Saturday, July 27, 2024
Homeસમાચારબિલકિસ બાનું કેસ : સામૂહિક બળાત્કાર અને હત્યાના દોષિતોની મુક્તિ પર બિલકિસનો...

બિલકિસ બાનું કેસ : સામૂહિક બળાત્કાર અને હત્યાના દોષિતોની મુક્તિ પર બિલકિસનો પરિવાર આઘાતમાં

2002નાં ગુજરાત રમખાણો દરમ્યાન બિલકિસ બાનું સાથે સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાનાં મામલામાં આજીવન કેદની સજા ભોગવતાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા માફી યોજના હેઠળ સોમવારે, 15 ઓગસ્ટનાં દિવસે ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

મુક્ત થનારા આરોપીઓનું ફૂલહાર સાથે સ્વાગત કરવામાં આવ્યું. મુક્ત થનારા આરોપીઓમાં જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, વિપિન ચંદ્ર જોશી, કેશરભાઈ વોહાનિયા, પ્રદીપ મોઢડીયા, બાકાભાઈ વોહાનિયા, રાજુભાઈ સોની, મિતેષ ભટ્ટ અને રમેશ ચાંદના છે. તમામ લોકો ગોધરા સબ જેલમાંથી મુક્ત થયા છે.

વર્ષ 2008માં મુંબઈની એક વિશેષ સીબીઆઈ અદાલતે ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલા સાંપ્રદાયિક રમખાણો દરમ્યાન બિલકિસ બાનું સાથે સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યાના આરોપમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જેનાં પર બોમ્બે હાઈકોર્ટે પણ મોહર લગાવી દીધી હતી.

ઈન્ડિયા ટૂમોરો સાથે વાત કરતાં બિલકિસ બાનુંનાં પતિ યાકુબે ફોન પર જણાવ્યું કે, “આરોપીની મુક્તિ વિશે મને તથા મારા ઘરના લોકોને કોઈ પણ સૂચના આપવામાં આવી નથી. અમને 15 ઓગસ્ટની બપોરે સોશ્યલ મીડિયા દ્વારા આ સમાચાર મળ્યા. અમે આ દોષિતોને મુક્તિના સમાચાર સાંભળીને ભયભીત છીએ.”

આગળ તેમણે જણાવ્યું કે, “અમને આ વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો કે આ જઘન્ય ગુનાના મામલામાં સજા ભોગવતા આરોપીઓને સરકારે મુક્ત કરી દીધા છે. “

યાકુબે જણાવ્યું કે, “મારા પરિવારના કુલ 14 લોકોની નિર્દયી રીતે હત્યા કરી હતી, પરંતુ પોલીસે ફક્ત 7 લોકોની હત્યાનો મામલો નોંધ્યો હતો. અમે ધીમે ધીમે કાળા અધ્યાયને ભૂલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ આરોપીઓની મુક્તિથી અમે લોકો આઘાતમાં છીએ અને અમારું જોખમ પણ વધી ગયું છે.”

વધુમાં જણાવ્યું કે, “હત્યામાં મારી એક ત્રણ વર્ષની પુત્રી પણ હતી. મારી પુત્રીને ખોળામાંથી છીનવીને જમીન પર પટકીને મારી નાંખી, બિલકિસ બાનું અને તેની બહેનો સાથે પણ એ લોકોએ ગંદુ કામ કર્યું અને પછી તેની હત્યા કરી નાખી. બિલકિસ બાનું એકલી બચી હતી, જે બેભાન હતી.”

યાકુબે જણાવ્યું કે, “મારા કાકાની એક પુત્રી હતી, જે તોફાનીઓથી બચીને ભાગી રહી હતી, તેણે 8 કલાક પહેલા એક બાળકીને જન્મ આપ્યો હતો, તોફાનીઓએ એ બાળકી અને માતા બંનેની નિર્દયી રીતે હત્યા કરી નાખી. તોફાનીઓથી બચીને ભાગવા દરમ્યાન એ બાળકીએ રસ્તામાં જન્મ લીધો હતો.”

યાકુબે જણાવ્યું કે, “કુલ 12 આરોપીઓ હતા, જેમાંથી એકની મોત થઈ ચૂકી છે.”

આગળ જણાવ્યું કે, “મારી ત્રણ વર્ષીય પુત્રીને માતા પાસેથી છીનવીને જમીન પર પટકીને હત્યા કરી નાંખી, જેને અમે ભૂલી શકતાં નથી.”

યાકુબે ઇન્ડિયા ટૂમોરો ને જણાવ્યું કે, “પરિવારને પહેલા પણ ધમકી મળતી રહી છે, પરંતુ હવે દોષિતોની મુક્તિ બાદ એમને વધુ ખતરો મહેસૂસ થાય છે.”

બિલકિસ બાનુંના પરિવાર પર થયો હતો હિન્દુત્વવાદી કાર્યકર્તાઓનો હુમલો

ગુજરાત રમખાણ દરમ્યાન બિલકિસ બાનું પાંચ મહિનાની ગર્ભવતી હતી અને તોફાનીઓથી બચવા માટે 3 વર્ષની બાળકીને લઈને 15 લોકોની સાથે ગામથી બહાર ભાગી ગઈ હતી. તોફાનીઓએ દાહોદ અને તેની આસપાસનાં વિસ્તારોમાં બકરી ઈદનાં દિવસે ઘર સળગાવી નાખ્યાં.

બિલકિસનો પરિવાર જીવ બચાવીને છપ્પરવાડ ગામમાં પહોંચ્યો અને ખેતરમાં છુપાઈ ગયો. ત્યાર બાદ ડઝન લોકોએ બિલકિસ અને તેના પરિવાર પર હુમલો કર્યો. બિલકિસ અને ચાર મહિલાઓને પહેલા મારવામાં આવ્યાં અને પછી તેમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. તેમાં બિલકિસની માતા પણ શામેલ હતી.

આ હુમલામાં રંધિકપુરનાં 17 મુસ્લિમોમાંથી સાત માર્યા ગયા જે બિલકિસના પરિવારના સભ્યો હતાં. માર્યા ગયેલામાંથી બિલકિસની પુત્રી પણ શામેલ હતી.

ઇન્ડિયા ટૂમોરોને બિલકિસ બાનુંના પતિ યાકુબે જણાવ્યું કે, “આ ઘટનાનાં કલાકો સુધી બિલકિસ બાનું બેભાન રહી. હુમલાખોરો તેને મરેલી સમજીને જતા રહ્યાં. ભાન આવ્યાં બાદ તે એક હોમગાર્ડની મદદથી લીમખેડા સ્ટેશન પહોંચી અને ફરિયાદ દાખલ કરાવી.”

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નાં હસ્તક્ષેપ બાદ સુપ્રીમ કોર્ટે મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. વર્ષ 2004માં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનુંની ફરિયાદને ધ્યાને લઈને કેસને ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો હતો.”

બિલકિસ બાનુંના પરિવાર તરફથી કહેવામાં આવ્યું હતું કે બિલકિસ બાનુંને આરોપીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

આ મામલામાં સુપ્રીમ કોર્ટે 2019માં ગુજરાત સરકારને 50 લાખ રૂપિયા વળતર આપવાનું અને બિલકિસ બાનુંને સરકારી નોકરી આપવાનો હુકમ કર્યો હતો.

AIMIM પ્રમુખ ઓવૈસીની પ્રતિક્રિયા

ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દોષિતોની મુક્તિ પર કહ્યું કે, “આપણે બધાં દેશમાં સ્વતંત્રતાનું 75મું વર્ષ મનાવીએ છીએ અને પીએમ લાલ કિલ્લાથી મહિલાઓના સશક્તિકરણની વાતો કરી રહ્યાં છે. એ જ દિવસે એક ક્રાઇમમાં, બિલકિસ બાનું કેસમાં જે લોકોને સજા મળી હતી, તેના દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં. બિલકિસ બાનુંનું બળાત્કાર થયું, તે ગર્ભવતી હતી. જઘન્ય ગુનો થયો હતો, જેના દોષિતો આ દિવસે મુક્ત થયા. આ આપણે શું સંદેશ આપી રહ્યાં છીએ, આનાથી મોટું તૃષ્ટિકરણ બીજું શું હશે? પીએમ ભાષણ આપે છે, પરંતુ તેનાં પર અમલ કરતાં નથી.”

ઓવૈસી એ કહ્યું કે, “જે મહિલા વર્ષો સુધી લડી, પતિ તેની પત્ની સાથે ઊભો રહ્યો, એ કેસમાં આખરે આ શું સંદેશ આપવામાં આવી રહ્યો છે? પરિવારની અન્ય ચાર મહિલાઓનું બળાત્કાર કરવામાં આવ્યું, આ ભાજપા શું સંદેશો આપી રહી છે?”

ઓવૈસી એ કહ્યું, “અજમેર બોંબ બ્લાસ્ટ કેસમાં પણ આરએસએસનાં બે લોકોને સજા થઈ હતી. તેને પણ પેરોલ પણ છોડી મૂક્યાં. ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, આથી બહુમત માટે આ બધું થઈ રહ્યું છે. પીએમને જણાવવું પડશે, કેમ કે લાલ કિલ્લાથી ભાષણ આપ્યું હતું. આ શું છે, આ ઈજ્જતની વાત કરે છે, આ તો તમામ મહિલાઓની બેઇજ્જતી છે. આ અન્યાય નહિ બલ્કે અત્યાચાર છે.”

ઓવૈસી એ કહ્યું, “પીએમ ખરેખર મુસ્લિમ મહિલાઓની સાથે છે તો બીજેપીને આદેશ આપે કે નિર્ણય બદલી નાખે. આ ક્યાંનો ન્યાય છે? દોષિતોને ફરી જેલમાં મોકલવા જોઈએ. એ મહિલા પર શું વીતી રહી હશે. આ નાનો ગુનો નહોતો. પાડોશીઓએ રેપ કર્યો અને બાળકીની હત્યા કરી નાંખી. આ શું સંદેશ છે. ન્યાયની તો બલી ચઢાવી દેવામાં આવી.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ લઘુમતી વિભાગના ચેરમેન શાહનવાઝ આલમે આને ન્યાયનો મજાક ગણાવ્યો

કોંગ્રેસ હેડકવાર્ટરથી જારી નિવેદનમાં શાહનવાઝ આલમે કહ્યું કે, “દોષિતોને એક નિશ્ચિત મુદ્દત સુધી સજા ભોગવ્યાં બાદ મુક્તિની વ્યવસ્થા તો છે, પરંતુ તેનો રાજનૈતિક ઉપયોગ કરવા નરાધમ ગુનેગારોને મુક્ત કરવામાં ન આવે. આનાથી ખોટી છબી બનશે. બિલકિસ બાનું મામલામાં 14 લોકોની હત્યા, બિલકિસ બાનુંની સાથે સામૂહિક બળાત્કાર અને તેનો જન્મ ન થયેલ બાળકની હત્યા પણ શામેલ હતી. તેણીને ન્યાય ત્યારે મળ્યો, જ્યારે કેસ ગુજરાતથી મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવ્યો. કેમ કે ગુજરાતમાં ન્યાય મળી શકતો નહોતો.”

શાહનવાઝ આલમે કહ્યું કે, “મુક્તિ બાદ જે રીતે સંઘ, ભાજપા અને અન્ય હિન્દુત્વવાદી સંગઠનો એ ફૂલહાર સાથે તેમનો સ્વાગત કર્યો છે, તે આ સાબિત કરે છે કે દોષિતો અને તેમના સંગઠનોમાં આજે પણ નરાધમ અપરાધ પ્રત્યે કોઈ અપરાધબોધ નથી. જ્યારે કે દોષિતોને સારા વ્યવહારના આધાર પર રાજ્ય સરકાર મુક્ત કરવાનો દાવો કરી રહી છે.”

શાહનવાઝ આલમે કહ્યું કે, “આવા નરાધમોને મુક્ત કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકાર પર મૂકી દેવું પણ સુપ્રીમ કોર્ટના વિશ્વાસને નબળો કરે છે. શું સુપ્રીમ કોર્ટને આ તથ્ય ધ્યાનમાં ન લેવું જોઈએ કે બિલકિસ બાનુંને ન્યાય ત્યારે મળ્યો જ્યારે કેસ બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.”

તેમણે કહ્યું કે, દોષિતોને જેલથી બહાર હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા સ્વાગત કરવું તેમની વિચારધારાના અમાનવીય અને સભ્યતા વિરોધી મૂલ્યોને દર્શાવે છે.

વિદ્યાર્થી સંગઠન SIO ગુજરાત ઝોનની પ્રતિક્રિયા

વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા ગુજરાત ઝોનના અધ્યક્ષ જાવેદ આલમ કુરેશીએ એક નિવેદન જારી કરીને બિલકિસ બાનુંનાં દોષિતોને મુક્તિ પર ચિંતા વ્યક્ત કરી છે અને ન્યાય માટે સંઘર્ષ કરનારાઓ માટે નિરાશાજનક પગલું જણાવ્યું છે.

તેમણે કહ્યું કે, “ગુજરાત સરકાર દ્વારા બિલકીસ બાનું કેસના 11 દોષિતોની આજીવન કેદની સજાને માફ કરવાનો નિર્ણય, ન્યાયની લડાઈ લડનારાઓના વિશ્વાસને નબળો કરે છે. આ નિર્ણય બિલકીસ બાનુંના 17 વર્ષનાં ન્યાયિક સંઘર્ષનું અપમાન છે. અત્યાચાર તેમજ અન્યાયના ભોગ બનેલા પીડિતો માટે આશાનું અંતિમ કિરણ ન્યાય પ્રાપ્ત કરવું જ હોય છે. અને ન્યાય જ તે પ્રોત્સાહનબળ છે જે પીડિતોને સંઘર્ષ કરવા માટે પ્રેરિત કરે છે. આ પ્રકારના નિર્ણયો પીડિતોને કમજોર અને અત્યાચારીઓને શક્તિશાળી બનાવે છે. આથી સરકારે આ પ્રકારના સાંપ્રદાયિક હિંસાના દોષિતોને માફ ન કરવા જોઈએ, બલ્કે જેલના સળિયા પાછળ જ રાખવા જોઈએ. અમે બિલકીસ બાનુંના સંઘર્ષની સરાહના કરીએ છીએ અને અમે તેમના આ સંઘર્ષમાં હંમેશા સાથે છીએ.”

અન્ય ઘણાં સંગઠનો, માનવાધિકાર કાર્યકર્તા, નેતાઓએ પણ દોષિતોની મુક્તિ પર તીખી પ્રતિક્રિયા આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments