Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસયુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનમાં આગળ આવે એ જરૂરી

યુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનમાં આગળ આવે એ જરૂરી

કોરોનાએ આપણને જીવનના અને કુદરતના ઘણા પાઠ શીખવાડ્યા છે. આજે આપણે ઓક્સિજનના એક એક બાટલા માટે આમતેમ ભટકી રહ્યા છીએ, એટલા માટે કે આપણા સ્વજનના પ્રાણ બચી જાય. ઓક્સિજનનું મહત્ત્વ આ પહેલા આપણે ક્યારેય સમજ્યા જ ન’હોતા પરંતુ કોરોનાએ આપણને એનું મહત્ત્વ પણ બતાવી આપ્યું.આ પહેલા આપણે ક્યારેય પણ વિચાર્યું હતું કે ઈશ્વર આપણને જીવનભર ઓક્સિજન પૂરૂં પાડે છે અને એ પણ તદ્દન મફતમાં! આજે આપણે એક બાટલા માટે હજારો રૂપિયા ખરચવા પણ તૈયાર છીએ તોય મળતું નથી. ઈશ્વર આપણને માત્ર ઓક્સિજન જ નહિ પરંતુ એ બધું જ આપે છે જે આપણા જીવન માટે જરૂરી છે.હવા ,પાણી , રોટલી, કપડા, મકાન, ગાડી, સૂર્યપ્રકાશ..અને આ ઉપરાંત કેટલું બધું! અને હા, આપણું શરીર એકદમ ર્નિબળ ન થઈ જાય –રોગપ્રતિકારક શક્તિ એકદમ સુષુપ્ત ન થઇ જાય એ માટે ક્યારેક ક્યારેક બીમારી પણ આપે છે અને એની દવા પણ.જગતમાં એવી કોઈ બીમારી નથી જેની દવા ન હોય.આટલું બધું આપણને આપનાર ઈશ્વરનો આભાર આપણે માનીએ છીએ ખરા? આપણે કોઈ માણસને કશુંક આપીએ છીએ તો ગણી ગણીને આપીએ છીએ અને પછી એવી જ અપેક્ષા સામે વાળા પાસેથી રાખીએ છીએ.પરંતુ ઈશ્વર આપણને કશું જ ગણ્યા વિના ઉપર દર્શાવી એવી અસંખ્ય કૃપાઓ –નિયામતો આપે છે અને બેહિસાબ આપે છે.આપણે ક્યારેય પણ આ બાબત વિચારી છે ખરી કે જાે ઈશ્વર પણ આપણને બધું ગણી ગણીને આપવા માંડે તો આપણું શું થાય? માણસ બીજા માણસ પર ઉપકાર કરે છે અને ઉપકારનો બદલો વાળવા તૈયાર રહે છે.કેટલાક લોકો બીજા માણસો પર ઉપકાર કરી તેમની પાસેથી આભારની અને કૈંક અંશે એના બદલાની કે વળતરની પણ અપેક્ષા રાખે છે.જયારે ઈશ્વર આપણા પર આ બધી કૃપાઓ ઉતારે છે – અને એ એની મહાનતા છે કે આપણાથી આભારની અપેક્ષા પણ નથી રાખતો! જાે કે આપણે એનો આભાર માનવો જાેઈએ નહિ તો આપણા જેવો કૃતધ્ની બીજાે કોઈ નહિ.જેવી રીતે માછલી પાણીમાં જીવે છે એમ આપણે ઈશ્વરના અસંખ્ય ઉપકારોની વચ્ચે જીવી રહ્યાં છીએ. ઈશ્વરના ઉપકારોને દરેક સ્થિતિમાં યાદ રાખવા અને યાદ કરવા બંદગી અને ન્યાય બંનેનો તકાદો છે.


કુઆર્નમાં ઘણી જગ્યાએ આભાર માનવા વિષેની આયતો ઉતારવામાં આવી છે. ઈશ્વર શા માટે તમને તકલીફ આપશે જાે તમે એનો આભાર માનો તો.. (સૂરઃ નિસાઃ૧૪૭). અને જે ઇશ્વરનો આભાર માને છે ઇશ્વર એની કૃપાઓમાં વધારો જ કરે છે. (સૂરઃ ઇબ્રાહીમઃ૭). આભાર ન માનવા વાળા લોકોથી એ રાજી નથી થતો પરંતુ જે લોકો આભાર માને છે એવા લોકોને એ પસંદ કરે છે.(સૂરઃ ઝુમરઃ૭).
આભાર માનવાની આ રીત ખરેખર માણસની મહત્ત્વની જરૂરિયાત છે અને એના માટે લાભકારક છે.આભાર માણસને નિરાશા અને નકારાત્મક વિચારોથી અને ખોટી લાગણીઓથી સુરક્ષતિ રાખે છે.કૃતજ્ઞ માણસ વાસ્તવજીવી હોય છે અને ઘણા કાર્યોમાં આગળ હોય છે.


જીવનની મુશ્કેલીઓમાં કૃતજ્ઞતા અને ઈશ્વરના ઉપકારોને યાદ રાખવાની ટેવ એના સારા સેવકોની ઓળખાણ હોય છે.દરેક ક્ષણે એમની જીભ અને હૃદય ઈશ્વરનો આભાર માનતા રહે છે.

આભાર માનવું માણસની પ્રાકૃતિક આવશ્યકતા છે. ઈશ્વરના ઉપકારોને યાદ રાખવા અને એનો આભાર માનવું શ્રેષ્ઠ બંદગી છે. ઈશ્વરના આભારી બનવાનો અર્થ છે કે એના સેવકો સાથે ઉપકાર કરવામાં આવે. કેમ કે આભાર અને ઉપકારના પાયા પર રચાયેલ સમાજ અને સભ્યતા સર્વાંગ સંપૂર્ણ હોય છે.આવો સમાજ અને સભ્યતા જ પ્રગતિ કરે છે અને સમગ્ર માનવજાતને એનો લાભ પહોંચાડે છે.


આવી જ રીતે માણસોને કુદરત વિષે,સૃષ્ટિ વિષે અને એમાં રહેલી વસ્તુઓ ચિંતન-મનન કરવા પર કુઆર્નમાં ઘણી જગ્યાએ ભાર આપવામાં આવ્યો છે.કુદરતમાં રહેલી અસંખ્ય નિશાનીઓ એવી છે જે એક ઈશ્વરના અસ્તિત્વની સાબિતીઓ આપે છે.


ઈશ્વરની અસીમ કૃપાઓ જે આપણને જીવનભર મળતી રહે છે-અને આપણી દ્રષ્ટિ અને વર્ણનથી પર છે – આ દરેક કૃપામાં કોઈ ખાસ ‘આયોજન’ દ્રષ્ટિ ગોચર થાય છે.આ આયોજન અને કારીગરી માણસની જિજ્ઞાસાને સચેત કરે છે અને માનવને ચિંતન કરવા પ્રેરે છે. અસ્તિત્વજગતમાં આ આયોજન માનવને એના સર્જક ઈશ્વર પ્રત્યે એનાં સર્જન,કુદરત,દયા અને ડહાપણ જેવા ગુણો પ્રત્યે ધ્યાન ખેંચે છે.અને આ જ આયોજન શોધખોળ અને જિજ્ઞાસાને સચેત કરે છે જેનાથી દરેક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અસ્તિત્વમાં આવ્યા છે.

જયારે માનવ ચિંતન કરે છે ત્યારે એને જણાય છે કે એવી અસંખ્ય વસ્તુઓ છે જેને આપણે જાણતા નથી પરંતુ એ આપણી સેવામાં લાગેલી હોય છે. પ્રાકૃતિક જિજ્ઞાસા અને કૃતજ્ઞતાનો તકાદો છે કે આપણે એ કૃપાઓને શોધીએ કે જાણીએ જેની વ્યવસ્થા આ સૃષ્ટિમાં ઈશ્વરે આપણા માટે કરી છે.જેથી આપણે એ કૃપાઓથી લાભાન્વિત થઈએ અને કૃપાનો હક પણ અદા કરીએ ,આભાર માનીએ અને એ કૃપાઓથી બીજા માનવોને પણ લાભ પહોંચાડીએ .


આ સમગ્ર સૃષ્ટિ માટે ચિંતન-મનન કરવું અને નવી શોધો કરવી આપણી કૃતજ્ઞતાનો તકાદો છે અને ઈશ્વરે આપણને આપેલ હોમવર્ક છે કે શોધો – સંશોધન કરો!


આપણે એ ચિંતન-મનન કરવું જાેઈએ કે ઈશ્વરે આપણા માટે આ સૃષ્ટિમાં કેવી કેવી વ્યવસ્થાઓ કરી છે.એ નિયામતો પણ છે જે નરી આંખે દેખાય છે અને એ પણ જે અદ્રશ્ય છે. અને એ કૃપાઓ પણ જેને માનવે સંશોધિત કર્યા છે જેમ કે પેટ્રોલ,ડીઝલ, ભૌમિક ખજાનાઓ વિ.અને આમાં એ કૃપાઓ પણ સામેલ છે જે માનવ સંશોધિત શોધો છે જેમ કે ગાડીઓ,દવાઓ,એન્જીન, વિ.

આપણે યાદ રાખવું જાેઈએ કે આપણી પહેલાં ઘણા એવા વિજ્ઞાનીઓ અને સંશોધકો થઈ ગયા જેમણે માનવજાતની સુખાકારી માટે પોતાની જાત પર પ્રયોગો કર્યા હતા.અને દુર્ભાગ્યે ઘણા વૈજ્ઞાનિકોએ આ પ્રયોગોમાં પોતાના પ્રાણ પણ ગુમાવ્યા હતા.અને આજે આપણે કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યા છીએ ત્યારે પણ ઘણા વૈજ્ઞાનિકો અને સંશોધકોએ દિન-રાત પ્રયોગો કરી ,સખત પરિશ્રમ કરી કોરોનાની રસી શોધી કાઢી.એટલા માટે કે માનવજાત આ ભયાનક વાયરસ સામે ટકી રહે.માણસ જેટલું વધારે શોધશે અને જિજ્ઞાસા રાખશે આ સૃષ્ટિ એને કૃપાઓનો ભંડાર દેખાશે.શોધ-સંશોધનની માનવની આ યાત્રાનો ક્યારેય અંત નહિ આવે.

આ આપણી બુદ્ધિ અને દિમાગ તથા આવડતનો પ્રાકૃતિક મેદાન છે અને આપણી સાંસ્કૃતિક આવશ્યકતા પણ છે.જેવી રીતે માણસનો આ પ્રયત્ન હોય છે કે એના માલ અને એના માધ્યમોમાં સતત વધારો થાય,રોજીના નવા માર્ગો શોધે છે અને પોતાના આ પ્રયત્નને એ ઈશ્વરની કૃપા ગણાવે છે અને એને પસંદગીનો પ્રયત્ન ગણાવે છે,એવી જ રીતે જે કૃપાઓ અને ખજાનાઓ ઈશ્વરે આ સૃષ્ટિમાં રાખ્યા છે એ આ બાબતનો તકાદો કરે છે કે માનવ ઈશ્વરના આ ખજાનાઓને શોધે અને આના લાભોને વહેંચણી માનવજાતમાં કરે.જેવી રીતે સામાન્ય રોજીને ઈશ્વરના માર્ગમાં ખર્ચ કરવાની શ્રેષ્ઠતા છે એવી જ રીતે આ કૃપાઓને સામાન્ય લોકોમાં વહેંચણી કરવી પણ શ્રેષ્ઠ છે.એક વૈજ્ઞાનિક સખત મહેનત કરી સંશોધન કરે છે અને એના ફળસ્વરૂપે એને જે ખજાનો (શોધ એ કોઈ ખજાનાથી ઓછી નથી હોતી!) હાથ લાગે છે,એને માત્ર પોતાની જાત સુધી સીમિત નથી રાખતો પરંતુ સમગ્ર માનવજાતની સુખાકારી માટે એને આમ કરી દે છે ,એ માનવોને લાભ પહોંચાડે છે.આ વૈજ્ઞાનિક ખરેખર તો એ માનવ સમાન છે જે ખૂબ સખત પરિશ્રમ કરે છે અને વૈધ રોજી-રોટીની શોધમાં નીકળે છે અને દોડધામ કરે છે અને જયારે ઈશ્વર એને પોતાની કૃપાથી લાભાન્વિત કરે છે ત્યારે ઈશ્વરની પ્રસન્નતા માટે એ માલ એના માર્ગમાં ખર્ચ કરે છે અને માત્ર ઈશ્વરથી જ બદલો મેળવવાની આશા રાખે છે.


એક વૈજ્ઞાનિકના પ્રયત્નો જાે આ ઇરાદા,ભાવના અને કાર્યપદ્ધતિથી હોય તો આ વૈધ રોજી-રોટી કમાવવાથી પણ શ્રેષ્ઠ છે, કેમ કે જ્યાં માણસોને ભૌતિક સુખસગવડો ઉપલબ્ધ થાય છે, એ જ્ઞાન પ્રાપ્ત થાય છે જેનાથી ઈશ્વરની સર્જકતા,કુદરત,કૃપા અને ડહાપણ જેવા ગુણોથી માનવ પ્રત્યક્ષ નિરીક્ષણ કરે છે. એની પોતાની આધ્યાત્મિકતામાં વધારો થાય છે.અને જીભ આભારી બને છે, ત્યાં જ આ જ્ઞાન બીજા માણસો માટે પણ ઈશ્વરની નિકટતાનો માર્ગ , એની પ્રસંશાનું માધ્યમ અને માનવો માટે કૃપા બની જાય છે.જ્ઞાન અને નિકટતા અને આભાર તથા ઉપકાર ના પાયા પર શોધાયેલ વિજ્ઞાન અને ટેકનોલોજી તંદુરસ્ત સભ્યતા અને પવિત્ર સંસ્કૃતિ માટે મજબૂત પાયો નાખે છે જે માનવ પ્રકૃતિ સ્વભાવ સાથે સુમેળ અને ઈશ્વરને માણસોથી નજીક લાવનારી હોય છે. સાચા જ્ઞાન અને આભારથી તરબોળ આ સભ્યતાનો બાગ માનવો માટે ખરેખર કૃપા અને અમીટ આકર્ષણ ધરાવે છે.


વિજ્ઞાન અને ટેકનોલોજીનું આ મેદાન પણ યુવાનો અને ઈશ્વરની પ્રસન્નતાના ઇચ્છુક લોકોને પ્રેરિત કરે છે કે તેઓ ઈશ્વરની નિકટતા અને માનવ સ્વભાવમાં એકેશ્વરવાદી પ્રકાશને સીંચે, આભાર અને ઉપકારના માર્ગે ચાલી માનવોની સેવા કરે અને એનો લાભ બધાને વહેંચે.આ જ માર્ગ છે જે જ્ઞાનના અહંકારમાં ડૂબી જવાથી રોકે છે અને જ્ઞાનની શક્તિથી ધરતી પર અત્યાચાર ફેલાવવાથી પણ બચાવે છે. ઃ
(મો. ૯૬૨-૪૦૪-૬૬૭૭)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments