
૧૧ એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન, ગુજરાતમાં ત્રીજા તબક્કા ૨૩ એપ્રિલના રોજ મતદાન
નવી દિલ્હી : ચૂંટણી કમિશને લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ વખતે ૭ તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે અને ૨૩ મે ના રોજ પરીણામ આવશે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે ચૂંટણી તારીખોની ઘોષણા કરતા કહ્યું કે બધી એજન્સીઓ તરફથી અભિપ્રાય મેળવ્યો. ચૂંટણી ખર્ચ પર વિશેષ નજર રાખવામાં આવશે. તહેવારોનું ધ્યાન રાખવામાં આવ્યું. એમણે કહ્યું કે આ વખતે ચૂંટણીમાં ૯૦ કરોડ લોકો મત આપશે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે અમે ચૂંટણી માટે ઘણા સમય પહેલાથી જ તૈયારી કરી રહ્યા હતાં. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી કમિશ્નરો સાથે વાત કરી. એમને તૈયારી કરવા માટે કહી દીધેલું હતું. લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ પણ તપાસવામાં આવી. આ બધા કાર્ય પછી આજે અમે ચૂંટણીની ઘોષણા કરવાની સ્થિતિમાં છીએ.
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે આ વખતે ઇવીએમ મશીનોની સુરક્ષાનું સંપૂર્ણ ખયાલ રાખવામાં આવશે. આજથી જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. કોઈ પણ પ્રકારના નિયમ ઉલ્લંઘન પર કાર્યવાહી. બધા ઉમેદવારોને પોતાની સંપત્તિ અને શિક્ષણની વિગત આપવી પડશે. ફોર્મ ૨૬ ભરવું પડશે. એમણે કહ્યું કે લાઉડ સ્પીકરનો ઉપયોગ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી બંધ રાખવું પડશે. અમારું ફોકસ ધ્વનિ પ્રદુષણને ઓછું કરવું છે. સીઆરપીએફને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે આ વખતે એક એપ પણ લોન્ચ થશે, જેની મદદથી કોઈ પણ મતદાતા કોઈ પણ નિયમ ઉલ્લંઘનને કેમેરામાં રેકોર્ડ કરી સીધા અમને મોકલી શકશે. એમણે કહ્યું કે આ વખતે સમાધાન વેબ પોર્ટલ પણ હશે, સામાન્ય માણસ આ પોર્ટલ દ્વારા ફીડબેક આપી શકશે. સાથે બધા બુથો પર સીસીટીવી કેમેરા હશે. ચૂંટણી કમિશ્નરે કહ્યું કે મતદાતાઓ સુધી પહોંચવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અમે એક પણ મતદાતા છોડવા નથી ઈચ્છતા. સોશ્યલ મિડીયા ઉપર પણ નજર રાખવામાં આવશે. સોશ્યલ મિડીયા પર અભિયાનનો ખર્ચ પણ જોડવામાં આવશે.
તમને જણાવી દઇએ કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ ૩ જૂનના રોજ સમાપ્ત થઈ જશે. વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બીજેપી પ્રથમ એવી પાર્ટી બની હતી જે ત્રણ દશકોમાં પ્રથમ પૂર્ણ બહુમતી મેળવી હતી. બીજેપીને ૨૮૨ સીટો મળી હતી. જ્યારે કે એનડીએને ૩૩૬ સીટો મળી હતી. ત્યાં જ કોંગ્રેસ આ ચૂંટણીમાં ખરાબ રીતે હારી હતી અને માત્ર ૪૪ સીટો મળી હતી. કોંગ્રેસની હાલત એવી હતી કે તેને વિપક્ષના નેતાની ખુરશી મેળવવા માટે જરૂરી ૧૦ ટકા સીટો પણ નહોતી મળી. જે કંઈ હોય આચાર સંહિતા લાગ્યા બાદ હવે સરકાર કોઈ પણ નીતિગત નિર્ણયો નહિ લઈ શકે.