Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસભારતમાં ઇસ્લામની દા'વતઃ ભાવિ અને મહત્વ

ભારતમાં ઇસ્લામની દા’વતઃ ભાવિ અને મહત્વ

યુનાઇટેડ કિંગડમમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો, જેના તારણો ચોંકાવનારા હતા. ૮૦ ટકા લોકોને ઇસ્લામ વિશે ખુબ ઓછું જ્ઞાન હતું, ૯૫ ટકા લોકો બાઇબલના સંપર્કમાં આવ્યા હતા, ૨૦ ટકા લોકો કુઆર્નના સંપર્કમાં આવ્યા હતા, ૯૩ ટકા લોકો કુઆર્ન વિશે ખુબ ઓછું જાણતા હતા, ૪૦ ટકા લોકોને ખબર જ નથી કે અલ્લાહ કોણ છે?, ૩૬ ટકા લોકોને નથી ખબર કે મુહમ્મદ સલ્લ. કોણ છે?, ૨૭ ટકા લોકોને મુસ્લિમો બાબતે ગેરસમજ છે, મુહમ્મદ સલ્લ. વિશે પુછતા ૬૧ ટકા લોકો પ્રતિકૂળ (Negative) જવાબ આપે છે, ૭૫ ટકા લોકો માને છે કે ઇસ્લામ અને મુસ્લિમોએ સમાજમાં પ્રતિકૂળ અસરો ઉભી કરી છે, ૩૨ ટકા લોકો માને છે કે મુસ્લિમો સામાજિક તનાવ ઉભું કરવામાં મુખ્ય છે, ઇસ્લામી કાયદાના ખ્યાલને માત્ર બે ટકા લોકોએ અનુકૂળ સમજ્યા, ૭૬ ટકા લોકો માનવા તૈયાર નથી કે મુસ્લિમો સમાજ સાથે સારી રીતે જોડાય છે અને ૭૧ ટકા લોકો આ વાત સાથે સંમત નથી કે મીડિયા ઇસ્લામ અને મુસ્લિમો માટે પક્ષપાતી વલણ ધરાવે છે. જો આવો જ સર્વે ભારતમાં કરવામાં આવ્યો હોત તો પરીણામ લગભગ એવા જ હોત!!!

પરિસ્થિતિને બદલવા માટે ખુબ જરૂરી છે કે ઇસ્લામના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવે. ઇસ્લામની દાવતનું કામ નબીની સુન્નત હોવાથી નબીઓવાળું કામ છે. નબીઓનું જીવન લોકોના અંધશ્રદ્ધાળુ અને અંધકારમયી આસ્થાઓને ઇસ્લામરૃપી જ્યોત વડે પ્રગટાવવામાં અને તેમની આત્માને પ્રકાશમયી બનાવવામાં વ્યતિત થયું. અલ્લાહ કઆર્નમાં કહે છે, “હે નબી! પોતાના રબ (માલિક અને પાલનહાર)ના માર્ગ તરફ બોલાવો હીકમત (વિવેકબુદ્ધિ અને તત્વદર્શિતા) અને ઉત્તમ શિખામણ સાથે અને લોકો સાથે ચર્ચા અને સંવાદ કરો એવી રીતે જે શ્રેષ્ઠ હોય તમારો રબ જ વધુ સારી રીતે જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકી ગયો છે અને કોણ સન્માર્ગ ઉપર છે.” આ આયત આપણને ઇસ્લામની દાવત આપવાનું આહવાન કરે છે.

એકવાર પયગમ્બરે ઇસ્લામ મુહમ્મદ સલ્લ. કહ્યું, “મારી વાત અન્ય લોકો સુધી પહોંચાળો પછી ભલે તે એક વાત જ કેમ ન હોય” (બુખારી). દાવતનું કામ એટલું મહત્વ ધરાવે છે કે મુહમ્મદ સલ્લ.એ પોતાના આખરી ખુત્બામાં પણ તેનું વર્ણન કરતા કહ્યું, “જેઓ મને સાંભળી રહ્યા છે તેઓ એ લોકોને મારી વાત પહોંચાળી દે જેઓ નથી સાંભળી રહ્યા, અને તેઓ પછી બીજાને પહોંચાડી દે, શક્ય છે કે તેઓ તમારા કરતા વધારે સારી રીતે મારી વાત સમજી શકે. હેે અલ્લાહ મે તારા લોકો સુધી તારો સંદેશો પહોંચાડી દીધો, હે લોકો તમે ગવાહ રહેજો.”

પયગમ્બર સલ્લ.એ પોતાનો સંદેશો આપણને પોહંચાડી દીધો હવે આપણે એ સંદેશાને બીજા લોકો સુધી પહોંચાડવાની જરૃર છે. દાવતનું કામ ખુબ નેકીવાળો છે. આપ સલ્લ.એ ફરમાવ્યુ, “એક વ્યક્તિ બીજી વ્યક્તિને ભલાઇનો રસ્તો દેખાડે તો પહેલી વ્યક્તિ ને બીજી વ્યક્તિ જેટલો જ સવાબ (Reward) મળે છે.” અલ્લાહની ઇચ્છાથી જો એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય તો તેના, તેની પત્નીના, તેના બાળકોના, તેના પૌત્રોના અને ક્યામત સુધીના તેના તમામ કુંટુંબીજનોના સવાબ જેટલો જ સવાબ પહેલી વ્યક્તિને મળશે, વિચારો પહેલી વ્યક્તિએ કેટલો સવાબ ભેગો કરી લીધો!!!

મુહમ્મદ સલ્લ. કહ્યું, “અલ્લાહ તેના ફરીશ્તાઓ, જન્નતવાળા, જમીનવાળા, પહાડની કીડીઓ, પાણીની માછલીઓ તેના માટે મગફીરતની દુઆ કરે છે જે બીજાને ઇસ્લામ તરફ બોલાવે છે” (તિરમીઝી). તેથી જ્યારે એક વ્યક્તિ દાવતના કામમાં લાગી જાય છે તો તેના માટે તમામ જીવો દુઆ કરે છે આનાથી વિશેષ શું જોઇએ? આજની પરિસ્થિતિને જોતા દાવતના મેદાનમાં પાંચ ચાવીરૃપ કામો કરવાની જરૃર છે.

૧. મુસ્લિમોને દાવતનું મહત્વ સમજાવવામાં આવે

દાવતનું કામ કરતા લોકો માટે સૌથી અડચણરૃપ બીજા મુસ્લિમો જ છે. આ કામના મહત્વની સમજણ ન હોવાથી તેઓ દાવતનું કામ થતા અટકાવે છે. તેઓ કહે છે, “પહેલા આપણે મુસ્લિમોને સુધારવા જોઇએ”, “બિન મુસ્લિમો ખોટું વિચારશે”, “તેઓ ઇસ્લામ સ્વિકારશે નહીં તો પછી સમયનો બગાડ શા માટે કરવો” વગેરે. કોઇ વ્યક્તિ ગાડીનું સ્ટેન્ડ ઉંચું કર્યા વગર ગાડી હંકારતો હોય તો આપણે તેને તેના સ્ટેન્ડ વિશે વાકેફ કરવા ધસી જઇએ છીએ કેમકે તેને અકસ્માત નડી શકે છે. મારો લાખ રૃપિયાનું પ્રશ્ન છે કે તે હંમેશની આગ ભણી જઇ રહ્યો હોવા છતા આપણે તેનો એહસાસ કેમ કરતા નથી?

દાવતનું કામ ન કરતા લોકોને કુઆર્નમાં લાનત કરવામાં આવી છે. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે કે “જે લોકો અમારા ઉતારેલા સ્પષ્ટ શિક્ષણ અને માર્ગદર્શનને છુપાવે છે, તે પછી પણ કે અમે તેને તમામ મનુષ્યોના માર્ગદર્શન માટે અમારા ગ્રંથમાં વર્ણવી ચૂક્યા છીએ, વિશ્વાસ રાખો કે અલ્લાહ પણ તેમના પર ફિટકાર કરે છે અને બધા ફિટકાર કરનારાઓ પણ તેના પર ફિટકાર કરે છે” (સૂરઃબકરહ-૧૫૯). બીજુંું આપણે સબ્તના દિવસનો ઉલ્લંઘન કરનારા લોકોને કેવી રીતે ભુલી શકીએ, તેમના સારા લોકોએ તેમના ખરાબ લોકોને ચેતવ્યા નહીં અને પરીણામ શું આવ્યું? માત્ર સારા થવું પુરતુ નથી બીજા લોકોને બુરાઇથી અટકાવવાની પણ આપણી ફરજ છે. દાવતનું કાર્ય કરવા માટે બીજા ક્યા પુરાવા અને ચેતવણીની જરૃર છે???

૨. મીડિયા દ્વારા ઉભી કરવામાં આવેલ ગેરમસજોને દૂર કરવામાં આવે

મીડિયા દ્વારા સતત આ વાત ફેલાવવામાં આવી રહી છે કે “ઇસ્લામ આતંકવાદ ફેલાવે છે”, “મુસ્લિમો આતંકવાદી હોય છે”, “ઇસ્લામમાં સ્ત્રીઓને દબાવીને રાખવામાં આવે છે”, “ઇસ્લામ એ તાર્કિક ધર્મ નથી” વગેરે. દાવત દ્વારા જો તમામ પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન આપવામાં આવ્યો તો પરિસ્થિતિ વધારે વણસી જશે.

૩. વિજ્ઞાન અને તર્ક દ્વારા ઇસ્લામને સમજાવવામાં આવે

આજના આધુનિક યુગમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે તો દા’વત આપતી વખતે કુઆર્ન અને સુન્નતમાંથી સમજાવવાની સાથે સાથે વૈજ્ઞાનિક અને તાર્કિક દલીલ આપવી પણ એટલી જ જરૂરી છે. આજની પરિસ્થિતિમાં જ્યાં સુધી તેમના પ્રશ્નોના જવાબ પુરાવા અને દલીલો સાથે નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ સંતુષ્ટ થવાના નથી. જો આપણે સમલૈંગિક સંબંધો, લીવ ઇન રીલેશનશિપ, અનૈતિક્તા, પોર્નોગ્રાફી વગેરેની વિરૃધ્ધમાં કહેતા હોઇએ તો આપણી વાત વૈજ્ઞાનિક અને તાર્કિક દૃષ્ટિએ મજબૂત જાણકારી સાથે પ્રસ્તુત થવી જોઇએ. આ માટે રીસર્ચ સેન્ટરની સ્થાપના આપણા ધ્યેયને પ્રાપ્ત કરવામાં મદદરૃપ થશે.

૪. દા’વત આપવાની શરૃઆત કઇ રીતે કરવામાં આવે

આ બાબત પડકારરૃપ છે કે કઇ રીતે દા’વતનું કામ કરવામાં આવે. કેટલીક આસાન રીતો દ્વારા દા’વતનું કામ શરૃ કરી શકાય છે. દા.ત. શાળા કોલેજ કે ઓફીસે જતા આકર્ષક ટાઇટલ ધરાવતાં ઇસ્લામી પુસ્તકને સાથે રાખવામાં આવે, ઇદ નિમિત્તે તમારા બિન-મુસ્લિમ મિત્રને ભોજન મિઠાઇની સાથે કોઇ પુસ્તક પણ આપવામાં આવે, કોઇ એવી ભાષાનું પુસ્તક આપવામાં આવે જે તમારો મિત્ર જાણતો ન હોય અને તેને કહેવામાં આવે કે આમાં શું લખ્યું છે સમજાવો ને, જ્યારે તમે છીંક ખાવો તો કહો અલ્હમદુલિલ્લાહ, જ્યારે બીજા મુસ્લિમ સાંભળતા હોય ત્યારે મુસ્લિમને મળતા કહો અસ્સલામુઅલયકુમ, આ ક્રીયા તમને દા’વતનું કામ કરવાના રસ્તાઓ ખોલશે, ઘણા બિન-મુસ્લિમો દુઆ લેવા માટે મસ્જિદની બહાર ઉભા હોય છે તેમને ઇસ્લામ વિશે કોઇ પુસ્તક આપો, પોતાના ગ્રાહકને બસના કંડક્ટર અને રીક્ષાના ડ્રાયવરને દરેકને ઇસ્લામની દા’વત આપતી પુસ્તિકાઓનું વિતરણ કરો. તેમના તહેવારોમાં તેમના ઘરે જઇ ઇસ્લામનો પ્રચાર કરો, તેમને તેમના તહેવારો બાબતે પુછો અને ઇસ્લામ શું છે એ સમજાવો.

૫. દા’વત પહોંચાડવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે

ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, વોટ્સએપ વગેરે ઘણી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ અને એપલીકેશન્સ મોજૂદ છે. જેના દ્વારા આસાનીથી દા’વતનું કામ કરી શકાય છે, આ સાઇટ્સ અને એપલિકેશન્સ મંતવ્યો ઉત્પાદીત કરે છે. લોકો ઘણી ગેરસમજો ધરાવતી વીડીયો, લીંક, કમેન્ટ, પોસ્ટ અને ચેટ મોકલતા હોય છે, તેમને ઇસ્લામની સારી સમજ આપતી વીડીયો, લીંક, કમેન્ટ, પોસ્ટ અને ચેટ મોકલો કે જેથી તેમની ગેરસમજો દૂર થાય. તેનાથી ઇસ્લામ, મુસ્લિમો, કુઆર્ન,પયગમ્બરે ઇસ્લામ હઝરત મુહમ્મદ સલ્લ. દરેક વિશે સારા અને અનુકૂળ મંતવ્યો ઉત્પાદિત થશે.

બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં મુસ્લિમોને દાવતના કામની ગંભીરતા સમજાઇ છે. જેના પરીણામ સ્વરૃપે ઘણી નાની મોટી સસ્થાઓ, ટ્રસ્ટો વજુદમાં આવ્યા છે. જે સારી રીતે દા’વતનું કામ કરી રહ્યા છે, છતાં આ પ્રયત્નો એટલો સબળ નથી કે ભારતના ૧૦૦ કરોડથી વધુ બિન-મુસ્લિમો સુધી પહોંચી શકાય.

આપણે માન્યતા, શ્રદ્ધા અને આચરણ બરાબર હોવા પુરતા નથી કારણ કે બીજાની ગેરમાન્યતા, અંધશ્રદ્ધા અને દુરાચારથી આપણને પણ નુકશાન થાય છે. આ વાતની સમજ આ હદીષથી વધારે સારી રીતે આવશે, “એક બે માળના વહાણમાં નીચેના માળના લોકો પાણી લેવા ઉપરના માળે જતા પરંતુ ઉપરના લોકોને નીચેના માળના લોકોનું ઉપર આવવું અડચણરૃપ લાગતું તેથી નીચેેના લોકોએ વિચાર્યું કે આપણે વહાણમાં કાણું પાડીને સમુદ્રમાંથી પાણી મેળવી લઇએ કે જેથી ઉપરના લોકોને પડતી અગવડથી બચી શકાય. જો ઉપરના લોકો નીચેના લોકોને નહીં સમજાવે કે તેમના વહાણમાં કાણું પાડવાથી શું પરીણામ આવશે તો બન્ને માળના લોકો વહાણ સાથે ડુબી જશે અને સમજાવશે તો બન્ને માળના લોકો બચી જશે.” (બુખારીની હદીષમાંથી). નજીકના ઘરમાં લાગેલી આગ આપણા ઘર સુધી પણ પહોંચી શકે છે.

આપણા દેશની ૮૦ ટકાથી વધારે વસ્તી બિન-મુસ્લિમ હોવાથી આપણી મુળભુત ફરજ બની જાય છે કે આપણે ઇસ્લામનો સુંદર સંદેશ તેમને પહોંચાડીએ. મુહમ્મદ સલ્લ.એ પોતાના કાકા અબુતાલીબને કહ્યુ હતું, “કાકા તમે મારા જમણા હાથમાં સુરજ અને ડાબા હાથમાં ચાંદ લાવીને મુકી દો તો પણ હું ઇસ્લામને લોકો સુધી પહોંચાડવાના મારા ધ્યેયને પડતો નહીં મુકું, ત્યાં સુધી કે હું મૃત્યું સુધી પહોંચી જાઉં.” જમણા હાથમાં સુરજ અને ડાબા હાથમાં ચાંદ લાવવું અશક્ય કામ છે પરંતુ જો તેમના કાકા સુરજ અને ચાંદને તેમના હાથમાં લાવવામાં સફળ થઇ જાય તો પણ આપ સલ્લ. પોતાના ધ્યેયને પડતો મુકવા તૈયાર નથી. શું ધ્યેયને હાંસલ કરવા માટે આ સ્તરનું સમર્પણ આપણી પાસે છે!!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments