Tuesday, April 30, 2024
Homeઓપન સ્પેસઆત્મનિરીક્ષણ ને શિક્ષણનો મહિનો

આત્મનિરીક્ષણ ને શિક્ષણનો મહિનો

મુસ્લિમ સમાજમાં રમઝાનુલ મુબારકના મહત્ત્વ અને દરજ્જાથી કોઈ ઇન્કાર કરી શકે નહીં. તેનો આદર મુસલમાનો તો કરે જ છે, સાથે જ દેશ-બાંધવો અને વિશ્વ-બિરાદરીમાં પણ આ મહિના સંબંધે આદર-ભાવ જોવા મળે છે અને આ ખૂબ જ મજબૂત પ્રેરણાદાયક પરંપરા છે.

આવી જ એક વાસ્તવિકતા આ પણ છે કે મુસ્લિમ સમાજ પોતાની તમામ ખામીઓ છતાં એક તકાદાઓને પૂરા કરે છે જે રમઝાનુલ મુબારકના આદર સંલગ્ન છે. આટલું જ નહીં બલ્કે મુસ્લિમ સમાજની એકેએક વ્યક્તિના જીવન અને રોજિંદી બાબતોમાં વિશેષ ફરક આ મહિનામાં સહેલાઈથી અનુભવી શકાય છે.  લોકો રોઝા તો રાખે જ છે. સાથોસાથ તેના તકાદાઓ કે મર્યાદાઓને પણ ખયાલ રાખે છે. આનાથી આ મહિનાની મહાનતાનો અંદાજો લગાવી શકાય છે. આ સંબંધે શું શું આદેશો છે અને તેની વિગતોથી પણ લોકો વાકેફ છે અને તે જાહેરમાં જોવા પણ મળે છે. આમાં પાંચેય સમયની નમાઝોમાં મસ્જિદોમાં નમાઝીઓની મોટી સંખ્યા અને દિવસ દરમ્યાન હોટલો વિ. બંધ હોવાના રૃપમાં જોવા મળે છે. આ તમામ વાતોને દૃષ્ટિ સમક્ષ રાખવાથી જણાઈ આવે છે કે ઇસ્લામી આદેશો પ્રત્યે બેદરકારી દાખવનારા આ મુસ્લિમોની સ્થિતિ બાકીના અગિયાર મહિનાઓમાં આ મહિના કરતાં ઘણી અલગ હોય છે. પરંતુ આપણે સહુ જાણીએ છીએ કે રમઝાન ર૯ કે ૩૦ દિવસો પર આધારિત માત્ર એક મહિનો જ નથી બલ્કે આ સમગ્ર મુસલમાનો માટે પ્રશિક્ષણ કાળ (ટ્રેનિંગ પિરિયડ) છે અને પ્રશિક્ષણનો આ મોકો દર વર્ષે અલ્લાહ તરફથી એનાયત કરવામાં આવે છે. પ્રશિક્ષણનો અર્થ આ છે કે પ્રશિક્ષણ-સમય અને પ્રશિક્ષણ-પદ્ધતિથી જે કાંઈ પણ શીખ્યું તે રોજિંદા કાર્યોમાં સામેલ કરવામાં આવે છે. આ પ્રશિક્ષણનો નિયમ છે, અને આ નિયમ મુજબ આપણી જિંદગીઓનું નિરીક્ષણ કરો તો જાણવા મળશે કે આપણે આ પ્રશિક્ષણના મહિનામાં તો ખૂબજ ઉત્સાહ જોવા મળે છે અને પૂરા નહીં તો મોટાભાગના આદેશો ઉપર યથાશક્તિ અમલ કરવા પ્રયત્નો કરીએ છીએ અને આ મહિનો પૂરો થતાં જ જાણે કેદમાંથી છૂટયા હોઈએ એવું લાગે છે. આ બાબત પ્રશિક્ષણના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ રમઝાનુલ મુબારક મહિનાની આપણી પવિત્ર વ્યસ્તતાઓ તથા આ દરમ્યાન શીખેલી વાતોને બાકીના અગિયાર મહિનાઓમાં ‘લાગુ’ કરવાને જ પ્રશિક્ષણનો ફાયદો ઠેરવવામાં આવશે, અને જો આમ ન થાય તો સ્પષ્ટપણે કહેવાશે કે આ મુબારક મહિનાની ટ્રેનિંગથી તેણે કોઈ જ લાભ ઉઠાવ્યો નહીં.

રમઝાનુલ મુબારકના મહિનામાં આપણા દિલો પીગળેે છે અને એક ખાસ પ્રકારની નરમાશ આપણામાં થઈ જાય છે. જો માણસ પોતાનું આત્મ-નિરીક્ષણ કરવા ચાહે તો આ નરમાશ તેમાં ખૂબજ મદદરૃપ નીવડી શકે છે. કાશ ! આપણે આ ‘એહતિસાબ કે આત્મનિરીક્ષણને પોતાના રોજિંદાના અમલમાં સામેલ કરી લઈએ. ચિંતન-મનન કરીએ કે આજે મુસ્લિમ ઉમ્મત ચારેય બાજુ શા માટે પરેશાન-હાલ છે. ચિંતન-મનન બાદ જે કાંઈ અનુભવાય તેને કસોટી ગણી તેના પર ખુદ પોતાની જાતને ચકાશે કે તે પોતે એના પર ખરો ઉતરે છે કે કેમ ? કારણ કે આ માનવ પ્રકૃતિ છે કે તે પોતાની જાતને છોડી બાકીનાઓને દોષિત માને છે. અમેરિકા દુશ્મન છે, યહૂદીઓ ષડયંત્રો રચે છે, અન્ય બિનમુસ્લિમો અત્યાચારી છે, મુસ્લિમ હાકેમો દૂરંદેશી નથી, આંતરરાષ્ટ્રીય સંગઠનો પક્ષપાતી છે, આલિમો વેર-વિખેર છે, એકતા માટે પ્રયત્નો કરતા નથી, સંજોગો બહુ ખરાબ છે. વિ. વિ. પોતાની જાત સિવાય ચારે બાજુ ભૂલો જ ભૂલો દેખાય છે. આ મહિનો આપણને આત્મનિરીક્ષણની તક પૂરી પાડે છે. તેનાથી પૂરેપૂરો લાભાન્વિત થઈએ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments