Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસન્યાય અને આતંકવાદ વચ્ચે ઝૂલતી જીવતી લાશો!

ન્યાય અને આતંકવાદ વચ્ચે ઝૂલતી જીવતી લાશો!

ન્યાય વ્યવસ્થાની સ્થાપના અને નિશ્ચિત્તા નક્કી કરે છે કે સમાજ અથવા દેશમાં શાંતિનું સ્તર કેવું હશે? તે કેટલું સ્થિર હશે અને ક્યાં સુધી આ શાંતિ બનેલી રહેશે? તેનો પણ પૂરેપૂરો આધાર આ વાત ઉપર છે કે ન્યાય વ્યવસ્થા કેટલી સંતુલિત છે!

ભારતમાં ન્યાયની સાથે અન્યાય પણ એટલું જ પુરાણો છે જેટલી પુરાણી અહીંની સંસ્કૃતિ અને સભ્યતા છે. દેશમાં વિભાજન પછીથી લઘુમતિ અને બહુમતિ વર્ગોમાં દૂરી વધી છે અને તેને ખૂબજ ચાલાકીપૂર્વક વધારવાના પ્રયત્નો પહેલા પણ કરાયા છે અને આજે પણ ખૂબજ તિવ્રગતિએ થઈ રહ્યા છે. તેના પરિણામો શું હશે? તેનું ધ્યાન રાખ્યા વિના ધાર્મિક અને રાજનૈતિક હિતો માટે લઘુમતિ અને બહુમતિ સમાજોમાં દુર્ભાવના વધારાઈ રહી છે.

આતંકવાદના નામે એક ધર્મ અને એક વર્ગ વિશેષને લક્ષ્ય બનાવવાની માનસિકતા આંતરરાષ્ટ્રીય થી રાષ્ટ્રીય સ્તર સુધી ચેષ્ટાઓ કરવામાં આવી રહી છે. ભારતના લોકતાંત્રિક મુલ્યો અને ઓળખ માટે આ ભયજનક છે. કોઈ પણ ધર્મ અથવા દેશના નામે એક સંપૂર્ણ સમાજને આંતકિત કરવું કેટલું યોગ્ય છે? પાછલા કેટલાક દશકાઓથી આતંકવાદ અને ન્યાય વચ્ચે જીવતી લાશોને તૈયાર કરવામાં આવી છે! કોઈ પણ ઘટના કે જે માનવતાને આતંકીત કરે છે, તેની સામે એક ધર્મને ઉભો કરીને કેટલાક મુસ્લિમ નામોવાળા ચહેરાઓને દેશ સમક્ષ ઉભા કરી દેવામાં આવે છે, અને આ ચહેરાઓ દેશ માટે કાયમી શત્રુ બની જાય છે. આ કેટલાક ચહેરા છે જેની પાછળ માર્મિક પીડા જાણ્યા વિના દેશવાસી પોતાની ભડાશ કાઢવા માટે સત્ય-અસત્યને તપાસ્યા વિના તેને ચૂંટી લે છે, પછી આ જ સામુહિક ચેતના તેમના મૃત્યુનું કારણ પણ બને છે અને કેટલાય પરિવારોના માનસિક મૃત્યુ પણ તેમના લાંબા કારાવાસ અથવા તેમની ફાંસી અથવા હત્યા પછી નિશ્ચિત થઈ જાય છે.!

મુહમ્મદ રફીક શાહ અને મુહમ્મદ હુસૈનને વર્ષ ૨૦૦૫માં થયેલ સિરિયલ બ્લાસ્ટના આરોપમાં પકડવામાં આવ્યા હતાં. પરંતુ ૧૧ વર્ષ વીતી ગયા પછી, કેટલીય યાત્નાઓ ભોગવ્યા પછી દિલ્હીની પટિયાલા કોર્ટ કોઈ પણ આરોપ પુરવાર ન થઈ શકતા છોડી મુક્યા. ૧૧ વર્ષનો તે સમય જેમાં દરેક વિદ્યાર્થી અને યુવા પોતાના જીવન પૃષ્ઠોને સજાવવાના સ્વપ્ન જુએ છે અને તેને પૂર્ણ કરવા માટે ભાગદોડ કરે છે, પરંતુ આ યુવાનોનું શું? જેમણે પોતાના અમુલ્ય ૧૧ વર્ષોને વૈમનસ્ય અને માનસિક બિમારીમાં ગ્રસ્ત સમાજ માટે ન્યોછાવર કરી દીધા!

આ ૧૧ વર્ષની અનુભુતિઓને દર્શાવતાં મુહમ્મદ રફીક કહે છે કે મને જેલમાં મુકી દેવાયો. ત્યારે મારી વય ૨૦ વર્ષની હતી. મારા પિતા મને નિર્દોષ પુરવાર કરવાની લડાઈમાં પોતે જ ૨૦૦૬માં દુનિયાથી વિદાય થઈ ગયા. દિલ્હી પોલીસે ૨૦૦૮માં શાહ ઉપર દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવું, હથિયાર એકત્રિત કરવા, હત્યાના પ્રયાસ વિગેરે આરોપો લગાવ્યા હતા. પરંતુ ૨૦૧૭માં આ બધા જ આરોપોને પુરવાર ન કરી શકતા ન્યાયાલયે પોતાના ૧૪૭ પાનાના ચુકાદામાં તેમને માનભેર છોડી મુક્યા. પરંતુ તે હૃદય કેટલું વિશાળ હશે કે જેણે વિના વાંકે આટલી સજા ભોગવ્યા પછી પણ છુટતા સમયે ન્યાયાધીશથી કહ્યું, “ન્યાય જીવીત છે.” આને કહેવાય વિશાળ હૃદયતા.

તેમની માતા મેહમુદા બીબીએ દિલ્હી પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું કે શું પોલીસ તેમના ૧૧ વર્ષ પાછા આપી શકશે? મારા પુત્રના નિકાહ પણ ન થઇ શક્યો. શું તેને વળતર મળશે? શાહે કહ્યું જ્યારે મને પકડવામાં આવ્યો ત્યારે હું ઇસ્લામિક સ્ટડીઝમાં એમ.એ. કરી રહ્યો હતો. મને વર્ગખંડમાં જ પકડી લેવામાં આવ્યો. જ્યારે મેં કહ્યું કે મારી વર્ગખંડની હાજરીનો રેકોર્ડ જોઈ લો. તેમ છતાં પોલીસે મારી કશી જ વાત ન સાંભળી.

કાશ્મીરથી લઈ કેરળ અને ગુજરાતથી લઈ આસામ સુધી આવા અસંખ્ય કેસો છે. જેમાં આતંકવાદના આરોપ હેઠળ પકડાયેલ યુવાનોને ૧૦, ૧૫, ૨૦ વર્ષ અને કેટલાકને તો આનાથી પણ વધુ સમય જેલમાં રખાયા છે. પછી આરોપ પુરવાર ન થવાના આધારે ન્યાયાલયે તેમને માનભેર છોડી મુક્યા છે. હજુ પણ આવા કેટલાય વિદ્યાર્થીઓ છે, જેઓ વિશ્વવિદ્યાલય સિવાય જેલની કાળ કોઠડીમાં પોતાનું ભવિષ્ય વિતાવવા પર વિવશ છે. મનિષા સેઠી પોતાના પુસ્તક ‘કાફ્કાલેંડ’ (Kafkaland)માં લખે છે કે દિલ્હી પોલીસના સ્પેશ્યલ વિભાગના આતંકમાં લિપ્ત કેસોમાં ૭૦ ટકા કેસો ખોટા પુરવાર થયા, અન્ય રીતે કહીએ તો સ્પેશ્યલ ભિાગે ૭૦ ટકા કેસોમાં આરોપોને ફ્રેમ કરીને આરોપો ઘડીને જુઠા પુરાવાઓ ઘઢી કાઢી નિર્દોષોને જેલ ભેગા કર્યા છે.

અક્ષરધામથી લઈને મક્કા મસ્જિદ સુધી કેટકેટલાય નિસાર અને રફીકોને પકડવામાં આવ્યા છે, તેનો પોતાનો એક અલગ ઇતિહાસ છે. જેલમાં તેમના ઉપર ટોર્ચર, સમાજથી વિમુખ અને પરિવારથી વિમુખ અને શિક્ષણથી વંચિત અને યુવાનીને દાવ પર લગાવનારા આ યુવાનોનું નિર્દોષ પુરવાર થવું આપણી ન્યયા પ્રણાલીને કઠેડામાં ઉભી કરી છે! છેવટે આ પ્રકારના હજારો યુવાનોેની તબાહીના જવાબદાર કોને ઠેરવવા? કોણ છે જે આ પ્રકારના ખોટો કેસોમાં ઉલ્ઝાવી રહ્યું છે? શું   આધાર છે જેના પર છડેચોક આ યુવાનોને પકડવામાં આવી રહ્યા છે. તેમના જીવનના કિંમતી સમયનું વળતર કોણ આપશે? આ લોકોને જેલોમાં જેમણે ધકેલ્યા છે, અને લાગલગાટ ધકેલ્યા કરે છે, તે લોકોએ પોતાની નોકરી ઇમાનદારીથી નથી કરી અથવા ખોટી રીતે કરી, તેના માટે કોઈ સજાની જોગવાઈ થશે? અથવા બસ આમ જ ચાલતું રહેશે? આ પ્રશ્નો છે જેના આધારે આપણી વ્યવસ્થાઓને ઉત્તરો આપવા પડશે!

હવે વાત તે બીજી તસવીરની કરીએ, જે બતાવે છે કે ISIની જાસૂસી કોણ કરે છે? દેશની ગુપ્ત માહિતી વિદેશોમાં કોણ પહોંચાડે છે? સાથેસાથે આતંકના વાસ્તવિક કેસમાં કોણ લિપ્ત છે? તેમની ધાર્મિક પશ્ચાદભૂમિ શું છે? શું તેમના નામની સાથે તેમના ધર્મને જોડી દેવાયું? તેમની પાસે એવું તો શું છે કે જેના આધારે તેમના ગિરફતાર ન કરી શકાય અથવા થોડાક સમયમાં જ જેલથી બહાર આવવાની તેમને તક મળી જાય છે? કાયદાના લાંબા હાથ તેમની ગર્દન સુધી પહોંચતા નાના કેમ થઈ જાય છે? શું આ પોલી વ્યવસ્થાની ખામી છે અથવા ઉપરથી નીચે સુધી બધાના મસ્તિષ્કમાં ધર્મને લઈને ગંદકી ભરેલી છે? તેઓ ધર્મને સામે રાખીને જ કોઈ નિર્ણય પર કેમ પહોંચે છે?

આતંકના સિક્કાની આ બીજી બાજુથી દેશને એટલો જ ભય છે, જેટલો પહેલી બાજુથી છે. આ લોકો પણ તેટલી જ સખત સજાના હકદાર છે. આતંકનો ધર્મથી કોઈ સંબંધ નથી, આમ ઘણી બધી સભાઓમાં કહેવામાં આવે છે. પરંતુ તેની વાસ્તવિકતા કેટલી છે તેને હવે બીજા દૃષ્ટિકોણથી તપાસવું જોઈએ. આતંકવાદ એટલે કોઈ ધર્મનો ડર અને કોઈ ધર્મથી ભયનું નામ નથી બલ્કે માનવતાને અમાનવીય માનસિકતાથી થતી યાતનાનું નામ છે. આ ધર્મના ભયની ગરબડીથી જનતાનું ધ્યાન થોડા સમય માટે તો હટાવી શકાય છે, પરંતુ આ લાંબા ગાળા સુધી ચાલી નહીં શકે, વાસ્તવિકતાથી પડદો તો ઉંચકાશે જ, ક્યારે ઉંચકાશે તે આપણી સંવેદનશીલતા નિશ્ચિત કરશે.

એક બીજી વાત પણ ધ્યાન આપવા યોગ્ય છે કે જે લોકો ૧૦, ૧૫, ૨૦ વર્ષ પછી નિર્દોષ માનભેર છુટી રહ્યા છે, તો તેમાં વાસ્તવિક દોષી કોણ છે? તેમને ક્યારે પકડવામાં આવશે? અને સાથે જ ઘટનાઓના આટલા વર્ષો સુધી છુટા ફરતા ખરા અપરાધીઓથી સમાજને કેટલો ભય છે? આ ગુપ્ત અપરાધીઓ હજુ કેટલા નિર્દોષોને પોતાની ખુંખાર માનસિકતાના શિકાર બનાવશે? શું પોલીસ, ન્યાયતંત્ર અને સરકારી તપાસ એજન્સીઓ દેશહિતમાં તે ખરા ગુપ્ત અપરાધીઓને પકડી શકશે? જેમનાથી દેશ અને સમાજ અસુરક્ષિત છે અને જેમણે નિર્દોષ યુવાનોને પકડીને જેલમાં નાંખી તેમના જીવનને નર્ક બનાવ્યું તેમના માટે શું પ્રાવધાન હોઈ શકે? ખરા સાચા અપરાધીઓને પકડી ન શકવાને લીધે કોને અપરાધી માનવામાં આવે? કાંઇક તો આધાર હોય, જે આ બધી બાબતો માટે નિશ્ચિત થવો જોઈએ. આની જવાબદારી તો સુનિશ્ચિત થવી જ જોઈએ. સમાજ સુરક્ષાની જવાબદારી વહીવટી તંત્ર, સુરક્ષા, તંત્ર અને ન્યાયતંત્રના શિરે છે. અને તે નિષ્પક્ષ અને અસરદાર છે તે દેખાવું જોઈએ.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments