Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપશિક્ષણ, સંઘર્ષ અને સંગઠનથી ડરતું દેશનું ભ્રષ્ટ શાસનતંત્ર અને મીડિયા

શિક્ષણ, સંઘર્ષ અને સંગઠનથી ડરતું દેશનું ભ્રષ્ટ શાસનતંત્ર અને મીડિયા

બિહારના પટનાનું મુસલ્લાહપુર-હાટ, જ્યાં દેશના લાખો યુવાનો સરકારી નોકરી મેળવવાની આશા સાથે કોચિંગ મેળવવા આવે છે, ત્યાં તાજેતરમાં બનેલી એક હિંસક ઘટનાએ શિક્ષણ જગતથી લઈને દેશના રાજકારણ સુધી ખળભળાટ મચાવી દીધો છે. ગત ૨ જૂનની રાત્રે પ્રખ્યાત શિક્ષક ખાન સરના કોચિંગ સેન્ટર પર અચાનક પથ્થરમારો થાય છે, ઓફિસ અને હોર્ડિંગ્સ તોડી પાડવામાં આવે છે, સિક્યોરિટી ગાર્ડને મરણતોલ માર મારવામાં આવે છે અને અંધારામાં ગોળીબારના અવાજો ગુંજી ઊઠે છે. આ કોઈ સામાન્ય હુમલો નહોતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ઘટનાના ગણતરીના દિવસોમાં જેમના પર હુમલો થયો હતો તે ખાન સરને જ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં આરોપી બનાવી દેવામાં આવ્યા. રાતોરાત વહીવટી તંત્ર અને મીડિયા સક્રિય થઈ ગયું, ફાયર સેફ્ટીના ઓડિટ કરીને ખામીઓ કાઢવામાં આવી અને અત્યાર સુધી જેમને ‘સ્ટાર શિક્ષક’ તરીકે સન્માનિત કરતું હતું તે મીડિયા તેમને ‘કોચિંગ માફિયા’ અને ‘ફરાર ગુનેગાર’ તરીકે ચિતરવા લાગ્યું. આટલું જ નહીં, દેશના એક જાણીતા ન્યૂઝ એન્કરે તેમની સામે ૨ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પણ દાખલ કરી દીધો. કરોડો વિદ્યાર્થીઓના પ્રિય અને ગરીબ બાળકોને નજીવા દરે ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ અત્યંત સસ્તી તબીબી સુવિધાઓ પૂરી પાડતા એક લોકપ્રિય શિક્ષક અચાનક આખા તંત્રના નિશાના પર કેવી રીતે આવી ગયા, તેની પાછળની વાસ્તવિકતા માત્ર બે કોચિંગ સેન્ટરો વચ્ચેની આંતરિક લડાઈ નથી, પરંતુ તેની પાછળ એક બહુ મોટું રાજકીય અને સામાજિક કાવતરું છુપાયેલું છે.

વાસ્તવમાં આ સમગ્ર વિવાદની શરૂઆત ૨ જૂનની ઘટનાથી નહીં, પરંતુ તેના એક મહિના પહેલાં ૩ મેના રોજ આયોજિત થયેલી નીટ (NEET) પરીક્ષાથી થઈ હતી. દેશભરના ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષાનું પેપર લીક થવાને કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ ભ્રષ્ટ વ્યવસ્થા સામે જ્યારે વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા, ત્યારે ખાન સર સહિત દેશના અગ્રણી શિક્ષકોએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષણ મંત્રી સામે આકરા સવાલો ઉઠાવ્યા અને તેમના રાજીનામાની માંગ કરી. મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો કઈ રીતે દેવાં કરીને કે ઘરેણાં ગીરો મૂકીને પોતાના બાળકોને ભણાવે છે તેની પીડા આ શિક્ષકોએ દેશ સામે મૂકી. સત્તાપક્ષને આ સવાલો ડંખતા હતા, પરિણામે સરકારી નિષ્ફળતાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે મીડિયાના એક વર્ગે સવાલો પૂછનારા શિક્ષકોને જ વેચાયેલા, નકામા અને માત્ર પૈસા કમાવનારા કહીને અપમાનિત કરવાનું શરૂ કર્યું. જ્યારે ખાન સરે મીડિયાની આ પક્ષપાતી ભૂમિકા અને ખોટી ખબરો ફેલાવવાની વૃત્તિને જાહેરમાં ખુલ્લી પાડી, ત્યારે જ આ સમગ્ર સરકારી તંત્ર અને ગોદી મીડિયા તેમની પાછળ હાથ ધોઈને પડી ગયું. ખાન સર પર થયેલા હુમલાને એક બહાનું બનાવીને તેમની છબી બગાડવાનો, તેમની અટક અને ધર્મને લઈને વિવાદ ઊભો કરવાનો અને તેમને કાયદાના સકંજામાં ફસાવવાનો પદ્ધતિસરનો પ્રયાસ કરવામાં આવ્યો.

આ સમગ્ર ઘટનાક્રમ માત્ર ખાન સર પૂરતો સીમિત નથી, પરંતુ દેશના જાગૃત યુવાનો અને શિક્ષકો સામે એક ગર્ભિત ચેતવણી છે કે જો તમે વિદ્યાર્થીઓના હક માટે અવાજ ઉઠાવશો, તો તમારી સાથે પણ આવું જ પિશાચી કૃત્ય કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં પણ વિદ્યાર્થી આંદોલનનું સમર્થન કરનારા શિક્ષકોના કોચિંગ સેન્ટરો સીલ કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના ન્યાયી આંદોલનને બદનામ કરવા માટે બહારથી ભાડૂતી તત્વો મોકલીને દેશવિરોધી નિવેદનો અપાવવા સુધીના ગંદા હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે, જેથી સામાન્ય જનતાની નજરમાં આ આંદોલન અપવિત્ર સાબિત થાય. સત્તા પર બેઠેલા લોકો અને તેમનું પ્રચારતંત્ર જે ત્રણ શબ્દોથી સૌથી વધુ ડરે છે તે છે; ‘શિક્ષણ, સંઘર્ષ અને સંગઠન’. આથી જ, જેઓ શિક્ષણ આપે છે અને જનતાને સંગઠિત કરે છે, તેમને ધાર્મિક કે ગુનાહિત રંગ આપીને દબાવી દેવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. આ લોકશાહીની કમનસીબી છે કે જ્યાં પેપર લીક કરનારા માફિયાઓ ખુલ્લેઆમ ફરે છે, પરંતુ દેશના ભવિષ્ય માટે અવાજ ઉઠાવનારા શિક્ષકોને ગુનેગાર સાબિત કરવા આખું તંત્ર એક થઈ જાય છે. દેશના યુવાનોએ આ સત્તાધારીઓના વિભાજનકારી મનસૂબાને સમજીને સંગઠિત રહેવું પડશે, તો જ આ દેશની શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થા બચી શકશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments