Friday, April 19, 2024
Homeકેમ્પસ વોઇસજ્ઞાનના સ્ત્રોત

જ્ઞાનના સ્ત્રોત

જ્ઞાન જ છે જેના લીધે માનવી ધરતીમાં વિશેષતા પ્રાપ્ત છે. પશુ-પક્ષીઓને આ જ્ઞાન પ્રાપ્ત નથી, અને ન તો એ જ્ઞાનને ગ્રહણ કરવાની તેમનામાં યોગ્યતા અને ક્ષમતા જ જોવા મળે છે, જે જ્ઞાનને પ્રાપ્ત કરવાની યોગ્યતા તથા ક્ષમતા માનવીમાં મૌજૂદ છે. આ જ યોગ્યતા અને ક્ષમતાના બળે માનવીએ ભૌતિક દૃષ્ટિએ મોટી પ્રગતિ સાધી છે. આ વિમાનો, ટ્રેન અને વાહન-વ્યવહાર (Transportation)ના અનેક સાધનો તેણે ઉપલબ્ધ કરાવ્યા. ભવન-નિર્માણ કળા અને સાહિત્યના ક્ષેત્રે પણ તેણે પોતાની અસાધારણ યોગ્યતાનો પરિચય કરાવ્યો છે. વિજ્ઞાન-ક્ષેત્રે પણ પોતાના પ્રયોગ (Experiment) અને સંશોધન (Research) દ્વારા તેણે વીજ અને અણુશક્તિ (Atomic Energy)ની માહિતી મેળવી. વિચાર અને ચિંતનના ક્ષેત્રે પણ તેના કાર્યો એવા છે જે કોઈ ચમત્કારથી ઓછા નથી.

માનવીની તુલનામાં પશુ-પક્ષીઓ અને અન્ય જીવ-જંતુઓ આજે પણ એ જ સ્તરે જીવી રહ્યા છે જે સ્તરે કરોડો વર્ષ પહેલાં તે જીવતા હતા.

માનવીના જ્ઞાનના ત્રણ સ્ત્રોત છે – જ્યાં સુધી તે આ ત્રણેય સ્ત્રોતોથી લાભ નથી ઉઠાવતો, તે પ્રગતિના એ શિખર ઉપર નથી પહોંચી શકતો જે તેની રાહ જોઈ રહ્યો છે. મુખ્યરૃપે જ્ઞાનના જે ત્રણ સ્ત્રોતો સ્વીકારવામાં આવ્યા છે તે ક્રમશઃ આ છે –

૧. પ્રત્યક્ષ (Self Evident)

૨. તર્ક (Logic)

૩. દિવ્ય પ્રેરણા (Divine Inspiration)

૧. પ્રત્યક્ષ (Self Evident)

વિશ્વમાં જે વસ્તુઓ આપણે જોઈએ છીએ એ જોવું જ તેમના હોવાનું પ્રમાણ છે. સૂર્ય ઉદય થાય છે, તેને આપણે પોતાની આંખોથી જોઈ રહ્યાં છીએ કે તે ચળકી રહ્યો છે. હવે આપણને આની જરૂરત નથી અનુભવાતી કે ક્યાંકથી સૂર્યના ઉદય થવાના પુરાવા મળી જાય કે જેથી આપણે આ સત્ય ઉપર વિશ્વાસ કરી શકીએ કે સૂર્ય ચળકી રહ્યો છે. આવી જ રીતે વરસાદ પડી રહ્યો છે, આપણે પલળી રહ્યાં છીએ, વિજળી ગર્જી રહી છે, આકાશ વાદળોથી ઘેરાયેલ છે. આ બધું આપણી આંખોની સામે છે. આ સૌ આપણા જ્ઞાનમાં પ્રત્યક્ષ રીતે આવી જાય છે. આનાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. ઘણી બધી વસ્તુઓને આપણે આપણી આંખોથી જોઈને જાણી લઈએ છીએ અને તેમના વિષે આપણને શંકા નથી થતી.

આ સ્ત્રોત દ્વારા જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, એવું નથી કે એ મહત્ત્વપૂર્ણ ન હોય, પરંતુ આ સ્ત્રોતથી પ્રાપ્ત થયેલ  જ્ઞાન જ આપણા માટે પૂરતું નથી હોતું. આથી જ આપણે જ્ઞાનના અન્ય સ્ત્રોતોનો પણ સહારો લેતા દેખાઈએ છીએ. જ્ઞાનનો બીજો સ્ત્રોત છે તર્ક.

૧. તર્ક (Logic)

અર્થાત્ બુદ્ધિ તથા વિવેક દ્વારા પણ આપણે આપણા જ્ઞાન-ભંડારને વધારતા અને પોતાની જિજ્ઞાસાને શાંત કરતા દેખાઈએ છીએ. બુદ્ધિ, વિવેક અથવા તર્ક દ્વારા જે કંઇ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તે પ્રત્યક્ષ તથ્ય જ્ઞાનથી ભિન્ન હોય છે. આ જ્ઞાન વાસ્તવમાં પ્રત્યક્ષમાં ચિંતન-મનન કરવાથી પ્રાપ્ત થાય છે. કુઆર્નમાં છે કે “ધરતી અને આકાશોની રચનામાં અને રાત અને દિવસના વારાફરતી આવવામાં તે બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે ઘણી નિશાનીઓ છે જેઓ ઊઠતાં-બેસતાં અને સૂતાં, દરેક સ્થિતિમાં અલ્લાહને યાદ કરે છે અને આકાશો અને ધરતીની સંરચનામાં ચિંતન-મનન કરે છે, (તેઓ સહસા બોલી ઊઠે છે) ”પાલનહાર ! આ બધું તે નિરર્થક અને નિરુદ્દેશ્ય નથી બનાવ્યું, તું પવિત્ર અને મહાન છે એનાથી કે વ્યર્થ કામ કરે. પછી હે રબ ! અમને દોજખ (નર્ક)ની યાતનાથી બચાવી લે.” (સૂરઃ આલે ઇમરાન-૩ આયતો ૧૯૦-૧૯૧)

જગતમાં કેટલું સંગીત છે. દરેકે દરેક પાંદડામાંથી સૌંદર્ય ઝાંકે છે. પક્ષીઓના કંઠ જાણે કે સંગીતથી ભરી દેવાયા છે. આ મહિમામય જગતનો ચોક્કસપણે કોઈ રચયિતા હશે. જ્યારે આ જગતમાં આટલું બધું સૌંદર્ય વરસી રહ્યું છે તો આ સૌંદર્ય મૂળ સ્ત્રોત વિના નથી હોઈ શકતું, અને સાથે જ એ સ્ત્રોત પણ કાંતિમય હશે. આ તર્ક છે પરંતુ કોરૃં તર્ક નથી. આ તર્કમાં હૃદયની પ્રતિતી પણ સંમિલિત થઈ ગઈ છે. આ કોઈ સિદ્ધાંત પણ નથી. આપણે જ્યારે કોઈ બગીચાની નજીક હોઈએ છીએ, જો કે એ બગીચો આપણી નજરો સામે નથી હોતો, પરંતુ એ બગીચાથી થઈને આવનારા પવનોની સાથે જે સુગંધ આવી રહી હોય છે તે એ બગીચા કે પુષ્પ-વાટિકાની સૂચના આપી રહી હોય છે. બગીચાની જેટલી નજીક આપણે થતા જઈએ છીએ, ફૂલોની સુગંધની ભિન્નતાને પણ આપણે અનુભવવા લાગીએ છીએ કે આ ગુલાબની સુગંધ છે અને આ મોગરાની જો કે બગીચો અને તેના ફૂલો હજી પણ નજરોથી અદૃશ્ય જ હોય છે.

તર્કમાં આપણે બુદ્ધિથી કામ લઈએ છીએ. આપણે જોઈએ છીએ કે જગતમાં ચારે બાજુ બલ્કે સ્વયં આપણા શરીરની સંરચનામાં પણ અપાર જ્ઞાન અને અનુકંપાની પ્રતીતિ થાય છે. બુદ્ધિ કહે છે કે જ્ઞાન છે તો કોઈ જ્ઞાનવાન સત્તા પણ હશે. અનુકંપા-દયા છે તો અનુકંપા-દયા કરનાર કોઈ અલ્લાહ પણ હશે. તર્કના માધ્યમથી જે જ્ઞાન આપણે મેળવીએ છીએ તેનું ખૂબ જ મહત્ત્વ છે. પરંતુ બુદ્ધિ અને તર્ક દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનાથી સંવેદનશીલ વ્યક્તિ સંતુષ્ટ નથી થઈ શકતી. તેનાથી જે જ્ઞાન પણ પ્રાપ્ત થશે તે અધૂરૃં હશે. આનું કારણ આ છે કે એક તો આપણી બુદ્ધિની શક્તિ અને સામર્થ્ય ખૂબ જ સીમિત છે. બીજું આ કે તર્ક દ્વારા જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમાં આ આશંકા લાગેલી હોય છે કે કયાંક એવું ન થાય કે આપણે ધોકો ખાઈ રહ્યા હોઈએ, અને સત્ય કંઈક બીજું  જ હોય. તે સત્યને શકય હદે પૂર્ણરૃપે અને નિકટથી જાણવા ચાહે છે. બુદ્ધિ આ અંગે તેની વધુ સહાયક નથી બની શકતા. કેમકે તેની પોતાની એક સીમા છે જેની  બહાર તે નથી જઈ શકતી. આ ઉપરાંત મસ્તિષ્ક (Brain)ની જ નહીં હૃદય (Heart)ની સ્વીકૃતિ વિના સંતોષની આશા કરી શકાય નહીં. આથી જ માનવી તર્ક ઉપરાંત જ્ઞાન અને અનુભવ માટે અન્ય સ્ત્રોતની આશા રાખે છે અને એ સ્ત્રોત છે દિવ્ય-પ્રેરણા.

૩. દિવ્ય પ્રેરણા (Divine Inspiration)

આનાથી સત્ય સ્વયં માનવી માટે અનાવૃત થાય છે. આ જ્ઞાન અલ્લાહ તરફથી પ્રદાન કરવામાં આવે છે. અલ્લાહ તરફથી એનાયત થનારા જ્ઞાનમાં કોઈ પ્રકારની શંકાની ગુંજાયશ નથી હોતી. અલ્લાહે આપેલા જ્ઞાનનો સ્વભાવ જ એવો હોય છે કે માનવી દરેક પ્રકારની શંકા અને તૃષ્ણાથી મુક્ત થઈ જાય છે. હવે તે શાંત હશે અને હંમેશાં પોતાના આરાધ્યના સંપર્કમાં હશે, આનાથી તેના જીવનમાં જે પરિવર્તન આવશે, તે અત્યંત પ્રશંસનીય હશે. પૈગમ્બરોના માધ્યમથી આપણે આ સ્ત્રોતથી લાભાન્વિત થઈ શકીએ છીએ. પૈગમ્બરોના માધ્યમથી અલ્લાહ માનવોને પૂર્ણ જ્ઞાન આપે છે અને તેમનું માર્ગદર્શન કરે છે. જ્ઞાનનો આ સ્ત્રોત અલૌકિક હોય છે, ભૌતિકતાનો આમાં કોઈ ભાગ નથી હોતો. આકાશીય ગ્રંથો પૈગમ્બરો ઉપર આ જ માધ્યમથી અવતરિત થાય છે. જેમકે ઉપર આવી ચૂક્યું છે તે આ સ્ત્રોત અલૌકિક છે. તર્કમાં આપણે બુદ્ધિ અને વિવેકનો સહારો લઈએ છીએ. પૈગમ્બર દુનિયામાં આટલા માટે જ આવે છે કે દુનિયા જ્ઞાનના આ સ્ત્રોતથી વંચિત ન રહે, અને તેને એ જ્ઞાન મળી શકે જે દરેક પ્રકારની શંકા-કુશંકાઓથી મુક્ત હોય અને માનવીનો સત્યથી પૂરી રીતે સંબંધ સ્થાપિત થઈ શકે. પૈગમ્બર પોતાના અનુયાયીઓ માટે નેત્ર સમાન હોય છે, જેનાથી તેઓ જુએ છે. પૈગમ્બર પોતાના અનુયાયીઓ માટે નિર્મળ હૃદય સમાન હોય છે, જેનાથી તેમને સત્યનો નિકટથી અનુભવ થાય છે. પૈગમ્બરનું ચારિત્ર્ય એટલું પવિત્ર અને ઉચ્ચ હોય છે કે સ્વાભાવિક રીતે જ તેના પ્રતિ આપણામાં એવી શ્રદ્ધા તથા પ્રેમ જાગૃત થઈ જાય છે કે જેનું ઉદાહરણ નથી મળતું. તે આપણા માટે આપણા પ્રાણથી પણ વધુ પ્રિય હોય છે. તેનો આદર અને તેનું પાલન આપણું પરમ કર્તવ્ય હોય છે.

ઉચ્ચસ્તરે દિવ્ય પ્રેરણાનો અનુભવ તો પયગમ્બરને જ થાય છે. પરંતુ આનો અનુભવ કોઈ ને કોઈ દરજ્જામાં અલ્લાહ આપણને પણ કરાવી દે છે, કે જે જ્ઞાનના મહત્ત્વપૂર્ણ સ્ત્રોતનો એક દરજ્જામાં આપણને પણ અનુભૂતિ થઈ જાય અને જ્ઞાનના આ સ્ત્રોત ઉપર કે જેના પૈગમ્બરોથી પૂરી રીતે સંબંધ હોય છે, આપણને ભરોસો થઈ શકે. આ પ્રકારના અતીન્દ્રિય માધ્યમનો અનુભવ એ સમયે થાય છે કે જ્યારે આપણને કોઈ વસ્તુનું આપમેળે જ્ઞાન થઈ જાય છે. આની પાછળ ન તો આપણી બુદ્ધિ કાર્ય કરી રહી હોય છે અને ન જ આના માટે કોઈ બૌદ્ધિક બાહ્ય સાધન જ ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ રૃપે ભવિષ્યમાં ઘટનારી કોઈ ઘટનાને સ્વપ્નમાં આપણે પહેલાંથી જ જોઈ લઈએ છીએ. આ કેવી રીતે શક્ય હોય છે? આ અંગે આના સિવાય બીજું શું કહી શકાય છે કે આપણી આંખો, કાન વિ. ઇન્દ્રિયો ઉપરાંત અતીન્દ્રિય સાધન પણ છે. જ્ઞાનના પ્રચલિત કે પરિચિત સ્ત્રોતોને જ જ્ઞાનના અંતિમ સ્ત્રોત સમજવા આપણી ભૂલ છે. સ્વપ્ન ઉપરાંત જાગૃત અવસ્થામાં પણ માનવીના હૃદયમાં અચાનક જ કોઈ વાત એવી આવી જાય છે કે જે બહુમૂલ્ય હોય છે અને તેના માટે એ વાત અત્યંત નવીન હોય છે. આ અગાઉ એના વિષે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું, અને તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. આનાથી જણાય છે કે જીવનમાં માત્ર એ જ કંઈ નથી જેનાથી સાધારણ રીતે લોકો પરિચિત હોય છે. આથી જ્ઞાનના એ સ્ત્રોતની ઉપેક્ષા કે અવગણના કરવી અક્ષમ્ય અપરાધ છે જે સ્ત્રોતથી જ્ઞાન-યુક્ત થઈને પૈગમ્બરોએ આપણું માર્ગદર્શન કર્યું છે.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments