Saturday, July 27, 2024
Homeપયગામએકેશ્વરવાદની ક્રાંતિકારી અવધારણા – ૨

એકેશ્વરવાદની ક્રાંતિકારી અવધારણા – ૨

તૌહીદ માત્ર સૃષ્ટિના એક જ સર્જનહારને સ્વીકારવાનું નામ નથી. બલ્કે વ્યક્તિગત અને સામુહિક જીવનના દરેક ક્ષેત્રમાં તેને જ હાકિમ અને બાદશાહ માનવાનું નામ છે. આ સ્વીકારીતામાં આટલું દૃઢપણું અને મજબૂતી હોવી જોઈએ કે વ્યક્તિ તેનો ઉપાસક, પ્રશંસક, ગુલામ અને આજ્ઞાકારી બની જાય. ઇકબાલે કહ્યું હતું,

જબાન સે કહ દિયા લાઇલાહા તો ક્યા હાસિલ

દિલ વ નિગાહ મુસલમાન નહીં તો કુછ ભી નહીં

હૃદયની ઉંડાઈથી તૌહીદનો એકરાર હોવો જોઈએ. જ્ઞાનનો મૂળ આધાર ઉપર વિજ્ઞાન જેટલી પ્રગતિ કરશે તે માનવતા માટે મદદરૃપ બનશે અને વ્યક્તિનું જીવન સંતુલિત બની જશે. વ્યક્તિનો બીજા લોકો સાથે, સૃષ્ટિ સાથે, પોતાના સર્જનહાર સાથે અને સ્વંય પોતાની સાથે શું સંબંધ છે અને સંબંધનો શું તકાદો છે આ ગુઢ રહસ્ય તેના માનસમાં ઉજાગર થઈ જશે.

આ વાત પ્રકાશિત સુર્યની જેમ તેના ઉપર સ્પષ્ટ થઈ જશે કે સમગ્ર વિશ્વમાં શાંતિ અને ન્યાયની સ્થાપના આ જ સત્ય ઉપર આધારિત છે. સમગ્ર બ્રહ્માંડ કે જ્યાં પૃથ્વીથી મોટા-મોટા ગ્રહો, ઉપગ્રહો, આકાશ ગંગાઓ છે તેમની વચ્ચે એક અદ્ભૂત સંતુલન જોવા મળે છે. આ સંતુલન અને શાંતિનું એક માત્ર કારણ આ જ છે કે આકાશની દરેક વસ્તુ ઇચ્છા-અનિચ્છાએ અલ્લાહના આદેશોની પાબંદ છે.

“હવે શું આ લોકો અલ્લાહના આજ્ઞાપાલનનો માર્ગ (ઈશ્વરીય ધર્મ) છોડીને કોઈ બીજો માર્ગ ઇચ્છે છે ? જો કે આકાશ અને ધરતીની સમગ્ર વસ્તુઓ સ્વેચ્છાએ કે લાચારીપૂર્વક અલ્લાહની જ આજ્ઞાંકિત (મુસ્લિમ) છે અને તેના તરફ જ સૌને પાછા ફરવાનું છે ?” (સૂરઃ આલે ઇમરાન-૮૩)

દુનિયામાં અજ્ઞાન, અશાંતિ, અન્યાય, અરાજકતા, અસુરક્ષા, અત્યાચાર, અહંકાર, હિંસા, ભ્રષ્ટાચાર વગેરે જે સમસ્યાઓ પણ છે તેનું મૂળ કારણ આ જ છે કે વ્યક્તિગત કે સામુહિક જીવન માટેનું માર્ગદર્શન અને વ્યવસ્થા ઇશ્વરીય નથી માનવ કે માનવ સમુહની ઘડેલી છે. રાજાશાહી હોય કે તાનાશાહી, સામ્યવાદ હોય કે મુડીવાદ વગેરે બધી જ પ્રણાલીઓ માનવી અજમાવી ચુક્યો છે. ક્યાંય ધનપતિઓનો સ્વાર્થ છે તો ક્યાંક મજૂરોમાં એક વર્ગ પ્રત્યે આક્રોશ છે. ક્યાંક એક વ્યક્તિને બધા જ સત્તાધિકાર છે તો ક્યાંક એક રંગ, વંશ કે જાતિના લોકો સત્તાધિશ છે. માનવની બુદ્ધિ અને જ્ઞાન સીમિત છે. તેથી તે જે કંઇ પણ વ્યવસ્થા ઘડશે તેમાં ત્રુટિ ફરજીયાત પણે રહેશે. અલ્લાહે માનવનું સર્જન કર્યું છે તે તેની પ્રકૃતિ, સ્વભાવને સારી રીતે જાણે છે તેને ભૂત અને ભવિષ્યનું જ્ઞાન  ધરાવે છે. માનવ માટે શી વ્યવસ્થા શ્રેષ્ઠ હોઈ શકે તે જ બતાવી શકે અને આ જવાબદારી અલ્લાહે સ્વંય લીધી છે.

“નિઃશંક માર્ગ બતાવવો અમારે શિરે છે,” (સૂરઃ લૈલ – ૧૨)

આ જ વસ્તુને માનવ સ્વીકારી લે તો ન માત્ર વ્યક્તિના ચારિત્ર્યમાં બલ્કે જીવનના દરેક મામલાની સુધારણા થઈ શકે છે. જીવનમાં ક્રાંતિનો એક નવો પ્રકાશ પ્રગટી શકે છે. એટલે જ અલ્લામા ઇકાબલે કહેવુ પડયુઃ

ઇસસે બઢકર કયા ફિક્ર વ અમલ કા ઇંકલાબ

બાદશાહો કી નહીં અલ્લાહ કી હૈ યે ઝમીં

વ્યક્તિ આ ક્રાંતીકારી વાસ્તવિકતાનો સ્વીકાર કરે તો પરિવર્તનની શરૃઆત થાય છે જેમ પ્રકાશ ફેલાવથી અંધારૃ રૃંધાઈ જાય છે તેમ સત્યના આગમનથી અસત્ય પુંછડી દબાવીને ભાગે છે. કુઆર્ન કહે છે, “અને ઘોષણા કરી દો, સત્ય આવી ગયું અને અસત્ય નાશ પામ્યું, અસત્ય તો નાશ પામવાનું જ છે.” (સૂરઃ બની ઇસરાઈલ-૮૧)

પરંતુ અસત્ય જ્યારે જડ પકડી ચુક્યું હોય તો તે સત્યને મટાડવા પ્રયત્ન કરે છે અને શરૃઆત થાય છે. એક સંઘર્ષની આ સંઘર્ષમાં સત્યવાદી (તોહીદપરસ્ત) વ્યક્તિના વિજય નિશ્ચિત છે કેમકે તેની આસ્થાના મૂળ ઊંડા અને તેના સદાચાર, સેવા, પ્રેમ નિઃસ્વાર્થ જન કલ્યાણની શાખો આકાશ સુધી ફેલાયલી હોય છે.

“શું તમે જોતા નથી કે અલ્લાહે ‘કલિમએ તૈયિબહ’ (પવિત્ર વાત)ને કઈ વસ્તુ સાથે સરખાવેલ છે ? આનું ઉદાહરણ એવું છે કે એક ઉચ્ચ પ્રકારનું વૃક્ષ જેના મૂળ જમીનમાં ઊંડે સુધી જામેલા છે અને શાખાઓ આકાશ સુધી પહોંચેલી છે.” (સૂરઃ ઇબ્રાહીમ-૨૪)

ચાલો ટુંકમાં જોઈએ તોહીદ વ્યક્તિના જીવનને કેવી રીતે પરિવર્તિત કરે છે. લોકો જ્યારે આ વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે કે ઇશ્વર એક છે અને એક જ છે તો આ વિચાર તમામ માનવોને એક કડીમાં સમાવવા મજબૂત આધાર આપે છે. જે રંગ, ભાષા, સીમાઓ, જાતિ અને વંશના વાડાથી ઉપર ઉઠી એક સમુદાય (એક મિલ્લત)ની રચના કરે છે. તે જ્યારે કહે કે તે ઇશ્વર લોકોથી બેનિયાઝ (નિરપેક્ષ, નિસ્પૃહ) છે. એટલે કોઈ તેનો સ્વીકાર કરે કે ન કરે તેને કોઈ ફેર પડતો નથી. તેની કૃપા અને નેઅમતો બધા માટે વરસી રહી છે. આ વિશ્વાસ માનવને નિસ્વાર્થ કર્તવ્ય નિષ્ઠ બનાવે છે કે તે બધા લોકો સાથે પ્રેમ અને રહમનો મામલો કરે. બીજાથી કોઈ આશા રાખ્યા વગર કર્મ કરતો રહે છે. એ જ્યારે કહે છે ઇશ્વરનો કોઈ સમકક્ષ નહીં તો તે પોતાનું ચારિત્ર એવી રીતે નિર્માણ કરવા પ્રેરાય છે કે કોઈ બીજી વ્યક્તિ ભલાઈ અને સદ્કાર્યોમાં તેની બરાબરી ન કરે. આ સ્પર્ધા સમાજમાં ‘માનવો’નું નિર્માણ કરે છે. કરૃણા અને દયા, ત્યાગ, ક્ષમા વગેરે જેવા મુલ્યોને પ્રસારિત કરે છે, જેથી ન માત્ર વ્યક્તિનું મન શાંત બને છે બલ્કિ સમાજમાં શાંતિ સ્થાપિત થાય છે.

વ્યક્તિ જ્યારે કહે કે અલ્લાહ સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે તો તે ટુંકદૃષ્ટા કેવી રીતે હોઈ શકે!!! તેની માનસિકતા સીમિત કઈ રીતે હોઈ શકે? એ વ્યક્તિ જ્યારે કહે કે અલ્લાહ ક્ષમાવાન છે તો આવી વ્યક્તિ પાષાણ હૃદયી કેવી રીતે હોઈ શકે! એ જ્યારે માને છે કે અલ્લાહ મુતકબ્બિર (અભિમાની) છે તો માનવ અહંકારી, ખુદપસંદ કેવી રીતે બની શકે! એ જ્યારે સ્વીકાર કરતો હોય કે અલ્લાહ કહ્હાર  (અતિપ્રબળ) તેની સાથે છે તે વ્યક્તિ ડરપોક, કાયર કેવી રીતે હોઈ શકે. એ વ્યક્તિ જ્યારે અલ્લાહને રાઝિક માનતો હોય તો પોતે સંગ્રહખોર કેવી રીતે હોઈ શકે! ઇશ્વરનો જે પરિચય ઇશદૂતોએ કરાવ્યો છે એ દરેક ગુણોને વ્યક્તિ માનવીય હદ સુધી પોતાની અંદર વિકસે એ એકેશ્વરવાદનો તકાદો છે.

વ્યક્તિનું વ્યક્તિત્વ હોય, ઘર હોય કે સમાજ, દેશ હોય કે દુનિયા. માનવ જ્યારે પોતાની ચલાવવા માગે છે ત્યારે હિંસા, અન્યાય અને અશાંતિ ઉત્પન્ન થાય છે. માત્ર ફિરોન જેવા રાજાઓ એ દાવો ન હોતો કર્યો ‘હું સૌથી મોટો ખુદા છું.’ દરેક વ્યક્તિની અંદર એક ફિરઔન છુપાયેલ છે જે તેને અલ્લાહને આધિન થવા દેતો નથી. એ બાપના રૃપમાં પોતાની ચલાવવા માગે છે. એ સાસ-વહુ, દીકરી, નેતા-મંત્રી એ જે રૃપમાં હોય પોતાની ચલાવવા માગે છે. પરિવારો આના જ કારણે બરબાદ થાય. પતિ-પત્નિના બંધનમાં આ જ કારણે તિરાડ પડે છે. પ્રજા અને રાજા વચ્ચે આ જ કારણેે વિદ્રોહ થાય. એટલે જ જો માનવ સંપૂર્ણપણે પોતાની જાતને અલ્લાહને સમર્પિત કરી દે તો માનવી જીવનની દરેક સમસ્યા હલ થઈ શકે. સામાજીક વ્યવસ્થા હોય કે શૈક્ષણિક વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા હોય કે રાજનૈતિક વ્યવસ્થા દરેક સ્થાને ન્યાય સ્થાપિત થઈ શકે. આ માત્ર વિચાર કે દાવો નથી ૧૪૦૦ વર્ષ પૂર્વનો ઇતિહાસ તેનો સાક્ષી છે.

પરંતુ અફસોસની વાત આ છે કે એક અલ્લાહને માનનારા લોકો પણ તોહીદની સાચી પરિભાષાથી પરિચિત નથી. એક અલ્લાહને માનવું અને એક અલ્લાહની માનવી બંનેમાં મોટુ અંતર છે. વ્યક્તિ જ્યારે પોતાને અલ્લાહની સામે સમર્પિત કરે છે તો અબુબકર રદિ., ઉમર રદિ. ઉસ્માન રદિ. અલી રદિ. હુસૈન રદિ. વગેરે જેવા મહાન પુરૃષોનું નિર્માણ થાય છે. હજરત જાફર જ્યારે નજ્જાસીના દરબારમાં આશ્રય લેવા હાજર થયા ત્યારે નજ્જાસીના પ્રશ્નના જવાબમાં ઇસ્લામનો જે પરિચય કરાવ્યો એ બતાવે છે કે તોહીદ કેવા ચારિત્રનું નિર્માણ કરે છે. હજરત જાફર રદિ. કહે છે “અમે મૂર્તિપૂજક હતા, મડદા ખાતા હતા, ખોટા કાર્યો કરતા, સંબંધો તોડતા, પાડોશીઓથી દુર્વ્યવહાર કરતા, અમારામાં તાકતવર નિર્બળને ખાઈ રહ્યો હતો. આ જ પરિસ્થિતિમાં એક રસૂલ આવ્યો જેનો ઉચ્ચ વંશ સત્યતા અને અમાનતદારી તથા પવિત્રતા અમને પહેલાથી માલૂમ હતી. તેમણે એક અલ્લાહ તરફ બોલાવ્યા અને સમજાવ્યું કે માત્ર તેની ઇબાદત કરો તેના સિવાય બીજી મૂર્તિઓ અને પત્થરો જેમને તમારા બાપ-દાદા પૂજતા હતા તેને ત્યજી દો. તેમણે સત્ય બોલવા, અમાનત પાછી આપવા, સંબંધો જોડવા, પાડોશી સાથે સારો વ્યવહાર કરવા, હરામ વસ્તુઓ અને ખુનામરકીથી દૂર રહેવા, અશ્લીલતા, ખોટુ બોલવું, અનાથનો માલ ખાઈ જવા, પવિત્ર સ્ત્રીઓ ઉપર ખોટા આરોપ મૂકવાની મનાઈ ફરમાવી. તેમણે આદેશ કર્યો કે માત્ર એક અલ્લાહની ઇબાદત કરો તેની સાથે બીજાને શામેલ ન કરો. તેમણે અમને નમાઝ, રોઝા, ઝકાતનો આદેશ કર્યો…”

એટલે જ અલ્લામા ઇકબાલે કહ્યું,

ઝિંદા કુવ્વતથી જમાનેમેં તોહીદ કભી

અબ કયા હૈ ફકત મસલએ ઇલ્મ વ કલામ

મિત્રો વાસ્તવિકતા આ જ છે કે તોહીદ એક ક્રાંતિકારી વિચારધારા છે જે ન માત્ર વ્યક્તિની મનેચ્છાઓને તાબે કરે છે બલ્કે સમગ્ર દુનિયાને તાબે કરવાની શક્તિ ધરાવે છે. એટલે હજરત મુહમ્મદ સ.અ.વ.એ કહ્યું હતું કે હું એક એવો કલમો લઈને આવ્યો છું કે જો તમે તેનો સ્વીકાર કરી લો તો આરબ અને અજમ (બિન આરબ) બધા તમારે આધીન થઈ જાય. બસ જરૃર છે તૌહીદની સાચી સમજ કેળવવાની અને તેના તકાદા પૂરા કરવાની સમસ્યાઓ એવી રીતે નાબૂદ થઈ જશે. જાણે તે હતી જ નહીં. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments