Tuesday, May 21, 2024
Homeઓપન સ્પેસપયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ વિશે આવો કુપ્રચાર કેમ ?

પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ વિશે આવો કુપ્રચાર કેમ ?

પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ)ને એક ક્રૂર અને આતંકી સાબિત કરવાનાં ઘૃણિત પ્રયાસોનો એ ક્રમ જે ૧૯૮૮માં સલમાન રશદીની નવલકથા Satanic Verses થી શરૃ થયો હતો, તે ૧૯૯૩માં તસ્લીમા નસરીનની નવલકથા ‘લજ્જા’, ર૦૦૫માં ડેન્માર્ક અને તે પછી અન્ય યુરોપીઅન અખબારોમાં ‘Paintings of a potrait of Islam’s Prophet’ના નામથી ઘૃણાસ્પદ કાર્ટૂનોથી લઈને Innocence of Muslims નામની ફિલ્મ અને હવે ફ્રાન્સના શાર્લી એબ્દોની ઘૃષ્ટતાને કારણે તદ્દન હદ વટાવી ગયો છે. શાર્લી એબ્દોની ઘૃષ્ટતાની પ્રતિક્રિયા રૃપે હુમલાખોરોએ જે આતંકવાદી કાર્યવાહી કરી, તે ચાહે ગમે તે ધર્મના હોય અને ચાહે ગમે તે રાષ્ટ્રના હોય અને તેમની લિંક ગમે તેની સાથે જોડાયેલી હોય, અથવા આવા ઘૃણાસ્પદ અને માનવતા-વિરોધી કૃત્યના આચરણ પાછળ તેમનો આશય ગમે તેવો હોય, તેમનું આ કૃત્ય અત્યંત નીંદનીય છે. ઇસ્લામ, મુસલમાનો અને પયગંબર સાહેબ અને કુઆર્ન વિશે આવી ઘૃષ્ટતાઓ આચરવાનો ઇતિહાસ ખૂબ પુરાણો છે. આમાં વિશેષતઃ વિદ્વેષી વલણ ધરાવતા પશ્ચિમી લેખકો-વિચારકો, મીડિયા અને તેમનાથી પ્રભાવિત લોકોની ભૂમિકા મુખ્ય છે. હવે આ લોકો ઉદૃંડતા અને ઉદ્ધતાઈની હદે પહોંચી ગયા છે. આના સામે વિશ્વભરનાં મુસલમાનો જુદી-જુદી રીતે પોતાની નારાજગીનું પ્રદર્શન અગાઉ પણ કરતા રહ્યા છે અને હાલ પણ કરી રહ્યા છે. આમ તો ઇસ્લામ વિરુદ્ધ સદીઓથી કંઈને કંઈ લખાતું રહ્યું છે અને ઇસ્લામે વૈચારિક મતભેદોને હંમેશા માન્ય રાખ્યા છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દશકાઓથી પયગંબર સાહેબ અંગે જેટલી અશિષ્ટતા અને ઉદ્ધતાઈ આચરવામાં આવી રહી છે તેણે વિવેક અને સહનશક્તિની તમામ હદો પાર કરી નાખી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં વાણી અને વર્તનની આ અમર્યાદ આઝાદી અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી હોઈ શકતી, જગત આખું તેને સ્વચ્છંદતા કહે છે. વ્યક્તિ-વિશેષ ઉપર કીચડ ઉછાળવાનું કૃત્ય અત્યંત ઘૃણાસ્પદ છે. આવા કુબુદ્ધિ ધરાવતા અને નકારાત્મક હેતુઓને સિદ્ધ કરવા માટે ‘ગમે તે હદે’ જનારાઓ સામે પગલાં ભરવા જરૂરી છે.

તેની સામે ઇસ્લામની તાલીમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઇસ્લામ દુનિયાનો એક એવો ધર્મ છે, જેણે અન્ય ધર્મો, તેમના ધર્મગુરુઓ અને મહાત્માઓ, ઋષિઓ અને ગ્રંથોનો આદર કરવાની શિક્ષા આપી, જે કુઆર્ન અને પયગંબરના આચરણમાં જોઈ શકાય છે. જેમ કે, ”…જે લોકો અલ્લાહ અને તેના તમામ ઈશદૂતોને માને, અને તેમના વચ્ચે ભેદભાવ ન કરે, તેમને અમે નિશ્ચિતપણે તેનું (સારું) વળતર આપીશું.” (કુઆર્ન, ૪ઃ૧૫૨) પયગંબર પર શ્રદ્ધા રાખનારાઓના ગુણોમાંથી એક ગુણ વિશે કહેવામાં આવ્યું કે – ”…અમે ઈશ્વરના સંદેષ્ટાઓને એક-બીજાથી અલગ કરતા નથી.” (કુઆર્ન, રઃ૨૮૫)

પયગંબર સાહેબ વિશે ક્રૂરતા અને જોર-જબરજસ્તીના અપપ્રચારની વાત ન તો ઇતિહાસથી સાબિત છે, ન બીજી કોઈ રીતે. કોઈ ધર્મને ફેલાવવામાં બળજબરી કરવી પડે અને તેને લોકો માની લે તે માટે અત્યાચાર કરવો પડે, તે બાબત જ તે ધર્મની અને તેના પ્રચારકની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. આ બાબતથી ઇસ્લામ અને ઇસ્લામના ઈશદૂતની શાન ખૂબ બુલંદ છે.

મદીના શહેરની ઘટના છે. મદીનાના મૂળ રહેવાસીઓ, જેઓ ઇસ્લામ અંગીકાર કરીને મુસલમાન બની ગયા હતા, તેમાંથી એક વ્યક્તિના બે પુત્રો હતા. તેણે પયગંબર સાહેબની સેવામાં હાજર થઈને કહ્યું, ‘મારા પુત્રો ખ્રિસ્તી ધર્મ ત્યજવા રાજી નથી થતાં, શું હું તેમને મજબૂર કરી શકું ?’ આના જવાબ રૃપે કુઆર્નની આયત ‘ધર્મના મામલામાં કોઈ બળજબરી નથી’ અવતરિત થઈ. તે સંદર્ભમાં પ્રસિદ્ધ ઇસ્લામી વિદ્વાન અને કુઆર્નના ભાષ્યકાર અલ્લામા ઇબ્ને કસીર કહે છે કે, ”કોઈને ઇસ્લામ ધર્મમાં દાખલ થવા મજબૂર ન કરો. કેમ કે તે એટલો સ્પષ્ટ, ખુલ્લો, ચોખ્ખો અને બુદ્ધિગ્રાહ્ય છે તથા તેની દલીલો અને પ્રમાણો એટલાં પ્રશસ્ત છે કે કોઈ વ્યક્તિને તેમાં દાખલ થવા માટે મજબૂર કરવાની જરૃર નથી.”

મહાન ઇસ્લામી વિદ્વાન ઈમામ રાઝી કુઆર્ન ઉપરના પોતાના ભાષ્યમાં લખે છે, ”તેનો અર્થ એ છે કે અલ્લાહે ધર્મનો મામલો બળજબરી અને કઠોરતા ઉપર નિર્ધારિત નથી કર્યો, બલ્કે અધિકાર અને મરજી ઉપર રાખ્યો છે…”

પયગંબર સાહેબ અને ઇસ્લામના ચાર ખલીફાઓના શાસન-કાળમાં, અને તે પછી મુસ્લિમ બાદશાહોના શાસન-કાળમાં, જ્યારે કે ઇસ્લામનો ધ્વજ દુનિયાના ત્રીજા ભાગ ઉપર લહેરાતો હતો, જો તેમણે ઇચ્છ્યું હોત તો બળ-પ્રયોગ દ્વારા દુનિયાના ઘણા લોકોને ઇસ્લામ અંગીકાર કરવા માટે લાચાર કરી દીધા હોત. પરંતુ એવું થયું નથી. પયગંબર સાહેબે મક્કા-વિજય વખતે, એ વિધર્મીઓને જેઓ મક્કામાં આપના અને આપના સાથીઓના કટ્ટર દુશ્મન અને લોહીના તરસ્યા હતા, સૌને માફ કરી દીધા. આપના સમગ્ર જીવન-કાળ દરમ્યાન કોઈ એક એવું ઉદાહરણ મળતું નથી કે તેમણે કોઈ એક વ્યક્તિને મારી નાખવાની ધમકી આપીને ઇસ્લામ અંગીકાર કરવા માટે મજબૂર કર્યો હોય. ઇસ્લામના દ્વિતીય ખલીફા હઝરત ઉમરે તો આ મામલામાં પોતાના સેવક અસ્બકને પણ આઝાદ છોડ્યો હતો. ”અસ્બક કહે છે, હું હઝરત ઉમર બિન ખત્તાબ રદિ.નો ખ્રિસ્તી સેવક હતો. તેઓ મને ઇસ્લામનું આમંત્રણ આપતા, પણ હું તેનો ઇન્કાર કરી દેતો હતો. તેના ઉપર તેઓ ફરમાવતા કે ‘લા ઇકરાહ ફિદ્-દીન’ (ધર્મના મામલામાં કોઈ બળજબરી નથી). પછી તેઓ કહેતા, હે અસ્બક ! જો તું ઇસ્લામ સ્વીકાર કરી લેતો તો અમે તારાથી મુસલમાનોના કામોમાં મદદ લેતા.” (ઇબ્ને અબી હાતિમ) તેના અસ્વીકારથી હઝરત ઉમર રદિ. અપ્રસન્ન પણ ન થયા અને પોતાના મૃત્યુ સમયે પોતાના સેવકને ગળે લગાડીને તેને મુક્ત કરી દીધો.

ગાંધીજી કહે છે કે, ”…હવે મને પહેલાંથી પણ વધુ વિશ્વાસ થઈ ગયો છે કે તે તલવારની શક્તિ ન હતી, જેણે ઇસ્લામ કાજે વિશ્વના પ્રદેશોમાં વિજય પ્રાપ્ત કર્યો, બલ્કે તે ઇસ્લામના પયગંબરનું અત્યંત સાદગીભર્યું જીવન, આપની નિઃસ્વાર્થતા, વચનપાલન અને નિડરતા હતી, આપનું પોતાના મિત્રો અને અનુયાયીઓથી પ્રેમ કરવું અને ઈશ્વર ઉપર ભરોસો કરવું હતું. આ તલવારની શક્તિ નહોતી, બલ્કે આ જ તમામ ગુણો અને વિશેષતાઓ હતી, જેનાથી સમગ્ર દુનિયાના અવરોધો દૂર થઈ ગયા અને આપે તમામ વિષમતાઓ ઉપર વિજય મેળવી લીધો.” (યંગ ઇન્ડિયા)

પ્રખ્યાત ઇતિહાસકાર De Lacy O’Leary પોતાના પુસ્તક Islam at the Crossroad માં નોંધે છે કે, ”ઇતિહાસે હવે એ સ્પષ્ટ કરી દીધું છે કે એ તદ્દન બેહૂદી અને ઉટપટાંગ કાલ્પનિક વાત છે કે કેટલાક ધર્મઝનૂની મુસલમાનોએ વિશ્વમાં ફેલાઈ જઈને તલવારની અણી ઉપર પરાજીત જાતિઓને ઇસ્લામ માટે મજબૂર કર્યા, જેને ઇતિહાસકારો વારંવાર દોહરાવતા રહે છે.”

ઈ.સ. ૧૯૮૬માં છેલ્લા પચાસ વર્ષોમાં, અર્થાત્ ઈ.સ. ૧૯૩૪ થી ઈ.સ. ૧૯૮૪ સુધીમાં જગતના મહાન ધર્મોમાં વૃદ્ધિનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જે ‘Plain Truth’ નામની પત્રિકામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તે અનુસાર ઇસ્લામ તેમાં પ્રથમ સ્થાને હતા,ે જે ૨૩૫% ના વૃદ્ધિદરથી જગતમાં પ્રસરી રહ્યો હતો. આ ગાળામાં વિશ્વયુદ્ધ થયું હતું અને અન્ય એવાં યુદ્ધો થયા હતા, જેને ઇસ્લામથી કોઈ સંબંધ નહોતો. આજથી ૭૦ વર્ષ પહેલાં Sir George Bernard Shawએ કહ્યું હતું કે, ”આવતા સો વર્ષમાં જો કોઈ ધર્મને માત્ર ઈંગ્લેન્ડ ઉપર નહિં, બલ્કે યુરોપ ઉપર શાસન કરવાની તક મળશે તો તે એક માત્ર ઇસ્લામ હોઈ શકે છે…હું મુહમ્મદના ધર્મને તેની અદ્ભુત જીવંતતાના કારણે ખૂબ આદરભાવથી જોઉં છું. આ એક માત્ર એવો ધર્મ છે, જે જીવનના પરિવર્તિત થતા તબક્કાઓની જરૂરતોને પહોંચી વળવાનું સામર્થ્ય ધરાવે છે, જે પ્રત્યેક યુગમાં પોતાનું સામર્થ્ય પુરવાર કરી શકે છે. મેં તેનો અભ્યાસ કર્યો છે–એક અદ્ભુત વ્યક્તિ અને મારા મંતવ્ય પ્રમાણે ખ્રિસ્તી-વિરોધી હોવા કરતાં, તેમને માનવતાના ઉદ્ધારક કહેવા જોઈએ. હું માનું છું કે જો તેના સમાન કોઈ વ્યક્તિને આજના આધુનિક યુગના શાસક સમજી લેવામાં આવે તો તે એવી રીતે જગતની સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશે કે જે શાંતિ અને સલામતી લઈને આવશે. હું મુહમ્મદની આસ્થા વિશે આગાહી કરું છું કે આવતા સમયમાં યુરોપમાં તે સ્વીકાર્ય હશે, જેમ કે આજે તેનો સ્વીકાર થઈ રહ્યો છે.” (The Genuine Islam, Vol. 1, No. 8, 1936)

ગયા-બિહારના અગ્રણી રાષ્ટ્રીય નેતા બાબુ મુકુટધારી પ્રસાદ ‘જગત-મહર્ષિ’ ((પૃ. ૬૨,૬૮) માં નોંધે છે કે, ”સજ્જનો ! કહેવામાં આવે છે કે ઇસ્લામ તલવારના જોરે ફેલાયો. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે કે મારો પણ આ જ વિચાર છે. પણ એ કઈ તલવાર હતી ? શું એ લોખંડની તલવાર હતી ? ના, એ મુહમ્મદ સાહેબ (સલ્લ.)ના એ જ સદ્ચરિત્ર, ક્ષમાભાવ, શુદ્ધ આચાર-વ્યવહાર, તેમના મહાન ગુણો અને પ્રલય સુધી નષ્ટ ન થનાર આદર્શ શિક્ષણની ચમકતી તલવાર હતી; જેણે ગરદન કાપવાને બદલે હૃદયોને એક ધાગામાં જોડી દીધા. ઇસ્લામની લોકપ્રિયતા અને પ્રસિદ્ધિના આ જ કારણો છે, નહિં તો કોઈ વસ્તુ, જે બળજબરીથી અને અત્યાચારના આધારે સ્થાપિત કરવામાં આવે, તે સ્થાયી અને ફળદાયી હોતી નથી…”

આમ છેલ્લા ૧૪૦૦ વર્ષમાં ઇસ્લામ દુનિયાભરમાં ફેલાતો રહ્યો અને આજે પણ તે ફેલાઈ રહ્યો છે. કેટલાક અંગ્રેજ ઇતિહાસકારોએ બદઇરાદાથી બળપૂર્વક ધર્મ-પરિવર્તનની વાત ઉપજાવી કાઢી છે. સાચું એ છે કે ઇસ્લામી શાસનમાં ક્યારેય પણ બિનમુસ્લિમોને પરંપરાગત ધાર્મિક દમનનો સામનો કરવો પડ્યો નથી. પ્રસિદ્ધ ખ્રિસ્તી વિદ્વાન સર આર્નોલ્ડ પોતાના પુસ્તક ‘Preaching of Islam’માં લખે છે, ”લોકોનું ઇસ્લામ સ્વીકાર કરવું કોઈ તાકાત કે દબાણનું પરિણામ નહોતું, તે પરસ્પરના પ્રેમભર્યા સંબંધોથી પણ સ્પષ્ટ થાય છે, જે તે જમાનામાં ખ્રિસ્તીઓ અને મુસલમાનો દરમ્યાન જોવા મળતા હતા….પ્રથમ સદી હિજરીના મુસ્લિમ વિજેતાઓએ આરબ વંશના ખ્રિસ્તીઓ પ્રત્યે જે ઉદારતા દાખવી અને જેનો ક્રમ તે પછી આવનાર વંશોએ જાળવી રાખ્યો, તેને જોઈને આપણે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે જે ખ્રિસ્તી કબીલાઓએ ઇસ્લામ સ્વીકાર કર્યો, તેમણે રાજીખુશીથી આવું કર્યું….” (પૃ. ૪૮, ૫૧ અને પપ)

ઍડવર્ડ ગિબ્બન લખે છે, ”ઇસ્લામે કોઈ પણ ધર્મના મામલામાં દખલ કરી નથી, કોઈને તકલીફ નથી આપી, વિધર્મીઓને સજા આપવા કોઈ ધાર્મિક અદાલત કાયમ કરી નથી તેમજ ઇસ્લામે લોકોના ધર્મને બળજબરી પરિવર્તન કરવાનો ક્યારેય ઇરાદો કર્યો નથી. ઇસ્લામ સ્વીકારવાથી લોકોને વિજેતાઓની બરાબર અધિકારો મળી જતા હતા અને પરાજિત પ્રદેશો એ શરતો અને બંધનોથી પણ સ્વતંત્ર થઈ જતા હતા, જે પ્રત્યેક વિજેતા જગતના પ્રારંભથી હઝરત મુહમ્મદના જમાના સુધી હંમેશા લાગુ કરતા રહેતા હતા…. ઇસ્લામના ઇતિહાસના દરેક પાના ઉપર અને દરેક દેશમાં, જ્યાં તેમને આધિપત્ય પ્રાપ્ત થયું ત્યાં અન્ય ધર્મોથી કોઈ ઘર્ષણ જોવા મળતું નથી. ત્યાં સુધી કે પૅલેસ્ટાઈનમાં એક ખ્રિસ્તી કવિએ આ ઘટનાઓ જોઈને, જેનો ઉલ્લેખ અમે કરી રહ્યા છીએ–બારસો વર્ષ પછી જાહેરમાં કહ્યું હતું કે માત્ર મુસલમાનો જ ધરતી ઉપર એક એવી કોમ છે, જે અન્ય ધર્મના અનુયાયીઓને દરેક પ્રકારની સ્વતંત્રતા આપે છે.” (Edward Gibbon ‘The History of the Decline and Fall of the Roman Empire’)

ધર્મના ભેદભાવોના આધારે કોઈના માનવ અધિકારો પ્રભાવિત થતાં નથી. પ્રત્યેક મનુષ્યના પ્રાણ, સંપત્તિ અને ઇજ્જત-આબરૃની સમાન સુરક્ષાની ઇસ્લામ તાકીદ કરે છે. તેમાં ધર્મ, જાતિ-જ્ઞાતિ, વર્ણ-વંશનો કોઈ ભેદ નથી. પંડિત સુંદરલાલજી કહે છે કે, ”શાસકની હેસિયતે મુહમ્મદ સાહેબે બિનમુસ્લિમોને ત્યાં સુધી કે મૂર્તિપૂજકોને પણ પોતાના શાસનમાં રહીને તેમની ધાર્મિક રીત-રસમો અદા કરવાની પૂરેપૂરી છૂટ આપી તેમજ તેમના ધર્મગૃહોની સુરક્ષા મુસલમાનો માટે અનિવાર્ય ઠેરવી. ‘લા ઇકરાહ ફિદ્-દીન’ અર્થાત્, ધર્મના મામલામાં કોઈ બળજબરી ન હોવી જોઈએ. આ મદીનામાં અવતરિત (કુઆર્નની) આયત છે અને મુહમ્મદ સાહેબનું સમગ્ર જીવન આ આયતનું જીવંત ઉદાહરણ છે. તેના પુરાવારૃપે ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને અન્ય ધર્મોને માનનારાઓના સાથે વખતો-વખત મુહમ્મદ સાહેબે જે સંધિઓ કરી, તેની નકલો આજે પણ મોજૂદ છે.” (સામયિક ‘વિશાલ ભારત’, કલકત્તા. નવેમ્બર-૧૯૩૩)

મક્કાના વિજય પછી નજરાનના ખ્રિસ્તીઓનું એક પ્રતિનિધિ મંડળ હઝરત મુહમ્મદ સલ્લ.ની સેવામાં હાજર થયું. આપ સલ્લ.એ તેમને તેમની રીત મુજબ મસ્જિદે-નબવીમાં જ ઉપાસના કરવાની અનુમતિ આપી. ત્યારપછી તેમના સાથે જે સમજૂતી કરવામાં આવી, તે સર વિલિયમ મૂરના શબ્દોમાં આ પ્રમાણે છે – ”પયગંબરે બિશપો, પાદરીઓ અને સન્યાસીઓને એ લેખિત નોંધ આપી કે તેમના ગિરજાઘરો અને આશ્રમોમાં દરેક નાની-મોટી વસ્તુઓ જેમની તેમ જ રાખવામાં આવશે. ખુદાના રસૂલે એ વચન આપ્યું કે કોઈ બિશપ પોતાના હોદ્દાથી બરતરફ નહીં થાય અને ન તેમની સત્તાઓ, અધિકારો અને દિનચર્યામાં કોઈ ફેરફાર કરવામાં આવશે. જ્યારે તેઓ શાંતિ, સુલેહ અને પ્રમાણિકતાથી રહે તો ન તેમના ઉપર બળજબરી અને અત્યાચાર કરવામાં આવે, ન તેઓ કોઈના ઉપર બળજબરી અને અત્યાચાર કરે.” (Prophet Muhammad, P.158)

પયગંબર સાહેબે બિનમુસ્લિમો સાથે જેટલાં પણ કરારો કર્યા તે બધામાં આ કલમ સામેલ હતી કે, ”તેમના જાન-માલ, વેપાર, જમીનો, સંપત્તિ સુરક્ષિત રહેશે. તેમના પાદરીઓ અને પૂજારીઓ તેમના પદો ઉપરથી હટાવવામાં નહીં આવે.” (મકાલાતે શિબ્લી, ભાગ-૧, પૃ.૧૯૭)

થોમસ કાર્લાઈલ લખે છે, ”આપણે મુહમ્મદ વિશે જે જૂઠ અને આરોપો ફેલાવી રાખ્યા છે, તે આપણા માટે તદ્દન નિર્લજ્જ અને અશ્લીલ પુરવાર થઈ રહ્યા છે. તેનું એક ઉદાહરણ એ છે કે ઇંજિલના વિદ્વાન અને પ્રખ્યાત પૌરત્સ્યવાદી એડવર્ડ પોકોકે (Edward Pococke) જ્યારે ડચ પૌરત્સ્યવાદી ગ્રોટિઅસ (Grotius)ને પૂછ્યું તમારા પાસે આ આરોપનો શું પુરાવો છે કે મુહમ્મદે એક કબૂતર સાધી રાખ્યું હતું, જે તેમના કાનમાંથી મટરના દાણા ઉઠાવી-ઉઠાવીને ખાતું રહેતું હતું, અને આ કબૂતરને ફરિશ્તો સમજવામાં આવતું હતુ,ં અને કહેવામાં આવતું કે ‘અત્યારે વહી આવી રહી છે’. ગ્રોટિઅસે સ્વીકાર્યું કે તેનો કોઈ પુરાવો નથી. હવે સમય આવી ગયો છે કે આપણે આ પ્રકારનાં નિમ્ન અને નિરાધાર આરોપોથી દૂર રહીએ… હું ઓછામાં ઓછું મારી જાત સુધી તો આવાં આરોપો અને ભ્રમણાઓને સાચી હોવાની કલ્પના કરી શકતો નથી.” (Thomas Carlyle ‘The Hero as Prophet Mohammad & Islam’)

ધર્મ, વંશ, જાતિના આધારે નફરતની ભાવનાઓને ઉત્તેજિત કરવી ગુનો છે. સ્પષ્ટ રહે કે યુનોના The Universal Declaration of Human Rights ની કલમ-૧૨ અને ર૯માં કાનૂન હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિ-સ્વાતંત્ર્ય અંગે ઉચિત પાબંદીઓનો સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પોતાના હક્કો અને આઝાદીઓના ઉપયોગમાં દરેક વ્યક્તિ એ હદોનો પાબંદ હશે, જે અંગેના કાનૂનનું નિર્ધારણ કેવળ એ હેતુસર કરવામાં આવે કે જેથી બીજાઓના અધિકારો અને આઝાદીની રક્ષા અને આદર થાય, અને નૈતિકતા અને શાંતિ અને સલામતી અને લોકતાંત્રિક સમાજમાં પ્રજાનાં કલ્યાણના ન્યાયિક તકાદાઓને પૂરા કરી શકાય.” આ જ પ્રકારની વાત European Convention on Human Rightsની કલમ-૧૦માં પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને ‘the protection of the reputation or rights of others’ કહીને એ વાતને સુનિશ્ચિત કરવામાં આવેલ છે કે બીજાના સન્માન અને તેના અધિકારોની પણ રક્ષા થવી જોઈએ. અમેરિકામાં પણ કોઈ જાતિના અપમાન અંગેના કાનૂન ક્યારેક વંશીય અને ધાર્મિક અસહિષ્ણુતા વિરુદ્ધ સૌથી સારું હથિયાર હતું. ખાસ કરીને બીજા વિશ્વ-યુદ્ધ પછી વંશીય દ્વેષ અને ઘૃણાની રોકથામ માટે તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કાનૂનો, ચાહે સીમિત રૃપમાં હોય, હાલ પણ એક ડઝન દેશોમાં મોજૂદ છે. બ્રિટનમાં ર૧ ફેબ્રુઆરી ૧૯૭૯માં એક મુકદ્દમામાં, જેમાં એક સમલિંગી કવિએ હઝરત ઈસાના શૂળી પર મૃત્યુ પછી તેમના શરીરની સાથે કોઈ વ્યક્તિની સમલૈંગિકતા પર આધારિત એક કવિતા લખી હતી, તો તેને Blasphemy (ખુદાની નિંદા)નો ગુનેગાર અને સજાપાત્ર ઠેરવવામાં આવ્યો હતો. આવા કાનૂન તો ઘણાં દેશોમાં મોજૂદ છે જ, પણ જ્યારે આવા કૃત્યનો સંબંધ ઇસ્લામ સાથે હોય તો તેને વ્યક્તિ, વાણી અને અભિવ્યક્તિની આઝાદી સાથે જોડીને અભરાઈએ ચઢાવી દેવામાં આવે છે. યુરોપના સૌથી વધારે મુસ્લિમ આબાદીવાળાં દેશ ફ્રાન્સમાં વારંવાર આવા ઘૃણિત કાર્ટૂનોની પ્રસિદ્ધિ અને સરકારી સ્તરે તેની હિમાયત એ વાતને સાફ કરી દે છે કે ભવિષયમાં પણ આ પ્રકારની ઘૃણાસ્પદ હરકતો જારી રાખવામાં આવશે. છેવટે કેમ Blasphem yને અપરાધ સમજવામાં આવે છે ? અને હૉલોકોસ્ટના ઇન્કારને ગુનો ઠેરવવામાં આવે છે ? શું ઇસ્લામના પયગંબરનું અપમાન ધર્મના અપમાન અને Hatred Speech and Actionના દાયરામાં નથી આવતું ? આવા બેવડાં ધોરણો કેમ ? શા માટે ઇસ્લામ, મુસલમાનો અને ઇસ્લામના પયગંબરને રાજકીય સ્વાર્થ ઉપરાંત બીજા કયા આશયથી લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે ? આ પ્રશ્નનો જવાબ જો નિષ્ઠાપૂર્વક શોધવામાં આવે, ઘણાં રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments