ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. અહીં જનતા ચૂંટણી દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને બંધારણના દાયરામાં રહીને નિર્ણયો લેવાય છે. પરંતુ વર્તમાન સમયમાં એક મોટો અને ગંભીર સવાલ ઊભો થઈ રહ્યો છે: શું આપણે ખરેખર લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છીએ? જ્યારે દેશના ખૂણે-ખૂણેથી બંધારણીય અધિકારોના હનનની ફરિયાદો ઊઠે, ત્યારે આ સવાલ પર ગંભીરતાથી વિચાર કરવો અનિવાર્ય બની જાય છે.
રાહ જોયા વિના કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના લેવાતા આકરા નિર્ણયો આજે ચર્ચાના કેન્દ્રમાં છે. રાજસ્થાનના બાડમેર-જેસલમેરથી લઈને ગુજરાત, અસમ, ઉત્તર પ્રદેશના સંભલ-શાામલી અને મધ્ય પ્રદેશ સુધી… એક ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે. સવાલ એ નથી કે કોઈ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર, પરંતુ સવાલ એ છે કે શું તેની તપાસ માટે યોગ્ય અને પારદર્શક પ્રક્રિયા અપનાવવામાં આવી છે?
કાયદાનું શાસન કે બુલડોઝર ન્યાય?
કોઈપણ લોકશાહી વ્યવસ્થામાં ‘કુદરતી ન્યાયનો સિદ્ધાંત’ (Principles of Natural Justice) સર્વોપરી છે, જેનો અર્થ એ થાય છે કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને પોતાની બાજુ રજૂ કરવાની પૂરતી તક મળવી જોઈએ. પરંતુ, જ્યારે અગાઉની તારીખો મારીને નોટિસ આપવામાં આવે અને બીજે જ દિવસે વહીવટી તંત્ર કાર્યવાહી કરી દે, ત્યારે અદાલતના દરવાજા ખખડાવવાનો મોકો પણ મળતો નથી.
જો કાયદાનું પાલન કર્યા વિના જ શક્તિના જોરે નિર્ણયો લેવાના હોય, તો પછી ન્યાયતંત્ર અને અદાલતોનું મહત્વ શું? જો પ્રક્રિયા જ અનુસરવામાં ન આવે, તો તે બંધારણની મજાક સમાન છે.
ધાર્મિક સ્થળોની સુરક્ષા અને ૧૯૯૧નો કાયદો
૧૯૯૧નો પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ (Places of Worship Act, 1991) સ્પષ્ટપણે કહે છે કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે ધાર્મિક સ્થળ જે સ્થિતિમાં હતું, તેને તે જ સ્થિતિમાં સુરક્ષિત રાખવામાં આવશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે કેટલાક વિવાદોના ઉકેલ પછી દેશમાં સૌહાર્દનું વાતાવરણ બનશે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે કે વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. એક પછી એક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ (મદરેસાઓ) પર થઈ રહેલી કાર્યવાહીઓ સામાજિક તાણાવાણાને નુકસાન પહોંચાડી રહી છે.
સમયની માંગ: ન્યાયતંત્રની સક્રિયતા
આ કપરા સમયમાં દેશની જનતાની આશા માત્ર અને માત્ર ન્યાયતંત્ર પર ટકેલી છે.
અદાલતોને અપીલ: જો અદાલતો ખરેખર કાયદાની રક્ષક છે, તો તેમણે આવી એકપક્ષીય અને ઉતાવળી કાર્યવાહીઓ પર કડક નજર રાખવી પડશે.
સરકારને સવાલ: સત્તામાં બેઠેલા જવાબદાર લોકોએ સમજવું પડશે કે લોકશાહી બહુમતીના જોરે નહીં, પણ કાયદાના શાસન અને સર્વસમાવેશકતાથી ચાલે છે. કોઈ એક વર્ગને નિશાન બનાવીને કે તેને સાર્વજનિક રૂપે અપમાનિત કરીને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે નહીં.
અંતમાં:
સત્તા અને વહીવટી તંત્રએ એ યાદ રાખવું ઘટશે કે સમયનું ચક્ર હંમેશા ફરતું રહે છે. આજે કદાચ સત્તાના જોરે નિર્ણયો લઈ શકાય, પરંતુ ભવિષ્યમાં જ્યારે ઇતિહાસ લખાશે, ત્યારે તે સવાલો પણ પૂછશે અને ઇન્સાફની માંગ પણ કરશે. લોકશાહીને જીવંત રાખવા માટે કાયદાનું સન્માન અને નાગરિકોના અધિકારોની રક્ષા એ જ એકમાત્ર માર્ગ છે.
લેખ સૌજન્યઃ छात्र विमर्श
