Friday, March 29, 2024
Homeપયગામસમસ્યાને માણો - જીત તમારી છે

સમસ્યાને માણો – જીત તમારી છે

હું ઓફીસનાં કામમાં વ્યસ્ત હતો સંગઠનનો એક સાથી મળવા આવ્યો. સંગઠન અને દેશની પરિસ્થિતિ પર ચર્ચા કરતાં કરતાં તેમણે કહ્યું, ‘બહુ સમસ્યાઓ છે પરિસ્થિતિને જાતાં આગળ વધવું ખુબ જ મુશ્કેલ લાગે છે. શુ કરવું જાઈએ?’ ચિંતા તેનાં ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. મે મલકાતાં તેમની સામે જોયું અને કીધું, “જિંદગી ઇસી કા નામ હૈ, સમસ્યાઓ સે છુટકારા ચાહિયે તો કબ્રસ્તાન ચલે જાઓ, વહાં મૂકમ્મલ સુકુન હૈ”. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને તેમનામાં નવી શક્તિનો સંચાર થયો હોય તેમ મને લાગ્યું. તેમનાં ચેહરાની નિરાશા જતી રહી, કોઈ ખોવાયેલી વસ્તુ પાછી મળી હોય તેવા આનંદિત ભાવ સાથે તેનાં મુખમાંથી એક જ શબ્દ નીકળ્યો “અચ્છા, એસા હૈ.” અને પછી આભાર વ્યકત કરીને જતો રહ્યો.

આપણાં બધાંનાં જીવનમાં પણ ઘણી સમસ્યાઓ હશે, ક્યારેક એ સમસ્યાઓ એટલી વધી જાય છેકે જીવનનો આનંદ જ ચાલ્યો જાય છે. એક એક ક્ષણ નિરસ અને કંટાળાજનક બની જાય છે. સમસ્યા શું છે? તેનો ઉકેલ કઈ રીતે લાવી શકાય? શું સમસ્યા મુકત જીવન શકય છે? શું આપણી અંદર સમસ્યાઓને મેનેજ કરવાની યોગ્યતા અને તાકાત છે? આવા જ અનેક પ્રશ્નોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું.

સમસ્યા શું છે?

આપણે જે કાર્યો કરતા હોઇએ છીએ તેમાં આવતાં અવરોધને સામાન્ય રીતે આપણે સમસ્યા ગણીએ છીએ. સમસ્યાઓનું મૂળ જ આપણી અપેક્ષાઓ છે. ખાનગી જીવન હોય કે સામુહિક જીવન, આપણે આપણાં સગા-વ્હાલા કે સમાજનાં લોકોથી અપેક્ષાઓ રાખીએ છીએ. આ અપેક્ષાઓ જેટલી વધુ હશે સમસ્યા એટલી મોટી લાગશે. દરિયાનું પાણી એ અપેક્ષા રાખે કે તેમાં મોજા ન ઉછળે, તુફાન ન આવે, કોઈ નાવિક તેની છાતી ચીરીને ન ચાલે, કોઈ માછલી તેનાં પેટાળમાં કૂદાકૂદ ન કરે, કોઈ સુર્ય તેનાં પાણીની બાષ્પ ન બનાવે તો શું એ શકય છે? જે શકય ન હોય તેવી અપેક્ષા રાખવી જ નિરર્થક છે. સમસ્યા એ નથી કે આપણે સમસ્યાને ઝીલી નથી શકતા બલ્કે સમસ્યા એ છે કે આપણે સમસ્યાને ડેડ એન્ડ સમજીએ છીએ. સમસ્યા આપણાં માઈન્ડ સેટની છે, સામે આવતી અડચણોની નથી.

સમસ્યા અવસર છે કે અવરોધ ?

તમે કોઈ માર્ગ પર ચાલતા હોવ અને રસ્તામાં કોઈ પર્વત આવે તો શું કરવું? તમારી પાસે બે વિકલ્પ છે કાં તો માર્ગ બદલી નાખો અથવા તે પર્વતને ખસેડવાની યુક્તિ કરો. પહેલો વિકલ્પ તમારી અંદર કાયરતા અને નિરાશા પેદા કરશે અને જા તમે દરેક વખતે માર્ગ બદલતા રહેશો તો ક્યારેય મંઝિલ સુધી નહીં પહોચી શકો. બલ્કે લક્ષ્યથી વિમુખ થઈ જશો. પરંતું બીજા વિકલ્પ તમારી અંદર પુરુષાર્થ પેદા કરશે. ઉત્સાહ અને હિમતનું સિંચન કરશે. જ્ઞાન અને અનુભવનાં આધારે ઉકેલ લાવવાની ક્ષમતા અને તત્વદર્શિતાનો વિકાસ કરશે. તમારી બુદ્ધિને તેજ અને તમારામાં નવા વિચારોનું નિરૂપણ કરશે. જીવનની નૈયા પાર લગાડવા કે નિર્ધારિત હેતુ સિદ્ધ કરવા માટે સમસ્યા અવરોધ નથી એક અવસર છે. સંઘર્ષ શું છે! સમસ્યાઓને પોતાના માર્ગમાંથી દુર કરી મંઝિલ ભણી સતત પ્રયત્ન કરવાનું જ નામ છે ને. તેથી ગભરાયા વગર સમસ્યાની મુકાબલો કરો. તેમાં જ જીવનનું સુખ અને આનંદ છુપાયેલો છે.

ઇતિહાસમાં થઈ ગયેલાં મહાપુરૂષોનું જીવન વાંચી જુઓ. સમસ્યાઓ સામેનો સંઘર્ષે તેમને પાતાળથી ઉઠાવીને આકાશમાં મુકી દીધા. તેઓ એ નવો ઇતિહાસ સર્જ્યો, નવા આયામો રજુ કર્યા, નવી ઊંચાઇઓ સર કરી. સમસ્યાનું નામ પોતાના શબ્દકોશમાંથી કાઢી નાંખો. એ સમસ્યા નથી આપણાં માટે આપણાં લક્ષ્ય સુધી પહોંચવાનો એક પડાવ છે. આગળનાં કિલ્લા પાર કરવા અથવા નવી મંઝિલ સર કરવા માટે શક્તિ અને યુક્તિનો સંચાર કરવાનું સ્થાન છે. કેમકે ‘હોસ્લામંદ હી પાતેં હૈ નિશાને મંઝિલ’.

શું સમસ્યા મુકત જીવન શકય છે?

મિત્રો, તડકામાં રહીને છાંયડાની આશા રાખવી મૂર્ખામી છે, પાણીમાં રહી સુકા રહેવુંશક્ય નથી. તેમ સમસ્યા રહિત જીવનની અપેક્ષા કરવી જ અજ્ઞાન છે. તેથી સમસ્યાથી ભાગો નહીં સમસ્યાને માણો. તેને જીવનનો ભાગ તરીકે સ્વીકારો, અલ્લાહે માનવને બુદ્ધિ શું કામ આપી છે? ખોપડીમાં સુરક્ષિત રાખવા માટે કે પડકારો ઝીલવા માટે!!!  કોઈ શાયરે સુંદર પંક્તિ કહી છે,
પરવાજ જા મેરી રોક સકે ઐસી ભી કોઈ દીવાર ઉઠા.

અલ્લાહ જેનાથી જેટલું માટું કામ કરાવવા માંગે છે તેને તેવી જ સમસ્યા આપે છે. કોઈ સમસ્યા એવી નથી જેનો ઉકેલ ન હોય, પરંતું તેના માટે અલ્લાહે આપેલી બુદ્ધિની તલવારને તીક્ષ્ણ કરવાની જરુર છે. જેઓ થાક્યા વગર સતત પ્રયત્ન કરશે તેમને નવા માર્ગ નિશ્ચિત રૂપે મળશે. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે.

“જે લોકો અમારા માટે સંઘર્ષ કરશે, એમને અમે અમારા રસ્તા દેખાડીશું, અને નિશ્ચિતપણે અલ્લાહ સદકાર્યો કરનારાઓની જ સાથે છે.”(સૂરઃ અન્‌કબૂત – ૬૯)

માતાના પેટમાં ગર્ભનું નિર્માણ પણ ઘણી પડકારો સાથે થાય છે. અને જન્મથી મૃત્યુ સુધી વિવિધ તબક્કામાં જુદા-જુદા પ્રકારની સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડે છે. જયાં સુધી તે સંઘર્ષ કરતો રહે છે તેનો વિકાસ થતો રહે છે. જેબિંદુએ સંઘર્ષને તિલાંજલિ આપે છે તે જ બિંદુએ જીવનંજલિ લુપ્ત થઈ જાય છે. તેથી જ કુઆર્ન મોમીનને જે તાલીમ આપી છે તે સતત સંઘર્ષ કરવાની છે.

“અલ્લાહના માર્ગમાં જિહાદ (તનતોડ પ્રયાસ) કરો, જેવી રીતે જિહાદ કરવાનો હક છે.” (સૂરઃ હજ્જ-૭૮)

યુવામિત્રો, જીવન પ્રાણવાયુ (ઓક્સીજન) લેવા અને કાર્બન આપવાની વૃત્તિનું નામ નથી, જીવન ઉષ્માનું નામ છે. શું એ શકય છે કે ક્યાંક દીવો પ્રજ્વલિત હોય અને પ્રકાશ ન ફેલાતો હોય!! વરસાદ પડે અને પૃથ્વી પાણીથી તરબોળ ન થતી હોય!! નહીં, કદાપિ નહીં. પછી એ કેમ શકય છે કે યુવાની હોય અને સંઘર્ષની શક્તિ અને ભાવના ન હોય?!! આપની પાસે જીવનનો સુવર્ણકાળ છે. પોતાની જીવન નૈયા લઇ દરિયામાં ઉતરી જાઓ અને તોફાની મોજાની મજા માણો. નહીંતર ભલે તમે કબ્રસ્તાન કે શ્મસાનમાં તો નહીં હોવ પરંતું તમારૂ અસ્તિત્વ ચાલતી લાશથી વધારે નહીં હોય.

તમે પોતાની અંદર સમસ્યાઓ સામે સંઘર્ષની ભાવના નહીં કેળવશો તો તમે તણખલાની જેમ પાણીનાં વહેણ સાથે તરશો, અને હવાની દિશામાં ઉડશો. દરેક પ્રવર્તમાન વ્યવસ્થા સામે ઘુંટણીયે પડશો અને દરેક જાર જુલ્મ સામે માથું ટેકવી દેશો. ડિગ્રી, ધનદોલત, પદ-પ્રતિષઠા, નોકરી ધંધાનાં સીમિત અને ક્ષુલ્લક લક્ષ્યથી ઉપર ઉઠી જીવનમાં ઉચ્ચ લક્ષ્ય રાખો. નિશાન ચૂક માફ પરંતું નહીં માફ નીચું નિશાન. તમે પૃથ્વીનાં પટ ઉપર જીવિત છો તેની અનુભૂતિ થવી જાઈએ. મિત્રો, યાદ રાખો જેઓ સમસ્યાઓ સામે ઝઝુમે છે, અડચણરૂપી સમસ્યાઓ તેઓને લક્ષ્ય સુધી પહોંચાડવા માર્ગ મોકળો કરી આપે છે અને જેઓ અવરોધ રૂપી સમસ્યાઓથી ભયભીત અને નિરાશ થઈ જાય છે તેઓ પોતાનું લક્ષ્ય ચૂકી જાય છે.

કુઆર્ન કહે છે,
“જે વ્યક્તિ  પણ અવિરત સંઘર્ષ (મુજાહેદા) કરશે પોતાના ભલા માટે જ કરશે. નિઃશંક અલ્લાહ દુનિયાવાળાઓથી બેનિયાઝ (નિરપેક્ષ) છે.” (સૂરઃ અન્‌કબૂત-૬)

સમસ્યા આવે તો શું કરવું ?

સમસ્યા ન હોય તો જીવન કેટલું સુખદાયી થઈ જશે તેવા સ્વપ્નમાંથી જાગૃત થાઓ. અમેરિકાના જાણીતા વિચારક સ્ટેનલે ખુબ સરસ વાત કહી છે. તેઓ કહે છે કે દરેક સમસ્યામાં તેના સમાધાનના બીજ છુપાયલા હોય છે. બાળકોને જાયા હશે તેઓ જયારે રમત રમતા હોય તો એક તબક્કાથી બીજા તબક્કા અને બીજાથી ત્રીજા તબક્કા પર વિજય મેળવવા સારૂ આવતી સમસ્યાઓ અને પડકારોને ઝીલે છે. અને જેટલી મોટી સમસ્યા દેખાય તો તેમાં તેટલો જ ઉત્સાહ વધી જાય છે. દરિયાના ઊંડાણમાંથી જ મોતી મળે છે. કોઈ સમસ્યા આવે તો બે પ્રકારની પ્રતિક્રિયા વ્યક્તિ આપે છે. એક અલ્લાહને ‘હું જ મળ્યો!’, અને બીજી અલ્લાહે આના મુકાબલા માટે મને જ પસંદ કર્યો છે. એક માનસિકતા તમને અલ્લાહથી દૂર અને અવિશ્વસનીય બનાવશે જયારે બીજી તમને અલ્લાહની નજીક લઇ જશે.

આપણી કુટેવ હોય,વૈવાહિક કે સામાજિક પ્રશ્ન હોય, ધાર્મિક કે રાજનૈતિક સમસ્યા હોય, તેના ઉપર વિજય મેળવવા માટે ત્રણ ગુણો જરૂરી છે. જે સમસ્યા છે તેની જડ સુધી પહોચો, તેનાથી નીકળવાના માર્ગ શાંત ચિત્તે વિચારો અને જે માર્ગ સારો લાગે તેના ઉપર અડગ થઈ જાઓ. ખુદ પર અને ખુદા પર વિશ્વાસ રાખો. તમે કુશળતા સાથે નીકળી જશો. સફળતા તમને શોધતી તમારા ચરણમાં આવી પડશે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “પછી જ્યારે કોઈ અભિપ્રાય ઉપર તમે દૃઢ નિશ્ચય કરી લો તો અલ્લાહ પર ભરોસો કરો, અલ્લાહને તે લોકો પસંદ છે જેઓ તેના જ ભરોસે કામ કરે છે.” (સુર આલે ઇમરાન-૧૫૯)

માર્ગની સુંદરતા અને સરળતા ન જુઓ. જરૂરી નથી કે એ તમને લક્ષ્ય સુધી લઇ જ જાય. લક્ષ્યને પામવું છે અને મંઝીલની સુંદરતા જાેવી છે તો માર્ગમાં આવતી સમસ્યાઓ સામે શૂરવીરની જેમ ચાલો. •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments