલમાનોના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક પછાતપણાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે જસ્ટીસ રાજેન્દ્ર સચ્ચરની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય સચ્ચર કમિટી સક્રિય રીતે કાર્યરત્ હતી અને હજી આ અહેવાલ લોકો સમક્ષ આવ્યો પણ ન હતો, કે એ જ દરમ્યાન ભારતના મિલ્લતે ઇસ્લામિયાના કેટલાક દર્દમંદ ગંભીર લોકો પ્રોફેસર કે.એ.સિદ્દીક હસનની આગેવાનીમાં ભારતીય મુસલમાનોના સર્વ-વ્યાપી વિકાસની એક લાંબા ગાળાની યોજના “વીઝન ૨૦૧૬”ના નામે તૈયાર કરી રહ્યા હતા. ખાસ કરીને ઉત્તરભારતના શૈક્ષણિક પછાતપણા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, અને હ્મુમન વેલ્ફેર ફાઉન્ડેશન, નવી દિલ્હીની સ્થાપના કરવામાં આવી, જેના નેજા હેઠળ શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી, જે હવે એક દાયકાને પાર કરી ચૂકી છે. હવે તેને વધુ વિસ્તાર આપતાં વિઝન ૨૦૨૬નું નામ આપવામાં આવ્યું છે.

ફાઉન્ડેશનનું કાર્યક્ષેત્ર અને પ્રાથમિકતાઃ

મૂળભૂત રીતે ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, યતીમો (અનાથો)નું ભરત-પોષણ, આકસ્મિક આપત્તિઓના અવસરે રાહત-કાર્ય અને પુનઃવસન, પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવું, સમાજના આર્થિક વિકાસ માટે નાના કર્ઝ આપવાની વ્યવસ્થા, સામાજિક વિકાસ, મહિલાઓ માટે અલગથી વિકાસ-કાર્યક્રમ (યોજના) તેમજ કાનૂની સહાય માટે કાર્યરત્ છે. ફાઉન્ડેશનનું વિશેષ ધ્યાન દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, આસામ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને પશ્ચિમ બંગાળ ઉપર છે. ફાઉન્ડેશનનો મૂળ હેતુ સાધનોની અછતના ભોગ બનેલા ચહેરાઓ પર પ્રસન્નતા જોવાનો છે, જેમને વિકાસનું સંપૂર્ણ માર્ગદર્શન હજી સુધી નથી મળી શક્યું.

ફાઉન્ડેશનની પ્રાથમિકતામાં શિક્ષણ અગ્રક્રમેઃ

શિક્ષણ જ વિકાસની ચાવી છે, અને શિક્ષણ આ વિઝનની ખાસ ધરી છે. ફાઉન્ડેશન પોતાની શૈક્ષણિક યોજનાઓ હેઠળ જરૂરતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, પ્રાથમિક શાળાઓની સ્થાપના, નવ-યુવાનોની કાબેલિયતોને વિકસાવવા માટે ટેકનિકલ સંસ્થાઓની સ્થાપના, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલના નિર્માણની યોજના, ઉચ્ચ શિક્ષણ હાસલ કરનારા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, નવી પેઢીમાં શિક્ષણ પ્રત્યે રુચિ પેદા કરવા માટે એવોર્ડ કાર્યક્રમ, નેશનલ ટેલેન્ટ સર્ચ એકઝામની ઢબે નેશનલ મુસ્લિમ ટેલેન્ટ સર્ચ એકઝામ (પરીક્ષા)નું આયોજન, કેરિયર ગાઈડન્સ કેન્દ્રોની સ્થાપના, સ્કૂલ કિટ પ્રોગ્રામ અને શહેરોમાં વસતા ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણથી સાંકળવા માટે પાર્ટ ટાઇમ સ્કૂલના વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આથી હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશને ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં એક મોડેલ સ્કોલર સ્કૂલ સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અત્યાર સુધી દિલ્હી, આસામ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં જ શાળાઓ સ્થપાઈ ચૂકી છે. ૧૦૦ શાળાઓ સ્થાપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ ૧૦ વર્ષમાં ૫૦ શાળાઓ સ્થાપવામાં આવી.

ઇ.સ. ૨૦૦૬થી ઇ.સ. ૨૦૧૮ દરમ્યાન ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન એવોર્ડથી નવાજવામાં આવ્યા. ૪૭ શાળાઓને આર્થિક સહાય કરવામાં આવી, અને ૬ હોસ્ટેલ તૈયાર કર્યા, તેમજ ૬૧૮૫ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી, ૩૬૭૫૯ બાળકોને સ્કૂલ કિટ વ્હેંચવામાં આવી, અને નેશનલ મુસ્લિમ ટેલન્ટ સર્ચ એકઝામ હેઠળ ૪૬૭૪૫ તેજસ્વી કે હોંશિયાર વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા. તેમને એવોર્ડથી સન્માનવામાં આવ્યા, અને તેમને શૈક્ષણિક માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું.

ફાઉન્ડેશનના પ્રયત્નોથી થયું આ પરિવર્તનઃ

ફાઉન્ડેશન પાછલા ૧૨ વર્ષમાં સમાજમાં શૈક્ષણિક ચળવળ જન્માવવામાં સફળ રહ્યું. ફાઉન્ડેશનની સ્કોલરશીપથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાની શિક્ષણ-યાત્રા ચાલુ રાખી, અને આજે તેઓ સારા હોદ્દા પર નિયુક્ત છે. છત્તીસગઢની એક બાળકીએ ગોલ્ડ મેડલ હાસલ કર્યો. બંગાળનો એક વિદ્યાર્થી મેજિસ્ટ્રેટ બન્યો. એક બાળક ઇન્સ્પેક્ટરના હોદ્દા પર પહોંચ્યો. બંગાળના જ કેટલાય બાળકો સરકારી ટીચર બન્યા. એક બાળકી ફાઉન્ડેશનની સ્કોલરશીપથી ગામની પ્રથમ ગ્રેજ્યુએટ બની.

યતીમો-અનાથોના ભરણ-પોષણની ચિંતાઃ

હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશનને પાછલા ૧૨ વર્ષોમાં ૭ યતીમખાના સ્થાપ્યા છે, જેમાં ૨૫૯૦ યતીમ બાળકોનું ભરણ-પોષણ કરવામાં આવ્યું. વધુ ૪ યતીમખાનાઓની સ્થાપના અને ૧૦,૦૦૦ (દસ હજાર) યતીમ બાળકોને સ્કોલરશીપ આપવાનું કાર્ય ચાલુ છે.

નિરોગી સમાજની રચના ફાઉન્ડેશનની બીજી પ્રાથમિકતાઃ

સ્વાસ્થ્ય સેવાઓ ફાઉન્ડેશનની પ્રાથમિકતાઓમાં બીજા ક્રમે આવે છે. ગત્ ૧૨ વર્ષોમાં ફાઉન્ડેશને આ અંગે પણ સારી આગેકૂચ કરી છે. હાલમાં એક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલ, ૭ મેડીકલ સેન્ટર, ૩ ડાયગ્નોસ્ટીક સેન્ટર સ્થાપી ચૂક્યો છે. આ ઉપરાંત ૧૮૩૫ મેડીકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત ૧૦ મોબાઈલ યુનિટ અને ૧૦ એમ્બ્યુલન્સની સેવાઓ પણ કાર્યરત્ છે. વિઝન-૨૦૨૬ હેઠળ ૫ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, ૧૦૦ મોબાઈલ મેડીકલ વેન, ૧૦ ડાયગ્નોસ્ટીક સેન્ટર અને ૧૦૦૦ મડીકલ જાગૃતિ કેમ્પ યોજ્વા ભણી ડગ માંડી રહ્યો છે.

પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ કરાવવાનું કામઃ

આ જ નહીં ગરીબીના ભોગ બનેલા લોકોને બીમારીઓથી બચાવવા માટે એવી વસાહતોમાં પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. વિવિધ રાજ્યોમાં ૨૦૮૧ વોટર પંપ લગાવવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં ૫૦૦૦ હેન્ડપંપ, ૨૦૦૦ પાણીના કૂવા, ૧૦૦ વોટર ફિલ્ટર પ્લાન્ટ અને ૫૦૦ પબ્લીક ટોયલેટ બનાવવાની યોજના પર કામ ચાલુ છે.

સમાજમાંથી ભૂખની નાબૂદી માટે અનુકરણીય પ્રયત્નોઃ

આ ઉપરાંત ફાઉન્ડેશને સમાજમાંથી ભૂખને ખતમ કરવા માટે કેટલાક એવા પણ કાર્યો કર્યા છે કે જેમના દ્વારા પરિવર્તનના પ્રયત્નો ચાલુ છે. પાછલા ૧૨ વર્ષોમાં ૨,૮૨,૧૯૧ રમઝાન કિટ વ્હેંચવામાં આવી, ૧૧,૭૨,૩૦૫ લોકોને ખાવા-પીવાની વસ્તુઓ (ખાદ્ય-સામગ્રી) ઉપલબ્ધ કરાવવામાં આવી. ફાઉન્ડેશનને ૫૬૪૨ યુગલોના નિકાહ પોતાના ખર્ચે કરાવવામાં આવ્યા, અને ૧૮૧૨ અત્યંત ગરીબ લોકોને રહેઠાણ ઉપલબ્ધ કરાવ્યા. ફાઉન્ડેશનનો ટાર્ગેટ દર વર્ષે ૫૦,૦૦૦ ઇફ્‌તાર કિટ વ્હેંચવી અને ૧,૨૫,૦૦૦ લોકો સુધી ખાવા-પીવાની વસ્તુઓ (ખાદ્યસામગ્રી) પહોંચાડવી તેમજ ઓછી કીંમતવાળા ૧૦૦૦ ઘરો બાંધવાનો છે.

આર્થિક વિકાસ માટે નાના કર્ઝાઓની સવલતઃ

માઇક્રો ફાયનાન્સ એ ફાઉન્ડેશનનો એક મહત્ત્વનો ભાગ છે. તેના દ્વારા સમાજને આર્થિક રીતે મજબૂત બનાવવાનો હેતુ છે. ‘સહૂલત’ દ્વારા અત્યાર સુધી દેશભરમાં ૨૪ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓ સ્થપાઈ ચૂકી છે. સમગ્ર ભારતમાં તેની ૯૫ શાખાઓ છે, જેમના ૯૦૫૬૫ સભ્યો છે. અત્યાર સુધી કો.ઓ. સોસાયટીઓ દ્વારા ૧૨૫ કરોડથી વધુ રકમની લેવડ-દેવડ થઈ ચૂકી છે. આગામી ૧૦ વર્ષોમાં ૧૦૦ કો.ઓ. સોસાયટીઓ ૫૦૦ શાખાઓ અને ૧૦ લાખ સભ્યો સુધી પહોંચવાનો ટાર્ગેટ છે.

રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સઃ

ફાઉન્ડેશને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાની દિશામાં પણ સારી એવી આગેકૂચ કરી છે. જરૂરતમંદોની ટ્રેનિંગ માટે ૪ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ સ્થાપ્યા છે. ૧૯૫૫ લોકોને રોજગારથી સાંકળવા માટે તેમને રિક્ષા (પેડલ રિક્ષા) અને લારીઓ ઉપલબ્ધ કરાવ્યા છે. ૧૩૭૬ સિલાઈ મશીનો વ્હેંચવામાં આવ્યા છે. હવે વિઝન-૨૦૨૬ હેઠળ પીઢીઓથી ચાલ્યા આવતા ધંધાઓને મજબૂત કરવા માટે ૫ સેન્ટરો બનાવવાનું કામ ચાલુ છે. આ ઉપરાંત ૫૦ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો સ્થાપવાની યોજના ઉપર પણ કામ થઈ રહ્યું છે. તેમજ ૫૦,૦૦૦ રિક્ષા (પેડલ રિક્ષા) વ્હેંચવાનું કામ પણ ચાલુ છે.

આકસ્મિક આપત્તિઓના સંજોગોમાં રાહત-કામગીરી અને પુનઃવસવાટઃ

રાહતકાર્ય તથા પુનઃવસવાટ કાર્યક્રમ એ વિઝન-૨૦૨૬નું એક મહત્ત્વનું પ્રોજેકટ છે. સોસાયટી ફોર બ્રાઈટ ફ્યુચર (SBF) દ્વારા આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી ભૂકંપ તથા પૂરના ભોગ બનેલા ૧ લાખ લોકોને સહાય પૂરી પાડવામાં આવી. ૫,૫૯,૪૬૦ લોકોને વિન્ટર રિલીફ હેઠળ સહાય આપવામાં આવી. તેમને રજાઈ તથા ધાબળા વ્હેંચવામાં આવ્યા. આગામી ૧૦ વર્ષોમાં રાહતકાર્ય તથા પુનઃવસવાટના ૧૦૦ પ્રોજેક્ટોને પૂરા કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રિસોર્સ અને પુનઃવસનના ૧૦ સેન્ટરો સ્થાપવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

નાગરિક વિકાસ કેન્દ્ર એક મહત્ત્વનો પ્રોજેક્ટઃ

આ દરમ્યાન ફાઉન્ડેશને ૨૨ ગામોને દત્તક લઈને તેમાં વિકાસ-કાર્યો કર્યા છે. વધુ ૧૦૦ ગામોને દત્તક લઈને ત્યાંના લોકોના જીવન બદલવાનું કામ ચાલુ છે. ફાઉન્ડેશનનો એક મહત્ત્વનો પ્રોજેક્ટ ‘નાગરિક વિકાસ કેન્દ્ર’ સ્થાપવાનો પણ છે. તેના હેઠળ અત્યાર સુધી ૪ નાગરિક વિકાસ કેન્દ્ર સ્થપાઈ ચૂક્યા છે. આ નાગરિક વિકાસ કેન્દ્ર સમગ્ર વસ્તી માટે એક એવા કેન્દ્રનું કામ કરી રહ્યા છે કે જ્યાંથી જન-સાધારણને માર્ગદર્શન મળી રહે છે. હાલમાં હરિયાણાના મેવાતમાં, ઉત્તરપ્રદેશના નાનપાડામાં, ઝારખંડના જામતાડામાં અને પશ્ચિમ બંગાળમાં એવા કેન્દ્ર કામ કરી રહ્યા છે. આગામી ૧૦ વર્ષોમાં વધુ ૧૦૦ સેન્ટર્સ સ્થાપવામાં આવશે. આ ફાઉન્ડેશન શરણાર્થીઓના રાહતકાર્ય માટેનું કામ પણ કરે છે. અત્યાર સુધી આવા ૧૫૦ શરણાર્થી શિબિરો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન એકી સાથે કેટલાય મોર્ચે કાર્ય કરી રહ્યું છે. માત્ર ૧૨ વર્ષની મુદ્દતમાં જે ઝડપથી દેશની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પશ્ચાદ્‌ભૂમિને બદલવામાં પોતાની ભૂમિકા ભજવી છે તે આવકારદાયક પણ છે અને અનુકરણને પાત્ર પણ. ફાઉન્ડેશનના ભાગમાં એક સારી વાત આ આવી કે તેને પ્રથમ દિવસથી જ ખૂબ જ અનુભવી મશીનરી અંદાજમાં કામ કરનાર નેતૃત્વ સાંપડ્‌યું. શરૂઆતના દિવસોમાં પ્રોફેસર કે.એ.સિદ્દીક હસન જેવા મર્દે-મુજાહિદ મળ્યા, કે જેમણે સમાજના ચિંતિત અને સક્રિય લોકોને એકત્ર કર્યા. તેમના અનુભવોથી ભરપૂર લાભાન્વિત થયા. ફાઉન્ડેશનનો સ્પષ્ટ વિઝન અને મિશન નક્કી કર્યા, અને તેના પર ઝડપથી અમલની ગાડી પુરપાટ દોડાવી દીધી, જેને પાછળના દિવસોમાં મામૂની મૌલવી અને જનરલ સેક્રેટરી ટી.આરિફ અલીએ એ જ ગતિથી આગળ ધપાવી. તેના વર્તુળને વધુ વિસ્તાર આપ્યો. સમાજના તમામ વર્ગોને સાંકળવાની નિત્-નવી કોશિશો કરી. સ્થાનિક સ્તરે સક્રિય એન.જી.ઓ.(દ્ગર્ય્ં’જ)નો સાથ લઈને વિઝન-૨૦૨૬ના ચિત્રમાં  રંગ પૂરવાનું કામ શરૂ કર્યું. હવે આ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ચળવળ એક મોટું અને ઘટાદાર વૃક્ષનું રૂપ ધારણ કરી ગઈ છે. ફાઉન્ડેશન પાસે એક તરફ પાછલા ૧૨ વર્ષોનો સફળ અનુભવ છે, તો બીજી બાજુ આગામી ૧૦ વર્ષોની સ્પષ્ટ યોજના છે. યોજનાઓને અમલમાં મૂકવા (સાકાર કરવા) માટેની પ્રોફેશનલ સક્રિય ટીમ છે. આથી અત્યાર સુધીની કારકિર્દીનું નિરીક્ષણ કર્યા બાદ દરેક સજાગ અને સમજુ માણસ માટે ફાઉન્ડેશનને સમજવો ખૂબ જ સરળ છે.  –•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments