Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસતઝકીયા (આત્મશુદ્ધિ)માં સમજદારીનું પાત્ર

તઝકીયા (આત્મશુદ્ધિ)માં સમજદારીનું પાત્ર

તઝકીયાની મંઝીલ સુધી પહોંચવા માટે સમજદારી (અકલમંદી) એક અગત્યનો માઈલ સ્ટોન છે. જેના પરથી પસાર થયા વિના પર્સનાલિટી રીફર્મેશન અશક્ય છે. તઝકીયાને જ્યારે આપણે વ્યક્તિત્વના સંપૂર્ણ ઉત્કર્ષ અને વ્યક્તિની કાયાપલટના અર્થમાં લઈએ છીએ તો પછી આયતોની તિલાવતની અસર ગ્રહણ કર્યા વગર, અલ્લાહના હુકમોની ઊંડી જાણકારી વગર અને કુઆર્નની હિકમત શીખ્યા વગર તઝકીયાને તેના સાચા અર્થમાં પ્રાપ્ત કરવાથી આપણે અસમર્થ રહેશું. નબી સલ્લ.એ સિદ્દીક રદી. અને ફારૃક રદી.થી લઈને બિલાલ રદી. અને સલમાન રદી. સુધી જે વ્યક્તિઓના વ્યક્તિત્વનું ઘડતર કર્યું એ સૌના માટે આયતોની તિલાવત, કિતાબની તાલીમ અને સમજદારીની તાલીમના માધ્યમો અપનાવ્યા. આ ત્રણ માધ્યમોને અપનાવ્યા વગર ફકત થોડું સાંભળવુ અને સંભળાવવું, નાસ-ભાગ કરવી અને સામાજીક પ્રવૃત્તિઓ અથવા કેમ્પસ એક્ટીવીઝમથી તર્બિયત પ્રાપ્ત કરવાની કલ્પના એક મિથ્યા વિચાર છે.

ડહાપણ અને અકલમંદીમાં તફાવત :

તઝકીયા અને ડહાપણ એક બહુ જ અગત્યનું માધ્યમ છે જેની તાલીમ માટે અંબિયા અલૈ.ને મોકલવામાં આવ્યા. તો અહીં સવાલ પેદા થાય છે કે ડહાપણ શું ચીજ છે? મોટા ભાગે ડહાપણને અકલમંદીના સમાનાર્થી સમજી લેવામાં આવે છે. અકલમંદીએ ચાલાકીનુું નામ છે. દુનિયામાં જ્યારે બાળક જન્મે છે ત્યારે શારીરિક અને માનસિક રીતે કમજોર હોય છે જેમ જેમ તે મોટો થાય છે, તેમ તેમ તેની શારીરિક વૃદ્ધિ અને અકલમંદીનો વિકાસ બંને પ્રાકૃતિક ગતિ પ્રમાણે ફળેફૂલે છે. આ બંનેની વૃદ્ધિમાં બાળકના પ્રયત્નનો કોઈ હસ્તક્ષેપ નથી. દા.ત. ૭-૮ મહિના સુધી બહુ ઊંડી સમજ નથી ધરાવતો આના કારણે તે પલંગ ઉપરથી પડી જાય છે. પરંતુ આઠ મહિના પછી તેની અંદર ઊંડી સમજ પેદા થઈ જાય છે. દોઢ વર્ષોનો બાળક જ્યારે ખાતી વખતે વધારે ગોશ્તની માગણી કરે છે તો તેની માતા એક બોટીના બે ટુકડા કરીને પ્લેટમાં મૂકી દે છે. બાળક રાજી થઈ જાય છે કે પ્રમાણ વધારે થઈ થયુ. આ એ સમયે થાય છે જ્યારે તેને પ્રમાણની સમજ નથી હોતી. ધીરે ધીરે તેનો માનસિક વિકાસ થાય છે તો તે પ્રમાણને ઓળખી લે છે. એવી જ રીતે બાળક બે વર્ષની આયુ સુધી કોઈ વસ્તુની માગણી કરે છે તો માતા-પિતા તે સંતાડી દે છે અને કહે છે, ‘છુ … ગાયબ થઈ ગઈ’ બાળક સમજે છે કે તે વસ્તુ હવામાં ક્યાંક ગાયબ થઈ ગઈ. પરંતુ જ્યારે કોઈ વસ્તુ હંમેશા રહેવાની સમજ આવી જાય છે તો તે હવે સહેલાઈથી માનતો નથી. અકલમંદી એવી રીતે પેદા થાય છે અને વિકાસ પામે છે.

પછી શિક્ષણ, વાતાવરણ, અખતરો અને અનુભવોથી તે પોતાની સમજને વિકસાવે છે. અકલમંદી માટે આ વાત નિશ્ચિત નથી કે તે વસ્તુઓ અને ઘટનાઓને એ પ્રમાણે જ દેખે જેવી તે હકીકતમાં છે. પરંતુ વસ્તુઓ અને ઘટનાઓને તે એ પ્રમાણે જુએ છે જે રીતે તેને તાલીમ મળી છે. પરંતુ જ્યારે આપણે ‘હિકમત’ શબ્દ બોલીએ છીએ તો તે સમજદારી અને અકલમંદીથી એક જુદી વસ્તુ હોય છે. હિકમત મહેનતથી મેળવવાની ચીજ કરતાં ઇશ્વરદત્ત વધારે હોય છે. આ એક અલ્લાહતરફથી અવતરિત થયેલ નૂર છે. સમજદારી અને જ્ઞાનની ઉચ્ચ ક્ષિતિજ છે. હિકમત એ હકીકતની શોધ કરવી અને હકીકતને પામવાનું નામ છે. હિકમત સમજદારી અને બુદ્ધિમત્તાનું બીજુ નામ છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી માણસ જ્ઞાની બની શકે છે. પરંતુ અંતઃદૃષ્ટિવાળો બની જાય તે નિશ્ચિત નથી. જ્યારે કે હિકમતથી માણસ અંતઃદૃષ્ટિનો માલિક બની જાય છે. જ્યારે તે ભૂતકાળનું પૃથકકરણ કરે છે, તો હકીકત સુધી તેની પહોંચ થઈ જાય છે. તે વર્તમાન તરફ નજર નાખે છે તો મુશ્કેલીઓથી છૂટકારા માટે દૃષ્ટિગોચર થનારી શક્યતાઓને દેખી લે છે. જ્યારે કે અન્ય લોકો સ્થિતિના રોદણાં રોતા રહે છે. દુનિયા જ્યારે ભવિષ્યથી હતાશ થઈ જાય છે, તો તે દિવ્ય પ્રકાશ અને ઈશ્વરદત્ત અકલમંદીથી દેખી લે છે કે પરિસ્થિતિ કેવી રીતે પલ્ટો ખાઈ રહી છે અને ભવિષ્યમાં કેવી રીત અપનાવવાથી વધારે સારૃ પરિણામ આવશે. તે હિકમતનો માલિક એટલા માટે હોય છે કે તે અંતઃકરણના અવાજને સાફ-સાફ સાંભળે છે. સંયમ અને અલ્લાહના ડરથી તેનું દિલ સમૃદ્ધ હોય છે અને પરિસ્થિતિ તથા અહેવાલને સમજવાની જરૂરી લાયકાતનો માલિક હોય છે.

અકલમંદી એક હદ સુધી જઈને અટકી જાય છે. પરિસ્થિતિનો સામનો કરવા અને તેમાંથી માર્ગ નિકાળવાથી એક અકલમંદ આદમી લાચાર બની જાય છે. રોજ બ રોજ આપણે સમાચાર પત્રોમાં વાંચતા રહીએ છીએ કે કોઈ કલાકાર કે પ્રખ્યાત હસ્તીએ આત્મહત્યા કરી. જ્યારે કે દુનિયાની નજરે ઓછું ભણેલો, પરંતુ હિકમતની દોલતથી માલામાલ વ્યક્તિ હકીકતને ઓળખી લે છે. કાર્યની રીતે ઉપાયની શોધ કરે છે. અકલમંદીથી વધારે સમજ-બૂઝ, પરિસ્થિતિની ઊંડી સમજ, સત્ય અને વાસ્તવિક્તા સુધી પહોંચ, દરેક સમસ્યાનો ઉચિત અને યોગ્ય ઉકેલ એ એક બુદ્ધિશાળીની ઓળખ હોય છે. હિકમત અને બુદ્ધિ ઈમાનથી પ્રાપ્ત થાય છે જેને હિકમત પ્રાપ્ત થઈ તેને વિવેકબુદ્ધિ અર્પણ થઈ, જેના દ્વારા તે સત્ય અને અસત્ય, ઉચિત અને અનુચિત, સાચુ અને જુઠુ, ખરૃ અને ખોટુ, વાસ્તવિક અને પ્રોપેગંડા વચ્ચે ફરક કરી દે છે. કુઆર્ન કહે છે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! જો તમે અલ્લાહનો ડર રાખશો તો અલ્લાહ તમારા માટે કસોટી પૂરી પાડશે અને તમારી બૂરાઈઓને તમારાથી દૂર કરશે અને તમારી ભૂલો માફ કરી દેશે. અલ્લાહ મોટો કૃપાળુ છે.” (૮ઃ૨૯)

હિકમતની સમજૂતિ :/

હિકમતનો સામાન્ય અર્થ બુદ્ધિમત્તા, ડહાપણ, અકલમંદી છે. શાબ્દિક અર્થ ઇલ્મ, સમજણ અને ન્યાય પ્રમાણે ફેંસલો કરવો છે. ઉચ્ચ પ્રકારની વસ્તુઓની ઓળખાણ શ્રેષ્ઠ ઇલ્મ વડે પ્રાપ્ત કરવી, વસ્તુઓની હકીકતને તેમની વાસ્તવિક્તા પ્રમાણે જાણવી અને જાણકારીની અપેક્ષા મુજબ વર્તન કરવું પણ હિકમતના શાબ્દિક અર્થમાં સામેલ છે. હિકમત પારિભાષિક રીતે બુદ્ધિ અને ડહાપણ અને સમજ-બૂઝની ગહરાઈ. આ આંતરદૃષ્ટિ, ગતિ, ઉચ્ચતા અને વિશેષતાઓના ભંડારનું નામ છે. જે અલ્લાહની ખાસ બક્ષિસ છે. જેના દ્વારા માણસ ભલાઈઓથી માલા-માલ થઈ જાય છે. આ જ તઝકીયાનો હેતુ છે. કુઆર્ન કહે છે, “જેને ચાહે છે હિકમત (તત્ત્વદર્શિતા) પ્રદાન કરે છે અને જેને ‘હિકમત’ મળી, તેને હકીકતમાં મોટી દોલત મળી ગઈ. આ વાતો પરથી માત્ર તે જ લોકો બોધપાઠ ગ્રહણ કરે છે, જેઓ બુદ્ધિશાળી છે.” (૨ઃ૨૬૯)

માણસના પાયાના બે ગુણો છે. એક વિચાર અને બીજો વર્તન (આચરણ). વિચારમાં પવિત્રતા અને આચરણમાં શિષ્ટતા. આનું બીજુ નામ હિકમત છે. આદમીના વિચારો પવિત્ર હશે તો તે સદાચારી પણ હશે અને સત્યવાદી પણ હશે. એટલા માટે જ અલ્લાહતઆલાએ હઝરત દાઉદ અલૈ. વિશે ફરમાવ્યું, “અમે તેનું રાજ્ય મજબૂત કરી દીધું હતું, તેને તત્ત્વદર્શિતા પ્રદાન કરી હતી અને નિર્ણાયક વાત કહેવાની ક્ષમતા આપી હતી.” (૩૮ઃ૨૦)

આના ઉપરથી જાણવા મળ્યું કે સારા સંસ્કાર અને શિષ્ટાચાર પણ હિકમતનું જ પ્રતિક છે. આ વિષય પર અલ્લામા હમીદુદ્દીન ફરાહી રહ.ની કિતાબ “હિકમતે કુઆર્ન” ઘણી જ અગત્યની છે. જેનું અધ્યયન ફાયદાકારક થશે.

હિકમતના કેટલાક પાસા :

અલ્લામા હમીદુદ્દીન ફરાહી રહ.એ હિકમતની સાત વિશેષતાઓનું વર્ણન કર્યું છે.
(૧) સંક્ષિપ્ત અને અસરકારક વાત – સમજદાર માણસ જ્યારે વાત કરે છે ત્યારે ભલે તે નસીહત હોય કે સત્ય વાત હોય, તેની વાત સર્વેત્તમ હોય છે. તર્કથી ભરપૂર અને દિલોમાં ઉતરતી ચાલી જાય છે.

(૨) દિલની ઉદારતા – હિકમત પ્રાપ્ત થયા પછી માણસ દુનિયા પ્રત્યે આશિક અને મનેચ્છાઓનો ગુલામ નથી બની જતો. પરંતુ એ સૌથી મનને રોકી દે છે અને દિલમાં મોટાઈ અનુભવે છે.

(૩) દિવ્ય પ્રકાશ – જેને હિકમત પ્રાપ્ત થઈ તેને એક દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થઈ જાય છે. કોઈ પણ સમસ્યા પર જ્યારે આ પ્રકાશ પડે છે તો તે તેની અસલ હકીકત જાણી લે છે જે બીજાઓ માટે અશક્ય હોય છે.

(૪) આચરણ – હિકમત એ જ્ઞાન અને આચરણના મિશ્રણનું નામ છે. જેવી રીતે પ્રકાશ વગર સૂર્યની અને ગરમી વગર આગની કલ્પના ન હોઈ શકે તેવી જ રીતે આચરણ વગર જ્ઞાનની કોઈ કલ્પના ફિલોસોફર પાસે નથી.

(૫) મનની પવિત્રતા – હિકમતનો સંબંધ એ કાર્યો સાથે છે જેના ઉપર માણસની ખૂશનસીબી, મનની પવિત્રતા, તથા વિચાર અને આચરણની શુદ્ધતાનો આધાર છે. આ ડ્રાઈવીંગ કે કોમ્પ્યુટર શીખવા સમાન નથી. પરંતુ આ કાર્યો શીખવાથી વ્યક્તિની ઉન્નતિ થાય છે અને સંસ્કાર ઉચ્ચ બને છે.

(૬) પાયાની નેકીઓ – હિકમતનો સંબંધ ફિકહી મસાઈલની સક્ષ્મતા અને નાજુકતા કરતાં પાયાની નેકીઓ અને માનવતાના સદ્ગુણો સાથે છે. આના કારણે બુદ્ધિશાળી જ્યારે વાત કરે છે ત્યારે સાંભળનાર પ્રભાવિત થઈ જાય છે.

(૭) ઇશ્વરદત્ત અને અવતરિત જ્ઞાન – હિકમત એ સહેલી વાતને જટીલ બનાવીને પ્રસ્તુત કરવાનું નામ નથી. જેવી રીતે આજકાલના બુદ્ધિશાળી મહાનુભાવો કરે છે. પરંતુ સરળ ભાષામાં વાતોને પ્રસ્તુત કરવી એ હિકમત છે અને આ વાણીનું પ્રભુત્વ માણસના પ્રયત્નોથી પ્રાપ્ત નથી થતું પરંતુ તે એક ખુદાઈ બક્ષિસ છે.

હિકમતના લક્ષણો અને પ્રકટસ્થાન :

તઝકીયા (આત્મશુદ્ધિ)ની મંઝીલ તરફ આગેકૂચ કરનાર માણસ જ્યારે હિકમતના સમુદ્રોમાં ગોથુ લગાવે છે તો તે અતિ સૌંદર્યવાન અને અમૂલ્ય હિરા-મોતી અને ખજાનાઓ વીણી-વીણીને એકઠા કરતો ચાલ્યો જાય છે. જેના લીધે તેનું વ્યક્તિત્વ ઉજવળ બની જાય છે. તેની અંદર એક પ્રકારનું આકર્ષણ પેદા થઈ જાય છે અને તે એક અણમોલ માણસ બની જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ હિકમતને પ્રાપ્ત કરી લે છે તો તેનું પ્રગટિકરણ જુદા જુદા સ્વરૃપમાં થાય છે. દા.ત.

(૧) ઈમાન – હિકમતનું એક અત્યંત મહત્વનું પ્રકટસ્થાન ઈમાન છે. જેને હિકમત પ્રાપ્ત થઈ તેને ઈમાન નસીબ થાય છે. તેનાથી વિપરીત જેને ઈમાન નસીબ નથી થયું તેને હિકમત પ્રાપ્ત નથી થઈ. જગતમાં કેટલા બધા વૈજ્ઞાનિકો થઈ ગયા જેમણે બ્રહમાંડની શોધખોળો કરી, ચિંતન-મનન કર્યું. બ્રહ્માંડના રહસ્યો અને ભેદો ઉકેલવામાં લાગેલા રહે છે, તેઓ અનંત બ્રહ્માંડને સામાન્ય માનવી કરતાં નજીકથી દેખે છે, એટમની અંદર ઝાંખીને દેખી લે છે પરંતુ તેના પાછળની વાસ્તવિક્તાનો જે મોટો પર્વત હોય છે તેને દેખવાથી અને તેને સ્વિકાર કરવાથી તેઓ ઇન્કાર કરી દેતા હોય છે. ઘમંડ, અભિયાન, અહંકાર અને સ્વપ્રશંસા તેમને ઈમાનથી વંચિત રાખે છે. એવી વ્યક્તિ બુદ્ધિશાળી તો હોય છે પરંતુ સમજદાર નથી હોતો. કુઆર્ન કહે છે, “પછી શું તમે કયારેય તે માણસની હાલત પર વિચાર કર્યો જેણે પોતાના મનની ઇચ્છાને પોતાનો ઉપાસ્ય બનાવી લીધી અને જ્ઞાન હોવા છતાં અલ્લાહે તેને પથભ્રષ્ટતામાં ફેંકી દીધો અને તેના હૃદય અને કાનો ઉપર આવરણ નાખી દીધું અને તેની આંખો ઉપર પડદો નાખી દીધોે ? અલ્લાહ પછી હવે બીજું કોણ છે જે તેને માર્ગદર્શન આપે ? શું તમે લોકો કોઈ બોધપાઠ ગ્રહણ કરતા નથી ?” (૪૫ઃ૨૩)

(૨) ચિંતન-મનન – હિકમતનો માલિક ચિંતન-મનન કરનારો હોય છે. દુનિયામાં લોકો એશ-આરામ કેવી રીતે વધારવો તેના ઉપર ચિંતન-મનન કરતા રહે છે. પ્રગતિનું સુંદર નામ આપીને દુનિયાની સંપત્તિ લૂંટવામાં આ લૂંટારાઓ ચિંતન-મનન કરતા હોય છે. સમજદાર વ્યક્તિ ચિંતન-મનનનો વિષય તે ચીજને બનાવે છે જેનાથી તેનું વ્યક્તિગત ઉજવણ બને છે, જેનાથી તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. જેના કારણે તે પોતાની જાતને પરિપૂર્ણતા તરફ લઈ જઇ શકે. જેનાથી અલ્લાહની મખ્લૂકની રાહતનાં કામ ફળીભૂત થઈ શકે અને આ સર્વથી વધીને વિશ્વની હકીકત ઉપર અકલમંદ ચિંતન-મનન કરે છે. કુઆર્ન કહે છે, “ધરતી અને આકાશોની રચનામાં અને રાત અને દિવસના વારાફરતી આવવામાં તે બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે ઘણી નિશાનીઓ છે જેઓ ઉઠતાં-બેસતાં અને સૂતાં, દરેક સ્થિતિમાં અલ્લાહને યાદ કરે છે અને આકાશો અને ધરતીની સંરચનામાં ચિંતન-મનન કરે છે, (તેઓ સહસા બોલી ઉઠે છે) ”પાલનહાર ! આ બધું તે નિરર્થક અને નિરુદ્દેષ્ય નથી બનાવ્યું, તું પવિત્ર અને મહાન છે એનાથી કે વ્યર્થ કામ કરે. પછી હે રબ ! અમને દોજખ (નર્ક)ની યાતનાથી બચાવી લે.” (૩ઃ૧૯૦-૧૯૧)

(૩) આભારદર્શન – અકલમંદીની સૌથી મોટી નિશાની એ છે કે તે અલ્લાહનો આભારી બંદો હોય છે અને ચિંતન-મનનના પરિણામે આ હકીકતને પામી લે છે કે તેનું સંપૂર્ણ અસ્તિત્વ અલ્લાહની બક્ષિસ છે અને જે સ્થિતિમાં તેણે તેને રાખ્યો છે તે તેના માટે યોગ્ય જ સ્થિતિ છે. અલ્લાહની ને’મતો બે હિસાબ અને તેના ઉપકારો અગણિત છે. કુઆર્ન કહે છે, “જેણે તમને તે બધું જ આપ્યું જે તમે માગ્યું. જો તમે અલ્લાહની નેઅ્મતો (કૃપાઓ)ની ગણત્રી કરવા ચાહો તો નથી ગણી શકતા. હકીકત તો એ છે કે મનુષ્ય મોટો અન્યાયી અને અપકારી છે.” (૧૪ઃ૩૪). અલ્લાહનો આભારદર્શન ફકત ‘શુક્રિયા, શુક્રિયા યા અલ્લાહ’ કહેવું જ પૂરતું નથી. પરંતુ ને’મતનું મૂલ્યુ સમજવું, તેની કદર કરવી અને ને’મતનો સદ્ઉપયોગ એ જ તેનો શુક્ર છે. ને’મતને વેડફી નાખવી એ નાશુક્રી છે. જીવન એ જ એક મોટી ને’મત છે માટે અકલમંદ માણસ આ ને’મતની કદર કરે છે અન ેતેને એવા કામોમાં લગાવે છે જેનાથી તેનો પરવરદિગાર ખુશ થાય છે.

(૪) સુંદર સ્વભાવ – હિકમત માણસના જીવનમાં જુદા-જુદા સ્વરૃપે જાહેર થાય છે. એમાં માણસનો સ્વભાવ અને હિકમતનું જબરદસ્ત પ્રકટસ્થાન છે. અકલમંદ માણસ ઇન્સાફનો ઝંડાધારી હોય છે, સત્યવાદી હોય છે, ત્યાગ અને સંયમની મૂર્તિ હોય છે. નમ્રતા અને વિનય તેની ભવ્યતા હોય છે. ક્ષમા અને ઉદારતા તેની રીત હોય છે. અન્યની મુસીબત ઉપર તે ખુશ નથી થતો. કોઈનો અનાદર નથી કરતો. બીજાઓની ખામીઓ શોધતો નથી ફરતો. ઉતાવણ પસંદ નથી હોતો. માનવતાને બિરદાવનાર હોય છે. અવિવેકી નથી હોતો. આ બધા જ કાર્યો તે એટલા માટે કરે છે કે તેની રુચિ, સ્વમાન અને લજ્જા-શરમ અને સ્વભિમાન અલ્લાહના માટે હોય છે.

(૫) દૃઢ વ્યક્તિત્વ – પર્સનાલિટી ડેવલપમેન્ટ નામથી આજકાલ જે ટ્રેનીંગ આપવામાં આવે છે એ બધુ બાહ્ય આડંબર છે. તે દુનિયા પરસ્તીની ગરજથી કરવામાં આવે છે. એક અને એક પ્રકારની અભિનય કળા છે જ્યારે કે હિકમત જેને મળી જાય તેનું વ્યક્તિત્વ ઘડતર મજબૂત પાયાઓ ઉપર રચાય છે તે ન લાલચથી અલિપ્ત થાય છે કે ન ડરથી દબી જાય છે કે ન મુશ્કેલીઓથી ગભરાઈ જાય છે. તેનું ઈમાન મક્કમ ધ્રુજારીરહિત અને તેનું વ્યક્તિત્વ પરિપૂર્ણ, બહુગુણ સંપન્ન અને એક રંગી હોય છે. તેને ખુદાની મરજી બનાવે છે તે લોકોની પ્રશંસા કે મહેણા-ટોણાથી બેપરવા હોય છે. વ્યક્તિનો વાસ્તવિક વિકાસ જ આ છે કે તે અલ્લાહથી સંબંધ કાયમ કરી લે. સત્ય માર્ગ ઉપર અડગ રહે, સ્વભાવ, સંસ્કાર ઉચ્ચ અને ભવ્ય બનાવે અને કોઈ પણ સંજોગમાં કોઈ એવી સોદાબાજી ન કરે જેના પરિણામે પોતાના આત્માની નજરમાંથી નીચે ઉતરી જાય અને લોકોની નજરમાં ઊંચા બનવાની નિષ્ફળ કોશીશોમાં લાગી જાય. કુઆર્ન આવી વ્યક્તિનું ચિત્રારોપણ કરે છે; (૪૧ઃ ૩૦-૩૬).

હિકમતનો સ્ત્રોત :

પર્સનાલીટી રીફર્મેશન હિકમતની પ્રાપ્તિ જ્યારે આટલી અગત્યની છે તો હિકમતનો સ્ત્રોત ક્યાં છે? હિકમતના સ્ત્રોતોની શૃંખલાની જુદા-જુદા લેખકોએ જુદી-જુદી વાતો કહી છે, પરંતુ તેમાં સૌથી વધારે સચોટ વાત તે છે જે ઈમામ ફરાહી રહ.એ કહી છે કે, “હિકમતનો સ્ત્રોત કુઆર્ન જ છે.”. હિકમત અલ્લાહની કિતાબની તાલીમ અને તેના ઉપર આચરણ કરવાથી પ્રાપ્ત થાય છે.

એક તદરીજ :

અલ્લાહની કિતાબ સાથે સંબંધ જોડયા સિવાય તઝકીયા અસંભવ છે. કુઆર્ન આપણા વ્યક્તિત્વને ધીરે-ધીરે (તદરાજ સાથે) ઉપર ઉઠાવે છે અને આપણને સુશોભિત બનાવે છે. પયગમ્બરોના શિરે આ જ કાર્ય હતું ‘યત્લુ અલૈહિમ આયાતિહિ’ની મંઝીલ સાંભળવાની મંઝીલ છે. ત્યાર પછી બીજી મંઝીલ ‘વયુઅલ્લિ હુમુલ કિતાબ’ની છે. જેમાં આપણે કુઆર્ન શીખીએ છીએ, સાંભળ્યા અને શીખ્યા પછી આવશ્યક મંઝીલ તેને સમજવુ છે. કુઆર્નની તાલીમ અને તેમાં સમજ પેદા કરવી એ મંઝીલને હિકમતના અર્થમાં લેવામાં આવ્યુ છે. જ્યારે માણસ કુઆર્ન સાંભળે છે, શીખે છે અને ગ્રહણ કરે છે, તો તેનો તઝકીયા પૂર્ણતાને આરે પહોંચી જાય છે.

હિકમતની પ્રાપ્તિ :/

જ્યારે આપણે કહીએ છીએ કે હિકમત એક નૂર છે અને અલ્લાહતઆલાની બક્ષિસ છે અને તે માનવીના પ્રયત્નથી પ્રાપ્ત થતી નથી, તો પછી તેની પ્રાપ્તિ કેવી રીતે શક્ય છે? તેનો જવાબ આ જ છે. જો કે તે બક્ષિસ છે, છતાં તેને પ્રાપ્ત કરવા માટે એક માધ્યમ અને માર્ગ પણ છે. જેવી રીતે બાળકને જ્યાં સુધી ભૂખ ન લાગે ખાવાનું ખવડાવી શકાતું નથી પરંતુ માતા તેનામાં ભૂખ લગાડવાના પ્રયત્નો કરે છે. તેને પ્રેરણા અને લાલચ આપે છે. કોળિયો નાક પાસે લઈ જાય છે, જેથી સુગંધના લીધે તે ખાવા માટે પ્રેરાય. અથવા એક કોળિયો ખવડાવી દે છે જેથી તેનો સ્વાદ ચાખીને ખાવા માટે ઉત્તેજીત થાય. આવી જ રીતે નબી સલ્લ.ની સોબતથી સહાબાએ કિરામ રદી.એ એટલી હદ સુધી પોતાની કાબેલિયત યોગ્યતાને વધારી કે તેઓ હિકમતના માલિક બની ગયા. આપણે હિકમતની પ્રાપ્તિના માધ્યમોને જ્યારે ઓળખી લઈશું તો હિકમત પ્રાપ્ત કરવાનો શોખ આપણી અંતઃકરણમાં પણ અંગડાઈઓ લેવા લાગશે.

હિકમતથી તઝકીયા સુધી :

હિકમતને પ્રાપ્ત કરવા માટે નીચે જણાવ્યા પ્રમાણે માર્ગોને અપનાવવાથી લાભદાયક નીવડશે.
(૧) કુઆર્ન સાથે સંબંધ – કેમકે કુઆર્ન હિકમતનો ખજાનો છે, એટલા માટે તેના સાથે લગાતાર સંબંધ જોડી રાખવો જોઈએ. તેને પઢવું, સમજવું, યાદ કરવું, અધ્યયન કરવું દરેક જગ્યાએ તેના હવાલા આપવા એ સર્વ તેનાથી સંબંધની નિશાની છે.

(૨) તહજ્જુદ – કેમ કે હિકમત એ અલ્લાહની બક્ષિસ છે, એટલા માટે આ બક્ષિસને પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ સમય તહજ્જુદનો સમય છે. જે બંદાઓ આ સમયે ઉઠવાના આદિ હશે તે નફસના ગુલામ નથી હોઈ શકતા. તેમનું દિલ નૂરથી પ્રકાશિત બની જાય છે. વળી કુઆર્નને થોભી-થોભીને પઢવા માટે પણ આ સમય ઘણો યોગ્ય સમય હોય છે.

(૩) ઇન્ફાક (અલ્લાહ માટે ખર્ચ) – કુઆર્નમાં જ્યાં આ વાત આવી છે કે હિકમત અલ્લાહની બક્ષિસ છે તે આ સંદર્ભમાં છે કે મો’મિન પૈસાનો પૂજારી નથી હોતો. પરંતુ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરતો રહે છે. માલની મુહબ્બત અને હિકમત બંને સાથે રહે તે અસંભવ છે.

(૪) માનવ માત્ર પ્રત્યે સહિષ્ણુતા – માણસ જ્યારે પારકાના દુઃખને પોતાના દિલમાં પેદા કરે છે તે અલ્લાહની નજરમાં ઉચ્ચ સ્થાન પામે છે. એટલા માટે કે સર્વ મખ્લુક અલ્લાહનો પરિવાર છે. ચીડિયા સ્વભાવવાળો, શંકાશીલ દિલ વાળો, કડક વાણી વાળો માણસ હિકમતથી વંચિત રહે છે.

(૫) હિકમતના ધણીની સોબત – નબી સલ્લ.એ ફરમાવ્યું, એ માણસની સોબત ધારણ કરો, જેને દુનિયા સાથે લગાવ ઓછો હોય, જે સંયમી અને અલ્લાહનો ડર રાખતો હોય, એવા માણસની સોબત ધારણ કરનાર ઉપર હિકમત અવતરિત થાય છે, હિકમત એ લાયબ્રેરીઓ, ઇન્ટરનેટ, સીડીઝ અને કેસેટથી મળવા વાળી સસ્તી ચીજ નથી. પરંતુ સમજદારો (ડહાપણવાળો)ની સોબતથી જ હિકમતનો ખજાનો પ્રાપ્ત થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments