અમદાવાદ: સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) ગુજરાત ઝોન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક (Controller of Examinations) અને માનનીય શિક્ષણ મંત્રીને એક સત્તાવાર આવેદનપત્ર સુપ્રત કરીને આગામી ૨૮ મે ૨૦૨૬ના રોજ યોજાનારી યુનિવર્સિટીની પરીક્ષાઓને આગળ ધકેલવા અથવા તેની તારીખ બદલવા માટે મજબૂત રજૂઆત કરવામાં આવી છે. SIO ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મુનવ્વર હુસૈન દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ૨૮ મે ૨૦૨૬ના રોજ સમગ્ર દેશમાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર તહેવાર ઈદુલ અઝહા (બકરી ઈદ) મનાવવામાં આવનાર છે. આ જ દિવસે યુનિવર્સિટી દ્વારા B.A., B.Com., B.Sc., LL.B., LL.M. અને વિવિધ ટેકનિકલ સહિતના અનેક મહત્વના અભ્યાસક્રમોની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
આવેદનપત્રમાં રજૂ કરાયેલી વિગતો અનુસાર, ઈદ-ઉલ-અઝહા મુસ્લિમ સમુદાયના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારોમાંનો એક છે, જેની ઉજવણીમાં સામૂહિક ઈબાદત (નમાઝ), અન્ય ફરજો અને પારિવારિક પ્રતિબદ્ધતાઓનો સમાવેશ થાય છે. આ પવિત્ર તહેવારના દિવસે જ યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજાવાને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવી અત્યંત મુશ્કેલ બની જશે. સંગઠને યુનિવર્સિટી સમક્ષ અપીલ કરી છે કે વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓની સેવા કરતી એક જવાબદાર શૈક્ષણિક સંસ્થા તરીકે યુનિવર્સિટી ન્યાય, સર્વસમાવેશક અભિગમ અને વિદ્યાર્થી કલ્યાણના હિતમાં આ ગંભીર બાબત પર યોગ્ય વિચારણા કરે. SIO દ્વારા ૨૮ મે ૨૦૨૬ની પરીક્ષાઓને કોઈ અન્ય અનુકૂળ વૈકલ્પિક તારીખે રી-શેડ્યૂલ કરવા અને સુધારેલો કાર્યક્રમ વહેલી તકે જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ નિવારી શકાય.
