Thursday, April 18, 2024
Homeપયગામઉત્તરપ્રદેશના ચૂંટણી પરિણામો અંતિમ છેડો (DEAD END) નથી

ઉત્તરપ્રદેશના ચૂંટણી પરિણામો અંતિમ છેડો (DEAD END) નથી

૨૦૧૪ ના લોકસભા ઇલેક્શનના પરિણામો પર ટિપ્પણી કરતાં અમે કહ્યું હતું કે :

“મુસલમાનોએ અને ખાસ કરીને ભારતના મુસ્લિમોએ નજીકના સમયમાં પોતાને સૌથી વધારે નુકસાન પોતાની લાગણીથી પહોચાડયું છે. લાગણી એ માત્ર હિંસાનું નામ નથી. લાગણીના તૂફાનમાં વહીને કરવામાં આવેલા શાતિમય કાર્યો પણ બહુ જ નુકસાનકારક થઈ શકે છે. આ લાગણીમાં અતિશયોક્તિ જ છે કે જે આપણને ઘણાં લોકોને ઉગ્ર બનાવી દે છે અને ઘણાં લોકોને નિરાશ કરી દે છે. આ જ ઉગ્રતાને લીધે આપણે પોતાના મનપસંદ લોકોની ખામીઓને નથી જોઈ શકતા અને પોતાના નાપસંદ લોકોની ખૂબીઓને નથી જોઈ શકતા. આ જ ઉગ્રતાના લીધે આપણે દરેક વસ્તુને ધોળા અને કાળા એમ બે અંતિમ ભાગમાં વહેંચી દઈએ છીએ. આ જ ઉગ્રતાના લીધે આપણે અહીંના બહુમતી વર્ગની લાગણી અને માનસિકતાને નથી સમજી શકતા, અને ન તો તેમનાથી સંવાદ કરી શકીએ છીએ. આ લાગણી જ છે કે અનિચ્છનીય બનાવ કે ઘટના વખતે આપણી પ્રતિક્રિયા ઉતાવળી અને ક્રોધયુક્ત તેમજ પૂરી તાકાતથી હોય છે. પરંતુ સુધારણાના નિષ્ઠાવાન, ધીમા અને લાબાંગાળાના પ્રયત્નો માટે આપણે પોતાને તૈયાર નથી કરી શકતા. અને દુઃખની વાત એ પણ છે કે આપણી લીડરશીપ પણ સામાન્ય રીતે લોક લાગણી સુધી સીમિત થઈને રહી જાય છે (જુજ લોકોને બાદ કરતાં). દુર્ભાગ્યે ઉમ્મતે મુસ્લિમામાં લોકલાગણી પહેલાં છે અને લીડરશીપ એની પાછળ. બલ્કે  પત્રકારિત્વ અને બુદ્ધિમત્તાના કાર્યો પણ માત્ર લોક લાગણીઓ સુધી સીમિત થઈને રહી ગયા છે.”

હમણાં યુ.પી.ના ઇલેક્શન પછી જે ઉગ્ર પ્રતિક્રિયા સોશિયલમિડિયા પર શરૃ થઈ છે તે આ જ માનસિકતાની પ્રગટ  અસર છે. કોઈ યુપીના મુસલમાનોને કોસી રહ્યું છે કે એમણે બિહારના મુસલમાનોની જેમ બુદ્ધિનો ઉપયોગ કેમ ન કર્યો, તો કોઈએ પરિણામ કાઢી લીધું કે મુસ્લિમો બર્બાદ થઈ જવું પસંદ કરશે પણ સંપીને નહી રહે. કોઈ મુસ્લિમ રાજકીય પાર્ટીને બીજેપીનો એજન્ટ સાબિત કરવામાં લાગી ગયો છે તો કોઈનો વિચાર એવો  છે કે મુસલમાનો એ પોતાની રાજકીય પાર્ટી છોડીને બીજાઓને વોટ આપી દીધા છે. કોઈને એવું લાગે છે કે આ દેશ હવે સ્પેન બની જશે અને આ ઈશપ્રકોપ  છે. ઇતિહાસમાંથી તાતારી રાજકુમારીને એક આલિમનો જવાબ ટાંકવામાં આવે છે કે તાતારી ખુદાના મોકલેલા કૂતરા છે જેથી મુસલમાનો ઇશ્વર તરફ પાછા ફરે. શાનો પ્રકોપ? કોઈની નજીક ટીવી જોવાના લીધે, તો કોઈની નજીક વિદ્વાનોની ગુસ્તાખીના લીધે, તો કોઈની નજીક લગ્ન પ્રસંગમાં બિનજરૂરી ખર્ચા અને કોઈની નજીક સ્ત્રીઓની સ્વછંદતા. ( આ બધા તારણો પૃથકકરણથી  લીધેલી છે )

લાગણીની અસર થોડી ઓછી થાય છે તો મન-મસ્તિષ્ક વિચાર અને વિશ્લેષણ તરફ વળે છે અને પછી જુદા જુદા કાવતરા દેખાય છે. “મુસલમાનોનું વલણ તો બરાબર હતું પરંતુ ગૂંચવાડો વોટિંગ મશીનમાં હતો. આ જુઓ સુબ્રમણ્યમ સ્વામીનો વીડિયો અને અમેરિકી એન્જિનીયરની સાક્ષી, ના ના, આતો વિશ્વના યહૂદી વર્ગના કાવતરા છે, તેઓ નક્કી કરે છે કે કોને સત્તા સોંપવી જોઈએ. બીજું બધું તો નાટક છે.” અથવા તો “હવે તો બધા જ હિંદુ મુસલમાનો વિરુદ્ધ એકજૂટ થઈ ગયા છે અને હિંદુત્વને સ્વીકારી લીધું છે. અને મુસ્લિમો પાસે હવે બીજો કોઈ રસ્તો રહ્યો જ નથી અને હવે તે દ્વિતીય સ્તરના નાગરિક બનીને રહે.” અર્થાત્ તીવ્ર લાગણીશીલતા અથવા પલાયત બાદ. અથવા તો બાંયો ચઢાવીને ગુસ્સા અને નફરતનું પ્રદર્શન અથવા તો કુવિચારો અને કાવતરાની વિચારધારા તરફ આગે કુચ.

ઉગ્ર પ્રતિક્રિયાની માનસિકતા જ એ હોય છે કે એની વાય બહુ નથી હોતી. બે દિવસ સુધી સંવેદનાની આંધી  ચાલશે, ચાના કપમાં તોફાન બનશે, વોટ્સએપની સ્ક્રીન પર ભૂકંપ આવશે અને પછી બધું જેવુંુ હતુંુ તેવું થઈ જશે. લાગણીની ઉગ્રતા તો, આકાશની ઊંચાઈથી લઈ શાંતિની ઊંડાઈ સુધીનો આ પ્રવાસ માત્ર થોડા કલાકોમાં સમાપ્ત થઈ જશે. હકીકત આ છે કે આ આપણી સામૂહિક વિચારસરણી ઘણી બધી સમસ્યાઓની જડ છે. એ માનસિકતા કે જે ઘટનાના ફકત બંને છેડાને જ જોઈ શકે છે. એ માનસિકતા કે જે આકાંક્ષાઓ સેવવામાં પણ બહુ ઉતાવળ કરે છે અને નિરાશ થવામાં પણ સમય વેડફતી નથી. એ માનસિકતા કે જે દરેક પ્રયત્નોના પરિણામ પણ તુરંત જ જોવા માગે છે. સુધારણાના નિષ્ઠાવાન અને ધૈર્યપૂર્ણ પ્રયત્નો તથા દીર્ઘદૃષ્ટિ આવી માનસિકતાથી તાલમેલ નથી સાધી.

હકીકત આ છે કે યુપીના મુસલમાનોએ કોઈ મોટી મુર્ખામી અથવા તો બેદરકારી દાખવી છે અને ન તો આ કોઈ આફત છે. આ ઘટનાને તેના સાચી પૃષ્ઠભૂમિમાં અને સાચા દૃષ્ટિકોણથી જોવી જોઈએ. (હે ઇશ્વર, અમને વસ્તુ એવી દેખાડ કે જેવી હકીકતમાં તે છે.) અને આ જ સાચી રીત છે.

બિહારમાં જોડાણ મુસલમાનો વચ્ચે નહીં પરંતુ બિનસાંપ્રદાયિક પક્ષો વચ્ચે થયું હતું. યુપીના રાજકારણમાં આ શક્ય ન બન્યું. અને તેમની ઉપર મુસ્લિમોનો કોઈ કાબુ ન હતો. મુસલમાનો એ ક્યારેય એકસંપ થઈને વોટ નથી આપ્યા. જાતિ-જ્ઞાાતિના રાજકીય ભાગલા હંમેશા રહ્યાં છે. આ વખતે પણ મુસલમાનોએ વ્યાજબી રીતે વોટ આપવાના પ્રયત્નો કર્યા છે. યુપીના મુસ્લિમોની ઘણી બધી રાજકીય પાર્ટીઓએ સમયને જોઈને પોતાને આ ચૂંટણીની લડાઈથી અળગી કરી લીધી હતી. અને આ એક મોટી ઉપલબ્ધિ છે. અને આના પહેલાં કોઈ પણ જગ્યાએ આવું નથી થયું.  અને જે મુસ્લિમ સંગઠનોએ આવા સમયે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો એમને મુસ્લિમોએ મતમાં ભાગીદાર નથી સમજ્યા જેવી રીતે મતોેની સંખ્યા પરથી સમજી શકાય છે.

અસલ વાત આ છે કે પહેલાં બિનમુસ્લિમ મત વહેંચાયેલા રહેતા હતા, હવે તે એકજૂટ થઈ ગયા છે. તેઓ એકમત કેમ થયા? તેના ઘણાં કારણો છે. વિઘટનવાદી પરિબળોની પોતાની તો વોટબેંક પહેલાંથી જ હતી. મુસલમાનો પ્રત્યે લાગણીશીલ ભાષણો, ઉપર જણાવ્યા પ્રમાણે સોશ્યલ મીડિયા પોસ્ટ, મુસલમાન લીડરોની અકાળે અને અસ્થાને અપીલો. ઉર્દૂ મીડિયાના બૂમબરાડા વિગેરે વિઘટનવાદીઓના એ મોટા હથિયાર છે જે નિષ્ઠાવાન અને સરળ મુસ્લિમોનો હાથા તરીકે  ઉપયોગ થઈ રહ્યા છે. તેમણે ઉલ્ટા ધ્રુવીકરણ Counter Polarizationનું કામ કર્યું અને સારી રીતે કર્યું. જેના પરિણામ સ્વરૃપ અસમંજસમાં પડેલા મતદારો પણ ફરી ગયા. અને સૌથી ખાસ વાત એ છે કે દેશની ખૂબજ મોટી વસ્તી એવી છે કે જે વિઘટનવાદી વિચારધારા ધરાવતી નથી પરંતુ વિઘટનવાદી વિચારધારાનો નષ્ટ કરવી પણ એમના એજન્ડામાં નથી. તે વિશિષ્ટ, હિંમતવાન, વધુ પ્રામાણિક અને મહેનતુ શાસક ઇચ્છે છે જે હાલના વડાપ્રધાનમાં આ બધા ગુણો દેખાય છે. વિઘટનવાદને નાપસંદ કરવાની સાથે સાથે તેઓ એમનામાં બીજા સદ્ગુણો એ પણ જુએ  છે તે જ કારણે બીજા પર તેમને પસંદગી આપે છે . જાતિ-જ્ઞાાતિમાં વહેંચાયેલા સમાજમાં સમાન સપનું, સમાન આશા અને કોઈ કાર્યશીલ સમાન લીડરશીપ જ બધાને એકજૂટ કરી શકે છે. દેશની મોટી વસ્તીને આ વાત દેખાઈ તો નાત-જાતની દીવાલ ધ્વસ્ત થઈ ગઈ. મુસલમાનોને જો આ મળશે તો એ પણ એકજૂટ થઈ જશે. આવા કોઈ સમાન, દૃષ્ટિકોણ વિઝન, અને સમાન લીડરશીપ વગર એ આશા રાખવી કે મુસલમાન કોઈ અલૌકિક શક્તિ દ્વારા કોઈ એક ઉમેદવારને જ મત આપશે એ ખોટી ભ્રમણા છે. મોટા મોટા વિશ્લેષકો પણ આ કહેવાની સ્થિતિમાં ન હતા કે બી.એસ.પી આગળ છે કે એસ.પી.? આવામાં એક સામાન્ય મુસ્લિમ પાસે કઈ અલૌકિક શક્તિ હતી કે તેઓ અંદાજો કરી શકતા કે પોતાનો મત કોને આપે.

વાત રહી ભાજપના વિજયની, તો એને મુસલમાનોએ બહુ મોટી આફત પણ ન સમજવી જોઈએ અને હારની લાગણીનો શિકાર પણ થવું ન જોઈએ. ન તો ભાજપે પ્રથમ વખત કોઈ રાજ્યમાં જીત મેળવી છે, અને ન તો યુપીમાં પહેલી વખત કોઈને આટલી સીટો મળી છે. ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી પરંતુ એક સૈદ્ધાંતિક ચળવળ છે. અને આ ચળવળ એક લાંબા સમયથી આ દેશમાં કામ કરી રહી છે. અને તેણે શક્તિના ઘણાં કેન્દ્રો પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આઝાદી પહેલાં અને આઝાદીના તુરંત બાદ કોંગ્રેસનો એક ભાગ આ જ સિદ્ધાંતની રાજકીય રજૂઆત કરતો હતો અને આ જ લોકો દેશના ભાગલા પાડવા માટે જવાબદાર છે. એણે જ હુલ્લડને ભારતના ઇતિહાસનો એક ભાગ બનાવી દીધો. એણે જ સંગઠિત થઈને ઉર્દૂ ભાષાના મૂળ કાપ્યા. ઠેર ઠેર મસ્જિદ-મંદિરના ઝઘડા ઊભા કર્યા. પોલીસ અને વહીવટીતંત્રમાં પક્ષપાતનું ઝેર ફેલાવ્યું. સમયાંતરે લાગણીસભર મુદ્દાઓમાં મુસ્લિમોને ગૂંચવાયેલા રાખ્યા. તેમની લીડરશીપને અશક્ત કરી. દેશની (ડીપ સ્ટેટ) ઉંડી રાજનીતિ હકીકતમાં બહુ પહેલાંથી આ જ જૂથના કાબુમાં છે. આથી માત્ર ભાજપના જીતી જવાથી કોઈ મોટા ઇન્કિલાબ (પરિવર્તન)ની અપેક્ષા નથી. પરિવર્તન આઝાદી પછીથી સતત ચાલુ જ છે. આઝાદીના તરત પછી જે સ્થાને કોંગ્રેસ ઊભી હતી એ સ્થાને આજે ભાજપ છે. એ સમયે કોંગ્રેસનું એક જૂથ મુસ્લિમ વિરોધી હતું તો આજે ભાજપનું એક જૂથ મુસ્લિમ દુશ્મન છે. એ સમયે કોંગ્રેસ લોકપ્રિય હતી આજે આ છે. એ સમયે કોંગ્રસમાં લીબરલ અને ઇન્સાફને પસંદ કરનારા લોકો પણ હતા, આજે ભાજપમાં પણ છે. (સંખ્યા અને પ્રમાણમાં તફાવત હોઈ શકે). વિઘટનવાદી વિચારધારા ધરાવતા લોકોને હારવું જ જોઈતું હતું પરંતુ જો તે નથી હાર્યા તો આનાથી મુસલમાનો પર કોઈ કયામત તૂટી પડવાની છે એવું નથી. અસલ જે ધ્યાને રાખવાની વસ્તુ છે તે છે આ દેશના લોકોનો વિચાર. ખાસ કરીને આ દેશની નવી પેઢી, શિક્ષિત નવયુવાનો શું વિચારી રહ્યા છે.? એ અસલ સમસ્યા છે. જો એમની માનસિકતા હકારાત્મક છે તો ભાજપ પણ કાંઈ ખાસ કરી શકવાનો  નથી અને જો કરશે તો ટકશે નહીં. અને જો માનસિકતા નકારાત્મક છે તો બિનસાંપ્રદાયિક સંગઠનો તમારી તરફદારીનો ખતરો લઈ આત્મહત્યા કરવાના નથી.

હકીકત આ છે કે આ દેશના મોટા ભાગના લોકોમાં એ પૂર્વગ્રહ કે પક્ષપાત નથી, જોવા મળતો જેમનું પ્રદર્શન યુરોપ અને દુનિયાના બીજા દેશોમાં જોવા મળે છે. પરંતુ લોકોની માનસિકતા બહુ ઝડપથી બદલાઈ રહી છે, એની સમયસર નોંધ લેવાની જરૃર છે.

કરવાનું અસલ કામ પહેલાં પણ એ હતું, અને આજે પણ એ જ છે કે આપણે દેશની બહુમતી સાથે વાર્તાલાપના ચેલેન્જને કબૂલ કરીએ. તેમની ગેરસમજને દૂર કરીએ. અને તેમની ખોટી માન્યતાઓને પણ. તેમને પોતાના ધર્મ વિષે પણ બતાવીએે અને પોતાને દેશના શુભચિંતક તરીકે પણ સાબિત કરીએ. તેમની કોમોએ પયગંબરોનો વિરોધ જરૃર કર્યો, પરંતુ કોઈએ પણ નબીને પોતાની કોમના દુશ્મન નથી સમજ્યા. દા’વતના પહેલા દરેક નબીની તેમની કોમમાં એક નિષ્ઠાવાન, નેક અને શુભચિંતકની છબી બની ચૂકી હતી. આપણી આ છબી (ઇમેજ)નું ન હોવું પણ આપણી દા’વતના રસ્તામાં એક અડચણ છે અને આપણી ઘણી સમસ્યાઓનુંુ મૂળ પણ. આ દેશ સાથે શુભચિતક હોવાના સંબંધ સાબિત કરવો અને મનાવવોએ આપણું પ્રથમ કામ હોવું જોઇએ.

રાજકીય સ્તરે મોટી જરૂરત જાગૃત રાજકીય લીડરની છે. આપણી રાજકીય અને મિલ્લી જમાઅતો, બેસીને સમાન રાજકીય શક્તિ ઊભી કરવાની જરૃર છે. મુસ્લિમ વિઘટનવાદ હંમેશ દસ ગણો વધુ હિન્દુ વિઘટનવાદ પેદા કરે છે. આપણી રાજનીતિને અલગતાવાદી, અને મુસ્લિમ કોમ પરસ્તીના રંગથી દૂર કરી ઇસ્લામના શિક્ષણના પ્રકાશમાં ઇન્સાફ પસંદ રાજકીય રંગ અપનાવવાો જોઈએ. આ વિચાર પણ સારો નથી કે દરેક જગ્યાએ ચૂંટણીમાં ભાગ લેવો જરૂરી જ છે. દેશના ઘણાં ભાગોમાં સમરસ રાજકારણ પણ અસરકારક નીવડી શકે છે. ક્યાંક નિશ્ચિત વિસ્તારોમાં ફકત મુસલમાનોના નહીં પરંતુ દરેક વર્ગના લીડર બની ચૂંટણીમાં ભાગ લેવો જોઈએ. પરંતુ સાથે જ આપણી લીડરશીપે વધુ પ્રમાણમાં રાજકીય પક્ષો પર દબાણ બનાવવું, એમની સાથે વાટાઘાટો કરવી, નિયુક્ત પ્રતિનિધિથી કામ કરાવવું વિગેરે હોઈ શકે. આવી સંયુક્ત અને બુદ્ધિમાન લીડરશીપ જો ઊભી થાય તો ભાજપથી પણ લાભદાયી કાર્યો કરાવી શકાય છે. અને આવી લીડરશીપ વગર મનમોહન સિંઘ જેવા વડાપ્રધાનના નિષ્ઠાવાન પ્રયત્નો પછી પણ સાચર કમિટીના ઘણાં તારણો દસ વર્ષ બાદ પણ અસરહીન રહી જાય છે.

છેલ્લે રૃદયાર્ડ કીપ્લીંગની ‘IF’ કવિતા અહીં પ્રસ્તુત છે,

If you can make a heap of all your winnings

And risk it on one turn of pitch-and-toss,

And lose, and start again at your beginnings

And never breathe a word about your loss;

If you can force your heart and nerve and sinew

To serve your turn long after they are gone,

And so hold on when there is nothing in you

Except the Will which says to them: “Hold on!”

Yours is the Earth and everything that’s in it,

And—which is more—you’ll be a Man, my son!

(Rudyard Kipling; Poem “IF”)

અર્થાત્

“જો આખા જીવનની સફળતાનો ઢેર બનાવી શકો અને તે બધી સફળતા માટે થતા નુકસાનનો રિસ્ક લઈ શકીએ. અને જો તમારી જીવનભરની સફળતા એક પળમાં બરબાદ થઈ જાય અને તમે એક નવી શરૃઆત માટે કમરકસી લો અને જીવનના આ મોટા નુકસાન માટે ક્યારેય ન વિચારો અને ન બોલો અને જ્યારે એવું લાગે કે તમારો વારો જતો રહ્યો છે અને તક ખતમ થઈ ચૂકી છે અને પછી પણ તમે તમારા દિલ, દિમાગ અને શરીરથી વળગ્યા રહો જ્યારે કે તમને વળગ્યા રહેવા માટે કોઈ શક્તિ બાકી ન રહી હોય, સિવાય કે તમારી ઇચ્છાશક્તિ… મારા પુત્ર! તમે મર્દ ત્યારે જ કહેવાશો જ્યારે તમારી અંદર આ લાક્ષણિકતા હોય, અને આ દુનિયા અને જે કંઈક આમાં છે એ બધું તમારૃં છે.” 

(લેખક જમાઅતે ઇસ્લામી હિંદના નાયબ અમીર છે. તેમનાથી sadathusaini@gmail.com  ઉપર સંપર્ક કરી શકાય છે.)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments