Thursday, May 16, 2024
Homeપયગામઈશ્વર વિશેની ગૂંચવણ : બુદ્ધિનો નિર્ણય

ઈશ્વર વિશેની ગૂંચવણ : બુદ્ધિનો નિર્ણય

બાળક નાનું હોય તો અજબ ગજબ પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નો ઈશ્વર વિશે હોય, સૃષ્ટિ વિશે અને પોતાના વિશે પણ. જેમ જેમ બુદ્ધિનો વિકાસ થાય તેમ તેમ તે આ રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ મોટા થતાં વ્યસ્તતાના કારણે અથવા બાળપણમાં બુદ્ધિને છાજે એવો જવાબ ન મળવાના કારણે અથવા આગળ જતા આવા પ્રશ્નો બિનજરૂરી લાગતા વિચારવાનું મૂકી દેતા હોય છે. પરંતુ જીવનમાં અનેક વાર એવા પ્રસંગો આવે છે કે વ્યક્તિના મનમાં પ્રશ્નો ઊભા થાય છે કે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? મે મારી મરજીથી જન્મ લીધો નથી તો પછી હું દુનિયામાં કઈ રીતે આવ્યો?, જીવન શું છે? જીવન પછી શું હશે? જીવનનો ધ્યેય શું છે? કોઈ સર્જનહાર છે કે નહિ? છે તો કેટલા? મારો તેના સાથે કોઈ સંબંધ ખરો? જીવનમાં આટલી સમસ્યાઓ કેમ છે? જો ઈશ્વર કૃપાળુ છે તો કુદરતી આફતોમાં નિર્દોષ ફૂલ જેવા બાળકો પણ ભોગ કેમ બને છે? એક વ્યક્તિ પાસે ઝાઝી પ્રતિભાઓ નથી છતાં અઢળક નાણાં છે અને બીજી વ્યક્તિ ખૂબ જ બુદ્ધિમાન હોવા છતાં દરિદ્ર છે? દરેક વ્યક્તિ કોઈ ને કોઈ પ્રકારની અજમાઇશમાં કેમ સપડાયેલો છે? સુખ શું છે? ધર્મ શું છે? ધર્મની રચના કોણે અને કેમ કરી ? શું બધા ધર્મ સાચા છે? બધા સાચા છે તો તેમની વચ્ચે ઘર્ષણ કેમ છે? અને કોઈ એક સાચો છે તો એ ક્યો છે? માણસ સિવાય જે સજીવો છે તેમની પાસે જ્ઞાન અને કર્મશક્તિ કેમ નથી? આવા અનેક અને અનેરા પ્રશ્નોની શ્રૃંખલા છે જે મન-મસ્તિષ્કમાં પવનના ઝાપટાંની જેમ આમ તેમ ફર્યા કરે છે અથવા ઘુમકેતુની જેમ ભ્રમણ કરતાં રહે છે.

પરંતુ વાસ્તવિકતા આ છે કે આ ગૌણ પ્રશ્નો નથી જેમને અવગણી શકાય. આ પ્રશ્નોના સાચા જવાબ ઉપર જીવનની સફળતા અને નિષ્ફળતાનો આધાર છે.

ચાલો, થોડોક વિરામ લઈએ અને પુનઃવિચાર કરીએ અને બાળપણની એ જિજ્ઞાસાને અર્થપૂર્ણ બનાવીએ. આ પ્રશ્નોમાં સૌથી મૂળ પ્રશ્નો ઈશ્વરના અસ્તિત્વ વિશે છે. બધી થીઓલોજી તેના ઉત્તર ઉપર આધારિત છે. એ સમસ્યા ઉકેલાઈ જાય તો જીવનની બધી ગૂંચવણો નાબૂદ થઈ જાય.

એક વ્યક્તિ કહે છે કે સંસારમાં કશું જ ન હતું, એક અણુ હતો જેમાં આપમેળે એક હલચલ થઈ તેનો વિસ્તાર થવા માંડ્યો અને પછી એક મોટો વિસ્ફોટ થયો અને તેના થકી વિવિધ ગ્રહો નિર્માણ પામ્યા, હજારો વર્ષ પછી પૃથ્વી નામનો ગ્રહ ઠંડો પડ્યો અને પૃથ્વી જીવવા લાયક બની, પછી સૂર્યપ્રકાશ વાતાવરણ અને વિવિધ પરિબળોના લીધે આપમેળે એક કોષીય જીવની રચના થઈ આગળ જતાં પસંદગીના નિયમ પ્રમાણે બહુ કોષીય પ્રાણી અને આપમેળે સ્ત્રી અને પુરુષલિંગ બન્યા અને જીવો એક રૂપથી બીજા રૂપમાં રૂપાંતર થવા લાગ્યા. આ રીતે ઉત્ક્રાંતિના નિયમ મુજબ આપ મેળે ચિમ્પાંજી બન્યા જે હજારો વર્ષ પછી મનુષ્યમાં પરિવર્તિત થયા. તેમણે કીધું કે આ જીવન માત્ર એક અકસ્માત છે આ જીવન પછી કશું નથી. તેમણે દાવો કર્યો કે પંચેન્દ્રિયમાં ન સમાવી શકે એવી કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી, ઈશ્વર મનુષ્યની રચના છે અને ધર્મ ર્નિબળ અને કમજાેર લોકોને એક વ્યવસ્થામાં બાંધી રાખવા અથવા શાસન કરવા ઠોકી બેસાડેલી વ્યવસ્થા છે. તેના લીધે જ દુનિયામાં અન્યાય અને હિંસા છે. માણસ એક સામાજિક પ્રાણી છે. તેના પાસે બુદ્ધિ છે તેથી શું સાચું અને શું ખોટું, શું લાભદાયી અને શું નુક્સાનકારક તે પોતે નક્કી કરી નિયમો બનાવી શકે અને સમય પ્રમાણે તેમાં ફેરફાર કરી શકે છે. આ રીતે તેમણે ન માત્ર ધર્મ બલ્કે ઈશ્વરનો પણ અસ્વીકાર કર્યો અને જીવનની સાર્થકતા અને વાસ્તવિક સુખને પામવા માટે તેનાથી મુક્તિ મેળવવાને પોતાનું ઉદ્દેશ્ય ઠેરવ્યું.

તેરી આરઝૂ સે ખાલી હૈ જો દિલ, બે સુકૂં હૈ

મારું કહેવું છે કે, દરેક વસ્તુની એક મર્યાદા છે, આંખ શરીરના આરપાર જોઈ શકતી નથી. કાન સૂક્ષ્મ ધ્વનિ સાંભળી શકતા નથી. નાક બહુ લાંબા અંતરેથી આવતી ગંધ મેળવી શકતું નથી. જીભ પણ સ્વાદ ઓળખવામાં ધોકો ખાઈ જાય છે. દરેક ઇન્દ્રિયની એક મર્યાદા આપણે નરી આંખે જોઈ શકીએ છીએ પછી બુદ્ધિની પણ કોઈ મર્યાદા હશે તે સ્વીકારવું જ રહ્યું. દરેક વ્યક્તિના મગજનું સરેરાશ વજન સરખું હોય છે પરંતુ વિચારો સરખા હોતા નથી, માણસ પોતાના મગજનો અત્યાર સુધીમાં માત્ર ૧૦-૧૨ ટકા જ ઉપયોગ કરી શક્યો છે એ માન્યતા ખોટી છે. મોટા મોટા વૈજ્ઞાનિકો ખૂબ સંશોધન કરે છે છતાં બધું જ ડિસ્કવર કરી શકયા નથી, ઘણા રહસ્યો પરથી પડદા ઉઠાવી શકાયા નથી. સેંકડો વર્ષથી માણસ ઈશ્વર નથી કે મૃત્યુ પછી કોઈ જીવન નથી તેને સાબિત કરવા મથી રહ્યો છે, પરંતુ સફળ થયો નથી. ન જ soul (આત્મા)ને વ્યાખ્યાયિત કરી શક્યો છે, લાગણીઓનું ઉત્પન્ન થવું અને સ્વપ્નની વાસ્તવિક્તા પણ આજ સુધી એક રહસ્ય બની રહ્યા છે. ન મૃત્યુ પર વિજય મેળવી શકાયો છે અને ન જ જીવન પેદા કરી શકાયું છે.

વો જલી હૈ યા ખફી હૈ, ક્યા બ્યાન હો જબાન સે
ઉસે સોચને સમજને કી બિસાત હો કહાં સે

જેમ હાર્ડડિસ્કમાંનું સ્ટોરેજ પેન ડ્રાઇવ કે યુએસબી મારફતે બીજી જગ્યા લઈ જઈ શકાય તેમ એક બુદ્ધિમાન વ્યક્તિનું મગજ બીજી વ્યક્તિમાં ઇન્સ્ટોલ કરવાથી તેને બુદ્ધિજીવી કેમ ન બનાવી શકાય? માતાની છાતીમાં બાળક માટે જે દૂધનું નિર્માણ થાય છે તે કોઈ લેબોરેટરીમાં કેમ ન થઈ શકે? તમે બીજ જમીનમાં જ કેમ વાવો છો? લોખંડ કે પ્લાસ્ટિકના જથ્થામાં કેમ એ ફલિત ન થાય? બાળકના જન્મ માટે કેમ માતાની કોખની જરૂર પડે છે ? કોઈ એવો રોબોટ કેમ ન બનાવી શકાય જે બાળકને જન્મ આપે?

કોઈ કહી શકે કે વિજ્ઞાન કરી બતાવશે. સંશોધનો ચાલુ છે. શક્ય છે કોઈ મૃત વ્યક્તિને અમુક ક્ષણ માટે જીવન મળે પરંતુ કાયમી જીવન શક્ય નથી. મનુષ્યનું શરીર જે પદાર્થોથી બનેલું છે તેને સંગ્રહિત કરી હરતી ફરતી વ્યક્તિનું સર્જન અસંભવ છે. પૃથ્વી ઉપર બીજા કરોડો સજીવો છે તેમાં કોઈ સંસ્કૃતિ કે સભ્યતા કેમ પ્રગતિ ન પામી? પસંદગીના નિયમ પ્રમાણે જ્ઞાન, બુદ્ધિ તત્વદર્શિતા, કર્મની સ્વતંત્રતા વગેરેથી કેમ વંચિત રહ્યા? દુનિયામાં આટલા બધા પક્ષીઓ છે, પશુઓ છે, ઝાડ પાન છે, ક્યારે આકસ્મિક કોઈ રીતે કોયલે કાગડાના ઈંડા કેમ ન દીધા? કેમ ક્યારેય સિંહણે બકરાને જન્મ નથી આપ્યો? કેમ ક્યારેય કોઈ ગાયના ગર્ભમાંથી બાળ હાથીએ જન્મ ન લીધો? પ્રકૃતિની વ્યવસ્થા આપમેળે ચાલે છે અને દરેક કારણના જવાબમાં “અકસ્માત” છે આ બાબત મગજમાં ઊતરતી નથી.

એક બીજી વ્યક્તિ ગાઢ અધ્યયન પછી આ ર્નિણય ઉપર પહોંચે છે કે કોઈ વસ્તુ આપ મેળે ન બની શકે અને ન જ તે આપખુદ રીતે ચાલી શકે છે. કોઈ શક્તિ છે જેણે આ સમગ્ર બ્રહ્માંડ અને દરેક વસ્તુનું સર્જન કર્યું છે. પરંતુ એક રાજાની જેમ તેના શાસનને જાળવવા માટે તેના સહાયકો છે. તેમણે પોતાની રીતે કાલ્પનિક ચિત્રો બનાવ્યા, પ્રતિમા બનાવી પોતાનાથી વધુ શક્તિશાળી, લાભદાયી કે નુકસાનદાયક વસ્તુઓ જોઈ અને તેમની સામે માથું નમાવી દીધું. એક ઈશ્વરની વિભાવના તો તેની પ્રકૃતિમાં હતી જ. તેથી તેણે આ બીજા સ્વરૂપોને ઈશ્વર સુધી પહોંચવાનું પ્રથમ ચરણ સમજ્યું અથવા પરમેશ્વર સુધી પહોંચવા માટેના સહાયકો તરીકે રજૂ કર્યું. વિવિધ ઉપાસ્યોના લીધે ઘર્ષણને ટાળવા એવો વિચાર રજૂ કર્યો કે ઈશ્વર તો એક જ છે તમે તેના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકો. તેમણે ફિલસૂફી આપી કે અમે અમારી મરજીથી અહી નથી આવ્યા. આપણે જે કર્મો કર્યા છે તેના પરિણામે માણસ યોનિમાં જન્મ્યા છીએ. જન્મ અને મરણનું એક ચક્કર ચાલે છે જે ૮૪ લાખ યોનીઓમાંથી પસાર થઈને મુક્તિ પામે છે. કોઈ પણ સમાજ માટે એક વ્યવસ્થાની જરૂર છે અને તેને ચલાવવા અને સાચવવા ૪ પ્રકારના લોકો જરૂરી છે. તેમણે જે સામાજિક વ્યવસ્થાનું નિર્માણ કર્યું તેના પ્રત્યે પવિત્ર ભાવના કેળવવા આ વિચાર રજૂ કર્યો કે ઈશ્વરે પોતાના મુખથી બ્રાહ્મણને પેદા કર્યો જે સર્વોપરી અને નીતિ-નિયમો ઘડનાર છે. પોતાના ખભાથી ક્ષત્રિયનું સર્જન કર્યું તેની જવાબદારી શાસન કરવાની છે. પેટના ભાગથી વૈશ્યનું સર્જન કર્યું જેનું કાર્ય ધંધા-વ્યવસાય કરવાનું નક્કી કરવામાં આવ્યું અને પગથી શુદ્રને ઉત્પન્ન કર્યા જેમની જવાબદારી ઉપરના તમામ વર્ણની સેવા ઠેરવવામાં આવી.

દુનિયામાં કોણ ચડિયાતું છે તેની લડાઈ છે. પોતાની જાત અને સમૂહને નિરપેક્ષ રીતે મહાન અને ચડિયાતું સાબિત કરવા લોકોએ જે કાલ્પનિક ઉપાસ્યો બનાવ્યા છે તેમને ચડિયાતા સાબિત કરે છે. પછી આ શ્રેષ્ઠતાને લઈ સમાજમાં વિવાદ અને ડિબેટ થાય છે. ગુણની રીતે મૂર્તિઓ કે ચિત્રોમાં કોઈ ચડિયાતાપણું હોતું નથી આર્ટરૂપે સુંદર કે સામાન્ય હોઈ શકે. ઇસ્લામે ઉપાસ્યની કોઈ તસ્વીર આપી નથી. બલ્કે તેના ગુણ બતાવ્યા છે. ઘણા લોકોએ માનવીમાંથી જ ઉપાસ્ય બનાવી દીધા છે,ઇસ્લામી શિક્ષણ મુજબ ઈશ્વર તે છે જે જન્મ લેતો નથી, નિરંજન-નિરાકાર છે, તેને કોઈ સંતાન નથી, તે કોઈની સંતાન નથી, તેને ઊંઘ નથી કે થાક નથી, તેના જેવો કોઈ જ નથી. તે સર્વશક્તિમાન છે તેને કોઈ નિયમમાં બાંધી ન શકાય. તેનો આકાર છે કે નહિ, છે તો કેવો ? ખબર નથી પરંતુ આપણે ભાવથી તેને યાદ કરવાનો છે.. કોઈ ચિત્ર કે પ્રતિમાથી નહીં. સમજવા માટે કહી શકીએ તે નિરાકાર છે. કેમકે આકાર કોઈ ભૌતિક કે જાણીતી વસ્તુનો જ હોઈ શકે અને ઈશ્વર તેનાથી અલિપ્ત છે.એ સિદ્ધાંતો ઉપર જે સાચો ઊતરે તે જ સૌથી ચડિયાતો અને સાચો છે,બાકી જો આ ગુણ ન હોય તો તે સારો મનુષ્ય હોઈ શકે, ઈશ્વર નહીં. ઇસ્લામે ઈશ્વર વિશે જે સમજણ આપી છે તે બિલકુલ સરળ,તાર્કિક અને સ્પષ્ટ છે. એક સામાન્ય મુસ્લિમને પણ તેમાં કોઈ મૂંઝવણ કે શંકા-કુશંકા નથી. જ્યારે કે બીજી જગ્યાએ એક જ ધર્મના આગેવાનો વચ્ચે ઉપાસ્યને લઈને વિખવાદ છે.તેથી જ પ્રાચીન ભારતમાં એક રાજા જ્યારે બીજા રાજ્યને પરાજિત કરતો તો તેના ભાગ રૂપે તેના કુળદેવતાને તોડી પોતાનો કુળદેવતા પ્રસ્થાપિત કરતો. શિવ અને વૈષ્ણવ વચ્ચેની લડાઈઓથી લઈને આજે સનાતન અને બીજા સમૂહ વચ્ચે એક ઘર્ષણ ચાલે જ છે.
ત્રીજી એક વ્યક્તિ મનોમંથન કરી આ પરિણામ ઉપર પહોંચી કે આ સંસારનો એક રચયિતા છે જેણે દરેક વસ્તુને બનાવી છે. અને મનુષ્યને વિવિધ પ્રકારની શક્તિઓ આપી સંસારનું સંચાલન તેના સુપરત કર્યું છે. હવે વ્યક્તિ અને તેના વચ્ચે કોઈ સંબંધ નથી. તે પોતાની દુનિયા પોતે બનાવી શકે. ઈશ્વર છે કે કેમ આ પ્રશ્નો નિરર્થક છે. જીવન કેવી રીતે જીવવું માત્ર આજ મહત્ત્વપૂર્ણ છે. કોઈ ઈશ્વર વિશે શાંત રહ્યો અને કોઈકે કીધું કે ઈશ્વર નથી માણસ પોતાની અંદર સદ્‌ગુણ અને સુંદર ભાવને ઉત્પન્ન કરી પોતે ઈશ્વર બની શકે છે. બહારની દુનિયામાં કોઈ ઈશ્વર નથી, જે છે તે પોતાની અંદર છે. ઈશ્વરનું અસ્તિત્વ જીવન સાથે ગાઢ રીતે જોડાયેલુ છે. ઈશ્વર માત્ર સ્વીકારવાની વસ્તુ નથી તેના સ્વીકાર સાથે તેનું માર્ગદર્શન જોડાયેલુ છે. જો દરેક વ્યક્તિ પોતપોતાની રીતે માર્ગનું નિર્માણ કરશે તો વિખવાદ અને ઘર્ષણ વધશે. અને સૌથી મોટી બાબત આ છે કે તેના સ્વીકાર સાથે તેની સામે ઉત્તરદાયિત્વની ભાવના જોડાયેલી છે. એ જ ભાવના વ્યક્તિને ખોટું કરતા અટકાવે છે.

એક ચોથી વ્યક્તિ દાવો કરે છે કે સંસારની અદ્ભુત સુંદર વ્યવસ્થા, તેનું સરસ અને નિરંતર સંચાલન, બુદ્ધિશાળી માનવનું સર્જન વગેરે એ વાતના પ્રમાણ છે કે ઈશ્વર છે અને તે એક જ હોઈ શકે. નાના કણોથી માંડી મોટા મોટા ગ્રહો સુધી સમગ્ર બ્રહ્માંડની દરેક વસ્તુ એ સૂચવે છે કે તે ઈશ્વર વધુ જ્ઞાની, શક્તિશાળી અને તત્વદર્શી હોવો જોઈએ. હજારો લાખો જીવો માટે પાલન પોષણની જે વ્યવસ્થા છે તે સૂચવે છે કે તે ઈશ્વર પ્રેમાળ, કૃપાળુ અને શાસક હોવો જોઈએ. ઈશદૂત (નબી અને પયગંબર)એ અલ્લાહનો સાચો પરિચય કરાવ્યો અને જીવનના રહસ્ય પરથી પડદો ઉઠાવતાં કહ્યું કે અલ્લાહે આ જીવન આપણને પરીક્ષા માટે આપ્યું છે જે ખૂબ જ ટૂંકું છે. દરેક જીવને મૃત્યુ આવીને રહેશે અને આ જીવન પછી એક બીજું વાસ્તવિક જીવન છે, જ્યાં સફળતા અને નિષ્ફળતાનો આધાર આ જ જીવન ઉપર છે. વ્યક્તિ પોતાના જ્ઞાન અને આચાર વિચારની શક્તિનો ઉપયોગ કરીને જેવા કર્મ કરશે, કાલે તેવું જ પરિણામ ભોગવશે. અહીં જે કંઈ ઘટના બને છે એ કસોટીરૂપ છે. એ આજમાયશમાં સાચી પદ્ધતિ અપનાવવાથી સફળતા મળશે. અલ્લાહે મનુષ્યને જ્ઞાન અને બુદ્ધિ અર્પણ કરી છે અને સમગ્ર સૃષ્ટિને તેની સેવા માટે પેદા કરી છે. એ તેમના ઉપર સંશોધન કરીને પોતાના જીવનને વધુ શણગારી શકે છે.

જેમણે ઈશ્વરનો અસ્વીકાર કોઈ ધર્મ વિશેષના શિક્ષણને અતાર્કિક કે અવૈજ્ઞાનિક હોવાના લીધે કર્યો હોય તો તે આ વાતની સાબિતી હોઈ શકે કે તે ધર્મ પૂર્ણ કે શુદ્ધ નથી ? અથવા ધર્મની આડમાં ધાર્મિક આગેવાનોનો કોઈ સ્વાર્થ પ્રભાવિત થતો હોય કે કોઈ ઘડી કાઢેલી અંધશ્રદ્ધા હોય તો તેમણે સ્વતંત્ર સંશોધનોનો વિરોધ કર્યો હોય!? પરંતુ આ વર્તણૂક યોગ્ય નથી. એક માણસના હિંસક થવાથી સમગ્ર સમૂહને કે માનવ સમાજને હિંસક ન કહી શકાય. સેક્યુલર વિચારકોએ બીજા ધર્મોનું અધ્યયન કરવું જોઈતું હતું.

એક વિચિત્ર પ્રશ્નઃ કોઈ પ્રશ્ન પૂછી શકે કે દરેક વસ્તુનો એક સર્જક હોય છે તો ઈશ્વરનો સર્જક કોણ છે? આ પ્રશ્ન બિલકુલ નિરર્થક છે. વિજ્ઞાન પણ સૃષ્ટિનું કોઈ ફર્સ્ટ કોઝ માને છે અને એ ફર્સ્ટ કોઝનું કોઈ કોઝ નથી. ધર્મ ફર્સ્ટ કોઝ તરીકે અલ્લાહ/ઈશ્વરનો વિચાર આપે છે તે હંમેશાંથી છે જેને જન્મ નથી અને અમૃત છે. વિજ્ઞાન પાસે ફર્સ્ટ કોઝ પછી બધી ઘટના અકસ્માત છે જ્યારે કે ધર્મ માત્ર ફર્સ્ટ કોઝ તરીકે અલ્લાહને પ્રસ્તુત નથી કરતો બલ્કે તેનું સંચાલન પણ તે જ કરી રહ્યો છે. સૃષ્ટિનું જે નિર્માણ થયું છે તેમાં જે અદ્ભુત વ્યવસ્થા છે. સમગ્ર બ્રહ્માંડમાં ગ્રહો, ઉપગ્રહો, તારાઓનું જે કાર્ય છે,તેમનો નિર્ધારિત પરિઘ, તેમના વચ્ચેનું અંતર તે આકસ્મિક ન હોઈ શકે દરેક વસ્તુ એક સુપ્રીમ માઇન્ડનું અસ્તિત્વ સૂચવે છે. આઇન્સ્ટાઈન પણ એક સુપર માઇન્ડને સ્વીકારતો હતો. આ માઇન્ડને તમે પ્રકૃતિ કહીને ટાળી ન શકો. જો કોઈ સુપર માઇન્ડ છે તો શું તેનું કામ માત્ર સૃષ્ટિની રચના હતું ? એ સુપર માઇન્ડ હવે નિષ્ક્રિય થઈ ગયો, કે સૃષ્ટિના સંચાલન સુધી સીમિત છે. માનવીય મગજ કહે છે કે એ માઇન્ડ સુપ્રીમ હોય તો તેની શક્તિ પણ સુપ્રીમ હશે. આટલી મોટી સૃષ્ટિની જરૂરતો પૂર્ણ કરતો હોય તો શું આ સૃષ્ટિમાં આટલો નાનો જીવ મનુષ્યની જરૂરત પૂરી નહીં કરતો હોય? તેમની પ્રાર્થના નહીં સાંભળતો હોય ? તેની સહાય નહીં કરતો હોય? બિલકુલ, એ બધું જ કરે છે પરંતુ પ્રત્યક્ષ રીતે નહીં અદૃશ્ય રહીને અને માધ્યમ પેદા કરીને. કેમકે જો તે નરી આંખે જાેઈ શકાશે તો જીવનની પરીક્ષા જ નિરર્થક થઈ જશે. શાયરે સરસ વાત કીધી છેઃ

સિરરે નિહા હૈ લેકિન આ રાઝ ફાશ કર દૂં
જો ન પા સકા હૈ ખુદકો ઉસે પાયેગા કહાં સે
હર હદ કે પાર હૈ વો ઔર હદો મે ભી અયાં હૈ
જો સમા ગયા નઝર મેં વો ખુદા હુવા કહાં સે
તેરી આરઝૂ હૈ જિસકો ઉસે ભી સુકૂં હો કહાં સે •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments