Thursday, April 25, 2024
Homeઓપન સ્પેસદેશની આંતરીક શાંતિ ડહોળવા બાહ્ય પરિબળોનો ફાળો

દેશની આંતરીક શાંતિ ડહોળવા બાહ્ય પરિબળોનો ફાળો

આંતરિક સુરક્ષા

આપણે જ્યારે નાના હતા અને હોંશેહોંશે શાળાએ જતા પહેલા સવારે નાસ્તામાં ચા ની સાથે રાતની ખીચડી વધારીને આપવામાં આવતી અથવા રાતની રોટીને ફ્રાય કરીને બહું જ આનંદ સાથે આરોગવામાં આવતી હતી. થોડાક મોટા થયા પછી વઘારેલી ખીચડી કે ફ્રાય કરેલી રોટલીની સાથે કે તેના બદલે ટોસ અને ખારી આવ્યા. આજે નાસ્તામાં કોર્નફ્લેક્સ કે નુડલ્સ જરૂરી થઈ ગયા છે. ચા ના બદલે દૂધમાં હોર્લિક્સ કે બોર્નવિટા. અને હા! તે પણ ન માત્ર પોષણની જ દૃષ્ટિએ પરંતુ … એક આધુનિકતા અને એડવાન્સ લાઈફસ્ટાઈલના ભાગરૃપે. અને, અહિંથી ચાલુ થાય છે દેશની આંતરીક અરાજકતા.

આજે ગ્લોબલાઈઝેશનની અસરથી આપણો દેશ બહુ જ પ્રભાવિત થઈ ચૂક્યો છે. આપણા ડ્રોઈંગ રૃમ અને બેડરૃમની સાથે-સાથે છેક રસોડા સુધી પહોંચી ચુકી છે આની ભારે અસર.

પહેલા રાજા-રજવાડાના જમાનામાં એક પ્રદેશ કે રજવાડુ જીતવા માટે તેના પર હુમલો કરી જાન અને માલનું નુકસાન કરીને શરણે કરવામાં આવતા હતા. જ્યારે આજે કોઈ દેશને જીતવા માટે અથવા તેના પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે તેને બધી જ રીતે વશમાં કરી પરવશ પરિસ્થિતિમાં મુકી દેવામાં આવે છે. અને આ જ પરવશ પરિસ્થિતિ દેશમાં આંતરીક અરાજકતા ઊભી કરવા પુરતી છે. આ પરિસ્થિતિથી દેશમાં આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય અરાજકતા ઊભી થતી હોય છે.

આપણી સામે અવાર નવાર, સમય અને સંજોગ જોઈને ચીન દ્વારા ભારતમાં ઘુસણખોરી, પાકિસ્તાન દ્વારા ભારતમાં આંતકવાદી ઘુસાડવાના પ્રયત્નો, સરહદી શાંતિ ડહોળવાનો પાકિસ્તાનનો કારસો જેવી ચટાકેદાર ઘટનાઓ માત્ર જ બતાવી અને વર્ણવી આવા પ્રત્યક્ષ પરિબળો જ પ્રકાશિત કરવામાં આવતા હોય છે. આ બધી ઘટનાઓ પણ હકીકતમાં થતી હોય છે અને તેની પણ દેશની આંતરીક શાંતિ પર અસર તો થાય જ છે. પરંતુ સવિશેષ શાંતિ ડહોળવામાં આર્થિક અને સાસંકૃતિક હુમલાઓ વધારે ભાગ ભજવતા હોય છે. જેવી રીતે કે બ્રિટનમાં તેના દેશની ખપત કરતાં કઇ ગણુ વધારે ઉત્પાદન થતું હોય છે જેથી તેને ગમે તે પ્રકારે અન્ય ભારત જેવા દેશોમાં કલવવું જ પડશે. બીજા પ્રકારે જોઈએ તો તેલીયા રાજા કહેવાતા દેશો સાથેની વિશિષ્ટતાભરી રાજનીતિ ભારત જેવા ઓપન માર્કેટ ગણાતા દેશોમાં પોતાના ઉત્પાદકો ઠાલવવા કૂટનીતિ આચરવામાં આવતી હોય છે. અને આ જ કારણો છે, આજે ફાલી રહેલુ શોપિંગ મોલ કલ્ચર, મેક ડોનાલ્ડ, કે એફસી કે સબ-વે વગેરે તેના જ પરિણામ છે. એમાં પીરસવામાં આવતી ખાદ્ય ચીજોમાં મુખ્ય એવા જ આશય હોય છે કે પોતાને ત્યાં તૈયાર થતી દરેક ઉત્પાદનને કોઈપણ ભાગે માર્કેટમાં ખપત કરી લેવી. આ મોલ કલ્ચર નાના વેપારીઓને સંપૂર્ણ ગળી ગયું છે. આ જ પ્રમાણે મલ્ટીનેશનલ કંપનીઓએ દેશની ખનીજ સંપતિ પર પણ પોતાનો ડોળો જમાવી તેને બ્લોક સીસ્ટમમાં જ ઉઠાવી લીધી છે. આપણા ગામની નજીકની ખનીજ સંપત્તિ વિદેશી માફીયાઓના હાથમાં થઈ ગઈ છે. દેશના માનવબળને મશીનમાં રૃપાંતરીત કરી સામાજીક સંતુલન ખોરવી દેવામાં આવ્યું છે. રોજ સાંજે ઘરના તમામ સભ્યોને સાથે રહેવાના સમયે ટેલીવિઝન પર નિતનવી આર્કષિત વાનગી પીરસીને સંસારીક પ્રથા ખોરવાઈ ગઈ છે. મીડિયા સમાજોપયોગી અને રાષ્ટ્રનિર્માણની ભાવના નેવે મુકી આગળ વધી જવાની લ્હાયમાં મલ્ટીનેશનલ કંપનીઓના પાદુકાસ્પર્શ કરવા લાગી ગઈ છે.

ચીન કે પાકિસ્તાનની અવળચંડાઈ ભરી પ્રત્યક્ષ દેખાતી ચટાકેદાર ઘટનાઓ જેટલી જ કે તેથી પણ વધુ ભયાનક અને ઘાતક આંતરીક અરાજકતા ફેલાવવામાં જગત જમાદાર અમેરીકા અને તેના પીઠ એવા બ્રિટન, ઇઝરાયલ વગેરે દેશોની કૂટનીતિ વધુ જવાબદાર છે. આપણા દેશમાં આર્થિક સંકડામણ હોય કે સાંસ્કૃતિક પડતી, ભ્રષ્ટાચાર હોય કે કોમવાદ આ બધાની પાછળ પશ્ચિમી દેશોની ગ્લોબલાઈઝેશન રૃપી કૂટનીતિ જ જવાબદાર છે અને જ્યાં સુધી વિદેશી તાકતોની કૂટનીતિ ભરી માનસિકતાને આપણા રાજનેતાઓ હળવી લેશે ત્યાં સુધી શકય જ નથી કે આપણા દેશમાં ફેલાઈ રહેલી આંતરીક અરાજકતા શાંત થાય.

આવો, આપણે સૌ યુવામિત્રો, આગળ આવીએ, પોતે પોતાની રીતે સંગઠીત થઈ સચેત થઇ વિદેશી તાકાતોની કૂટનીતિ સામે સચેત થઈએ રાજનેતાઓના રાજકીય દાવપેચ સામે, સચેત થઈએ આપણી યુવાપેઢીને આ ગ્લોબલાઈઝેશનના વહેણમાં વહી જવા સામે અને સાથે જ આપણે સૌ આગળ આવી આપણી આવનારી પેઢીને સંસ્કારી બનાવી, દેશની રાજકીય લગામ પર હાથ મુકી બચાવીએ સોને કી ચિડીયા રૃપી આપણા રાષ્ટ્રને.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments