Thursday, February 12, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપશાહિદ આઝમીને યાદ કરવા કેમ જરૂરી છે?

શાહિદ આઝમીને યાદ કરવા કેમ જરૂરી છે?

શાહિદ આઝમીનું સમગ્ર જીવન એ સંદેશ આપે છે કે આપણા દેશમાં ન્યાય માત્ર અદાલતો દ્વારા જ શક્ય છે. અન્યાયી રીતે 7 વર્ષ જેલમાં વિતાવ્યા હોવા છતાં તેઓ ન્યાય વ્યવસ્થાથી નિરાશ ન થયા અને ન્યાયતંત્ર પાસેથી ન્યાય મેળવીને પોતાના તેમજ અન્ય નિર્દોષો માટે ન્યાય હાંસલ કરી બતાવ્યો. આ જ કારણ છે કે શાહિદ આઝમીથી પ્રેરિત થઈને હજારો યુવાનોએ વકીલાતનો વ્યવસાય અપનાવ્યો છે, જેઓ આજે તેમના કાર્યને આગળ ધપાવી રહ્યા છે.

  • એડવોકેટ અબુબક્ર સબ્બાક

ન્યાય માટે લડતા લડતા પોતાના પ્રાણનું બલિદાન આપનાર બહાદુર અને પ્રામાણિક વકીલ શાહિદ આઝમીની શહાદતને 13 વર્ષ પૂર્ણ થયા છે. 11 ફેબ્રુઆરી 2010ના રોજ મુંબઈ સ્થિત તેમની ઓફિસમાં હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી.

દર વર્ષની જેમ દેશના દરેક મોટા શહેરમાં તેમના બલિદાન અને પ્રયત્નોને યાદ કરતા ભાવાંજલિના કાર્યક્રમો યોજવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તેમને યાદ કરવામાં આવે છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા શાહિદ આઝમીને આજે એક એવી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે જેમણે ન્યાયની સર્વોપરિતા માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું. તેથી તે જરૂરી છે કે આપણે તેમના જીવન અને કાર્યો વિશે ચર્ચા કરીએ, જેથી આપણે શાહિદ આઝમીના પક્ષને સમજી શકીએ અને તેમના મિશનને જાણી શકીએ.

આતંકવાદના ખોટા કેસોમાં ફસાવવામાં આવેલા લોકોનો બચાવ કરવા બદલ તેમને જાનથી મારી નાખવાની ધમકી કેમ આપવામાં આવી અને અંતે તેમણે પોતાનો જીવ કેમ ગુમાવવો પડ્યો?

શાહિદ આઝમીનો જન્મ વર્ષ 1977માં દેવનાર, મુંબઈમાં થયો હતો. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસ પછી જ્યારે દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા, ત્યારે મુંબઈના અન્ય ભાગોની સાથે દેવનાર પણ તેની લપેટમાં આવ્યું હતું. શાહિદ આઝમીએ આ રમખાણો પોતાની નજરે જોયા હતા. સામાન્ય રીતે આપણા દેશમાં કોમી રમખાણોનો ભોગ મુસ્લિમ વસ્તી જ બને છે અને ત્યારબાદ ધરપકડ પણ મોટાભાગે મુસ્લિમ યુવાનોની જ થાય છે.

પહેલીવાર 1992-93માં માત્ર 15 વર્ષની વયે શાહિદ આઝમીની કોમી રમખાણોમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ સગીર હોવાને કારણે તેમને છોડી દેવામાં આવ્યા હતા. રમખાણો અને તેના પરિણામોથી વ્યથિત થઈને તેઓ કાશ્મીરમાં એક સશસ્ત્ર આંદોલનમાં જોડાયા, પરંતુ ટૂંક સમયમાં જ મુંબઈ પરત ફર્યા કારણ કે તેમને સમજાયું કે શાંતિપૂર્ણ બંધારણીય સંઘર્ષ દ્વારા જ ન્યાય મેળવી શકાય છે.

‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથેના એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, “મેં જોયું કે પોલીસ મારા લોકોને મારી રહી છે. હું તે ભયાનક હત્યાકાંડનો સાક્ષી છું, જેના દુઃખ અને રોષે મને પ્રતિકાર કરવા પ્રેર્યો.” વાસ્તવિકતા સમજાતા તેઓ પરત આવ્યા અને અભ્યાસ શરૂ કર્યો.

ડિસેમ્બર 1994માં પોલીસને તેમની કાશ્મીર યાત્રાની જાણ થઈ, જેના આધારે તેમના પર આતંકવાદી પ્રવૃત્તિઓ અને નેતાઓની હત્યાના કાવતરાના ખોટા આરોપો લગાવી ‘ટાડા’ (TADA) હેઠળ ધરપકડ કરવામાં આવી અને દિલ્હીની તિહાર જેલમાં મોકલી દેવાયા. નીચલી અદાલતે સજા કરી પણ સુપ્રીમ કોર્ટે તેમને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા. 7 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ તેઓ બહાર આવ્યા.

તેમણે જેલમાં રહીને જ અભ્યાસ ચાલુ રાખ્યો અને બહાર આવી કાયદાની ડિગ્રી મેળવી વકીલાત શરૂ કરી. જેલમાં રહીને તેઓ અદાલતી પ્રક્રિયાઓ અને ન્યાયિક ક્ષતિઓથી પરિચિત થયા હતા. તેમણે નક્કી કર્યું કે અન્યાય સામે લડવા માટે ન્યાયતંત્ર જ એકમાત્ર આશા છે.

2003થી તેમણે ખોટા આરોપોમાં ફસાયેલા મુસ્લિમ યુવાનોના કેસ લડવાનું શરૂ કર્યું. જેમાં ઘાટકોપર બ્લાસ્ટ, ઔરંગાબાદ આર્મ્સ કેસ, 7/11 ટ્રેન બ્લાસ્ટ અને 26/11 કેસમાં ફહીમ અંસારીનો બચાવ મુખ્ય હતો. આ દરમિયાન તેમને સતત ધમકીઓ મળતી રહી અને માત્ર 32 વર્ષની વયે તેમની હત્યા કરી દેવામાં આવી. પોતાના 7 વર્ષના ટૂંકા કરિયરમાં તેમણે 17 નિર્દોષ યુવાનોને જેલમાંથી મુક્ત કરાવ્યા હતા.

શાહિદ આઝમીની હત્યા બાદ મુંબઈ પોલીસે કેટલાક શખ્સોની ‘મકોકા’ હેઠળ ધરપકડ કરી, પરંતુ તપાસમાં અનેક ખામીઓ રહી ગઈ. હથિયારોનું ફોરેન્સિક પરીક્ષણ ન થયું અને મુખ્ય સાક્ષીને પૂરતી સુરક્ષા ન મળી. પરિણામે પુરાવાઓના અભાવે ‘મકોકા’ની જોગવાઈઓ રદ થઈ અને આરોપીઓ જામીન પર છૂટી ગયા.

શાહિદ આઝમીનું જીવન આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, લોકશાહીમાં ન્યાયનો માર્ગ જ શ્રેષ્ઠ છે. આજે જ્યારે આપણે તેમને યાદ કરીએ છીએ, ત્યારે તે માત્ર એક વ્યક્તિને નહીં પણ ન્યાય માટેના અતૂટ સંકલ્પને ભાવાંજલિ છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments